આજે શ્રાવણ સુદ છઠ
આજે આપણે મેઘધનુષ નો નારંગી રંગ મ્હાલીયે.આજનો દિવસ ‘રાંધણ છઠ્ઠ ‘ તરીકે ઓળખાય છે.આ શિવપ્રિય શ્રાવણ મહિનાનો શિવપ્રિય શિવસ્વરૂપ પ્રથમ સોમવાર છે તો આપણે દેવાધિદેવ મહાદેવ નું ચિંતન કરીશું.‘ શિવલિંગ ’ના પ્રાગટ્ય વિષે થોડી વાતો કરશું.

‘ૐકારં બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયંતિ યોગીનઃ
કામદં મોક્ષદંચૈવ ૐકારાય નમોનમઃ’
‘શિવ ’નો અર્થ ‘કલ્યાણ’ ‘શુભ’ થાય છે. અગ્નિની ત્રણ અવસ્થાઓ છે. અગ્નિ, વાયુ અને આદિત્ય છે. વાયુ પ્રાણદાયક, શાંતિદાયક અને સંયોજક હોવાથી તે ‘શિવ’ કહેવાય છે. તેથી જ ‘શિવ’ને કલ્યાણકારી, સુખકારી અને મોક્ષદાતા કહેવાય છે. ઈ.સ. પૂર્વે 600 પહેલાં ‘ શિવ’ અને ‘ રૂદ્ર ‘ ને એકરૂપ બનાવી વેદમંત્રોથી પૂજા કરાઈ. ત્યારબાદ પૌરાણિક કથાઓમાં ‘ શિવલિંગ ‘નાં પ્રાગટ્ય વિષે કથાઓ ઉમેરાતી ગઈ. (more…)
July 31, 2006
આજે શ્રાવણ મહિનાની પાંચમી તિથી એટલે શ્રાવણ સુદ પાંચમ

આજનો આ દિવસ નાગ પંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે લોકો નાગની પુજા કરે છે. નાગ તો શિવજીનું આભુષણ છે. ગલે સર્પોકી માલા.
આજે મેઘધનુષ પાંચમો પીળો રંગ જોઈયે. ભજનરૂપી ગંગામાં વહેશું.
ભજન
રાગ:- જોગિયા તાલ:- રૂપક
હે ચંદ્રમૌલી, હે ચંદ્રશેખર, હે શંભો ત્રિલોચન
હે સંકટ વિમોચન હે ત્રિપુરારી વંદન
જય જય વિભારૂપ, શંકર કૃપાલા
હે, પશુપતિ દયાલા - હે ચંદ્રમૌલી
બાલેન્દ્રુ ભાલે ત્રિલોચન વિશાલા
ચિદાનંદદાતા હે જગદીશનાથા
ભસ્માંગ લેપન ગલે રૂંડમાલા
નિરાકાર ૐકાર શંકરદયાલા - હે ચંદ્રમૌલી (more…)
July 30, 2006
આજે શ્રાવણ મહિનાની ચતુર્થ તિથી એટલે શ્રાવણ સુદ ચોથ
મેઘધનુષનો ચોથો રંગ એ લીલો રંગ પ્રકૃતિનો રંગ. આ હરિયાળો રંગ જો જીવનમાં ચઢે તો જીવન ધન્ય બની જાય અને એમાં કુદરતનો હરિયાળો રંગ ભળે તો સોનામાં સુગંધ ભળી જાય. તો ચાલો આપણે પ્રકૃતિનાં સાનિધ્યમાં જઈશું !
કૈલાસ માનસરોવર:- એક શ્રધ્ધા પૂર્ણ યાત્રા
કૈલાસ માનસરોવરની યાત્રા વિષે માન્યતા એવી છે કે તે ખૂબ જ અધરી યાત્રા છે. હા! હું પણ માનું છું પણ હું એમ કહું કે ‘ યાતના વગરની યાત્રા’ જ ના કહેવાય. એમાં શિવજી ને રીઝવવા મુશ્કેલ છે પણ અસંભવ નથી. ભોલેબાબા તો સૌથી જલ્દી ભક્તો પર રીઝાય છે. આવી જ એક યાત્રા એટલે કૈલાસ માનસરોવર ની યાત્રા. સ્વામી શ્રી તદરૂપાનંદજી ના શબ્દોમાં કહું તો ‘ જન્મોજનમનાં પુણ્ય ‘ ભેગા થયા હોય તો આ યાત્રા માટે પ્રભુ બોલાવે છે.[1996 ની પ્રથમ યાત્રામાં નારાયણ આશ્રમમાં તેમની મુલાકાત થઈ હતી.] પ્રભુની મરજી વિના તો પાંદડું હલતું નથી તો આ યાત્રા શી રીતે થાય?
કૈલાસવાસી શંભો તુમકો લાખો પ્રણામ
ભારત સરકાર જે માર્ગે લઈ જાય છે [અમે બે વખત કરી છે. 1996 અને 2000 ] તે માર્ગ પહાડોમાંથી જાય છે. કુદરત મ્હાલવી હોય અને trackingનો શોખ હોય અને સમયનો બાધ ન હોય તો [Indian Passport ધરાવતી વ્યક્તિઓ માટે ] આ રસ્તો risky છે પરંતુ સુંદર છે. ધસમસતી ‘કાલી ગંગા’નો પ્રવાહ જોયો ન જોવાય. ત્યાંની પહાડી પ્રજા એને DANCING DOLL તરીકે જાણે છે. રસ્તામાં આવતા ‘છાતા ફોલ’ની છટા અનેરી છે. ‘કાલી ગંગા અને ધોલી ગંગા’નું મિલન [બંનેના પાણીનો રંગ નામ પ્રમાણે છે જે મિલન વખતે પણ જુદા તરી આવે છે] આલ્હાદક છે. તળેટીમાં આવતાં ઊંચા ઊંચા વૃક્ષો ધીરે ધીરે ઉપર જતાં અદ્રશ્ય થતાં જાય છે અને સમાધિગ્રસ્ત પહાડો જોવા મળે છે. ‘બુધિ’નામક આ યાત્રાનો પડાવ અતિ સુંદર છે. આ રસ્તાની ‘ફ્લાવર ઓફ વેલી’ જેવો સુંદર પડાવ છે. આ રસ્તે પહાડ ઊપર કંડાયરેલા ૐ નાં દર્શનનો લાવ્હો અનેરો છે. ‘લિપુલેખ પાસ’ જે 17,000 ફૂટની ઊંચાઈ પર આવેલો છે, પસાર કરતી વખતે સ્નો માંથી પસાર થવું પડે છે તેનો ગભરાટ વગેરે અનુભવવાનો આનંદ અનેરો છે. ભારતીય પોલિસ અને ધોડાવાળાઓની આત્મિયતા કદીયે ન ભૂલાય એવી છે. (more…)
July 29, 2006
આજે શ્રાવણની તૃતિયા તિથી એટલે શ્રાવણ સુદ તીજ
ચાલો આજે મેઘધનુષનો ત્રીજો રંગ જોઈયે. મેધનુષનો ત્રીજો રંગ ભૂરો છે. શિવજીનો કંઠ વિષ પીવાથી ભૂરો એટલે નીલા રંગનો થઈ ગયો હતો જેથી તેઓ નીલકંઠ મહાદેવ કહેવાયા. આવા નીલકંઠ મહાદેવની વાત કરીયે. આ એક બાળવાર્તા છે. જે મારા મેઘધનુષનો ત્રીજો રંગ છે.
એક શિકારી હતો. તે નાનો મોટો શિકાર કરીને પોતાનો ગુજરાન ચલાવતો હતો.. એક દિવસ એવું બન્યું કે તેને એકપણ શિકાર ન મળ્યો તેથી તે નદીકિનારા પરનાં એક ઝાડ પર બેસીને શિકારની રાહ જોતો બેસી રહ્યો. એ ઝાડ બિલ્વવૃક્ષ હતુ તે એને ખબર ન હતી અને એ વૃક્ષની નીચે શિવલિંગ હતું તેનુ પણ તેને જ્ઞાન ન હતું. જ્યારે તે શિકારી વૃક્ષ પર બેઠો હતો ત્યારે તેના પગથી બિલિપત્ર શિવલિંગ પર પડતાં હતાં જેની તેને ખબર ન હતી. એ તો ફક્ત પોતાના પરિવારને શું ખવડાવશે? એ વિચારોમાં મગ્ન હતો.
રાત્રીનાં પ્રથમ પ્રહરે નદીકિનારે એક હરણ પાણી પીવા આવ્યુ. શિકારી ખુશ થઈને તેને મારવાની તૈયારીમાં હતો એટલામાં બિલિપત્રનાં પડવાનાં અવાજથી હરણ ચોંકી ગયું. તેને શિકારીને પ્રાર્થના કરી કે ‘ હે શિકારી મને મારા બાળકોને મળીને આવવા દો હું પાછો આવીશ’. શિકારીને હરણ પર દયા આવી અને પાછા ફરવાનાં વચન સાથે તેને તેની પત્ની તથા બાળકોને મળવાની રજા આપી. આમ શિકારી હરણની રાહ જોતો બિલ્વવૃક્ષ પર રાહ જોતો બેસી રહ્યો.
આ બાજુ હરણ તેની પત્ની અને બાળકોને મળવા ઘરે પાછુ ફર્યું અને પૂરી હકીકતથી પોતાની પત્નીને જાણ કરી. આ સાંભળીને હરણની પત્ની પણ તેની સાથે જવા તૈયાર થઈ. હરણનાં બાળકોએ તેમનાં માબાપની વાત સાંભળી તેમની સાથે જવા તૈયાર થઈ ગયા. ધીરે ધીરે હરણનું આખું કુટુંબ હરણની સાથે જવા તૈયાર થઈ ગયું. આ બાજુ હરણની રાહ જોતા જોતા શિકારીનાં ચાર પ્રહર વીતી ગયાં અને શિવલિંગ પર બિલીપત્રનો અભિષેક થતો રહ્યો.. જ્યારે શિકારીએ હરણનાં આખા કુટુંબને આવતા જોયું ત્યારે તે ખૂબ ખૂશ થઈ ગયો એને થયું કે ‘હાશ! હવે થોડા દિવસ મારું કુટુંબ ભૂખ્યું નહી રહે’. ત્યાંતો અચાનક એને વિચાર આવ્યો કે ‘મારા આખા કુટુંબનું પોષણ કરવા શું હું આ હરણનાં આખા કુટુંબનો વધ કરીશ? ધિક્કાર છે મને. શું હુ આખુ જીવન અઘોર પાપ કરતો રહીશ?’ આવો વિચાર આવતા જ તેણે હરણનાં કુટુંબનો વધ ન કરતા છોડી મુક્યાં
અનાયસે એ રાત્રી શિવરાત્રિ હતી. આમ શિકારીનો અજાણતા ઉપવાસ થઈ ગયો અને શિવલિંગ પર બિલિપત્રનો અભિષેક થતો રહ્યો. અને આપણાં ભોલેબાબા શિકારી પર પ્રસન્ન થયાં અને શિકારીને મુક્તિ મળી ગઈ. શિવજીનો મહીમા આવો જ કાંઈ ન્યારો છે.
ૐ નમ: શિવાય
July 28, 2006
આરોહમાં તું
અવરોહ તું
ૐકારનો નાદ તું
સંગીત દાતા
તાલ લય તું
હે, ગંગધારી
હે, ત્રિપુરારી
પૂછું શિશ નમાવી
હું નમનની
છું અધિકારી?
તુજ ભક્તિની
સામે ઝુક્યાં આ
શીશ અમારાં, તુજ
શિવ શક્તિને
પ્રણામ મારાં
- નીલા
July 27, 2006
આજે શ્રાવણની દ્વિતીયા તિથી એટલે શ્રાવણ સુદ બીજ.
આ શ્રાવણ માસ તો શિવજીનો પ્રિય મહિનો ગણાય છે. અને શ્રાવણ એટલે ઉત્સવોનો શંભુમેળો.. શબ્દ, અર્થ, સ્વર, સંગીત, અને નાદબ્રહ્મનાં આદિદેવ એટલે નટરાજ. શિવજીનાં ડમરુમાંથી ઉત્પન્ન થયેલા નાદમાંથી શબ્દ, સ્વર, વ્યંજનોની વિસ્મયજનક સૃષ્ટિ ઉત્પન્ન થઈ.
શ્રી શિવતાંડવસ્તોત્ર માં રાવણે ડમરુનાં નાદનો ઉલ્લેખ કર્યો છે.
ડમડ ડમડ ડમન્નિનાદવડ ડમર્વયં………………
સંગીતનાં આરાધ્યદેવ નટરાજને મારાં કોટિ કોટિ વંદન.

સત સૃષ્ટિ તાંડવ રચયિતા
ધ્રીગ તામ તામ ધ્રીગ ધીં ધીં તામ
હે આદ્ય ગુરુ શંકર પિતા
નટરાજ રાજ નમો નમ:
ગંભીર નાદ મૃદંગના
ધબકે ઉરે બ્રહ્માંડમાં
નીત હોત નાદ પ્રચંડના
નટરાજ રાજ નમો નમ:
શીર જ્ઞાન ગંગા ચંદ્રમા
ચીદ બ્રહ્મ જ્યોતિ લલાટમાં
વિષ નાગમાલા કંઠમાં
નટરાજ રાજ નમો નમ:
તવશક્તિ વામાંગે સ્થિતા
હે ચંદ્રિકા અપરાજિતા
ચહુ વેદ ગાયે સંહિતા
નટરાજ રાજ નમોનમ:
કવિશ્રી:- નીનુ મઝુમદાર
July 27, 2006
આજના શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે આ મેઘધનુષ શિવજીને સમર્પણ. વિચાર આપ્યો સોનલબેને અને વાચા આપી મૃગેશે. જાણે બ્રહ્મા, વિષ્ણુનું મિલન. એમાં આજે શ્રાવણ નો મહિનો, એટલે શિવજી હજરાહજૂર. મારે માટે બ્રહ્મા,વિષ્ણુ,મહેશ હાજર છે. સૌનો ખૂબ ખૂબ આભાર.
આજનું આ પ્રથમ સોપાન શિવજીને સમર્પણ.
દ્વાદશ જ્યોતિર્લિગ સ્તોત્રમ્
સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ
ઉજ્જયિન્યાં મહાકાલમ ૐકારમ મમલેશ્વરમ
પરલ્યાં વૈદ્યનાથં ચ ડાકિન્યાં ભીમશંકરમ
સેતુબંધે તુ રામેશં નાગેશં દારુકા વને
વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યંબકં ગૌતમીતટે
હિમાલયે તુ કેદારં ધુશ્મેશં ચ શિવાલયે
એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાત: પઠેન્નર:
સપ્ત જન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ
July 26, 2006
મેઘધનુષના જુદા જુદા રંગોની મહેફિલ માણવા માટે હું નીલા કડકિયા આપ સૌ વાચક મિત્રોનું સ્વાગત કરું છુ !
July 26, 2006