Archive for August 27th, 2006
ભલે પધાર્યાં ગણરાયા
આજે ભાદરવા સુદ ત્રીજ
આજનો સુવિચાર:-.પોતાની જાતને ઓળખતા શીખવું એ સૌથી કઠિન અને અન્યના કામમાં ભૂલ શોધવી એ સૌથી સરળ કાર્ય છે.
આજે ગણેશ ચતુર્થી. ભલે ભધાર્યા ગણરાયા
વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય,
લંબોદરાય સકલાય જગદ્વિતાય,
નાગાનનાય શ્રુતિયજ્ઞવિભૂષિયાય,
ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે.
કોઈ પણ કાર્યનો શુભારંભ ગણેશ પૂજનથી કરવામાં આવે છે. ગણપતિ બધા ગણોનાં અધિપતિ છે, બુદ્ધિના અધિષ્ઠાતા છે. તેમની પૂજાથી વિનમ્રતા આવે છે અને સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે. શ્રી ગણેશ જ્ઞાન અને આનંદનું સ્વરૂપ છે. તેમનું વાહન મુષક [ઉંદર] છે. તે મૂળાધાર ચક્રના અધિષ્ઠાતા દેવતા છે. શાંતિ,સંપના અધિષ્ઠાતા સર્વગુણોના નેતા શ્રી ગણેશ પ્રણવ ૐકારના પ્રતિક છે. કોઈ પણ ક્રિયા કરતી વખતે ૐકારનો ઉચ્ચારણ આવશ્યક છે આ મંત્ર હિંદુઓનો સર્વોત્કૃષ્ટ મંત્ર છે. જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિ એ ગણેશજીનાં બે પગ છે. હાથીનું માથું અને ઉંદરનું વાહન એ નાનામાં પ્રાણીથી માંડીને મોટામાં મોટા પ્રાણીનાં સર્જકનું પ્રતિક છે. તેઓ જ્ઞાનનાં ભંડાર છે. આ ઉપરાંત વિકાસક્રમને સૂચવે છે. ઉંદરમાંથી વિકાસ પામીને હાથી બને છે અને છેવટે તેમાંથી મનુષ્ય બને છે.આથી જ ગણપતિનું શરીર મનુષ્યનું છે અને માથું હાથીનું છે તેમજ વાહન ઉંદર છે. તેમનાં સ્વરૂપનું આધ્યાત્મિક રહસ્ય છે.
4 comments August 27, 2006
