Archive for December, 2006

ઝાંખી મંગળા કેરી

આજે પોષ સુદ બારસ [બકરી ઈદ]

આજનો સુવિચાર:- સંયમ અને પરિશ્રમ માનવીના બે વૈદ્ય છે. —- રૂસો

હેલ્થ ટીપ્સ:- લોહી નીકળતા ઘા ઉપર હળદર લગાડવાથી લોહી નીકળવું બંધ થશે.

મંગળા કેરી
કરવી ઝાંખી
ગ્વાલ કેરાં દર્શન
રાજભોગ ને
શેન આરતી

ઝાપટીયાની
ઝાપટે તારા
અલપ ઝલપનાં
દરશનથી
તૃપ્ત હું થાવું

તીરછી પાઘ
મુરલી હાથ
સુંદર શોભિત શ્યામ
કેસરી ઘટા
શ્યામ ઘટામાં

નમન કરું
શ્રીજી તમને
અર્પણ છે તમને
ભાવભક્તિના
પુષ્પશી માળા

નથી જાણીમેં
પૂજાની રીત
ખૂટ્યાં ભક્તિ શબદ
આપ ને પ્રભુ
નાનીશી કેડી

                                જય શ્રી કૃષ્ણ


4 comments December 31, 2006

ઈસુ કથા અને કૃષ્ણ કથા

                          આજે પોષ સુદ એકાદશી

આજનો સુવિચાર:- યુવાનીનો બધો સમય ઘડતરનો, વિકાસનો અને સભાનતાનો છે. એમાંનો એક કલાક પણ એવો નથી જે નિયમિત ધબકતો ન હોય, એમાંની એક પળ પણ જો વીતી ગઈ તો નિશ્ચિત થયેલું કામ ક્યારે થઈ શકતું નથી. — રસ્કિન

હેલ્થ ટીપ્સ:- શરદી પર મરી, તજ અને આદુનો ઉકાળો રાહત આપે છે.

શ્રી રમણ મહર્ષિનો જન્મ 30-12-1879માં દક્ષિણ ભારતમાં અરુણાચલ પર્વતની તળેટીના એક ગામમાં થયો હતો.. કેવળ છઠ્ઠા ધોરણ સુધીનો કરેલો અંગ્રેજીનો અભ્યાસ, પરંતુ સમગ્ર જગતને જ્ઞાન અને અધ્યાત્મનો પ્રકાશ આપ્યો.. સદાય આનંદમગ્ન રહેતા.સદાય ઓછું બોલતા પરંતુ જે કાંઈ બોલતાં તે હ્રદય સોંસરવું ઉતરી જતું. તેઓ તામિલભાષી હતા અને મૂળનામ શ્રી. વેંકટરામ હતું. 25-7-1950માં તેમનું નિર્વાણ થયું હતું.

ગુજરાતી અસ્મિતાને ઉજાગર કરતાં શ્રી કનૈયાલાલ મુનશીનો જન્મ 30-12-1887ને દિવસે ભરુચ ખાતે થયો હતો.. બી.એ.,એલ.એલ.બી.ના અભ્યાસ દરમિયાન ‘ઘનશ્યામ’ના ઉપનામે લેખનકાર્ય ચાલુ કર્યુ હતુ. મુંબઈમાં સંસ્કૃતિ અને સાહિત્યના વિકાસાર્થે તેમણે ‘ભારતીય વિદ્યાભવન’ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. ‘ગુજરાતનો નાથ’, ‘જય સોમનાથ’, ‘પૃથ્વીવલ્લભ’, ‘પાટણની પ્રભુતા’, ’લગ્નપાદુકા’,’વેરની વસુલાત’, ‘રાજાધિરાજ’ ‘કૃષ્ણાવતાર’ જેવી ઐતિહાસિક સંદર્ભવાળી નવલકથાઓ લખી ગુજરાતી સાહિત્યને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

નથી લાગતું કે ઈશુની કથા અને કૃષ્ણ કથામાં સરખાપણુ છે?????

     

કૃષ્ણને મારવા તત્પર મામો કંસ જ્યારે ઈસુને મારવા તત્પર રાજા હીરોડ. બંનેનો જન્મ રાતે. એકનો જન્મ જેલમાં અને બીજાનો ગમાણમાં.

કૃષ્ણ જન્મ વખતે બાળકીએ આગાહી કરી હતી કે કંસને મારનારો તો જન્મ લઈ ચૂક્યો છે. જ્યારે યુસુફ અને મેરીના આ બાળક ઈસુનો જન્મ થયો ત્યારે પૂર્વ એક ઝળહળતો તારો ઊગી નીકળ્યો અને તારાનાં અભ્યાસીઓએ જણાવ્યું કે રાજાઓનાં રાજાઓનો જન્મ થયો છે જે દુઃખીના દુઃખ દૂર કરશે.

રાજા કંસ અને રાજા હીરોડ બંને સ્વાર્થી અને ઘાતકી. કંસે બાળકોનો સંહાર કરવામાં પાછી પાની કરી ન હતી તેમજ રાજા હીરોડે ઈસુને હેરાન કરવાનાં કોઈપણ પેંતરા બાકી છોડ્યાં ન હતાં.
ઈસુ , યુસુફ અને મેરીને લઈને ભોળું ગધેડું દૂર દૂર મિસરની સુરક્ષિત જગ્યાએ લઈ ગયું જ્યારે કૃષ્ણને વાસુદેવ છાબડીમાં મૂકી યમુના પાર કરાવી ગોકુળ લઈ ગયાં.

આગળની વાતો બંનેની અલગ છે જોકે એકનું મોત ખીલા ઠોકીને થયુ જ્યારે બીજાનું પારધીનાં બાણથી. વાતો તો થઈ પૂર્વ અને પશ્ચિમની. અનુયાયી તો બંનેના એટલા જ છે.

                      ૐ નમઃ શિવાય


1 comment December 30, 2006

શ્રીજીબાવા દરશન દેજો

              આજે પોષ સુદ બીજ

આજનો સુવિચાર:- પ્રસાદ એટલે શું ?
                                  પ્ર એટલે પ્રભુ
                                  સા એટલે સાક્ષાત
                                  દ એટલે દર્શન

    માટે જે આરોગવાથી પ્રભુના સાક્ષાત દર્શન થાય તે સાચો પ્રસાદ અને પ્રસાદ આરોગતી વેળાએ હૃદયમાં પ્રભુના મુખારવિંદની ઝાંખી થાય તે મહાપ્રસાદ

હેલ્થ ટીપ્સ:- ઘઉંના જ્વારાનો રસ નિયમીત પીવાથી ડાયાબિટીસ પર રાહત રહે છે.

 

શ્રાવણી ઉર્ફે ઈંદિરાબેટીજી જેઓ પ્રખ્યાત પુષ્ટિમાર્ગીય પ્રવચનકર્તા છે. તેઓ શ્રીનાથજી સુદર ભજનો પણ રચે છે.

શ્રીજીબાવા દરશન દેજો,
નયના અમારા શીતલ કરજો
નયન ગોખમાં કાજળ થઈને
અંધારૂ યુગ યુગનું હરજો

ઝાપટીયાની ઝાપટ વચ્ચે
અમને તાણી શરણે લેજો
વાંકી આંખે અમને ભાળી
એક નજર કરુણાની કરજો

કુલ્હે પીળી પીળા વાઘા
કમલપત્ર બે ગાલે કરજો
કમળછડી વેણુ લઈ કરમાં
અમને મારગ વચ્ચે મળજો

મોરપંખ શિર ઉપર ધારી
હાંસડી નીચે હેમલ ધરજો
ધવલ, લાલ, લીલી પે’રી
દર્પણમા પ્રતિબિંબ નીરખજો

કહે શ્રાવણી શામળિયાજી
આંખોની ઝાંખી રૂપથી ભરજો
રાધાજીનાં રસિક શામળા
નિજ જન માટે સંચરજો

                        જય શ્રી કૃષ્ણ


5 comments December 22, 2006

પ્રેરક પ્રસંગો

            આજે માગશર વદ ચૌદસ

આજનો સુવિચાર:- સંઘર્ષ કરતા શીખો…. સંઘર્ષ જ વ્યક્તિના વ્યક્તિત્વને ચમકાવે છે….

હેલ્થ ટીપ્સ:- અનાનસ અથવા સંતરા ખાવાથી કરમ મટે છે.

     મહાભારતનું યુદ્ધ ચરમસીમા ઉપર ખેલાઈ રહ્યું હતું. દ્રોણાચાર્ય પાંડવસેનાનો સંહાર કરી રહ્યા હતા. તેમની સામે લડવાનું મુશ્કેલ જણાતું હતું. આથી ભીમસેને એક ઉપાય વિચાર્યો. ભીમે દ્રોણાચાર્યના પુત્ર અશ્વસ્થામાના રથની નીચે પેસી જઈને ગદા વડે આખો રથ ઉપાડી યુદ્ધભૂમિથી દૂર ફેંકી દીધો અને યુદ્ધમાં લડતા એક અશ્વત્થામા નામના હાથીને પણ મારી નાખ્યો. અને બૂમ પાડી કે અશ્વત્થામા મરાયો અને દ્રોણાચાર્યની સામે જઈને બૂમ પાડવા લાગ્યો કે અશ્વસ્થામા મરાયો.

   દ્રોણાચાર્યને ભીમ ઉપર વિશ્વાસ નહોતો, આથી સાચી વાત જાણવા યુધિષ્ઠિર ને પૂછવા તેની નજીક ગયા એટલે કૃષ્ણે તેમને સમજાવ્યું કે, દ્રોણાચાર્ય પૂછે તો માત્ર એટલું જ કહેવું અશ્વસ્થામા મરાયો છે.

        આથી તેમણે તે પ્રમાણે જવાબ આપ્યા પછી મનમાં બોલ્યાં કે, મનુષ્ય કે હાથી તેની મને ખબર નથી. ધર્મનિષ્ઠાને કારણે યુધિષ્ઠિરનો રથ ચાર આંગળ ઊંચો રહેતો હતો તે જમીન પર આવી ગયો.

      અર્ધસત્ય પણ જૂઠ સમાન ગણાય તેથી તેમનો રથ જમીન ઉપર આવી ગયો.

બીજો પ્રેરક પ્રસંગ

    ભીમસેનને પોતાના પરાક્રમ અને શક્તિનો ભારે ગર્વ હતો. એકવાર દ્રોપદીના કહેવાથી સહસ્રસદલ કમળ લેવા ભીમસેન ગંધમાદન પર્વત પર ગયા. આ વનમાં હનુમાનજી બિરાજમાન હતાં. તેમણે જોયું કે આગળનો માર્ગ ભીમસેન માટે જોખમકાર્ય છે આથી તેમણે એક બીમાર વ્યક્તિનું લીધું અને રસ્તાની વચ્ચે બેસી ગયાં.

      ભીમસેન કહ્યું મારા માર્ગમાંથી દૂર ખસી જા. આથી હનુમાને કહ્યું ભાઈ અહીંથી આગળ જવાનું મનુષ્યો માટે જોખમકારક છે આગળ જવા જેવું નથી. આથી ભીમસેન ગુસ્સો આવ્યો એટલે હનુમાનજીએ કહ્યું ભલે મારું પૂછડું પકડીને મને રસ્તા પરથી બાજુમાં ખસેડી તમે જઈ શકો છે.

    ભીમસેને એક હાથેથી પૂછડું ખેંચ્યું પરંતુ તેની કોઈ અસર થઈ નહિ. બંને હાથ વડે બળપૂર્વક પ્રયાસ કરવા છતાં પૂંછડું સહેજ પણ હલ્યું નહિ. ભીમસેનની તમામ તાકાત પણ કામ લાગી નહિ ત્યારે ખ્યાલ આવ્યો કે આ વાનર કોઈ સામાન્ય વાનર નથી આથી તેમને નસ્કાર કર્યાં. હનુમાનજીએ પોતાનો પરિચય આપી ભીમને માર્ગદર્શન આપ્યું અને વચન આપ્યું કે મહાભારતનાં યુદ્ધ સમયે અર્જુનના રથની ધ્વજા ઉપર બેસીને હું તમારું રક્ષણ કરીશ.

                             ૐ નમઃ શિવાય


8 comments December 19, 2006

અવનવું પ્રાણીજગત

           આજે માગશર વદ બારસ

આજનો સુવિચાર:- પ્રણામનું પરિણામ આશીર્વાદ જ હોય છે.

હેલ્થ ટીપ્સ:- એક ચમચી તુલસીના રસમાં અડધી ચમચી મધ ભેગુ કરી પીવાથી હેડકી બંધ થાય છે.

• ઊંટ પોતાના શરીરને ઠંડુ રાખવા એકબીજા સાથે અડીને બેસે છે કારણ એમનાં શરીર પર ઓછામાં ઓછા સૂર્યકિરણ પડે છે.

• જંગલી કૂકડો શરમાળ, ચકોર હોય છે.

• જંગલી ભેંસને અરણી, ઢીંગી પણ કહે છે.

• જંગલી કૂતરાઓ હંમેશા ટોળામાં રહે છે.

• દરિયાઈ ઘોડાને જ્યારે ગુસ્સો આવે ત્યારે એનાં શરીરમાંથી લાલ પરસેવો નીકળે છે.

• ઘોડાની 60 જાતો છે. અરબી ઘોડો શ્રેષ્ઠ માનવામાં આવે છે.

• રાતો બગલો દિવસે આરામ કરી રાતે શિકાર કરે છે.

• જળો નામના જંતુથી અનેક રોગ મટે છે. જળો તેના શરીર કરતાં અનેક ગણું વધારે લોહી ચૂસવાની ક્ષમતા ધરાવે છે.

• મગરનાં આગળનાં પગમાં પાંચ આંગળીઓ, જ્યારે પાછલા પગમાં ચાર આંગળીઓ હોય છે.

• ઘેંટીનું દૂધ ખૂબ જાડું હોય છે. તેમાંથી ચીઝ બનાવવામાં આવે છે.

• ‘મોઝામ્બિક સ્પિટિંગ કોબ્રા’ નામનો કાળોતરો નાગ શિકારની આંખમાં ઝેરની પિચકારી મારે છે.

• ઘોડા અને હાથી ઊભા ઊભા ઊંઘે છે.

• વીંછી નવ મહિના સુધી ખાધા વિના ચલાવી શકે છે.

• ડાયનાસોર્સ અનેક પ્રકારનાં હતાં તેમાં મેગાલોસોર્સ જાતનાં ડાયનાસોર્સ સૌથી મોટા માનવામાં આવતા.

• કાળિયારને કાકડી, દૂધી, સક્કરટેટી અને તરબૂચ ખૂબ ભાવે છે.

• ઊંટ એક દિવસમાં સો કિલોમીટર અંતર કાપી શકે છે.

• હાથીની શક્તિ એક બુલડોઝર જેટલી હોય છે.

• પેંગ્વીન પક્ષીને જીભ પર કાંટા હોય છે.

                              

                                ૐ નમઃ શિવાય


Add comment December 17, 2006

બોલકા કાચબાભાઈ

            આજે માગશર વદ સફલા એકાદશી

આજનો સુવિચાર:- ભક્તિ તો અમૃતના જેવી અમર અને મધુર છે.

હેલ્થ ટીપ્સ:- નાના બાળકોને છશ પીવડાવવાથી દાંત નીકળવામાં તકલીફ થતી નથી.

• એક સુંદર તળાવ હતું. પાણીથી ભરેલું. ચારેકોર ઘટાદાર વૃક્ષો.

• તેમાં એક બોલકો કાચબો રહેતો. એક મિનિટ ચૂપ ન રહી શકતો.

• એક મોટામસ વૃક્ષની મોટી ડાળી તળાવ ઉપર પથરાયેલી હતી.

• તેની ઉપર બે હંસો રહેતા. દિવસભર ચારો ચણે અને સાંજ પડે જલ્દી પાછા વળે.

• બોલકા કાચબાભાઈએ આ હંસ સાથે દોસ્તી વધારી અને ભાતભાતની વાર્તાલાપ થતો.

• એક વખત એવો આવ્યો કે તે જગ્યાએ દુકાળ પડ્યો.

• પાણી સુકાવા લાગ્યું, ઝાડપાન સુકાવા લાગ્યાં.

• બધાં પશુપંખીઓ જ્યાં પાણી હતું ત્યાં જવા લાગ્યાં.

• આ બે હંસે પણ તળાવ છોડવાનો નિર્ણય લીધો.

• કાચબાભાઈની આંસુભરી આજીજી આગળ આ હંસલાના જોડાએ કાચબાને સાથે લઈ જવા વિચારવા લાગ્યા.

• હંસે કહ્યું ‘કાચબાભાઈ તમને તો પાંખો નથી તો કેમ કરી તમે અમારી સાથે આવશો?

• કાચબાભાઈએ તેનો પણ તોડ કાઢ્યો અને એક લાકડી મંગાવી. અને હંસને કહ્યું તમે આ લાકડી ચાંચમાં પકડજો અને હું તેને મારા જડબાથી વચમાંથી પકડીશ.
 અને હું તમારી સાથે આકાશની સફર કરીશ. અને નિર્ધારીત સ્થળે પહોંચીશું.

• હંસને ગમી ગયો આ વિચાર અને કાચબાભાઈને કહ્યું ‘જો તમે બોલવાનો પ્રય્ત્ન કર્યો તો આ લાકડી છૂટી પડશે અને તમે જમીન પર જશો પટકાઈ.

• એટલે તમારું ચૂપ રહેવું બહેતર રહેશે.

• આપ્યુ વચન અને ચાલુ થઈ મુસાફરી. આવ્યા ગામની વચ્ચે.

• અજુગતું દૃશ્ય જોઈ ગામવાસીઓએ કરી બૂમાબૂમ.

• ‘અરે ઓ બુદ્ધુ ગામવાસીઓ’ બોલવા ગયાં કાચબાભાઈ અને છૂટી પડી લાકડી મોંઢામાંથી.

• અને ધડ દઈને પડ્યા કાચબાભાઈ નીચે. અને બોલાઈ ગયા રામ કાચબાભાઈનાં

• વધુ પડતું બોલવાની આદતે લીધા કાચબાભાઈના પ્રાણ.

                             ૐ નમઃ શિવાય


2 comments December 16, 2006

ત્રિકાળ સંધ્યા

                        આજે માગશર વદ દસમ

આજનો સુવિચાર:- જે વસ્તુમાં સચ્ચાઈ નથી તે વસ્તુ ક્યારે મહાન નથી બની શકતી.

હેલ્થ ટીપ્સ:- અજમાને શેકીને અને વાટીને તેની પોટલી બનાવીને સૂંઘવાથી શરદી મટે છે.

    માનસના જીવનમાં ત્રણ મોટી વાત છે. સ્મૃતિ, શક્તિ અને શાંતિ. આ ત્રણ વગર માનવજીવન શક્ય નથી.
      સવારે મને પ્રેમથી મને ઉઠાડી સ્મૃતિદાન આપે છે. બપોરે જમતી વખતે શક્તિદાન આપે છે અને રાત્રે સૂતી વખતે શાંતિદાન આપે છે એવા પરમેશ્વરને જો હું ભૂલી જાઉં તો મારા અને પશુમાં શો તફાવત? આમ સવારે ઉઠી, બપોરે જમી અને રાતે સૂતી વખતે ભગવાનનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરવું જોઈએ. બીજા શબ્દોમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય કહી શકાય.
        શરીરમાં પહેલાં વિચાર આવે અને કૃતિ થાય પણ રોજ સવારે ઉઠતાં આંખ ખોલીએ એટલે પહેલાં કૃતિ થાય અને પછી વિચાર આવે. ઉઠીયે ત્યારે કૃતિ, જમીયે ત્યારે સ્થિતિ અને સૂઈયે ત્યારે લય.

      ત્રિકાળસંધ્યા નામ સાંભળતાં સામાન્ય માણસને લાગે છે કે આ કાર્ય બ્રાહ્મણોએ કરવાનું કાર્ય હશે પરંતુ વાસ્તવમાં એમ નથી. આપણું જીવન ચલાવનાર પ્રભુને દિવસના ત્રણ વખત મહત્વનાં સમયે યાદ કરાય તે ત્રિકાળ સંધ્યા. આ ત્રણ સમય એટલે ઉઠવાનો, જમવાનો અને રાતે સૂવાનો.. પ્રભુ ચોવીસ કલાક મારી સાથે છે તેનું સતત ભાન રહે તે માટે ત્રિકાળ સંધ્યા કરવી જોઈયે.

    ઈશ્વર મારી સાથે છે, મારી કાળજી રાખશે, હું કરુણામય ભગવાનનો કૃતજ્ઞ છું આ ભાવથી માણસ પોતાની વિકાસ પગથી પર ધીમે ધીમે આગળ વધશે એમાં સંશય નથી.

                                                    પૂ. પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી [દાદા]ના પ્રવચનોના આધારે

                                 

                                   ૐ નમઃ શિવાય


2 comments December 15, 2006

પહેલું સુખ તે જાતે નર્યા [ભાગ 1]

                            આજે માગશર વદ નોમ

આજનો સુવિચાર:- કલિયુગ એટલે સંઘશક્તિનો યુગ.

હેલ્થ ટીપ્સ:- લીંબુનો રસ ઠંડા કે ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજીયાત મટે છે.

આજ સુધીની મુકાયેલી હેલ્થ ટીપ્સને એક અલગથી નવા વિભાગમાં મૂકી છે.

હેલ્થ ટીપ્સ:-એક ભાગ જાયફળને ચાર ભાગ પાણી સાથે લેવાથી ઉંઘ સારી આવે છે.

હેલ્થ ટીપ્સ:- તુલસીનાં પાન વાટીને સોજા ઉપર લગાડવાથી સોજો ઉતરી જાય છે.

હેલ્થ ટીપ્સ:- લીમડાનાં પાનને પાણીમાં વાટીને, તે પાણીથી માથું ધોવાથી માથાનો ખોડો મટે છે.

હેલ્થ ટીપ્સ:- મરીનું ચૂર્ણ ઘી અને સાકરમાં લેવાથી ચક્કર આવતાં બંધ થાય છે.

હેલ્થ ટીપ્સ:- તુલસીનાં પાનને દહીં કે છશ સાથે લેવાથી એસિડિ મટે છે.

હેલ્થ ટીપ્સ:- ગરમ પાણીમાં હળદર,મીઠું અને ઘી મેળવી પીવાથી ઉધરસ અને કફ મટે છે.

હેલ્થ ટીપ્સ:- જીરાને શેકીને ખાવાથી પાયોરીયાની દુર્ગંધ દૂર થશે.

હેલ્થ ટીપ્સ:- લવિંગનું તેલ ઘસવાથી માથાનો દુઃખાવો મટે છે.

હેલ્થ ટીપ્સ:- ફુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી ઝીણો તાવ મટે છે.

હેલ્થ ટીપ્સ:- તાજી મોળી છાશ પીવાથી મોંના ચાંદા મટે છે.

હેલ્થ ટીપ્સ:- કેળાં વધારે ખવાઈ ગયા તો ઈલાયેચી ખાઈ લો તો કેળાં હજમ થઈ જશે.

હેલ્થ ટીપ્સ:- સૂંઠ નાખી ઉકાળેલા પાણીને પીવાથી શરદીમાં ઘણી રાહત રહે છે.

હેલ્થ ટીપ્સ:- અરડૂસીનાં પાનના રસ સાથે મધ લેવાથી ઉધરસ મટે છે.

હેલ્થ ટીપ્સ:- મરીનાં બે ત્રણ દાણા રોજ ખાવાથી કોઈ પણ રોગ થતો નથી.

હેલ્થ ટીપ્સ:- જીરાનું ચૂર્ણ રોજ ફાકવાથી આંખોની ગરમી ઓછી થાય છે

                                      

                                              ૐ નમઃ શિવાય


4 comments December 14, 2006

મેઘધનુષનાં સપ્તરંગ

આજે માગશર વદ આઠમ

આજનો સુવિચાર:- નિર્ણય લેવા સ્વયં પર વિજય મેળવવો જરૂરી છે.

હેલ્થ ટીપ્સ:- જીરાનું ચૂર્ણ રોજ ફાકવાથી આંખોની ગરમી ઓછી થાય છે.

મેઘધનુષ
નો સપ્તરંગ
ઓગળે ભક્તિમહીં
ન વિસરાય
દે એવો સંગ

ન રહે રંજ
દુનિયા કેરો
રહું મગ્ન ભક્તિમાં
બસ રહે એ
યાદ હંમેશ

રાહ જોઈ મેં
મીંટ મંડાઈ
ક્યાં વહી ગઈ વર્ષા
આંખો મિચાઈ
રહ્યું એ સ્વપ્ન

કૃપાનિધાન
તેં વરસાવી
મૃગજળ સમ આ
દોટ મહીં મેં
છોડ્યું એ બિંદુ

                                          ૐ નમઃ શિવાય


1 comment December 13, 2006

ગુરુના ગુરુને શ્રદ્ધાંજલિ

                      આજે માગશર વદ સાતમ

આજનો સુવિચાર:- કોઈની તરફ એક આંગળી ચીંધવાથી બાકીની ત્રણ આંગળીઓ પોતાની તરફ ચીંધાતી હોય છે.

હેલ્થ ટીપ્સ:- મરીનાં બે ત્રણ દાણા રોજ ખાવાથી કોઈ પણ રોગ થતો નથી.

 

[મુંબઈ સ્થિત પ્રો. રમેશભાઈ ભોજકે, જે તબલા વિશારદ છે, લખીને આપવા બદલ મેઘધનુષ તરફથી ખૂબ ખૂબ આભારી છું.]

    મને જ્યારે જ્યારે સરળતા, હસમુખાપણું, ઉત્સુકતા અને ઊર્મિની સચ્ચાઈનો વિચાર આવે છે ત્યારે મારા ગુરુદેવ ડૉ. રમણભાઈ શાહનું સ્મરણ થઈ આવે છે.

     પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન પૂર્વે ભક્તિ સંગીતનાં કાર્યક્રમ દરમિયાન જ્યારે પણ હું તબલા વાદન કરતો હોઉ ત્યારે તેમના ચહેરા પર પ્રસન્નતાના તરંગો ઉછળતા જોયા છે.

    સંગીતને આટલી તરસ સાથે ગટગટાવનાર બહું ઓછા હોય છે. અભિનંદન આપતો એમનો હુંફાળો હાથ આજેય મારી પીઠ પર ફરતો અનુભવું છું.

    મારા શિક્ષણની ગાડી અનેક સ્ટેશને અટકીને આગળ ચાલી છે. બી.એ. થયા બાદ ગુજરાતી સાથે એમ.એ. કરવા મુંબઈ યુનિવર્સિટીના અનુસ્નાતક શિક્ષણ વિભાગમાં જોડાયો ત્યારે ડૉ. રમણભાઈ શાહ ગુજરાતીના હેડ ઑફ ડિપાર્ટમેંટ. હેમચંદ્રાચાર્યના દુહા રસથી ભણાવે એટલું જ નહિ વિદ્યાર્થીઓ પણ રસથી ભણાવે એટલું જ નહી વિદ્યાર્થીઓ પણ રસ્થી ભણે એવું એમનું આધ્યાત્મનું કૌશલ્ય. દુહા અને વ્યાકરણનાં સૂત્રોના અભ્યાસથી જૂની ગુજરાતીભાષાને ખોળે રમવાનો લ્હાવો મળ્યો. ‘સર’ ભણાવતા હોય ત્યારે એકસાથે બે પીરિયેડ ક્યાં પૂરા થઈ જાય તેનો કોઈ અણસાર પણ ન આવે. લેક્ચર્સ પૂરા થાય ત્યારે એ કહે ‘હું એકલો જ છું ચાલો મારી સાથે ગાડીમાં બેસી જાઓ.’. ગુરુ ભાવનાને સહર્ષ હૃદયે ચઢાવી હું અનેકવાર એમની ગાડીમાં બેઠો છું. ચર્ચગેટથી ચોપાટી સુધીની ગુરુ સાથેની એ માત્ર જ્ઞાનયાત્રા બની ગઈ છે. સહજ વાતમાંયે એમની વિદ્વવત્તાના ચમકારા અનુભવ્યા છે.

      ઘણીવાર મફતલાલ બાથના સ્ફટિક જેવા નિર્મળ જળમાં હળવે હળવે તરતાં જીવનની સુંદરતા વિષે અમારી બંને વચ્ચે વાતો ચાલતી તે વાતો મારા માટે ભવસાગર તરતા મહત્વની બની રહી.

       અનેક પ્રવૃતિઓ સાથે સંકળયેલા હોવા છતાંય રમણભાઈસર નિયમિત રીતે લખતા, મને પણ વારંવાર કહેતા, ‘રમેશભાઈ, લખવાની ટેવ પાડો’ ! આજે હું જે કાંઈ લખી રહ્યો છું એની પાછળ મારા ગુરુની પ્રેરણા કામ કરી ગઈ.

      હાયર સેકંડક્લાસ સાથે એમ.એ. પાસ થયા બાદ ‘વિલ્સન કૉલેજ’માં વ્યાખ્યાતા તરીકે જોડાયો. ત્યારથી આજ સુધી એમને અનુસરું છું.

          શાહ સાહેબને જ્ઞાન સાથે અતૂટ સંબંધ, જ્ઞાન પ્રાપ્તિની અને નવું શીખવાની એમની અદમ્ય ધગશની આડે કશુંએ ન આવી શક્યું. એમની 70 વર્ષની ઊંમરે એમણે એકવાર કહ્યું,’ રમેશભાઈ મને તબલા શીખવાદશો?’ હું મારા કાન પર વિશ્વાસ ન કરી શક્યો.. ત્યાં જ એમણે ફરી પ્રશ્ન કર્યો . મેં સંકોચ અને વિનમ્રતા સાથે હા પાડી. તબલા અભ્યાસ શરૂ થયો. મને તકલીફ ન પડે તે માટે તેઓશ્રી વાલકેશ્વરથી ડ્રાઈવ કરી કૉંગ્રેસ હાઉસ મારા ઘરે શીખવા આવે. ગમ્મત કરતા કહે,’ હવે તમે મારા ગુરુ ઊંચા આસને બેસો.’. હું કહેતો ‘પહેલા તમે મારા ગુરુ છો! મારે તો ખાડો ખોદીને પણ તમારાથી નીચા આસને બેસવું જોઈયે !’ આમ અમારી જ્ઞાન યાત્રાથી રમણભાઈ તબલા વગાડતાં શીખ્યા.

     જ્યારે જ્યારે તેઓ વ્યાખ્યાન માળામાં તેઓ તબલા વગાડતા ત્યારે શ્રોતાઓ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લેતાં. ડૉ. રમણભાઈ અને પ્રા. પૂ. તારાબેનની જોડીએ અનેકને જ્ઞાન અને સ્નેહ પીરસ્યા છે. સરસ્વતીના આરાધક અને માનવતાની મૂર્તિ એવા ગુરુઓના ગુરુને ભાવભરી શ્રદ્ધાંજલિ.

                                    ૐ નમઃ શિવાય


1 comment December 11, 2006

Previous Posts


વિભાગો

Recent Comments

himalek32 on થોડું શોધવ…
Kartik Mistry on થોડું શોધવ…
Kartik Mistry on થોડું મગજ ક…
Harsukh Thanki on ઈલકાબો વિષ…
અનિમેષ … on થોડું મગજ ક…

Recent Posts

Archives

Calendar

December 2006
M T W T F S S
« Nov   Jan »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links