Archive for January, 2007

સંત દર્શન

આજે મહા સુદ એકાદશી

આજનો સુવિચાર :- હૃદય પાસે એવા કારણો હોય છે કે જે બુદ્ધિ સમજતી નથી. –બેસંટ

હેલ્થ ટીપ્સ:- બે ટી બેગ્સને પલાડી પંદર મિનિટ સુધી આંખો પર મૂકી રાખવાથી આંખો નીચેની ફૂલેલી ત્વચા માટે રાહતનું કાર્ય કરે છે.

                                 સ્વામી શ્રી પ્રણવાનંદજી

     ભારત સેવાશ્રમ સંઘના સ્થાપક યુગાચાર્ય સ્વામી શ્રી પ્રણવાનંદજીનો જન્મ 29મી જાન્યુઆરી 1896 મહા સુદ પૂનમ બુધવાર રોજ પૂર્વ બંગાળના બાજિતપૂરમાં થયો હતો. શાળા જવાની ઊંમરે બુધ જયનાથ સ્મશાને જઈ યોગસાધના કરતા જેઓ પાછળથી વિનોદ તરીકે ઓળખાયા. એક વખત તો એક બંધ ઓરડામાં એકવીસ દિવસ સુધી ધ્યાન કર્યું. રોજ ત્રણ હજાર મગદળ ફેરવા છતાં પણ આજીવન થોડાક ભાત અને બાફેલા બટાટા ઉપર જીવીત રહ્યા. પ્રબળ વૈરાગ્યે 1913માં તેમણે ગોરખપૂરની ગોરખપીઠના ગંભીરનાથ પાસે બ્રહ્મચર્યની દીક્ષા લીધી હતી. 1924માં કુંભમેળામાં સંન્યાસની દીક્ષા લીધી. એમને મન જનસેવા એ પ્રભુસેવા. તેમણે આશ્રમ નહી પરંતુ 1917માં ભારત સેવાશ્રમ સંઘની સ્થાપના કરી માનવતાની પ્રવૃત્તિઓ આદરી હતી.

• તાલિમબદ્ધ સંન્યાસીઓ તૈયાર કરી સમાજસેવામાં જોડવા.

• નૈતિકતા- આધ્યાત્મતાનો પ્રચાર પ્રસાર કરવો.

• નાતજાત, પ્રાંત સંપ્રદાયોના ભેદભાવ વિના માનવસેવા કરવી.

• આદિવાસી ક્ષેત્રોમાં, અંતરિયાળ ગામડાંઓમાં શિક્ષણ-આરોગ્યની સેવા.

• ધર્મતીર્થોની સુધારણા કરવી. પંડાઓના ત્રાસમાંથી યાત્રીઓને મુક્ત કરવા.

• વ્યાયામશાળાઓ સ્થાપવી.

• વિદેશોમાં પ્રચાર કરવો..

     સ્વામી શ્રી પ્રણવાનંદજી કૈલાસ માનસરોવરની યાત્રા કરીને તેમના અનુભવો તથા માર્ગદર્શન આપતું પુસ્તક પણ લખ્યું છે. ગુજરાતમાં છેલ્લા 75 વર્ષોથી 1927થી આ સંસ્થા દ્વાર સેવાવૃત્તિનું કાર્ય ચાલી રહ્યું છે.

       શ્રી પ્રણવાનંદજીના મતે ‘ભારત ફરીથી જાગશે અને ખોવાયેલું ગૌરવ પ્રાપ્ત કરશે. દુનિયામાં ભારત પોતાનું શ્રેષ્ઠ આસન મેળવશે.’ સંન્યાસી એટલે આશ્રમ નહીં પરંતુ સમાજસંગઠન અને માનવસેવાનો મહામંત્ર શ્રી પ્રણવાનંદજીએ આપ્યો. 8 જાન્યુઆરી, 1940માં 44 વર્ષની ઉંમરે તેમણે દેહત્યાગ કર્યો..

                                       ૐ નમઃ શિવાય


3 comments January 30, 2007

અમે ઈચ્છ્યું એવું…..

                  આજે મહા સુદ દસમ

આજનો સુવિચાર:- એક સપનું પડી ભાંગે અને હજારો ટૂકડામાં વેરાઈ જાય તો એ ટૂકડાઓને વીણી ફરીથી પ્રારંભ કરવાનો ડર કદી રાખો નહીં., —- રૂલેવી આબીડન

હેલ્થ ટીપ્સ:- એક ચમચી પપૈયાના ગરમાં થોડીક હળદર અને બે ચમચીમુલતાની માટી મિક્સ કરી ચહેરા પર લગાડવાથી કાળા ધબ્બા ઓછા થશે.

     ‘પંજાબ કેસરી’ લાલા લજપતરાયનો જન્મ 28મી જાન્યુ.ના દિવસે હાલ પંજાબના ફિરોઝપુર જિલ્લામાં આવેલ ઘુડીકે ગામમાં 1865માં થયો હતો.. માત ગુલાબદેવી અને પિતા મુંશી રાધાકિશન. લાલ, બાલ અને પાલ તરીકે ઓળખાતી આ સ્વાતંત્ર્ય સંગ્રામની મહાન ત્રિપુટીના લાલ એટલે લાલા લજપતરાય. બ્રિટીશ રાજમાંથી મુક્તિ મેળવવા ભારતમાં ચાલેલી લડતમાં આ ત્રણે મહાનુભવો મોખરે રહ્યાં હતાં. 1905માં બંગાળના ભાગલાના પ્રસંગને તેમણે આઝાદીની લડતના મંડાણ તરીકે ફેરવી દીધો અને દેશ્ભરમાં જુવાળ ઊભો થયો. 1926માં તેઓ ભારતીય વેપાર ઉદ્યોગના પ્રતિનિધિ તરીકે આંતરરાષ્ટ્રીય મજદૂર પરિષદમાં ભાગ લેવા જીનીવા ગયા હતા. તેમણે સ્વરાજ્ય અને સામાજિક પરિવર્તન, ભારતમાં શિક્ષણના રાષ્ટ્રીય પ્રશ્નો જેવાં વિવિધ વિષયોનાં પુસ્તકો લખ્યાં હતાં.

અમે ઈચ્છ્યું એવું….

 

એક એવું ઘર મળે આ વિશ્વમાં
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું
એક એવું આંગણું કે જ્યાં મને
કોઈ પણ કારણ વગર શૈશવ મળે !

એક બસ એક જ મળે એવું નગર
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;
’કેમ છો?’ એવુંય ના કહેવું પડે
સાથ એવો પંથમાં ભવ ભવ મળે !

એક એવી હોય મહેફિલ જ્યાં મને
કોઈ બોલાવે નહિ ને જઈ શકું !
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે
પાનખરના આગમનને રવ મળે !

તોય તે ના રંજ કૈં મનમાં રહે-
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…..

——– માધવ રામાનુજ

                                      ૐ નમઃ શિવાય


3 comments January 28, 2007

પ્રજાસત્તાકદિન

                આજે મહા સુદ આઠમ

આજનો સુવિચાર:- તાપને તપમાં બદલી શકે તે જ્ઞાની. — ગાંધીજી

હેલ્થ ટીપ્સ:-ઓઈલી ત્વચા માટે ટી ફેસિયલ લાભદાયક છે.

આજે 26મી જાન્યુઆરી, આપણો પ્રજાસત્તાક દિન.

    દુનિયા સૌથી મોટી લોકશાહી ધરવતા ભારત દેશના પ્ર્જાસત્તાક દિનની આજે 58 મી વર્ષગાંઠ. 26-1-1949ના દિને ભારતની બંધારણ સભાએ નવા સ્વતંત્ર ભારત્નું બંધારણ પસાર કર્યું હતુ. ઐતિહાસિક ‘રાવી’ તટની સ્મૃતિમાં તા. 26-1-1950માં તેનો અમલ ઠરાવ્યો . લોહીનું એકપણ ટીપું રેડ્યા વિના કેવળ સવિનય કાનૂનનો ભંગ અને સત્યાગ્રહપૂર્ણ અસહકારના આંદોલથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ દેશની આઝાદી અપાવી. ભીમરાવ આંબેડકર અને કનૈયાલાલ મુનશી જેવા નિસ્પૃહી અને કુશળ ઘડવૈયાઓએ બંધારણ ઘડ્યું જેનો આજના દિવસથી અમલમાં મૂકાયો હતો.

આજે નર્મદા જયંતિ : નમામિ દેવી નર્મદે:

    હિમાલયમાંથી નીકળતી નદીઓ કરતાં પણ નર્મદા નદી પ્રાચીન નદી ગણાય છે. કહેવાય છે કે ગંગા સ્નાન યમુના પાન પણ નર્મદાનાં દર્શન માત્રથી પુણ્ય મળે છે. ‘રવ’ એટલે અવાજ, પહાડમાંથી ખળભળાટ કરી વહેતી આ નદી ‘રેવા’ તરીકે પ્રખ્યાત છે. ભગવાન રુદ્રનાં દેહમાંથી ઉદ્ભવેલી હોવાથી રુદ્રદેહા પણ કહેવાય છે. નર્મદાનાં બંને કિનારા પવિત્ર ગણાય છે અને તેના દરેક કંકર ‘શંકર’ ગણાય છે જે શિવલિંગ તરીકે પૂજાય છે.

શ્રી ઝવેરચંદ મેઘાણી શું કહે છે આપણી સ્વતંત્રતા વિષે.

દુનિયાનાં વીરોના લીલા બલિદાનોમાં ભભૂક્યો કસુંબીનો રંગ
સાગરની પારે સ્વાધિનતાની કબરોમાં મ્હેક્યો કસુંબીનો રંગ

પીડિતની આંસુડા ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ
શહીદોનાં ધગધગતા નિશ્વાસે નિશ્વાસે સળગ્યો કસુબીનો રંગ

હિંદીભાષી કવિ શ્રી પ્રદીપજી કહે છે

દેદી હમેં આઝાદી બીના ખડગ બીના ઢાલ
સાબરમતીકે સંત તુને કર દીયા કમાલ

આંધીમેં ભી જલતી રહી ગાંધી તેરી મશાલ
સાબરમતી કે સંત તુને કર દીયા કમાલ

આપ સૌને પ્રજાસત્તાકદિનની શુભેચ્છાઓ

                                          ૐ નમઃ શિવાય


1 comment January 26, 2007

બાળકો અને સંગીત

            આજે મહા સુદ છઠ્ઠ

આજનો સુવિચાર:- સમાજનો પાયો આધળી દોટ, કે આંધળા અનુકરણ પર નહિ પણ ઊંડી સમજ, ઉદાર વલણ અને અનોખા તપ અને ત્યાગ ભાવનાની ઉપર અવલંબે છે.

હેલ્થ ટીપ્સ:- તેલ માલિશથી મેદસ્વી વ્યક્તિનો મેદ ઘટે છે અને અતિ દુબળી વ્યક્તિનું શરીર પુષ્ટ બને છે.

   સંગીત તો આપણો વારસો છે. ક્ષણે ક્ષણે આપણે સંગીતનો અનુભવ કરતાં હોઈએ છીએ. કાવ્યમાં સંગીત, પવનના સૂસવાટામાં સંગીત, અશ્વની રવેલમાં સંગીત, સાગરની લહેરોમાં સંગીત, ગગનમાં ઘૂમતી વાદળીમાં સંગીત, વેણુનાં નાદમાં, નટરાજના ડમરુમાં સંગીત છે. અરે હું તો કહું છું કે આપણા શ્વાસોશ્વાસમાં સંગીત સમાયેલું છે. બાળકોને તેમની ઊગતી વયમાં જ જો સંગીત દ્વારા જો શિક્ષણ આપાય તો તેઓ જીંદગીભર ભૂલી નથી શકતાં. [સ્વ અનુભવ]

તાલ:- ત્રિતાલ         માત્રા:- 16

ધા ધીં ધીં ધા ! ધા ધીં ધીં ધા !
 +                       2

ધા તીં તીં તા ! તા ધીં ધીં ધા !
-                         4

આ ત્રિતાલ તાલને આધારે આ બાળગીત રચાયું છે.

મમ્મીને પપ્પા બે આવ્યાં
મારે માટે શું શું લાવ્યાં ?
હાથીને ઘોડા બે લાવ્યાં
ઢીંગલો ઢીંગલી લાવ્યાં

સા   રે   ગ મ ! પ    ધ ની   સાં   ! સાં ની ધ પ  ! મ ગ   રે   સા   !
મ મ્મી ને  પ ! પ્પા બે આ વ્યાં ! મા   રે  મા  ટે ! શું શું લા વ્યાં !
+                     2                           -                      4

સા  રે  ગ  મ ! પ  ધ ની   સાં   ! સાં ની ધ પ ! મ  ગ   રે    સા !
હા થી ને ઘો ! ડા બે લા વ્યાં ! ઢીં ગ લો ઢીં ! ગ લી લા વ્યાં !
+                     2                       -                     4

તાલ:- દાદરા             માત્રા:-6

તાલનાં બોલ આ પ્રમાણે છે.

ધા ધીં ધા ! ધા તીં તા !

આ બાળ ગીત દાદરા તાલને આધારે રચાયું છે.

બાગમાં ઝાડ ને
ફૂલની સંગમાં
રમવા ચાલોને
હસીને નાચીને
દોડીને કૂદીને
હળીને મળીને

સા રે ગ    ! રે   ગ  મ  !
બા ગ માં ! ઝા  ડ ને  !
+                0

ગ મ પ ! મ પ   ધ  !
ફૂ લ ની ! સં ગ માં !
+              0

પ ધ ની ! ધ ની સાં !
ર મ વા ! ચા લો ને !
+              0

સાં ની  ધ  ! ની  ધ  પ !
હ સી    ને  ! ના ચી ને !
+              0

ધ પ મ ! પ મ ગ !
દો ડી ને ! કૂ દી ને !
+              0

મ ગ   રે ! ગ રે સા !
હ ળી ને ! મ ળી ને !
+              0

                     

                         ૐ નમઃ શિવાય


2 comments January 24, 2007

આપણાં આભૂષણો અને વિજ્ઞાન

                 આજે પોષ વદ બારસ

આજનો સુવિચાર:- જેટલા દિવસ જીવો તેટલા દિવસ ફૂલ બની જીવો કાંટા બનીને નહી. —- મહાદેવી વર્મા

હેલ્થ ટીપ્સ:- લોખંડના વાસણમાં આમળાના ચૂર્ણને પાણીમાં પલાડી માથામાં લગાડવાથી અકાળે વાળ ધોળા થતાં અટકે છે અને વાળ મજબૂત થાય છે.

          આપણાં પૂર્વજોએ આપણાં અલંકારોને વૈજ્ઞાનિક દૃષ્ટિથી બનાવ્યા હતાં. આપણું એક એક ઘરેણું શરીરનાં દરેક અંગ માટે ઉપયોગી છે. પગથી શીશ સુધી ઘરેણું સોહામણું રૂપ તો આપે છે પરંતુ સ્વાસ્થય પણ અર્પે છે.

પગનાં આંગળામાં પહેરાતી વીંટી, કડાં અને માછલી:- સ્નાયુઓની પીડા રોકે છે, રાત્રીનાં બિહામણા સ્વપના રોકે છે. જ્યારે માછલી પહેરવાથી સાઇટિકાના દર્દમાં રાહત આપે છે.

ઝાંઝર, કડા અને પાયલ:- પગની એડી અને પીઠનાં દર્દમાં રાહત આપે છે.માસિક ધર્મ નિયમિત બનાવે છે. પગને શ્રમ ઓછો પડે છે.

કમર પટ્ટો કે કંદોરો:- કમરનાં દર્દો દૂર કરે છે. માસિક અને પાચનશક્તિની ફરિયાદ દૂર કરે છે.એપેંનડિક્સ, પેટના દર્દો તેમજ હરણિયાની તકલિફને દૂર કરે છે.

અંગુઠી કે વીંટી:- હાથની ધ્રુજારી, દમ, કફ વગેરેમાં રાહત રહે છે.વીંટી ગભરાટ અને માનસિક આઘાતમાં રાહત આપે છે.

હાથની બંગડીઓ અને કડા:- બંગડીઓ તો બધી શારિરીક વ્યાધિમાં લાભદાયક છે. તોતોડાપણું દૂરકરવામાં મદદરૂપ થાય છે.હૃદયરોગ તેમજ લોહીના દબાણ પર રાહત રહે છે.

બાજુબંધ પોંચી:- કોણી અને ખભાની વચ્ચે પહેરાતા આ આભૂષણથી હૃદયશક્યિ પ્રાપ્ત થાય છે.

હાંસડી, હાંસલી, ચેન કે મંગળસૂત્ર:- આંખની જ્યોતિ વધારે છે. કંઠમાળનો રોગ નથી થતો. અવાજ સૂરીલો બને છે. માથાના દુખાવો, હિસ્ટેરીયા ને ગર્દન પરના દરેક રોગો પર રાહતનું કામ કરે છે.

કાનની કડી-બુટ્ટી કે કાનની વાળી:- કાનની બુટમાં છેદ પાડી પહેરાતા અલંકારોથી ગળું, આંખ અને જીભથી થતાં રોગો અટકે છે. કાનના ઉપરનાં ભાગમાં વાળી પહેરવાથી હાસ્ય વખતે 17 સ્નાયુ અને ગુસ્સામા 43 સ્નાયુ પ્રક્રિયામાં વ્યસ્ત થઈ જાય છે.

નાકની નથણી, ચૂંક કે સળી:- કફ અને નાકનાં રોગો પર રાહત આપે છે. મનની વિચાર શક્તિ સાથે નથણીનો સંબંધ છે.

માથાનો ટીકો:-આ આભૂષણ મસ્તકને શાંતિ બક્ષે છે.

અલંકારોમાં મુખ્યત્વે સોના,ચાંદી, હીરા, મોતી છે. સોનાની પ્રકૃતિ ગરમ છે, ચાંદી શીતળ છે. મોતીનો સ્પર્શ શીતળતા અર્પે છે. આમ માનવ સંસ્કૃતિના ઈતિહાસમાં આભૂષણ શોભા સાથે શારિરીક સ્વસ્થતા આપે છે.

                                ૐ નમઃ શિવાય


2 comments January 16, 2007

સુખનો ભરોસો શું?

આજે પોષ વદ  એકાદશી

આજનો સુવિચાર:- ઓ ઈશ્વર ! મને હાજરજવાબી જીભ આપવાને બદલે મને હાજરજવાબી હાથ આપો.


હેલ્થ ટીપ્સ:-શિયાળામાં બદામના તેલની માલિશ ઉત્તમ છે.

સુખનો ભરોસો શું? દુઃખનો ભરોસો શું?
ક્યારે આવે ને ક્યારે જાય !

જીવનને એક લ્હાવો જાણો
પળ પળને જીવ મ્હાણો

રણમાં રેતીનાં જો વૃક્ષો તડકે છાયા જાણો
બે આસુંએ વહેતી નદીઓ તરતા અમૃત જાણો
નૂરનો ભરોસો શું? પૂરનો ભરોસો શું
ક્યારે આવે ને ક્યારે જાય !

અંધાધૂંધી એ જ સંબંધો કુદરત ધરતી વિધ વિધ રંગો
મનની માયા પણ બહુરંગી સાચા જૂઠા લાગે સંબંધો
માયાનો ભરોસો શું? છાયાનો ભરોસો શું?
ક્યારે આવે ને ક્યારે જાય !

કવિ:- કનુ રાવલ        સંગીત:- નવિન શાહ                     


  નમઃ  શિવાય


6 comments January 15, 2007

મકર સંક્રાંતિ

   આજે પોષ વદ દસમ,  મકર સંક્રાંતિ

આજનો સુવિચાર:- આપણે જુદા જુદા લોકોને મળી તેમનો અભ્યાસ કરીએ તે એક પ્રકારનું શિક્ષણ છે જેને કારણે આપણી નિરીક્ષણ શક્તિ વધે છે અને સમજણશક્તિ સુધારી શકીએ છીએ. —- સ્વામી સચ્ચિદાનંદ

હેલ્થ ટીપ્સ:- આંખની નીચેનાં કાળા કુંડાળા દૂર કરવા ખમણેલા બટાટાની છીણ કે ઠંડી કાકડીનું પાતળું પતીકું રોજ દસ મિનિટ બંધ આંખો ઉપર મૂકી રાખો.

વ્યોમ સરોવરમાં ભમે, દિવ્ય મકરનાં વૃંદ
મલય ત્યજી લાવે રવિ, શીતળતાનો અંત
અરુણે વાળ્યાં અશ્વને, અલકાપુરીને પંથ
દક્ષિણથી ઉત્તર ફર્યાં ભાનુદેવ ભગવંત

નીનુ મઝુમદાર

આપણી પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા પોતાની ધરી ઉપર કરે છે. સૂર્યની પ્રદક્ષિણા કરવાથી ઋતુઓ બદલાય છે. મકરસંક્રાંતિના દિવસથી પૃથ્વી ઉત્તર તરફ ગતિ કરે છે આથી તેને ઉત્તરાયણ કહે છે. આજ દિવસથી અશૂભ સમય પૂર્ણ થાય છે. તેનાં પ્રાયશ્ચિત રૂપે તીર્થ સ્નાન, જપ, તપ, દાનનો મહિમા છે. આજના દિવસે ગંગા-સાગરના સ્નાનનું ખૂબ મહત્વ છે. લાખો લોકો આ દિવસે ગંગાસાગર [કોલકત્તામાં] સ્નાન કરે છે. અલ્લાહબાદમાં યોજાયેલ અર્ધકુંભ મેળામાં આજે ગંગા સ્નાનનું ખૂબ મહત્વ છે. આપણા દેશમાં આ પર્વનું મહત્વ અનોખુ છે. જુદા જુદા પ્રાંતમાં તેની ઉજવણી જુદી જુદી રીતે થાય છે. આ દિવસે વાયુસ્નાનનુ વધારે મહત્વને હોવાને કારણે અને પવનની દિશા કઈ તરફ છે તે જાણવા પતંગ ઉડાડવાની પરંપરાની શરુઆત થઈ હતી. તલનાં અનોખા ગુણને કારણે અને ઠંડી સામે રક્ષણ મળે તે હેતુ થી તલસાંકળી બનાવી ખાવાની પ્રથા છે. મરાઠી પ્રજા આ દિવસે તલનાં લાડુ બનાવી એકબીજાને આપી કહે

તીલગુડ ગ્યા આણી ગોડ ગોડ બોલા [તલનાં લાડુ લો અને મીઠુ મીઠુ બોલો]

ભારતિય સંસ્કૃતિમાં ગાયનું મહત્વ વિશેષ હોવાથી ગાયને લીલો ચારો ખવડાવવાનું આજનાં દિવસે મહત્વ છે.

બાણશય્યા ઉપર સૂતેલાં ઉત્તરાયણની રાહ જોતા અને ઈચ્છામૃત્યુને વરેલાં ભિષ્મપિતામહે પણ આજના દિવસે પ્રાણ છોડ્યા હતાં.

સચરાચરનું મોતી એક પ્રગટી સનાતન જ્યોતિ
ચઢ્યાં મેઘ વિના મેઘધનુ રંગો દોડી આવી ગગનમાં પતંગો

કોઈ રૂપેરી ફુમતાંવાળી તો કોઈ અંતરના રૂપથી રૂપાળી
જાણે ઉડે અનંતનાં ઉમંગો દોડી આવી ગગનમાં પતંગો

કોઈ ખેંચે ને કોઈ ઢીલ છોડે તો કોઈ ખેલે પવનને ઘોડે
જાણે જીવનનાં જીતવા જંગો દોડી આવી ગગનમાં પતંગો

દીધી ઢાંકી સૂરજની જ્વાળા રચે દિગંતમાં નક્ષત્રની માળા
જાણે બ્રહ્માનાં મનનાં તરંગો દોડી આવી ગગનમાં પતંગો

—– નીનુ મઝુમદાર

                    ૐ નમઃ શિવાય


7 comments January 14, 2007

લસણની ચટણી

                          આજે પોષ વદ નોમ

આજનો સુવિચાર:- નીચે ગબડી પડવામાં નિષ્ફળતા નથી, ગબડી પડ્યા પછી ત્યાં પડ્યા રહેવામાં નિષ્ફળતા છે.

 હેલ્થ ટીપ્સ:- ગરમ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દૂર થાય છે.

[મુંબઈ સ્થિત શ્રીમતી પાર્વતીજી બારેએ આ મહારાષ્ટ્રીયન ચટણીઓ વિષે જાણકારી આપવા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

                                  લસણની સૂકી ચટણી

સામગ્રી:-

1] ¼ કિ.ગ્રા. કાશ્મીરી આખા મરચા

2] 2 સૂકા લસણની કળીઓનો ગાંઠો

 3] 1 મોટો ચમચો ધાણા

4] 1 મોટો ચમચો સફેદ તલ

5] 1 નાની ચમચી જીરુ

6] મીઠું સ્વાદાનુસાર

રીત:-

લસણ સિવાયની દરેક સામગ્રી ભેગી કરી વાટી લેવી. લસણની કળીઓ અલગથી સાફ કરી વાટી આગળની વાટેલી સામગ્રી સાથે ભેગું કરી લેવું. સ્વાદાનુસાર મીઠું ભેળવવું. આમ કરવાથી સૂકી લસણની ચટણી બનશે. ખાખરા ઉપર આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.

                                    કાળા તલની ચટણી

સામગ્રી:-

1] 100 ગ્રા. કાળા તલ

2] 1 સૂકા લસણની કળીનો ગાંઠો

3] 1 મોટો ચમચો ધાણા

4] 2 નાની ચમચી લાલ મરચાની ભૂકી [ઈચ્છાનુસાર]

5] મીઠું સ્વાદાનુસાર

રીત:-

કાળા તલ અને ધાણાને શેકીને વાટી લો. લસણની કળીઓને સાફ કરી, વાટી ને કાળા તલ અને ધાણા સાથે ભેળવી દો. એમાં સ્વાદાનુસાર મીઠું ભેળવો. આમ કાળા તલની સૂકી ચટણી બનશે. આને પણ ખાખરા સાથે ખાવાથી સ્વાદિષ્ટ લાગશે. શિયાળામાં તલ ઉત્તમ છે.

                            
                                    લસણની ભીની ચટણી

સામગ્રી:-

1] ½ સૂકા કોપરાની વાટકી

2] 150 ગ્રામ આખા કાશ્મીરી લાલ મરચા

3] 1 મોટો ચમચો ધાણા

4] 1 મોટો ચમચો શીંગદાણા

5] 1 સૂકા લસણની કળીનો ગાંઠો

6] મીઠું સ્વાદાનુસાર

રીત:-

બધી સામગ્રી ભેગી કરી વાટી લેવી. તાજી તાજી આ ચટણી ખૂબ સ્વાદિષ્ટ લાગશે.

                       

                                    ૐ નમઃ શિવાય


1 comment January 13, 2007

ગાજર

                   આજે પોષ વદ છઠ્ઠ

આજનો સુવિચાર:- દરેક મહાન ભૂલોના મૂળમાં અભિમાન જ હોય છે.

હેલ્થ ટીપ્સ:- ચોખાનાં લોટમાં મરીનો ભૂકો નાખી તેને થોડા પાણીમાં ઊકાળી પેસ્ટ બનાવી તેને કપાળ પર લગાડવાથી અધાશીશીમાં રાહત રહે છે.

    શિયાળાનું ઉત્તમ ટોનિક એટલે ગાજર. શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં લાલ ગાજર મળતા હોય છે. ગાજરમાં વિટામિન એ અને બીજાં અનેક પોષક તત્વો રહેલાં છે.ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક છે.

ગાજરમાંથી અનેક વાનગીઓ બને છે. ગાજરનો હલવો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે ગાજરનું કચુંબર પણ ખૂબ જ સરસ લાગે છે. બિરિયાની પુલાવમાં પણ ગાજરનો ઉપયોગ થાય છે. આમ અનેક પ્રકારે ગાજર ઉત્તમ છે. ગાજર શરીરને શક્તિ, ઉષ્મા અને પોષણ મળે છે.

લાંબા સમયથી માંદા રહેલા અશક્ત દર્દીઓ માટે ગાજર ઉત્તમ છે. મંદ થઈ ગયેલી પાચનશક્તિને ફરીથી કાર્યશીલ બનાવવા અડધાથી માંડીને ચાર ગ્લાસ જેટલો ગાજરનો રસ દિવસમાં ત્રણથી ચાર વખત પીવડાવી શકાય છે. તેનાથી પાચકશક્તિ વધે છે.

       લોહીબગાડને કારણે ચામડીના રોગ જેવા કે દાદર, ખસ, ખરજવું, શીળસમાં ગાજરનો રસ ઉત્તમ કામ આપે છે. ગાજર પચવામાં હલકા અને ફાઈબ્રોઈડ હોવાને કારણે મળ અને વાયુને નીચે ધકેલે છે જેથી કબજિયાત પર ગાજર ઉત્તમ છે. હરસ મસા પર ગાજરનું શાક સારું કામ આપે છે.

    લાંબો સમય સુધી ગાજરના રસનું સેવન નિસ્તેજ, રુક્ષ ત્વચાને ચમક્દાર, સુંવાળી બનાવે છે. જુના ખરજવા પર ગાજરને છીણીને તેની લુગદી બાંધવાથી ખરજવું મટે છે. ગાજરનું સેવન સ્ત્રીનું માસિક નિયમીત બનાવે છે અને ગર્ભાશયનું સંકોચન કરે છે. બાળકોનું પાચન સુધારી, ભૂખ ઉઘાડે છે. લોહનુ પ્રમાણ વધારે છે. આંખો માટે ગાજર ઉત્તમ છે.

      ગાજરના રસને આદુ-લીંબુના રસ સાથે લઈ શકાય છે. તાજા ફળો જેવાંકે મોસંબી, નારંગી, આંબળા, દ્રાક્ષ, સફરજનનાં રસ સાથે ગાજરનાં રસને ભેળવીને પણ પી શકાય છે. દિવસમાં બે કે ત્રણ વખત ગાજરનો રસ પીવાથી શરીરને નુકશાનકારી નથી પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ નુકશાનકારક છે.

                            ‘અતિ સર્વત્ર વર્જતે’
 

                              ૐ નમઃ શિવાય


1 comment January 9, 2007

એક રચના

આજે પોષ વદ પાંચમ

આજનો સુવિચાર:- દરેક દિશાએથી અમને શુભ સુંદર વિચારો પ્રાપ્ત થાઓ — ઋગ્વેદ

હેલ્થ ટીપ્સ:- લીંબુનો રસ દાંત પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.

ઈટાલીનાં ગેલિલીયો ગેલીલીનો જન્મ ઈ.સં. 1564માં થયો હતો અને તેમનું અવસાન 8/1/1642માં થયું હતું. બાળપણથી તેઓ ખૂબ તેજસ્વી વિદ્યાર્થી હતા. 1610 સુધી તેઓ ગણિત ભૂમિતિ અને અવકાશવિજ્ઞાન શીખવતાં રહ્યા. તેમણે જાતે દૂરબીન બનાવ્યું હતું અને તેનાથી આકાશ દર્શન કરતા હતાં. તેમણે ચંદ્રની સપાટી ઊપર પહાડો અને ખીણો આવેલા છે અને કેટલાક પહાડોની ઊંચાઈ માપી હતી. 1618માં તેમણે ભરતી ઓટ અંગે એક નવો સિદ્ધાંત આપ્યો હતો. તેમણે ગુરુનાં ચાર ચંદ્રની શોધ કરી હતી.તેઓ ક્રાંતિકારી વૈજ્ઞાનિક હતાં.

એક રચના

અભિજીત તમે આવો મારા આંગણામાં
મારા સપનાને સાકાર કરવા પધારો
મારા આંગણામાં

તમે મારામાં વહેતો એક જીવનરસ છો
તે જીવનરસ વહેવડાવવા પધારો
મારા આંગણામાં

તમારું પ્રફુલ્લિત મુખ મારો શ્વાસ છે
આપ પ્રાણપંકજ બનીને પધારો
મારા આંગણામાં

અંતિમ શ્વાસે મન પુલકિત કરવા પધારો
મારા આંગણામાં

વિકલ્પ

સુદૃઠ નારી બની છે અબળા,
જુઓ દૃઠતા તૂટી છે આમ,
સન્નારી પગભર થતી,
ભયભીત બની આમ,
જુઓ નારી શક્તિ તૂટે છે આમ,
સમાજને હાથે જ હત્યા અબળાની,
જુઓ હત્યારા સંતાય છે પોષાય છે આમ

—– જાગૃતિ કડકિઆ

                           ૐ નમઃ શિવાય


2 comments January 8, 2007

Previous Posts


વિભાગો

Recent Comments

himalek32 on થોડું શોધવ…
Kartik Mistry on થોડું શોધવ…
Kartik Mistry on થોડું મગજ ક…
Harsukh Thanki on ઈલકાબો વિષ…
અનિમેષ … on થોડું મગજ ક…

Recent Posts

Archives

Calendar

January 2007
M T W T F S S
« Dec   Feb »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links