Archive for April 20th, 2007
અક્ષય તૃતીયા
આજે વૈશાખ સુદ ત્રીજ , અક્ષય તૃતીયા , અખાત્રીજ
આજનો સુવિચાર:- અનુભવ ઉત્તમ શિક્ષક છે.
હેલ્થ ટીપ્સ:- ગરમીની ઋતુમાં ઠંડા પાણીથી દિવસમાં બે થી ત્રણ વખતવાર ન્હાવાથી ગરમીમાં રાહત રહે છે.

મુહૂર્ત ગ્રંથ મુજબ અખાત્રીજના દિવસે આવતા તમામ મુહૂર્ત સ્વયં સિદ્ધ હોય છે એટલે કે આજના દિવસે આવતાં તમામ મુહૂર્ત શુભ ગણાય છે. આ દિવસે કરાતા કોઈપણ મંગળકાર્ય માટે યોગ, ગ્રહ-નક્ષત્ર ઈત્યાદિ જોવાની જરૂર હોતી નથી.
અક્ષય તિથિ અર્થાત કદી ક્ષય ન થનારી તિથિ. શાસ્ત્રોક્ત મુજબ આ દિવસે જો કૃતિકા નત્રક્ષ હોય તો તે વિશેષ ફળદાયી હોય છે. આ દિવસે કરાયેલાં દાન, હવન, જાપ અક્ષય ફળદાયી નીવડે છે. કહેવાય છે કે આ દિવસે સતયુગ તેમજ ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો.. તેથી તે ‘યુગાદિ તિથિ’ મનાય છે. વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજને ‘પરશુરામ જયંતી’ તરીકે ઉજવવામાં આવે છે. આમ તો આ દિવસે નર-નારાયણ, હયગ્રીવ અને પરશુરામ આ ત્રણેનો અવતાર થયો હતો પરંતુ સૌથી વધારે પરશુરામ જયંતીનું વધારે મહત્વ છે. આ પર્વ પર મેળા, શોભાયાત્રા વગેરેનું આયોજન કરવામાં આવે છે.
પૌરાણિક કથા મુજબ ઋષિ જમદગ્નિ અને તેમના પત્ની રેણુકાને જે પ્રસાદ મળ્યો હતો તે બદલાઈ ગયો. જે પ્રસાદમાં ઉત્તમ બ્રાહ્મણ પુત્ર ઉત્પન્ન થવાનો હતો, તેનાથી વિશ્વામિત્રનો જન્મ થયો. પ્રસાદના પ્રભાવથી ક્ષત્રિયકુળમાં જ્ન્મ્યા હોવાથી વિશ્વામિત્ર બ્રહ્મર્ષિ કહેવાયા. બીજા પ્રસાદમાં ઉત્તમ ક્ષત્રિય પુત્ર ઉત્પન્ન થવાનો ગુણ હતો તેનાથી પરશુરામનો જન્મ થયો. બ્રાહ્મણ કુળમાં જન્મ હોવા છતાં તેમનામાં ઉત્તમ ક્ષત્રિયના ગુણ હતા.
પરશુરામ ભગવાન વિષ્ણુના અંશાવતાર ગણાય છે. પરશુરામ શિવજીના પરમ ભક્ત હતા. તેમણે ભગવાન શિવજીને પ્રસન્ન કરી તેમણે બે વરદાન મેળવ્યાં હતાં. પહેલું ઈચ્છામૃત્યુ અને બીજું પરશુ [શસ્ત્ર] માંગ્યુ હતું. આ પરશુને કારણે તેઓ પરશુરામ કહેવાયા અને એને લીધે તેમનો કદી પરાજય થયો ન હતો. પરશુરામ અત્યંત પિતૃભક્ત હતા. પોતાના ક્રોધી સ્વભાવ અને પિતૃભક્તિને કારણે તેમણે પોતાની માતા રેણુકાનું માથું વાઢી નાખ્યું હતું. કહેવાય છે કે પરશુરામે પૃથ્વીને એકવીસવાર નિઃક્ષત્રિય કરી હતી.
અખાત્રીજ સ્વયં સિદ્ધ મુહૂર્ત છે તેથી આ દિવસે વિવાહ, વેપાર પ્રારંભ, ગૃહ આરંભ વગેરે દરેક શુભકાર્ય નિર્વિઘ્ન કરી શકાય છે. તેથી જ આદિવસે સૌથી વધુ લગ્ન થાય છે.
આ દિવસથી બદરીધામના દ્વાર ખૂલે છે અને ચારધામની યાત્રાની શરુઆત થાય છે. અખાત્રીજને દિવસે લક્ષ્મીની આરાધના થાય છે. આજના દિવસે લોકો સોનાની ખરીદી પણ કરતા હોય છે.
પૂર્વાન્હે તુ સદા કાર્યા: શુક્લા મનુ યુગાદયઃ
દેવે કર્મણિ પિત્ર્યે ચ કૃષ્ણે ચૈવા પરાટ્ટગિકા
ૐ નમઃ શિવાય
2 comments April 20, 2007

