ગુરૂને પત્ર
આજે ભાદરવા વદ છઠ્ઠ [સાતમનું શ્રાદ્ધ]
આજનો સુવિચાર:- ચડતી અને પડતી એ ઈશ્વરના અતૂટ નિયમો છે, જેની ચડતી થાય છે તેની પડતી પણ અવશ્ય થવાની, પરંતુ જેની કદી ચડતી થઈ જ નથી તેની પડતી શું થવાની હતી ! — મૈથીલીશરણ ગુપ્ત
હેલ્થ ટીપ્સ:- પાલક અને ગાજર ઉકાળેલા પાણીને ફેંકી ન દેતા તે પાણીમાં મુલતાની માટી ભીંજવીને ચહેરા પર લગાડવાથી ત્વચાને વધુ પોષણ મળે છે.
ગુરૂને પત્ર

1 લી ઓક્ટોબર આવે એટલે માધવીબેન યાદ આવે. માધવી એ મારા મિત્ર. જોકે આ દિવસથી તેઓ અમારી વચ્ચે રહ્યાં નથી તેથી આ દિવસે ખૂબ યાદ આવે. માધવીબેન ખૂબ સાલસ સ્વભાવનાં હતાં. હંમેશા બધાને મદદ કરવા તૈયાર રહે. શિવજીમાં અપ્રતિમ આસ્થા.
અમારા ભજનનાં ગુરુએ 2001ની સાલમાં અધિક માસે 12 કલાકનાં અખંડ ભજન રાખ્યાં હતાં ત્યારે એમણે ગુરુને પત્ર લખ્યો હતો. તેને એમનાં જ શબ્દોમાં શ્રદ્ધાંજલી રૂપે અહીં રજુ કરું છુ .
તા. 28-9-2001
પૂ. ગુરૂજી,
આજે અધિકમાસની સુદ અગિયારસ છે. શુક્રવાર સવારથી 9 વાગ્યાના સંકલ્પ પ્રમાણે ભજનની સુરાવલી શરૂ થઈ છે. તમે અધિક માસમાં અધિક થાય એ ભાવનાથી આ બાર કલાકનું અખંડ ભજન ધૂનનું આયોજન કર્યું તે બરાબર સાર્થક થયું છે. રાત્રે 9 ને બદલે 9.30 થયા પરંતુ પરમકૃપાળુ ભગવાનની કૃપાથી સમય ક્યાં પસાર થયો તે ખબર જ ન પડી. એક મિનિટ પણ ભજન વગર રહી નથી. રજનીબેન મેસ્વાનીએ તેમનું ઘર આપ્યું પણ આ તો જાણે મંદિર બની ગયું.
અગિયારસ હતી અને અગિયાર રસથી પણ વધુ છપ્પન ભોગ જ હતાં અને અમે તો આખો દિવસ ભગવતકૃપાથી ભજનમાં રત થઈ ગયાં. જ્યારે ભગવાનને ધરાય તે પ્રસાદ બની જાય તેમ અમે બધાએ આ પ્રસાદનો આસ્વાદ મ્હાલ્યો. સાથે તુલસીજીની પ્રસાદી પણ મળી. ભગવાન પુરુષોત્તમને તુલસી અતિ વ્હાલા છે તે પ્રસાદી અમે તીજોરીમાં હંમેશની યાદ માટે રાખી છે.
રજનીબેન મેસ્વાનીએ જે વ્યવસ્થા કરી અને આયોજન કર્યું તે કદી વિસરાય નહી. પ્રથમ સંકલ્પ બહુ સરસ રીતે થયો. હવે વધુને વધુ સંકલ્પ પાર પડે એજ અમારી અભ્યર્થના છે.
સત્સંગ પણ ભગવતકૃપા વગર મળતો નથી. સત્સંગ વગર નિત્યાનિત્યનો વિવેક થતો નથી. વિવેક ન આવે ત્યાં સુધી વિરાગ થતો નથી. વિરાગ ન આવે ત્યાં સુધી ત્યાગ થતો નથી. ત્યાગ ન થાય ત્યાં સુધી સ્વામી કોણ થાય ? ગુરૂ જ રાહ બતાવે તો આ સત્સંગરૂપી ગંગામાં ડૂબકી મરાય અને નિરાકાર નિર્વિકલ્પ બની જવાય. જ્યાં પ્રેમ હશે ત્યાં સમર્પણ અચૂક હોય છે. સમર્પણ એ પ્રેમની શરત નથી. સમર્પણ એ પ્રેમનો સ્વભાવ છે. પ્રેમમાં શરત ન હોય અને શરત કરે તે પ્રેમ ન કરી શકે. દીવડો પ્રગટશે તો પ્રકાશ જ થવાનો જ્યાં પ્રેમની જ્યોતિ જલે ત્યાં સમર્પણનો પ્રકાશ અપોઆપ પ્રગટશે.
જીવનમાં સાચી મહત્વકાંક્ષા જ રાખવી જોઈએ. મારે ભજન તરફ જ વળવું છે તો આ સંકલ્પ દૃઢતાપૂર્વક હાથમાં લો. તો અવશ્ય સફળ થવાય છે. જીવનમાં ચોકસાઈનું મહત્વ પન નાનું નથી જ. ચોકસાઈ રાકહ્વાની ટેવથી નિયમિતતા જળવાય છે. મારે મારા ભજન હોય ત્યારે 1 કલાક સત્સંગ કરવો છે તો સત્સંગ જરૂર થશે. આપણે આપણા જીવનમાં 1 કલાક પ્રભુને અર્પણ કરીએ તો જીવન સાર્થક થઈ જાય.
રાત્રે સૂવા ગઈ પણ નિંદર જ વેરણ થઈ ગઈ. જાણે ભજન જ કરું છું અને એજ ભણકારા બીજે દિવસે પણ ચાલુ હતાં. અમારા ‘બરસાના’ ક્લાસ વતી આ પત્ર રજુ કરૂં છું.
લિ. માધવીનાં જય શ્રીકૃષ્ણ.
ૐ નમઃ શિવાય
3 comments October 1, 2007

