કારતક વદ ત્રીજ [અંગારકી ચતુર્થી]
આજનો સુવિચાર:- પ્રાર્થના એટલે સર્વવ્યાપી પરમેશ્વરમાં લય પામવાની સતત અભિલાષા.
હેલ્થ ટીપ્સ :- કોપરેલ અને લીંબુનો રસ ભેળવીને શરીર પર માલિશ કરવાથી ખૂજલી,દાદર મટે છે.

4,444 પગથિયા ઉતરવાના અને પાછા ફરતી વખતે ચઢવાના
યે પથ્થર ન ગિરતે તો ચઢાન ન હોતી
યે પાની ન બહતા તો ઢલાન ન હોતી
નેપાલસે જાતે તો જલ્દી પહૂંચતે
લેકિન કૈલાશ પર શિવજી ન મિલતે
કૃષ્ણકાંત રાજે [યાત્રી]
પહાડ પરથી પડતો નાનો અમથો પથ્થર આપણને ઈજા પહોંચાડે છે. રસ્તામાં અમને આવી જ રીતે ઈજાગ્રસ્ત બહેન મળ્યાં હતાં કે જેમને મજબૂત પૉર્ટર ઊચકીને પાછો લઈ જતો હતો.
લગભગ દરેક કેમ્પ પર પહોંચતા ‘રસના’ શરબતથી સ્વાગત થાય છે. ખરેખર ધન્ય છે અહીં પહાડી પૉર્ટરોને. ખૂબ માયળુ તેમજ આસ્થાવાળા. એમાં કૈલાશયાત્રીઓની તેઓ ખૂબ સેવા કરતા હોય છે. યાત્રીઓ જ્યારે પોતાને મળેલા સ્થાનમાં ગોઠવાય છે ત્યારે તેનો પૉર્ટર સામાન ગોઠવી દે છે. અને યાત્રીને તેજા શૂઝ કાઠવામાં મદદ કરે છે તેમજ ઘણીવારતો પગ પણ દબાવી આપતા હોય છે. ગરમ પાણી લાવી આપીને યાત્રીઓની સુવિધા વધારી આપે છે. આમ યાત્રીઓ ગરમ પાણીથી નાહીને પોતાનો થાક ઉતારે છે અને ત્યારબાદ ભોજન લઈને આરામ કરે છે. પોતાના કપડાં ધોઈને સૂકવી કાંતો બીજા યાત્રીઓ સાથે ગપશપ કાંતો પોતાની પાઠપૂજામાં રત રહેતા હોય છે.
સ્ત્રી યાત્રીઓની રહેવા માટે અલગથી જુદો પરિસર આપવામાં આવે છે તેમજ પુરુષ યાત્રીઓને પણ. અમારી સાથે કાર્તિકેયન સાહેબ હોવાથી કપલ યાત્રીઓને સાથે રહેવાની સગવડ મળી હતી. સાંજના ભજન બાદ ભોજનનો કાર્યક્રમ કાયમ રહેલો. રાતના નવ વાગે નિદ્રાધીન થવું જ પડે નહીં તો જનરેટરથી ચાલતી બધી લાઈટો બંધ. બીજે દિવસે સવારે 5 વાગે લાઈટ ચાલુ થાય.
25 જુન છઠ્ઠો દિવસ:-
યાત્રાનો આ છઠ્ઠાદિવસે ‘ગાલા’થી ‘માલપા’ સુધી પહોંચવાનું હતુ. તે માત્ર 11 કિ.મી. દૂર હતો. 1998માં થયેલી દુર્ઘટના બાદ આ કેમ્પ બંધ થઈ ગયો.છે. શરુઆતનો રસ્તો સરળ હોવાથી ‘જીપ્તી’ ગામ સુધી સહેલાઈથી પહોંચી ગયા. 1999થી આ રતો બદલાઈ જવાથી ધારચૂલાથી ‘માંગ્તી’ સુધી જીપમાં જવાનું હોય છે. માંગ્તીથી 2 કિ. મી.ના ચઢાણ બાદ ગાલા પહોંચવાનું હોય છે. એટલે ગાલાથી પહેલાનાં બધા કેમ્પ એટલે કે પાંગુ, સીરખા સ્કીપ કરવાનાં હોય છે. ત્યારબાદ ‘લખનપુર’ પહોંચવા સતત 4,444 પગથિયા નીચે ઉતરી ‘કાલી ગંગા’ના કિનારા સુધી પહોચી તેના અવિરત ધસમસતા પ્રવાહની સાથે સાથે ચાલતા આગળ વધ્યા.
ડાબી બાજુ પર્વતની અડીખમ દિવાલ અને જમણી બાજુ કાલી ગાંગાનો ધસમસતો પ્રવાહ. આ પ્રવાહની સામે જોવાની હિંમત જ ચાલે. યાત્રાની શરુઆતમાંજ યાત્રીઓને સૂચના આપવામાં આવે છે કે પહાડ પર ચઢતા કે ઉતરતા પાણીનાં પ્રવાહની સામે જોવું નહીં. નહીં તો ચક્કર આવશે. પહાડ પર ચઢતા હંમેશા પગ તરફ જોવું. નતો પહાડને જોવો કે નદીનાં વહેણને. બંને રીતે ચક્કર આવવાનો ચાંસ. ઉપર જોઈયે તો એવું લાગે કે રસ્તો આગળ વધતો નથી તેથી પહાડ ચઢતી વખતે હંમેશા પગ તરફ ધ્યાન દેવું જેથી આગલું પગલું ક્યાં મૂકવું તેનો ખ્યાલ રહે. બીજી ચેતવણી એ મળી હતી કે રસ્તે આવતા એક પણ ઝરણાને કૂદાવવાનો પ્રયત્ન ન કરવો. નહીં પહાડ પરથી નીચે પડી જવાનો ભય રહે છે. આવું એક વખત બન્યું હતું. એક વખત એક મીલીટરીના કપ્તાનને પોતાની આવડત પર ખૂબ ગર્વ હતો અને આવા જ એક નાના ઝરણાને કૂદાવી આગળ વધવા માંગતો હતો. પણ કુદરત અને નસીબ આગળ સહુને ઝૂકવું જ પડે છે. આ કપ્તાને કૂદકો તો માર્યો અને તે પોતાનું બેલેંસ ગુમાવી બેઠો. અને પહાડ પરથી નીચે પડી ગયો અને કાલીગંગામાં સમાધિ પ્રાપ્ત થઈ.
નાના મોટા ઝરણા અને પહાડ પરથી ધોધની નીચેથી પસાર થતાં અમે ‘માલ્પા’ના કેમ્પ પહોંચ્યા. આ કેમ્પની લગભગ અડોઅડ કાલી ગંગા પસાર થાય છે. તેનો પ્રવાહ એટલો ધસમસતો છે કે તેનો ‘નાદ’ કેટલાય વખત સુધી કાનમાં ગુંજ્યા કર્યો. અહીં રસ્તામાં છત્રી આકારના પહાડ પરથી પરથી પાણીનો ધોધ પડે છે, જે ‘છાતા ફોલ’ તરીકે જાણીતો છે, તે આવે છે. ત્યારબાદ એજ નિત્યકર્મ પતાવી બીજા દિવસની તૈયારીની શરુઆત કરી.
26મી જુન સાતમો દિવસ:-
8,845 ફૂટ્ની ઊંચાઈ આવેલો ‘બુધિ કેમ્પ, આરસ્તાનો સૌથી સુંદર કેમ્પ છે. કુદરતે મન મૂકી અહીં સૌંદર્ય વેર્યું છે. માલ્પાથી 9 કિ.મી. દૂર આવેલા આ કેમ્પ પર પહોંચતા રસ્તામાં સુંદર રંગબેરંગી ફૂલોની ચાદરમાંથી પસાર થવું પડે છે. પ્રવાસનાં થાકને ભૂલી મન ભરીને સૌંદર્ય મ્હાલતાં મ્હાલતાં અમે બુધિ કેમ્પ પર પહોંચ્યા. આખા રસ્તે ૐ નમઃ શિવાય નો જાપ રટતા હતા. સતત વરસાદ સખ ઠંડીને કારણે ફરજીયાત મંકી કેપ , સ્વેટર પહેરવી પડી. સૂરજનો કૂણો તડકો મીઠો લાગતો હતો. પણ સાંજના અચાનક વરસાદ ચાલુ થયો અને સતત આખી રાત ચાલુ રહ્યો.
કેમ્પ એટલે કે એક મોટા હૉલમાં મોટા પથ્થરનો પલંગ એની ઉપર દરેકને માટે અલગ અલગ પથારી અને માથા પાસે બે શેલ્ફ જેમાં દરેક પોતાની નાની નાની વસ્તુઓ મૂકી શકે. સાથે એક ઓશિકું અને એક ગરમ ધાબળો આપવામાં આવે છે. હું હંમેશા છેડે સુવા પસંદ કરું. આ દિવસે મારી આ પસંદગી ભારે પડી. છત પરથી ટપકતા પાણીએ મને આખી રાતનો ઉજાગરો આપ્યો. સવારના 6 વાગે ચા નાસ્તાને ન્યાય આપી આગળ વધવાનું હતું.
27 જુન આઠમો દિવસ :-
બુધિ કેમ્પથી 17 કિ.મી. દૂર આવેલા ‘ગુંજી’ સુધીના આજના પ્રવાસમાં શરુઆતનો 6 કિ.મી.નો રસ્તો કપરા ચઢાણવાળો હતો. ત્યારબાદનો 9 કિ.મી. નો રસ્તો સરળ હતો પણ રસ્તો ખૂબ લાંબો લાગતો જાણે ખૂટે જ નહીં. ગમે ત્યારે જોરદાર પવન ફૂંકાય. ચઢાણ પૂરું થયે ‘સિયાલેખ’નાં રંગબેરંગી ફૂલોનાં મેદાનમાં આવ્યાં. અહીંથી ‘વ્યાસક્ષેત્ર’ ચાલુ થાય છે.
રસ્તામાં ‘ગર્બ્યાંગ’ નામનું ગામ આવે છે. ઈ.સ. 1956 પહેલા આગામ ખૂબ સમૃદ્ધ ગણાતું હતું પણ 1956માં થયેલા ધરતીકંપે આ ગામને પાયમાલ કરી મૂક્યું. ચીકણી માટી પર વસેલું આ ગામ ધીરે ધીરે ગરકતું જાય છે. તેનાં મકાનો વચ્ચેથી બેસી પડ્યાં છે. અહીંથી ગુંજી કેમ્પ સુધી સહેલાઈથી પહોંચી ગયા. આ રસ્તાની ભારતની છેલ્લી ‘ State Bank of India’ આવેલી છે. તેમ જ છેલ્લી પૉસ્ટ ઑફિસ આવેલી છે. અહીંથી આગળ Indian Tibet Border આવેલી છે તેથી આગળ કોઈ બૅંક નથી કે પોસ્ટ ઑફિસ નથી. અહીં અમને મોટા ગોળાકાર ફાઈબર શીટનાં તંબુમાં રાખ્યા હતાં.
રસ્તામાં ઘોડા પર મને અને મેઘનાને ખૂબ ઉંઘ આવતી તો અમે બંને બચુકાકાને બૂમ પાડી કહેતા કાકા પ્લીસ, કોઈ ભજન ગાઓ તો અમને ઉંઘ ન આવે. એટલે કાકા ખૂશી ખૂશી અમારો સાથ આપી ભજન ગાવાનું ચાલું કરી દે અને અમે તેમનો સાથ દઈ અમારી નીંદર ઊડાવીએ. મને તો હજી પણ ઘોડા પર સવારી કરતા કરતા નીંદર આવે છે.
Strange. ખરું ને?
અહીં કાલી ગંગાનો પ્રવાહ શાંત છે આગળ તેનું મૂળ આવેલું છે. અહીં કુટ્ટી અને કાલી ગંગાનો સંગમ થાય છે. ગુંજી ગામ આ સંગમ નજીક વસેલું છે. અહીંથી અન્નપૂર્ણાની પર્વતમાળા દેખાય છે. ગુંજીથી બે રસ્તા ફંટાય છે . એક રસ્તો ‘આદિ કૈલાસ’ તરફ જાય છે. રસ્તામાંથી જો હવામાન ચોખ્ખું હોય તો આદિકૈલાસનાં દર્શન થાય છે. અને બીજો રસ્તો કાલાપાની તરફ જાય છે. જોકે અમારે તો કાલાપાનીનો રસ્તો પકડવાનો હતો. પણ આદિકૈલાસ વિષે થોડું જાણીયે.
આદિકાળથી પાંચ કૈલાસ ગણાય છે.
1] તિબેટમાં આવેલો કૈલાસ જેની આપણે આ કઠિન યાત્રા કરીયે છીએ.
2] આદિકૈલાસ જ્યાં ગુંજી થઈ ને જવાય છે.
3] મણિ મહેશ
4] કિન્નર કૈલાસ
5] શ્રીખંડ કૈલાસ
આદિકૈલાસ ગુંજી થઈ જવાય છે. રસ્તામાં ‘કુટ્ટી’ નામે ગામ આવે છે જે કુંતીના નામ પરથી અપભ્રંશ થયેલું મનાય છે. અહીં પાંચ પર્વતની હારમાળા હોવાથી આ સ્થળ ‘પાંડવતીર્થ’ તરીકે ઓળખાય છે. ગુંજીથી 30 કિ.મી. દૂર આવેલ ‘આદિ કૈલાસ’ અથવા ‘છોટા કૈલાસ’ અને ‘પાર્વતી સરોવર’ તિબેટમાં સ્થિત ‘કૈલાસ’ અને ‘ગૌરી કુંડ’ની પ્રતિકૃતી છે. આદિ કૈલાસની પરિક્રમા ખૂબ નજદિકથી થાય છે. આદિકૈલાસ પ્રકૃતિની ચરમસીમાએ પહોંચેલું સ્થળ છે. 17,000 ફૂટની ઊંચાઈએ આવેલું પાર્વતી સરોવર બારેમાસ થીજેલું રહે છે જેની પરિક્રમા પૂરી કરતા ત્રણ થી ચાર કલાક લાગે છે. જ્યારે આદિકૈલાસ અને પાર્વતી સરોવરની પરિક્રમા પૂરી કરતાં ત્રણ દિવસ લાગે છે. આ પરિક્રમા કરવા પાસપૉર્ટ કે ડૉક્ટરી તપાસના સર્ટિફિકેટની જરૂરત નથી પડતી.
ગુંજીમાં ફરીથી મૅડિકલ ચેકઅપ થાય છે. અને જો એમાંથી જો તમે પસાર થાઓ તો જ આગળ વધવા મળે છે નહીં તો અહીંથી પાછા ફરવું પડે છે. અહીંથી સાથે આવેલાં ડૉક્ટરો, વાયરલેસમેન તથા રક્ષકપોલિસો પાછા ફરે છે. અહીંથી પાસપોર્ટ ધરાવતા અમારા ઘોડાવાળા તેમજ પૉર્ટરો અને ઈંડિયન તિબેટિયન બૉર્ડર પોલિસ [I.T.B.P.] નાં જવાનો અમારી સાથે જોડાય છે જે અમારી સાથે ‘લિપુલેખ પાસ’ સુધી સાથે રહે છે.
28મી જુન નવમો દિવસ
કાલાપાની મિલિટરીના જવાનો માટે એક સજારૂપ જગ્યા માનવામાં આવે છે. અહીં ફક્ત જવાનો જ રહે છે. અહીં કોઈ ગામ નથી કે ગામવાસી નથી રહેતા કે અહીંથી કોઈજાતનાં વેપાર કે વહેવાર થતાં નથી. [no man’s land ] જેવી જગ્યા છે. વર્ષના ચાર મહિના યાત્રી સિવાય અહીં કોઈને આવવા દેવાતા નથી.
ગુંજીથી કાલાપાની 10 કિ.મી. દૂર આવેલું છે.રસ્તામાં I.T.B.P. ના જવાનો આગળ પાછળ થતાં દરેક યાત્રીઓને કલાકે કલાકે ભેગા કરીને આરામ કરાવી આગળ વધવાનો આદેશ આપે છે. અહીં જવાનો ઉમળકાભેર યાત્રીઓનું સ્વાગત કરે છે. અહીં રસ્તામાં ‘વ્યાસ ગુફા’ આવે છે. કહેવાય છે કે વ્યાસજીએ અહીં બિરાજમાન થઈ મહાભારતની રચના કરી હતી. કેમ્પથી 1 કિ.મી. પહેલા ગરમ પાણીનો ઝરો આવે છે જ્યાં યાત્રીઓ તેમજ જવાનોએ ન્હાવાનો આનંદ લૂટ્યો. અહીં કાલીગંગાનું ઉદભવ સ્થાન છે તે ઉપર અહીંના જવાનોએ કાલીમાતાનું મંદિર બાંધ્યું છે. ખૂબ ભક્તિ કરે છે આ જવાનો. સાંજના મંદિરમાં તેમના ભજનમાં અમે જોડાયા. ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું. વધારાની રકમ અને વધારાનો સામાન જમા કરાવવો પડે છે. અહીં પાસપોર્ટનું એંડોર્સમેંટ કરાવવું પડે છે તેમ જ કસ્ટમ અને ઈમીગીશન ફરીથી કરાવવા પડે છે.
2000 સાલમાં કરેલી યાત્રા યાદ આવી. અહીં અમને મુંબઈ સ્થિત પ્રેરણાબેન ગાંધી મળ્યા. તેમના પતિને કૈલાસ યાત્રા કરવાની ખૂબ ઈચ્છા હતી પરંતુ કેંસરને કારણે કરી ન શક્યા. તેમની ઈચ્છા પૂર્ણ કરવા પોતાનો બીસનેસ થોડો વખત બંધ રાખી ઉઘાડા પગે યાત્રા કરે છે. આ પહેલા પણ એક વખત તેમની મુલાકાત થઈ હતી. 1996ની યાત્રા બાદ પાલનપુરવાળા સ્વામી કલ્યાણજીગીરીએ કૈલાસ યાત્રીઓનો સન્માન સમારોહ આયોજ્યો હતો. હું ભજન ગાવામાં તલ્લીન અને પ્રેરણાબેન નૃત્ય કરવામાં તલ્લીન. નતો એમને ખબર કે મને કે કોણ કોને તાલે નાચતું કે ગાતું’તું. થોડીવાર પછી અમે બંનેને ભાન આવ્યું. અને એકબીજાની ઓળખાણ થઈ અને એકબીજાને અભિવાદન કર્યું.
29મી જુન દિવસ દસમો
પર્વતનું મૂળ નામ ‘ન્યા-વિહંગ’ પણ અપભ્રંશ થતા આ પર્વત ‘નબીડાંગ’ના નામે ઓળખાય છે. કાલાપાની 9 કિ.મી. દૂર આવેલા આ પર્વતનાં કેમ્પ પરથી ૐ પર્વતનાં દર્શન થાય છે. ૐ પર્વત એટલે આ પર્વત પર ૐ આકાર કાયમ બરફથી છવાયેલો રહે છે. ૐની આજુબાજુ અને આજુબાજુના પર્વત પર કાયમી બરફ નથી રહેતો. ભારતીય સરહદનો આ છેલ્લો કેમ્પ 13.800 ફૂતની ઊંચાઈએ આવેલો છે. અહીંથી હરિયાળી કે ઊંચી ઊંચી વનસ્પતિઓ દેખાવવાની બંધ થાય છે. જાણે સમાધિમાં બેઠેલા ‘વાલ્મિકી’ ઋષિ જેવા મટોડિયા કોરાધાક જેવા પહાડો નજર આવે. પણ જો જો એમ ન સમજતાં કે કુદરત અહીં જરાયે નથી. અહીંનો સુર્યોદય મ્હાલવા જેવો છે. સૂર્યનું પહેલું કિરણ પહાડો પર જ્યારે ફેલાય છે ત્યારે તેની લાલિમા અંતરને પ્રફુલ્લિત કરે દે છે. ચોમેર સોનેરી આભા ફેલાય છે.
અમે ખૂબ રાહ જોઈ કે અમને ૐ પર્વતનાં દર્શન થાય પણ વાદળોને એ મંજૂર ન હતું ખસવાનું નામ જ ન દે. 13,800 ફૂટની ઊંચાઈ પર રહીને આપણા જવાનો સરહદની રક્ષા કરતા જોઈ તેમને સલામી આપવાનું મન થઈ જાય છે જેમને કારણે આપણે શહેરોમાં સુખશાંતીથી રહી શકીએ છીએ. તેઓને શત શત પ્રણામ. અહીં વપરાયેલા ફોટાના રોલ જમા કરાવવા પડે છે જે પાછા વળતા મળી જાય છે.
અહીંથી જેમ જેમ ઊપર ચઢતા જઈએ તેમ તેમ ઠંડી વધતી જાય છે તેથી સ્વેટર અને મંકી ટોપી પહેરી રાખવી પડે છે.
અહીં યાત્રાનો પ્રથમ તબક્કો પૂર્ણ થાય છે.
ૐ નમઃ શિવાય