Archive for November 3rd, 2007
જીવનું શિવ પ્રતિ પ્રયાણ [2]
આસો વદ નોમ
આજનો સુવિચાર:- ત્રણ વાતનું હંમેશા ધ્યાન રાખો. [1] કામ વગર બેસી ન રહો [2] ખોટું કામ ન કરો [3] કેવળ પોતાના સ્વાર્થ માટે કામ ન કરો.
હેલ્થ ટીપ્સ:- એક ચમચી જીરું નાખીને ઊકાળેલું પાણી મેલી ત્વચા પર ક્લીંઝીંગ મીલ્કનું કામ કરશે.
મુંબઈના મેઘના અને મુકુલને જ્યારે ખબર પડી કે અમે સાથે આવવાનાં છીએ તેમને એમ કે અમે નાની વયનાં હોઈશું કારણ એ બંન્ને અમારા ગ્રુપનું સૌથી નાની વયનું કપલ હતું. મેઘનાએ મારી ઉંમર પૂછી તો મેં 49 જણાવી તો થોડી નિરાશ થઈ પણ મેં તેને સાંત્વના આપતાં કહ્યું કે એક વખત મારી સાથે વાત કરવાનું ચાલું કર પછી તને ખબર ખ્યાલ આવશે. તે દિવસથી આજસુધી મેઘનાને એમ લાગ્યું નથી કે તેનાથી 25 વર્ષ મોટી ઉંમરની વ્યક્તિ સાથે વાત કરી રહી છે. અમારા ગ્રુપમાં બારડોલીની કૉલેજમાં ભણાવતા પ્રોફેસર જાહ્નવિકાબેન શુક્લા જેમણે 1995માં કૈલાસની યાત્રા માટે ઍપ્લિકેશન કરી હતી પરંતુ દિલ્હીમાં થતી મૅડિકલ ઍક્સામિનેશનમાં ફેલ થયાં હતાં. એમની સાથે મુંબઈના ભરત વેદ પણ હતા જેમને કારણે જ જહાનવિકાબેનનાં મનમાં મુંબઈના માણસો પર વિશ્વાસ ન મૂકવાનો ઘર કરી ગયું હતુ. કૈલાસ યાત્રા પર જતા પહેલા ત્રણ દિવસ અગાઉ દિલ્હી પહોંચી અશોક યાત્રી હૉટલમાં અમારો ઉતારો હતો. એક રૂમમાં 4 વ્યક્તિને ઉતારો આપવામાં આવતો. અમારી સાથે જાહ્નવિકાબેન અમારા રૂમમાં હતાં. અમારી સાથે વાત કરતા થોડાક અચકાતા હતાં. દીકરી ફોન કરવા ઉતરતા હતાં ત્યારે મેં તેમને Good Morning Wish કર્યાં અને સાથે સાથે have a nice day પણ wish કર્યાં. આ વિશ સાથે તેમની મુંબઈવાળાની પહેચાન બદલાઈ ગઈ.જોકે યાત્રા દરમિયાન એટલી મૈત્રી નો’તી વધી પરંતુ ત્યારથી આજ સુધી મને મોટીબેન તરીકે ગણે છે અને તેમના બાળકો પોતાની સગી માસી તરીકે ગણે છે. જાહ્નવિકાબેનની અને બચુભાઈ પ્રજાપતિની મદદથી હું આ યાત્રા વિષે નાનકડી પુસ્તિકા લખી શકી હતી. [કૈલાસ માનસરોવર- એક શ્રદ્ધાપૂર્ણ યાત્રા]
શ્રી બચુભાઈને જેમ અમારી જ જ્ઞાતિના એક ભાઈ શ્રી દીપકભાઈ શાહ જેમણે 1987માં આ યાત્રા કરી હતી તેમણે અમ્ને આ યાત્રા વિષે માહીતિ પણ આપી તેમજ અમુક વસ્તુઓ અમારી પાસે ન હતી તે પણ આપી હતી તેમજ કેટલો સામાન લેવો અને કઈ રીતે લઈ જવો તેની સંપૂર્ણ માહિતી આપી હતી. અમારી સાથે સુરતથી ડૉ. એડિબામ પારસી કપલ આવ્યાં હતાં. તેઓએ ક્યાંક પુસ્તકમાં વાંચ્યું હતું કે માનસરોવર નામનું એક મોટું તળાવ છે જે આટલી ઊંચાઈ પર આવેલું સૌથી મોટું તળાવ છે. કુતુહલતા ભર્યા આ વયોવૃદ્ધ સાલસ કપલે અમને ખૂબજ સાથ આપ્યો હતો. આમ તો દરેક યાત્રી પોતપોતાની આસ્થાથી આવેલાં. એમાં જૈનધર્મી પણ હતાં. દક્ષિણ ભારતીય પણ હતા. બંગાળી, મારવાડી, મરાઠી,ગુજરાતી વગેરે દરેક ભાષીનો એક મેળો હતો. અમારા લાઈઝન ઑફીસર ડી.આર.કાર્તીકેયન તો આ યાત્રાથી એતલા પ્રભાવિત થયેલા કે એમણે તો પોતાની દીકરી કંચનાને હૈદ્રાબાદથી ફ્લાઈટમાં બોલાવી દીધી અને અમારી સાથે જોડાઈ ગઈ. આમ અમારો શંભુમેળો શંભુના દર્શને જવા નીકળ્યા.
વિશ્વપ્રસિદ્ધ કૈલાસ પર્વત એ દેવોના દેવ મહાદેવ અને મહાશક્તિ મા પાર્વતીનું રહેણાક છે. આપણાં જન્મોજનમનાં પુણ્ય ભેગા થાય છે અને જે જલ્દીથી પ્રસન્ન થાય છે તેવા પ્રભુ આશુતોષની કૃપા વિના આ યાત્રા અને દેવભૂમિના દર્શનનો લ્હાવો મળે છે તેથી વધુ મહત્વની વાત એ છે કે જો યાત્રા પરિપૂર્ણ થાય ભોળા શંભુની કૃપા સમજવી. ભલે યાત્રા કરવા નીકળ્યા હો પરંતુ ‘તેની’ કૃપા વિના પૂર્ણ થતી નથી. કોઈપણ ધર્મી હો પણ શ્રદ્ધાપૂર્વક કરેલી આ યાત્રા જરૂરથી પૂર્ણ થાય છે.
20 જુન 1996 એટલે પ્રથમ દિવસ
આમ 20મી જુન 1996ના દિવસે સવારે 4 વાગે ‘ૐ નમઃ શિવાય’ ‘હર હર મહાદેવ’ કૈલાશપતિકી જય હો’ ના નારા સાથે ‘અશોક યાત્રી નિવાસ, ન્યુ દિલ્હી’ થી અમારી યાત્રાનો પ્રારંભ થયો. દિલ્હીથી ધારચૂલા સુધીનો પ્રવાસ બસમાં કરવાનો હોય છે. ગજરોલા,કાઠગોદામ, ભુવાલી થઈ અલ્મોડા સુધીનો રસ્તો આરામથી મોજ મસ્તીથી એકબીજાનાં પરિચય સાથે વીતી ગયો. અલ્મોડામાં પ્રથમ પડાવ હતો.
21મી જુન 1996- બીજો દિવસ
અલ્મોડાથી નંદાદેવી, જે વાસુદેવ- દેવકીની પુત્રી જેને કંસે પથ્થર પર પછાડીને મારવાનો પ્રયાસ કર્યો હતો,દર્શનાર્થે પહોંચ્યાં. અહીં લોકો ઘંટ અથવા ઘંટીઓ બાંધી માનતા રાખતા હોય છે. દર્શન કરી ‘ચકોરી’માં ભોજન લઈ ડીડીહાટ થઈ ‘ધારચુલા’ પહોંચ્યા. કુમાઉ મંડલ વિકાસ નિગમ દ્વારા આ યાત્રા યોજાય છે. આ કૈલાસ માનસરોવરનો બેઝ કેમ્પ બે મોટા પતરાથી બાંધેલા રૂમથી બનેલો છે. એકમાં મહિલા યાત્રી અને બીજામાં પુરુષ યાત્રીઓને મુકામ આપવામાં આવે છે. આ મુકામની બાજુમાંથી ધસમતી કાલીગંગા વહે છે. નામ પ્રમાણે તેનું પાણી કાળું છે અને તેનું સ્વરૂપ ભયાનક છે. એક કાંઠે ભારતનું ‘ધારચૂલા’ અને બીજે કાંઠે નેપાલનું ‘દારચૂલા’. બે ગામને જોડતો એક લક્ષમણઝૂલા જેવો પૂલ સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી અવર જવર કરી શકાય. અહીં અવર જવર માટે પાસપૉર્ટની કે વીઝાની જરૂર પડતી નથી.
અહીંથી જરૂરિયાત પૂરતો સામાન પાસે રાખી બીજો સામાન વૉટરપ્રૂફ કોથળામાં મૂકીને બાંધીને ‘કોમન લગેજ’ માટે આપી દેવો પડે છે. અહીંથી જરૂરમંદો માટે ઘોડાવાળા અને પૉર્ટરની વહેંચણી કરવામાં આવે છે.
22મી જુન – ત્રીજો દિવસ
ધારચૂલાથી બસમાં બેસી 17 કિ.મી. દૂર તવાઘાટ જવાનું હતુ. અહીં કાલીગંગા અને ગૌરીગંગાનો સંગમ જોવામળે છે. ગૌરીગંગા નામ પ્રમાણે ધોળી છે. આમ કાળા અને ધોળા પાણીનો નિરાળો સંગમ જોવા મળે છે. અહીંથી બસમુસાફરીનો અંત અને ઘોડા પર અથવા પગપાળા મુસાફરી ચાલુ. જોકે હવે તો માંગ્તી સુધી જીપમાં જવાનું હોય છે. અમે 1996માં અહીંથી 5 કિ.મી. થાનેદારની ચઢાઈ ચઢીને પાંગુ પહોંચ્યા.અહીં રાત્રીનો પડાવ હતો.. અમારી સાથે સરકાર તરફથી 2 ડૉકટરો, વાયરલેસ મેન તેમજ 8 થી 10 પોલિસો અને લાયઝન ઑફિસર હોય છે.
થાનેદારની ચઢાઈ ચઢીને પાંગુ પહોંચતા થાકી તો જવાય જ છે પરંતુ હિમાલયનું લીલુંછમ દૃશ્ય જોઈ અને યાત્રા કરવાનો જોશ આ થાક ઉતારી દે છે. અમારા L.O.એ એક નિયમ રાખ્યો હતો કે પહેલા ભજન પછી ભોજન. આમ ભજનની રમઝટનો આનંદ મેળવ્યો અને કોણ સુંદર ગાઈ શકે છે તેનો ખ્યાલ પણ આવીગયો.
23 જુન 1996 – ચોથો દિવસ
પાંગુથી નીકળી ‘હિમખોલા’ નદી પસાર કરી નારાયણ આશ્રમ થઈ સીરખા કેમ્પ પહોંચવાનું હતું. મેં અગાઉ ‘નારાયણ આશ્રમ’ વિષે લખેલું છે. આ આશ્રમનું સંચાલન પૂ. સ્વામી તદરૂપાનંદજી કરે છે. અને એ વખતે ગર્બ્યાંગના શિક્ષિત ગંગોત્રીમા કરતા હતાં. હવે તેઓ હયાતમાં નથી. પૂ. તદરૂપાનંદ સ્વામીના આશીર્વચન સાથે અમે સીરખાનું અત્યંત સુંદર જંગલ પસાર કર્યું. અહીં એક વસ્તુ જાણવા જેવી મળી. સુંદર રંગબેરંગી ફૂલોની જાજમમાં ‘બિચ્છુકાંટા’ જેવી વનસ્પતિ પણ જોવા મળે છે જેનો સ્પર્શ માત્ર વીંછી ડંખ્યાની વેદનાનો અનુભવ કરાવે છે. તે નીચે બીજી વનસ્પતિ ઊગે છે જેને મસળી આ ડંખ પર લગાડવાથી આ વેદનામાંથી છૂટકારો અપાવે છે. આમ સીરખા બેઝ કેમ્પ પહોંચ્યાં.
24 જુન 1996 – પાંચમો દિવસ
સીરખા કેમ્પથી 13 કિ.મી. દૂર 8050 ફૂટ ઊંચાઈએ આવેલા ‘ગાલા’ કેમ્પ પહોંચવાનું હતું. પ્રારંભના સરળ રસ્તા પછી 4 કિ.મી.નું ચઢાણ ચઢી ‘રુંગલિંગ ટોપ’ પહોંચી સીધા ઊતરાણ બાદ પાટિયાના બનેલા પુલ દ્વારા ‘હિમખોલા’ નદી પસાર કરી ‘ગાલા’ કેમ્પ પહોંચ્યા. કહેવાય છે કે જેમ મુંબઈની ફેશનનો ભરોસો નથી તેમ હિમાલયના હવામાનનો ભરોસો નથી. અહીં રસ્તામાં વરસાદ તો નડવાનો જ. પણ અમારે નસીબે રાત્રે ધોધમાર વરસાદ પડે અને દિવસે બંધ રહેતો જેથી અમને અમારી આ આગળ વધતી યાત્રામાં બાધા ન આવતી.
વધુ આવતા અંકે…………..
ૐ નમઃ શિવાય
3 comments November 3, 2007

