Archive for January 15th, 2008
મકર સંક્રાંતિ
આજે પોષ સુદ સાતમ
આજનો સુવિચાર:- મૌન અને હાસ્ય એ બન્ને જીવનનાં મજબૂત શસ્ત્ર છે.
મૌનથી જીવનનાં ઘણી સમસ્યા ટાળી શકાય છે. જ્યારે…
હાસ્યથી જીવનની ઘણી સમસ્યા ઉકેલી શકાય છે.
આજની હેલ્થ ટીપ:- સૂંઠના પાઉડરને છાશમાં મેળવી બબ્બે કલાકે લેવાથી અતિસાર [ઝાડા] મટે છે.
મકર સંક્રાંતિ [ઉત્તરાયણ]
સામાન્ય રીતે મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણ 14મી જાનુઆરીએ આવે છે પણ આ વખતે તા. 14મીની મધરાત્રી પછી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતો હોવાથી મકર સંક્રાંતિ તા. 15મી જાન્યુઆરીએ ગણાશે.
તો આ વખતે ઉત્તરાયણ 15મી જાન્યુઆરીએ શા માટે આવે છે તે જોઈએ.
આપણે વર્ષોથી 14મી જાન્યુઆરીએ મનાવતા આવ્યાં છીએ એટલે 15મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિ આવે છે એ સાંભળતા અજુગતુ લાગે છે. આજની પેઢી અને ગઈકાલની પેઢીને આ પ્રથમવાર સાંભળે છે. સૂર્ય જ્યારે ઉત્તરાયણ કરે ત્યારે તેની શક્તિ અને ગરમીમાં વધારો થાય છે. જેની અસર પૂરી દુનિયા પર પડે છે. સૂર્ય એક વર્ષમાં 12 રાશિમાંથી પસાર થાય છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય ત્યારે તેને સંક્રાંતિ કહેવાય છે. જ્યારે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે મકરસંક્રાંતિ કહેવાય છે.
હવે એનું ભૌગોકિલ કારણ જાણીયે. સૂર્ય દક્ષિણની જગ્યા ઉત્તર તરફ ગતિ કરે છે. સૂર્ય 72 વર્ષમાં એક અંશ આગળ વધે છે. આજ પછી 2080ની સાલ સુધી 15મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ મનાવાશે. હિંદુઓનાં દરેક તહેવાર ચંદ્ર રાશિ પ્રમાણે મનાવવામાં આવે છે. ફક્ત મકરસંક્રાંતિ સૂર્ય રાશિ પ્રમાણે મનાવવામાં આવે છે. નોંધવા જેવી વાત એ છે કે ઈ.સ. 280માં 21મી ડિસેંબરના રોજ મકરસંક્રાંતિ મનાવવામાં આવી હતી.
દુનિયાનાં લગભગ દરેક દેશમાં મકર સંક્રાંતિની ઉજવણી પતંગ ઉડાડીને થાય છે. પતંગની શરૂઆત ઈ.સ. પૂર્વની ત્રીજી સદીમાં ચીનમાં થઈ હતી. ત્યારબાદ વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં આગવી પતંગ સંસ્કૃતિનો જન્મ લીધો.
આજના જમાના પ્રમાણે પતંગ આપણને સરસ વાત સમજાવે છે. પતંગ એને કહેવાય કે જે પાંચને હેરાન કરે. આ પાંચ તે
1] વાલીઓ 2] વાહનચાલક 3] પોલીસ 4] ડૉક્ટર 5] સરકાર.
બીજી વાત લોકૌક્તિ પ્રમાણે પતંગ પાંચને ખૂશ કરે છે.
1] બાળકો 2] યુવાનો 3] તોફાનીઓ 4] પતંગના વેપારીઓને 5] પતંગની દોરી તૈયાર કરનારાને
છે ને મઝાની વાત ! ! ! ! !!!!!!
આપ સૌને મકર સંક્રાંતિની શુભેચ્છાઓ
ૐ નમઃ શિવાય
5 comments January 15, 2008

