આજે મહા સુદ પૂનમ
આજનો સુવિચાર:- આળસનો એકમાત્ર ઈલાજ છે, કામ કરવાનું શરૂ કરી દો.
હેલ્થ ટીપ્સ:- મેકઅપથી પડેલા ચહેરા પરના ધાબા દૂર કરવા સંતરાની છાલના ભૂક્કામાં બદામ અને દૂધ ભેળવી પેસ્ટ બનાવી ધાબા પર નિયમિત લગાડો.
| View Show | Create Your Own
તવૈશ્ચર્ય યત્નાદ્યદુપરિ વિરંચિર્હરિરધઃ
પરિચ્છેતું યાતાવનલવનમલસ્કંધ વપુષ:
તતો ભક્તિશ્રદ્ધાભરગુરુગૃણદભ્યાં ગિરિશ યત
સ્વયં તસ્થે તાભ્યાં તવ કિમનુવૃત્તિર્ન ફલતિ
- મહિમ્નસ્તોત્ર, 10
હે પ્રભુ! તમારું અનંત સ્વરૂપ તમે બતાવો તો જ જાણી શકાય. તે સાધનસાધ્ય નહિ પણ કૃપાસાધ્ય છે. પરમાત્મા પોતે પોતાનાં દર્શન દે તો દર્શન થાય, કોઈ વૈજ્ઞાનિક પ્રયોગનું એ નિશ્ચિત પરિણામ નથી. તો આવું અનંત શિવસ્વરૂપ થયું. —- સ્વામી સચ્ચિદાનંદ
અમને આ લિપુલેખ ઘાટ પર સૂચના આપવામાં આવી હતી કે આ પહાડી સ્નોફોલમાં કદી પણ આરામ કરવા બેસવું નહીં. હાથ પગ હલાવતા રહેવું. કદી પણ આરામ કરવા ક્યાં બેસવું નહીં, નહીં તો શરીર અકડાઈ જશે. આ વાત પરથી મને એક સત્ય ઘટના યાદ આવી. 1983માં અવી જ રીતે એક ગ્રુપને સ્નોફોલ નડ્યો હતો. એમાં એક ભાઈ અને ગ્રુપનાં બીજા એક બહેન ઘાટ પર કોફી પીવા બેઠાં અને ત્યાં સ્નોફોલ ચાલુ થયો અને ગ્રુપનાં બીજા મેમ્બરો આગળ વધી ગયાં હતાં. આ બંન્નેને થયું કે કોફી પીશું તો થોડો ગરમાવો આવશે અને આગળ વધી જઈશું. પણ કુદરતનો કોપ આ બન્ને પર ઉતર્યો. અને કોફી પીવાની અદામાં જ ત્યાંને ત્યાં જ ઠરી ગયાં અને શિવલોક પામ્યાં. જ્યારે જ્યારે આ વાત તેમનાં ગ્રુપવાળા કરે છે ત્યારે તેઓની આંખ સમક્ષ એમનું ચિત્ર ઊભુ થઈ જાય છે અને અશ્રુ વહી જાય છે.
1લી જુલાઈ 1996 :- બારમો દિવસ
આજે તકલાકોટમાં ફરજિયાત રોકાણ હતું. બેંકમાંથી અમેરિકન ડૉલરનાં ‘હ્યુઆન’ [ચીની ચલણ]માં વટાવવાનાં હતાં. એનો ભાવ એક હ્યુઆન બરાબર 4 રુપિયા હતો. [હવે 6 રુપિયા થઈ ગયો છે.] માનસરોવરની પરિક્રમા માટે અને કૈલાસની પરિક્રમા માટે યાક અને ઘોડા અહીંથી નક્કી કરવાનાં હતા અને તે પ્રમાણે તેમને હ્યુઆન પણ આજે જ ચૂકવવાનાં હતાં. 150 હ્યુઆન વ્યક્તિ દીઠનો એમનો ભાવ હોય છે. [જોકે હવે માનસરોવરની પરિક્રમા બસમાં કે લેંડક્રુઝરમાં થાય છે.] એટલે યાત્રીઓએ જરૂરીયાત પ્રમાણે ડૉલરને હ્યુઆનમાં બદલાવ્યા.
અહીં દરેક 6 વ્યક્તિ દીઠ એક રૂમ ફાળવવામાં આવ્યો હતો. ન્હાવા માટે બાથરૂમ તો હતાં પણ પાણીને તંગી હોવાથી ઉપયોગ વગરનાં પડી રહ્યાં હતાં. ટોયલેટ તો જુના જમાના પ્રમાણે ખાડાવાળા, વગર સાફ કરેલાં અને દરવાજા વગરનાં હતાં. એટલે જ્યારે કુદરતી હાજતે જો જવું હોય તો કાગળનાં વાઈપ્સમાં સેંટ નાખીને નાકે દબાવવું પડે. અને ગાયન ગાવા પડે એટલે હાજરીની જાણકારી રહે. [જોકે હવે તો ઘણો સુધારો થયો છે. ચાઈનીસ સરકારે બાથરૂમ સંડાસની સારી સગવડ કરી છે]. જ્યારે કોઈ હાથમાં નાનકડું ટબ ઉપાડીને દોડે ત્યારે ખબર પડી જાય કે ઉટાવળ થઈ ગઈ છે.!!!!! [આપણા ગામડામાં લોટા લઈને જતાં અને અહીં ટબ]
ખાવા માટે કે નાસ્તા માટે શાળામાં વાગતા ઘંટની જેમ થાળીનાં ઘંટા વગાડીને બોલાવવામાં આવતા. છે ને નવો અનુભવ!!!!!
આ દિવસે ગ્રુપનાં બે ‘પેટા બેચ’ પાડવામાં આવે છે. પહેલો બેચ [એ બેચ] જે પ્રથમ કૈલાસની પરિક્રમા માટે રવાના થાય છે. જ્યારે બીજો બેચ [બી બેચ] પ્રથમ માનસરોવરની પરિક્રમા માટે રવાના થાય છે. પરિક્રમા દરમિયાન દરેક બેચના યાત્રીઓએ પોતાની જાતે ગ્રુપ માટે રાંધીને ખવડાવવાનું હોય છે [હવે રસોઈયો આપવામાં આવે છે] એટલે ફાસ્ટફૂડનાં પેકેટ્સનો બંદોબસ્ત દિલ્હીથી જ કરવો પડે છે. એનાં પન બે ભાગ કરી બંને બેચ વચ્ચે વહેંચી દેવામાં આવે છે. આ ફાસ્ટફૂડનાં પેકેટસનો દરેકને ભાગે 250 રુપિયાનો આવ્યો હતો.. આ ઉપરાંત અમે તકલાકોટથી અમે ‘કોકોકોલા અને જાંગલી બાઉ [મધ અને સંતરાનું મિશ્રણ]નાં ટીન લીધાં.
પ્રથમ બેચનાં લિડર [L.O.] શ્રી કાર્તિયન સાહેબ હતા અને બી ગ્રુપના બચુભાઈ પ્રજાપતિ હતાં. રાતના બીજા દિવસની તૈયારી કરવાની હતી. એટલે નિદ્રાધીન થયાં.
2જી જુલાઈ 1996 તેરમો દિવસ :-
આમ એક દિવસનાં આરામ બાદ અમે [બન્ને બેચ] તકલાકોટથી સવારે 6 વાગે માનસરોવર જવા રવાના થયાં ‘કૈલાસપતિ કે જય’ના નારા સાથે દરેક જણ માનસરોવરને નીરખવા ઉત્સુક હતાં. 61 કિ.મી.ની દૂર આવેલા ‘ગુર્લામાંધાતા’ની હારમાળા શરુ થાય છે. પૌરાણિક કથા મુજબ ‘માંધાતા’ નામના અતિ પરાક્રમી રાજાએ શિવજીની ટક્કર લીધી હતી અને હારી જવાથી તેમણે આશીર્વાદ રૂપે તેમણે નત મસ્તકે કૈલાસની સમક્ષ રહેવાનું પસંદ કર્યું હતું તેથી ‘ગુર્લામાંધાતા’ પર્વત હંમેશા કૈલાસની સમક્ષ નતમસ્તકે ઊભો છે અને હંમેશા બરફથી છવાયેલો રહે છે.
પુષ્કળ ઠંડી અને પવન સાથે અમારી યાત્રા શરુ થઈ. દૂરથી વિશાળ નીલરંગી જળરાશિ નજર પડે છે. 120કિ.મી. પરિઘ અને 200 કિ.મી. જેટલું ક્ષેત્રફળ ધરાવતા આ સરોવરને લોકો ‘માનસરોવર. સમજી બેસે છે છે પરંતુ એ ‘માનસરોવર નહીં પણ ‘રાક્ષસતાલ’ અથવા ‘રાવણતાલ’ છે. માનસની પશ્ચિમે આવેલું છે. રાક્ષસતાલને તિબેટીભાષામાં ‘લંગત્સો’ કહે છે. રાક્ષસતાલની વચ્ચે ‘લાચાતો’ અને ‘દોપ્સેરમા’ નામના બે મોટા દ્વિપ આવ્યા છે. ડિસેંબરથી જુન સુધી આ સરોવરનું જળ ઠરી જાય છે. તિબેટી પ્રજા માને છે કે આ જળરાશિમાં અગાઉ રાક્ષસો અજ્ઞાતવાસમાં રહેતા.
પૌરાણિક કથા મુજબ શિવજીને પ્રસન્ન કરવા રાવણે અહીં તપ કર્યું હતું અને અહીં રાવણે તાંડવ નૃત્ય કર્યું હતું. ‘જટાકટા હંસંભ્રમ ભ્રમન્નિલિમ્પ નિર્ઝરી’ જેવા પદોની રચના રાવણે અહીં કરી હતી. રાવણે શિવજી પાસે આત્મલિંગ માંગ્યું આથી આશુતોષે આત્મલિંગ આપી કહ્યું કે જો આ લિંગ ભૂમિ પર મૂકવામાં આવશે તો તે ત્યાં સ્થિર થઈ જશે. લઘુશંકાને કારણે શિવજીનું આ આત્મલિંગ જમીન પર કળથી મૂકાઈ ગયું, જે હાલનું કાશી ગણાય છે.
વાતાવરણ ચોખ્ખું હોય તો કૈલાશનાં પ્રથમ દર્શન અહીંથી થાય છે. અમે સહુ સદભાગી હતાં. અમને પ્રથમ કૈલાશ દર્શન રાક્ષસતાલથી થયાં હતાં. દરેક જણા આનંદ વિભોર થઈને ‘કૈલાસપતિ કી જય હો’નો જયકાર કરવા લાગ્યા. આ ‘રાક્ષસતાલ’નાં જલનું આચમન કોઈ કરતું નથી. કહેવાય છે કે અહીં તાંત્રિકો ઉપાસના કરતાં હોય છે.
કૈલાસનાં પ્રથમ દર્શન ‘નંદી સ્વરૂપે’ થાય છે. તિબેટીયનો આ સ્વરૂપને ‘સ્વસ્તિક’ સ્વરૂપ માને છે. અમારા આનંદનો કોઈ પાર ન રહ્યો. નજર કૈલાસ પરથી હઠતી ન હતી. આખોમાંથી અશ્રુધારા વહેતી હતી. પ્રભુની અસીમ કૃપા અમારી ઉપર વરસી રહી હોય તેનો અનુભવ થવા લાગ્યો. ખસવાનું મન ન થતું પરંતુ આગળ પણ વધવાનું હતું. માનસને કિનારે પહોંચવાનું હતું. અહીંથી 10 કિ.મી.નાં અંતરે ‘માનસરોવર’ આવ્યું છે. રાક્ષસતાલ અને માનસરોવર ‘ગંગા છુ’ નદી દ્વારા જોડાયેલાં છે. [જોકે હવે આ ગંગા છુ નદીનું અસ્તિત્વ નથી રહ્યું, સૂકાઈ ગઈ છે] તિબેટીયન ભાષામાં ‘છુ’ એટલે નદી. માનસને કિનારે આવેલા ‘ઝૈદી’નામના સ્થળે અમે પહોંચ્યા. માનસના પ્રથમ દર્શંને અમારા અંગે અંગને રોમાંચથી પુલકિત કરી દીધું. માનસરોવર પહોંચવાથી જાણે સફળતાની પ્રથમ સીડી ચઢ્યાનો આનંદ અનુભવતાં હતાં
હિંદુધર્માનુસાર માનસરોવર બ્રહ્માના મન-માનસ દ્વારા ઉત્પન્ન કરાયેલું દેવો માટેનું સ્નાનાગૃહ. દેવી ભાગવત અનુસાર માનસરોવર એ મહાશક્તિપીઠ ગણાય છે. કહેવાય છે કે આ ભૂમિ પર સતીને જમણા હાથની હથેળી પડી હતી. બીજી કથાનુસાર પાંડવોનાં એક ચક્રવર્તી પૂર્વજે અહીં યજ્ઞની હવિકુંડ બનાવ્યો હતો. હવિ અપાઈ ગયા પછી એમાં જળ ભરાઈ ગયું હતું તે આ માનસરોવર.
બૌદ્ધધર્મમાં આ સ્થળ ખૂબ પવિત્ર ગણાય છે. જૈન ધર્મગ્રંથો માનસરોવરને ‘પદમહૃદ’ કહે છે. તિબેટના લોકો આ સરોવરને ‘ત્સોમપમ’ કહે છે જેનો અર્થ ‘અજય સર’ થાય છે. અહીંનાં જેટલા કંકર તેટલા શંકર ગણાય છે. આથી જ પરિક્રમા દરમિયાન કૈલાસયાત્રીઓ અહીંના કંકર વીણતા હોય છે.
આ નીલરંગી વિશાળ માનસરોવર સમુદ્રની સપાટીથી 16,200 ફૂટની ઊંચાઈ આવેલો એક માત્ર સરોવર છે. જેનો ઘેરાવો 105 કિ.મી.નો છે અને 100 મી. ઊંડુ છે. અમારા ઘણા યાત્રીઓએ અહીં સ્નાન કર્યું અને અમે અમારા પડાવ ‘હોરે’ તરફ આગળ વધ્યા.
વધુ આવતા અંકે………….
ૐ નમઃ શિવાય