Posts filed under 'કુદરત[પ્રવાસ]'

શું આપે અહીંની મુલાકાત લીધી છે?

                                        આજે કારતક સુદ ત્રીજ

આજનો સુવિચાર:- એકનું પણ ભલું થતું હોય તો તે કાર્ય કરો.

 

                         શું આપે અહીંની મુલાકાત લીધી છે?

 

ઘણીવાર આપણે વિચારતા હોઈએ છીએ કે થોડા સમય માટે ફરવા જવું તો ક્યાં જવું? વ્યસ્ત જીવનમાં જો થોડો સમય મળ્યો હોય તો એવા કયા સ્થળે જવું જ્યાં આરામ સાથે કુદરતને પણ મ્હાલી શકાય.

મુંબઈ નજીક વરસતા વરસાદમાં કે વગર વરસાદે પણ અદભૂત આનંદ આપે એવાં હિલ સ્ટેશનો આવેલાં છે જ્યાં વીક-ઍંડમાં મુલાકાત લઈ શકાય છે. એમાં મુખ્યત્વે માથેરાન, મહાબળેશ્વર, પંચગીની, લોનાવલા-ખંડાલા, ભંડારધારા, ભીમાશંકર, ઈગતપુરીનો સમાવેશ કરી શકાય.

માથેરાન:-

માથેરાનની ટોય ટ્રેન

માથેરાનની ટોય ટ્રેન

 

મુંબઈની નજીકનું એક સૌથી લોકપ્રિય હવાખાવાનું સ્થળ એટલે માથેરાન. પશ્ચિમી ઘાટમાં સમુદ્રની સપાટીથી 2636 ફૂટની ઊંચાઈ પર આવેલા માથેરાનમાં ગાઢ જંગલો આવેલાં છે જે પ્રવાસીઓ માટે વરદાનરૂપ છે. માથેરાનમાં મેલેટ સ્પ્રિંગ ઉપરાંત હાર્ટ પૉઈંટ, બૉમ્બે પોઈંટ તેમજ મંકી પોઈંટ સહેલાણીઓમાં જાણીતા સ્થળો છે. અહીં ફક્ત ઘોડાઓ અને હેંડ પુલ્ડ કાર્ટને જ પ્રવેશ મળે છે અન્ય કોઈ વાહનોને પ્રવેશ નથી. નેરળ માથેરાનનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. માથેરાન અહીંથી ફક્ત 8 કિ.મી. દૂર છે.

મહાબળેશ્વર:-

મહાબળેશ્વરનું સૌંદર્ય

મહાબળેશ્વરનું સૌંદર્ય

 

પશ્ચિમી ઘાટનું સર્વાંગ સુંદર હિલ સ્ટેશન એટલે મહાબળેશ્વર. સમુદ્રની સપાટીથી આશરે 4500 ફૂટની ઊંચાઈ આવેલું આ હિલ સ્ટેશન મુંબઈની દક્ષિણે આવેલું છે. ઈ.સ. 1829માં બ્રિટિશરોએ તેના આરોગ્યપ્રદ વાતવરણ અને ચોખ્ખાઈથી પ્રેરાઈને અહીં હેલ્થ રિસોર્ટ તરીકે રચના તરીકે કરી હતી.

મહાબળેશ્વર આશરે 150 કિ.મી.નો બનેલો સુંદર હરિયાળો ઉચ્ચ પ્રદેશ છે. અહીંનો ઘાટરસ્તો સરળ હોવાથી અહીંનો પ્રવાસ મુશ્કેલ નથી. અહીં તમામ વર્ગને પરવડે એવાં ભાડાંની હોટલો છે. અહીં પહોંચવા સુગમ લક્ઝરી બસ મળી રહે છે.
મહાબળેશ્વરમાં આર્થર પૉઈંટ, બગદાદ પૉઈંટ, ગોલાની પૉઈંટ તથા કર્ણાટક પૉઈંટ જોવા જેવાં સ્થળો છે. અહીંના તમામ પૉઈંટ જોવા માટે બેથી ત્રણ દિવસ પૂરતા છે.

પંચગીની:-

પંચગીનીના ટેબલપૉઈંટથી સૂર્યાસ્તનું નયનરમ્ય દૃશ્ય

પંચગીનીના ટેબલપૉઈંટથી સૂર્યાસ્તનું નયનરમ્ય દૃશ્ય

પંચગીની એટલે ‘પાંચ જમીન’નો બનેલો પ્રદેશ. મહાબળેશ્વરથી ફક્ત 20 કિ.મી. અને મુંબઈથી 268 કિ.મી.ના અંતરે આવેલું પંચગીની સમુદ્રની સપાટીથી આશરે 4400 ફૂટની ઊંચાઈએ આવેલું છે. અહીં કમલગઢ ફૉર્ટ તેમજ ધૂમધામ વૉટર સ્પોર્ટસ જેવા કૉમ્લેક્સ આવેલાં છે જેની મુલાકાત લઈ શકાય છે. અન્ય સ્થળોમાં ટેબલ પૉઈંટ, પારસી પોઈંટ ઈત્યાદિનો સમાવેશ કરી શકાય.

મહ્હબળેશ્વર તથા પંચગીનીની મુલાકાતનો ઉત્તમ સમય મે, જુન મહિનાઓ છે. જોકે વરસાદ મ્હાલવો હોય તો આ સ્થળોની મુલાકાત લેવા જેવી છે.

લોનાવલા-ખંડાલા:-

લોનાવલા-ખંડાલા

લોનાવલા-ખંડાલા

મુંબઈની દક્ષિણ પૂર્વે 102 કિ.મી.નાં અંતરે આવેલા લોનાવલા મોટરના રસ્તે ફક્ત 2 કલાકમા પહોંચી શકાય છે. મુખ્યત્વે વરસાદની મોસમ મ્હાલવા સહેલાણીઓ ઉમટી પડે છે.
લોનાવલામાં બુશી ડૅમ, રેવુડ પાર્ક, ડ્યુક્સ નોઝ અને કાર્લા કેવ્ઝ જોવાલાયક છે. ખંડાલાના બટાટાવડા અને લોનાવલાની ચિકી પ્રખ્યાત છે. લોનાવલા મુંબઈ-પુણે હાઈ-વે પર હોવાથી ટ્રેન દ્વારા પણ પહોંચવાનું સુવિધાજનક છે.

ભંડારધારા:-

ભંડારધારા

ભંડારધારા

મુંબઈથી ઈશાનમાં 180 કિ.મી. દૂર આવેલું ભંડારધારા પરવરા નદીને કાંઠે આવેલું છે. સહ્યાદ્રિ પર્વતમાળાના સૌથી ઊંચી ટેકરી માઉંટ કળસુબાઈ નજીક આવેલું હોવાથી આ સ્થળ ત્રેકિંગ કરવા માટેનું આદર્શ સ્થળ મનાય છે. કુદરતની સુંદરતા મ્હાલવી હોય તો ભંડારધારા ઉત્તમ સ્થળ છે. અહીં આર્થર હિલ, રાંધા ફોલ્સ, અમ્બ્રેલા ફોલ્સ અને અગસ્ત્ય ઋષિ આશ્રમ જોવા જેવા છે. અહીંથી ઈગતપુરી ફક્ત 42 કિ.મી. દૂર છે.

ઈગતપુરી:-

ઈગતપુરી-મુમ્બઈ

ઈગતપુરી-મુમ્બઈ

મુંબઈને ઈશાન ખૂણે આવેલુ ઈગતપુરી હિલ સ્ટેશનની રાણી ગણાય છે. મુંબઈથી 138 કિ.મી. દૂર આવેલું ઈગતપુરી સ્મુદ્રની સપાટીથી 1900 ફૂટની ઊંચાઈ પર છે તેમજ સહ્યાદ્રિપર્વતમાળાથી ઘેરાયેલું છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર, નાના નાના પ્રાકૃતિક ધોધ અને જળરાશિથી ભરપૂર ઈગતપુરી નાનું પન બેનમૂન હવા ખાવાનું સ્થળ છે. મુંબઈથી કસારા ઘાટે ફક્ત 21/2 કલાકમાં પહોંચી શકાય છે.

ભીમાશંકર:-

ભીમાશંકરનું પવિત્ર મંદિર

ભીમાશંકરનું પવિત્ર મંદિર

નાસિક-પુણે હાઈ વેના રસ્તે 128 કિ.મી. દૂર આવેલું સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલું ભીમાશંકર પુરાણ પ્રસિદ્ધ 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે.

પૌરાણિક કથા મુજબ ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કરી અહીં મહાદેવજી વિશ્રામ કર્યો હતો. તે સમયના સૂર્યવંશી રાજા ભીમકની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ મહાદેવે તેમને દર્શન આપ્યા અને ત્યાં ભીમાશંકરના જ્યોતિર્લિંગ રૂપે સ્થિર થયા. આ જ્યોતિર્લિંગ પર બિલીપત્ર ધરાવવામાં નથી આવતા. અન્ય કથા મુજબ કુંભકર્ણના સંસર્ગથી કર્કટી નામની રાક્ષસીને ભીમ નામક પુત્ર થયો. ભીમ મોટો થઈ ભીમાસુર નામક રક્ષસ થયો. ઉગ્ર તપશ્ચર્યા કરી બ્રહ્માજી પાસે લોકવિજયનું વરદાન પ્રાપ્ત કરી ધર્મિક કાર્યોમાં અડચણો ઊભી કરવા લાગ્યો. તેના અત્યાચારો રોકવા શિવશક્તિએ પ્રગટ થઈ ભીસુરનો વધ કરી આ અપવિત્ર ભૂમિને પવિત્ર બનાવી તેથી તેનું નામ ભીમાશંકર પડ્યું.

 

                                            ૐ નમઃ શિવાય

17 comments October 21, 2009

ચાલો મુંબઈની સહેલગાહે

                    આજે ફાગણ વદ ત્રીજ [તિથિ અનુસાર શિવાજી જયંતી]

આજનો સુવિચાર :- આ દુનિયામાં ભૂલ કરનાર ઘણા છે, પરંતુ ભૂલને કબૂલ કરનારા અને ફરીથી ભૂલ ન કરનારા બહુ ઓછા છે.

હેલ્થ ટીપ :- જાંબુનાં પાનને ઉકાળી તેનાં કોગળા કરવાથી ગળાની તકલીફ દૂર થાય છે.

                                   ચાલો મુંબઈની સહેલગાહે

 

   ઉનાળાની વેકૅશનમાં શાંત બીચ પર આરામ કરવાનો કાંતો પર્વતારોહણની અનેરી મઝા છે. આપણા દેશમાં વેકૅશન વીતાવવા વિવિધ વિકલ્પો છે. મુંબઈની આસપાસ જો રહેવું હોય અને બીચ પર આરામ કરવાનો વિચાર આવતો હોય કાં તો પર્વતારોહણની અનેરી મઝા લેવી હોય તો આ વિકલ્પો છે. જેને વિષે ઘણા લોકો જાણતા પણ નથી.

duke-21

લોનાવલામાં ડ્યુક્સ નોઝ:-

11,000 ફૂટની ઊંચાઈ ધરાવતો આ નાગફણી પર્વત છે. પણ આ સ્થળ ‘ડ્યુકસ નોઝ’ તરીકે વધારે જાણીતુ છે. આ પર્વતનો આકાર ડ્યુક ઑફ વેલિંગ્ટનના નાકના આકારને મળતો આવે છે. આ સ્થળ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પરથી નજરે પડે છે. સાહસિકોમાં આ સ્થળ પ્રિય છે. અહીંથી કાર્લાની ટેકરીઓની કુદરતી શોભા દૃશ્યમાન થાય છે. એડ્વેંચર ગ્રુપો રેપ્લિંગ જેવી રમતોનું આયોજન ઉનાળામાં કરે છે.

આ સ્થળે ટ્રેકિંગ કરવાનો ઉત્તમ સમય મે થી સપ્ટેંબર સુધીનો છે. પર્વતની ચોટ પર નાનકડું મંદિર છે. અહીંથી પશ્ચિમ મહારાષ્ટ્રનું સૌથી ઊંચું શિખર કળસુબાઈ પણ દેખાય છે.

rafting_21

દૂરશેત:-

હિમાલય સુધી ગયા વગર વહેતા પાણીમાં રાફ્ટિંગની મઝા લેવી હોય તો આ સ્થળ યોગ્ય છે. લોનાવલાની નજીક ‘કુંડલિકા’ નદીના ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોવાથી રાફ્ટિંગ કરવું શક્ય છે.

મુંબઈ 3 કલાકને અંતરે આવેલા ખપોલી નજીક આ સ્થળ 30 એકરમા આંબાના અને મહુવાના વનની વચ્ચે આવેલું છે. અહીં રોક ક્લાઈમ્બિંગ, રેપલિંગ, ટ્રેકિંગ અને રિવર રાફ્ટિંગ કરી શકાય છે. રાફ્ટિંગ માટે સવારનો સમય ઉત્તમ છે જ્યારે બંધનું ધસમસતુ પાણી છોડવામાં આવે છે.

2130966280080078897xqlvrm_ph1

તકમક ટોક:-

ટ્રેકિંગના રસિક માટે રાયગઢનો કિલ્લો આદર્શ સ્થળ છે જે ત્રણ બાજુથી પર્વતોથી ઘેરાયેલો છે. શિવાજી દ્વારા બંધાયેલો આ કિલ્લો મહારાષ્ટ્રમા જળવાયેલા ઉત્તમ કિલ્લાઓમાંનો એક છે. તકમકટોક આ પર્વતોમાં આવેલું છે. આ સ્થળનું ઐતિહાસિક મહત્વ એ છે કે રાયગઢના આ હિસ્સો શિવાજીના સમયમાં ગુનેગારનો વધ માટે વપરાતો હતો.

બીચ પર ફરવા ઈચ્છા ધરાવતા હો તો તરકારણી, ગણપતિ ફૂલે, મુરૂડ, વિલાઘર જવા જેવા સ્થળો છે.

311999271_568caa36c61
તરકારણી:-

મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામ6 આવેલો આ બીચ નયનરમ્ય બીચમાંનો એક છે. અહીંનો બીચ એટલો સ્વચ્છ છે કે દિવસે દરિયાની સપાટીથી 20 ફૂટની ઊંડાઈ સુધી દરિયાનું તળિયું સ્પષ્ટ જોઈ શકાય છે. ગોવા તરફ જવાના રસ્તે મુંબઈથી 550 કિલોમીટર દૂર આવેલું આ સ્થળ લોકપ્રિય છે.

upoad_211

ગણપતિફૂલે:-

કોંકણના કિનારે આવેલું આ બીચ ગણેશ મંદિરને કારણે પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બની રહ્યું છે. ગાઢ મેગોવાથી છવાયેલા આ વિસ્તારમાં માલ્ગુંડ અને વેષણેશ્વર જેવા ગામ પણ આવેલા છે.

murud-janjira11

મુરૂડ:-

મુંબઈથી 150 કિલોમીટર દૂર આવેલા આ બીચ સુધી પહોંચતા 4 કલાક લાગે છે. અહીંનું મુખ્ય આકર્ષણ અહીંની સફેદ રેતી, ખ્જૂરનાં વૃક્ષો અને સ્વચ્છ વાદળી પાણી છે. અહીંથી વિખ્યાત જંજિરાના કિલ્લાની મુલાકાત પન લઈ શકાય છે. આ કિલ્લો દરિયામાં બાંધવામાં આવેલો છે જે એક સમયે અભેદ્ય ગણાતો હતો.

images711

વિલાઘર:-

માઈલો સુધી સફેદ રેતી છવાયેલો આ બીચ માલવણથી 10 કિલોમીટરનાં અંતરે આવેલો છે. અહીંના દરિયામાં ડોલ્ફિન માછલીઓ જોવા મળે છે. આ સ્વચ્છ બીચ પર દરિયા તરફ જોઈ શકાય તેવા તંબુ પણ છે.

મુંબઈમાં અંબરનાથનું શિવાલય જોવાલાયક છે.

http://shivalay.wordpress.com/2009/03/13/shiv-dham/

                                         ૐ નમઃ શિવાય

9 comments March 13, 2009

મેલબૉર્ન

                                 આજે  કારતક વદ આઠમ

આજનો સુવિચાર:- સાવ ખોટી જગ્યાએ ફસાયા હો તો જીભનો ઉપયોગ બંધ કરી પગનો ઉપયોગ તત્કાળ શરૂ કરો.

હેલ્થ ટીપ્સ:- મસા ઉપર કેરોસીન લગાડવાથી મસા સૂકાઈ જશે.

[મૂળ બાલાસિનોરના વતની, કવિવર રવિન્દ્રનાથ ટાગોરના શિષ્ય સ્વ. પિનાકિનભાઈ ત્રિવેદીના ઊંડી છાપવાળા શ્રી ભગેશભાઈ કડકિયા હાલમાં અમેરિકામાં રહીને પણ ગુજરાતનાં સાહિત્યકારોનાં સંપર્કમાં રહે છે. ભૂદાનની ચળવળમાં તેમણે આગળપડતો ભાગ લીધો હતો. તેમને આ લેખ મોકલી આપવા બદલ મેઘધનુષ તરફથી ખૂબ આભાર.]


| View Show | Create Your Own 

સમય અને અવકાશનાં કાંઈ ગેબી સંગમે આપણે મળ્યા પ્રવાસી પારાવારના,
આપણે તે દેશ કેવા આપણે વિદેશ કેવા, આપણે પ્રવાસી પારાવારનાં હે જી
                                                                                    — બાલમુકુંદ દવે

                                            મેલબૉર્ન

     સન 1770માં યૉર્કશાયરના સાહસિક નાવિક કૅપ્ટન કૂકે Endeavour વહાણમાં, બીજા સાગરિતો સાથે, સીડનીની દક્ષિણે આવેલા Botany Bay પ્રથમ ઉતરાણ કર્યું અને વિશ્વને આ નવા ખંડની જાણ થઈ. આ પ્રદેશ કેપ્ટન કૂકે વિલાયતના રાજા જ્યોર્જ ત્રીજાને, નજરાણા રૂપે ભેટમાં આપી, ‘ન્યુ સાઉથ વેલ્સ’ તરીકે જાહેર કર્યો. વિશ્વનાં પાંચ ખંડોમાનો સૌથી નાનો પણ કુદરતી સૌંદર્યથી ભરપુર એવો ખંડ એટલે ઑસ્ટ્રેલિયા.

      મેલબૉર્ન ઑસ્ટ્રેલિયાનું અદ્યતન સુયોજિત શહેર છે. મોટા અને સ્વચ્છ રસ્તાઓ, આલિશાન ઈમારતો, સુંદર ટ્રામની વ્યવસ્થા, ચર્ચો અને મ્યુઝિયમો, શોપીંગ મૉલ અને પબ્લિક પાર્ક… આ બધાએ શહેરની શાન વધારી છે. મેલબૉન એક સ્ક્વેર સીટી ગણાય છે. એક છેડેથી બીજે છેડે જતાં આડી 7 થી 8 ગલીઓ આવે છે. ક્વીન વિક્ટોરિયા માર્કેટની આજુબાજુ સવારે દસ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી સીનીયર સીટીઝન અને પ્રવાસીઓને ટ્રામમાં વિના મુલ્યે સફર કરવા મળે છે. આ શહેરમાં હૉર્ન વગાડવાની મનાઈ છે પણ એક દિવસ એવો હોય છે કે જ્યારે લોકો મનભરી હૉંકિંક કરે છે અને તે દિવસ એટલે 31મી ડિસેમ્બર અને આ રીતે લોકો નવાવર્ષને આવકારે છે.

     અહીંની પબ્લિક ઈમારતો, ક્વીન વિક્ટોરિયા માર્કેટ, કૉલીંસ સ્ટ્રીટ, પાર્લામેંટ હાઉસ વગેરે ભવ્ય છે. સેંટ પૉલ ફેયેડલની સામે હરિયાળો પાર્ક અને તેની વચમાં આ ભવ્ય ચર્ચ, જે લોકોની આસ્થાનું સ્થળ ગણાય છે. મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉંડ તો જગ વિખ્યાત છે. અહીં પ્રવેશતાં જ વિશ્વવિખ્યાત બ્રેડમેનની યાદ તાજી થઈ જાય. અંદાજે અહીં લાખ પ્ર્ક્ષકોને સમાવતું આ વિશાળ સ્ટેડિયમ, સુંદર બેઠકોની વ્યવસ્થા, ગ્રાઉંડની ઉત્તમ મરામત, ક્રિકેટની પીચને ક્રેનથી ઉપાડી શકાય એવી કરામત તથા ક્રિકેટની રમતનો પૂરો ઈતિહાસ રજૂ કરતું મ્યુઝિયમ અદભૂત છે. 55 મજલાની observatory ની ઈમારતની અટારીથી મેલબૉર્ન શહેરની ભવ્યતા નિહાળવા મળે છે.

        મેલબૉર્ન એના ‘પેંગ્વીન શો’ માટે મશહૂર છે. ફિલિપ્સ આઈલેંડ પર આવેલા દરિયા કિનારે સાંજના રેતીમાં કે બાંકડા પર ગોઠવાવું પડે છે. અંધારું થતાં દરિયાની મોટી લહેરો સાથે આ પેંવિંગ પોતાના પરિવાર તેમજ મિત્રો સહિત પોતાના બખોલરૂપી નાનકડા ઘરમાં પાછા ફરે છે. અને આ પાછા ફરવાની ક્રિયા ‘પેંગ્વિન પરેડ શો’ રૂપે માની જાય છે. આ નાના મોટા જળચર પ્રાણીઓને જમીન પર ચાલતાં જોવાની ખૂબ મઝા આવે છે.

      દરિયાને સમાંતરે, પહાડોમાંથી ચઢ ઉતર કરતા વળાંકવાળા રસ્તા પરથી પસાર થતાં ‘બે ઑફ ગિલોંગ્સ’ પહોંચાય છે. આ પણ મૅલબૉર્નનું જોવાલાયક સ્થળ છે. ચોમેર કુદરતનો ખજાનો પૂરબહાર જોવા મળે છે. કોઈપણ પ્રવાસી સવારથી બસમાં આવી સફર સાથે નિસર્ગનો આનંદ મેળવી શકે છે. બસમાંથી પસાર થતાં ‘વેસ્ટગેટ બ્રિજ’ પરથી પસાર થવાનું હોય છે જે 1968માંબંધાયો હતો પણ કોઈ કારણોસર એ બે જ વર્ષમાં જમીનદોસ્ત થયો.. ત્યારબાદ 1978માં 3 કિ.મી. લાંબો બ્રીજ ફરીથી બંધાયો.

       ‘એપોલો બે બીચ’ મેલબૉર્નનો ખૂબ જાણીતો દરિયાકિનારો છે. પ્રશાંત મહાસાગરને કિનારે આવેલા આ બીચની રેતી સફેદ છે. મહાસાગરમાં ઊડતાં શ્વેત પંખીઓ જોવાનો આનંદ આવે છે. મુખ્ય રસ્તાની બાજુએ લાકડના કોતરકામની અનેક કૃતિઓ તેમ શિલ્પો જોવા મળે છે. અહીં અવારનવાર હાટ ભરાતા હોય છે જેથી આજુબાજુના નાના ગામડામાંથી લોકો પોતાની જરુરીઆતની વસ્તુઓ લઈ શકે છે. આગળ જતાં શીપ રેકિંગનો દરિયા કિનારો આવે છે જ્યાં જૂના વહાણો તેમજ સ્ટીમરોનું લીલામ થાય છે અને તેને તોડી અંદરના વૈભવી સામાનનું વેંચાન થાય છે.

        Twelve Apostles નામના સ્થળે દરિયા કિનારા પહાડો આવ્યાં છે આ પહાડો ભારે પવન, વાછંટ,મહાસાગરનાં ઊંચા ઊંચા મોજા સૉલ્ટની અસર હેઠળ વર્ષો જતાં ખંડિત થયા છે. આવા બાર શિલાખંડો છે. તેની વિશિષ્ટતા એ છે કે આમાના6 એક શિલાખંદમાં કુદરતી બાંકોરું પડ્યું છે જેમાંથી નાનકડું હોડકું પસાર થઈ શી છે. આ જોવા લોકો અહીં જમા થાય છે. અહીંનો દરિયો અવારનવાર રંગ બદલતો દેખાય છે.

આગળ જતાં ‘ઑટાવા નેશનલ પાર્ક” આવેલો છે જેમાં Science નુ મ્યુઝિયમ જોવા મળે છે.

     આમ તો ઑસ્ટ્રેલિયાનો વિસ્તાર તો 9,76,787 ચોરસ માઈલની છે પરંતુ અહીંની વસ્તી પાંખી છે. જે વસ્તી છે તે દેશનાં પૂર્વ ભાગમાં વસેલી છે. વચ્સ્લો પ્રદેશ પહાડી તેમજ રણ પ્રદેશ છે. અહીં ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી ઉનાળો બાકીના દિવસો શિયાળો. શરુઆતમાં બ્રિટિશ શાસન હેઠળ હોવાથી અહીંની પ્રજા પર યુરોપિયન કળા અને સંસ્કૃતિની ઊંડી છાપ છે. આમ છતાં અહીંની પ્રજા પોતાની માતૃભાષાના શબ્દો વધારે વાપરે છે. આ દેશ ખેતી પ્રધાન દેશ છે અહીંના ચીઝ બટર વખણાય છે.

                                               ૐ નમઃ શિવાય

2 comments December 1, 2007

બાબુલનાથ

                                  આજે શ્રાવણ વદ એકાદશી

આજનો સુવિચાર:- પર્વો અને તહેવારો માનવસમાજના સામૂહિક હર્ષોલ્લાસનું પ્રતિક છે તથા માનસિક શક્તિ વધારે છે. તહેવારો દ્વારા જ મનોયોગ થાય છે. સમાજના તમામ સ્તરોમાં પર્વ અને તહેવારો આદિકાળથી પ્રવર્તમાન છે.

હેલ્થ ટીપ્સ:- આંબાની ગોટલી અને આમળાને પાણીમાં પલાડી ચોળીને માથામાં લેપ કરવાથી વાળ કાળા અને લાંબા થાય છે.

                                       બાબુલનાથ


| View Show | Create Your Own

             મુંબઈમાં ઘણા મંદિરો છે. તેમાં ‘બાબુલનાથ’નુ મંદિર જગ પ્રખ્યાત છે. મુંબઈ આવતાં સહેલાણીઓ આ મંદિરની મુલાકાત અચૂક લેતાં હોય છે. ફિલ્મી જગતનો પ્રખ્યાત અમિતાભ બચ્ચન તેના પુત્ર અભિષેક સાથે અવારનવાર દર્શનાર્થે આવતો હોય છે.

     તળ મુંબઈનાં મલબાર હિલ વિસ્તારમાં સ્થિત બાબુલનાથનું મંદિર સમુદ્રથી લગભગ 1000 ફૂટની ઊંચાઈ એ આવેલું છે. લગભગ 121 પગથિયા ચઢવાનાં હોય છે. હવે તો લિફ્ટની સગવડ પણ ઊભી કરાઈ છે. દરવર્ષે લગભગ 1 લાખ ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. શ્રાવણ મહિનાના દરેક સોમવારે ખૂબ ભીડ રહેતી હોય છે અને ભક્તોની લાંબી કતાર લાગતી હોય છે. મહાશિવરાત્રીના દિવસે તો ભક્તો રાતભર લાઈનમાં બેસી રહેતા હોય છે. સવારનાં 2.30થી દર્શનાર્થીની કતાર ચાલુ થઈ જાય છે.

     આ મંદિર લગભગ 200 વર્ષ જૂનું છે અને પાંડુરંગ નામના સોનીનું હતું. તેના ગાયોનાં ધણને ‘બાબુલ’ નામનો ભરવાડ ધ્યાન રાખતો હતો. એક વખત કપિલા નામની ગાયે દૂધ આપવું અચાનક બંધ કર્યું. તપાસ કરતાં જણાયું કે કપિલા ગાય પોતાનું બધું દૂધ એક મોટા શિવલિંગ ઊપર વહાવતી હતી. ત્યારબાદ ત્યાં મંદિર બંધાવાયું અને ‘બાબુલ’ ભરવાડનાં નામ પરથી આ મંદિરનું નામ ‘બાબુલનાથ’ આપવામાં આવ્યું હતું. ઈ.સ. 1780માં આ મંદિર બાંધવામાં આવ્યું હતું. અને ઈ.સ. 1900માં તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.

       અહીં ભગવાન આશુતોષનાં દર્શન કરવાથી તેમજ આરતીનાં ઘંટારવ મનને શાંતી અર્પે છે. આ ‘આશુતોષ’ એટલે જલ્દીથી પ્રસન્ન થનાર અને ખરેખર ભોલાનાથ જલ્દીથી પ્રસન્ન થાય છે. અહીં શ્રાવણ માસે ઘીની પૂજા કરવામાં આવે છે. એવું નથી કે ફક્ત શ્રાવણ મહિને ભક્તોની ભીડ રહે છે પરંતુ વર્ષના દરેક સોમવારે ભક્તોની ભીડ રહે છે. અને પ્રેમથી ભક્તો ‘બાબુલનાથ ટેકરી વાલેકી જય’નો નાદ કરતા હોય છે. ભક્તો અઠવાડિયા દરમિયાન કોઈ પણ દિવસે દરેક પગથિયે પાન પર ઘીનો દીવો પ્રગટાવી પોતાની માનતા પણ પૂરી કરતાં હોય છે.

            શિવમંદિર ઉપરાંત અહીં લક્ષ્મીનારાયણનું મંદિર, કાશી વિશ્વનાથનું મંદિર, વિરાટ સ્વરૂપ શ્રીકૃષ્ણનું મંદિર તથા શ્રી હનુમાનજીનું મંદિર પણ સ્થિત છે. મંદિરના ચઢાણ પાસે શ્રી દ્વારિકાધીશનું મંદિર આવેલું છે.

મુંબઈ આવો તો જરૂરથી શ્રી બાબુલનાથજીનાં દર્શનાર્થે પધારશો.

“ૐ સાંબ સદાશિવાય નમઃ
  ૐ શિતિકંઠાય નમઃ”

                                             ૐ નમઃ શિવાય

11 comments September 7, 2007

ત્ર્યંબકેશ્વર

                        આજે શ્રાવણ વદ પાંચમ [નાગ પંચમી]

આજનો સુવિચાર:- દરેક વ્યક્તિમાં સારાનરસા ગુણોનું મિશ્રણ હોય છે. જે વ્યક્તિ પોતાના સારા ગુણોનો વધુમાં વધુ ઉપયોગ કરે તો તેનું વ્યક્તિત્વ ખીલી ઊઠે છે. — સ્વામી સચ્ચિદાનંદજી

હેલ્થ ટીપ્સ:-. સુકા રહેતા હોઠ પર દિવસમાં એકવાર કોપરેલ અથવા ઑલિવ ઑઈલનું પાંચ મિનિટ માલિશ કરવાથી ફાયદો થાય છે.

                                ત્ર્યંબકેશ્વર

 

બ્રહ્મામુરારીસુરાર્ચિતલિંગમ,
નિર્મલભાષિત શોભિતલિંગમ

જન્મજદુઃવિનાશકલિંગમ,
તત્પ્રણમામિ સદાશિવલિંગમ

                ભગવાન શિવજી ખરેખર નિરાકાર છે. તેમને પોતાનું કોઈ સ્વરૂપ નથી. છતાં બધાં જ રૂપો તેમનાં છે. શિવનું દરેક રૂપ ‘લિંગ’ છે. સંસ્કૃતમાં લિંગ એટલે નિશાની અથવા ચિન્હ થાય છે. લિંગપુરાણમાં લખ્યું છે કે સર્વશ્રેષ્ઠ ને મૂળભૂત લિંગ જે શબ્દ, સ્પર્શ,રૂપ, રસ, ગંધહીન છે તે પ્રકૃતિ ઓળખાય છે. શિવલિંગ ભગવાન શિવનું પ્રતિક ગણાય છે. શિવજીનું નિરાકાર સ્વરૂપ તેજોમય સ્વરૂપે પ્રાગ્ટ્ય થયું હતું. જ્યારે શિવલિંગ પૃથ્વી પર પડ્યું ત્યારે આસપાસ જ્યોતિનાં કુંડાળા થવા લાગ્યાં તેથી આ લિંગ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાવા લાગ્યા. આવા બાર જ્યોતિર્લિંગો છે.

        મહારાષ્ટ્રમાં ચાર જ્યોતિર્લિંગ આવેલાં છે. મહારાષ્ટ્રમાં આવેલા નાસિકથી 36 કિ.મી. પશ્ચિમે બ્રહ્મગિરિ પર્વતની તળેટીમાં ત્ર્યંબકેશ્વર મહાદેવનું પ્રખ્યાત મંદિર આવેલું છે. અહીં શિવલિંગની જગ્યા પર એક ખાડો છે અને તેની જગ્યાએ ત્રણ નાના નાના લિંગો છે જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશના પ્રતિક રૂપે ગણાય છે. મહેશનાં લિંગમાં તડ છે જેમાંથી સતત જળ વહ્યા કરે છે. એ પાણી ક્યાંથી આવે છે તેની હજી સુધી જાણ નથી થઈ. ત્ર્યંબકનો અર્થ ત્રણ આંખ. આ ત્રણ આંખ સૂર્ય, ચંદ્ર અને અગ્નિની ગણાય છે. એક આંખ પ્રેમની , બીજી આંખ જ્ઞાનની અને ત્રીજી આંખ ન્યાયની છે એવું પણ માનવામાં આવે છે. શિવપુરાણમાં જણાવ્યા મુજબ ત્ર્યંબકેશ્વરનાં દર્શન કરવાથી સર્વકામના સિદ્ધ થાય છે તેમજ મુક્તિ મળે છે.

    પુરાણકાળની કથા મુજબ ગૌતમ ઋષિએ અનાવૃષ્ટિને કારણે તપ કરી વરુણ દેવને રીઝવ્યા. આથી ત્યાં વિશાળ સરોવરનું નિર્માણ થયું અને ત્યાં લોકો આવી વસ્યાં. ઈર્ષાળુ લોકોની ઈર્ષાને કારણે ગૌતમઋષિ પર ગૌહત્યાનો મિથ્યા આક્ષેપ મુકવામાં આવ્યો.. ગૌતમ ઋષિએ તપ કરી શિવજીને પ્રસન્ન કર્યાં. ત્યારથી શિવજી અહીં જ્યોતિર્લિંગ તરીકે બિરાજી ગયા.

       કહેવાય છે કે આ જ્યોતિર્લિંગમાંથી જ્યારે સિંહ જેવી ગર્જના સંભળાય છે ત્યારે કાંઈ અનર્થ થવાના એંધાણ વર્તાય છે. આવે વખતે ભાંગ મિશ્રિત દૂધનો અભિષેક થાય છે. અહીં સ્ત્રીઓને પૂજા કરવાની મનાઈ છે. બૃહસ્પતિ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે અહીં તેમજ ઉજ્જૈનમાં કુંભમેળો ભરાય છે.

                          

                                      ૐ નમઃ શિવાય

4 comments September 1, 2007

મારી અમરનાથજીની યાત્રા

                  આજે જેઠ સુદ દસમ [ગંગા દશમી]

આજનો સુવિચાર:-કોઈની નિંદા તેની હાજરીમાં થાય ત્યારે તેમાં દુર્ગંધ ઓછી હોય છે. કોઈની પ્રશંસા તેની ગેર્હાજરીમાં થાય ત્યારે તેમાં અધિક સુગંધ હોવાનો સંભવ છે.

હેલ્થ ટીપ્સ:- નિલગીરીનાં ટીપાંનો નાસ લેવાથી શરદીથી બંધ થયેલું નાક ખૂલી જશે.

                         શ્રી અમરનાથજીની યાત્રા


| View Show | Create Your Own

      આ વર્ષે તા. 23 જુનથી શ્રી અમરનાથજી યાત્રા ચાલુ થઈ છે. અને હવે છેલા ત્રણ વર્ષથી આ યાત્રાનો સમય બે મહિનાનો કર્યો છે. મેં જ્યારે પ્રથમ 1997માં પ્રથમવાર શ્રી અમરનાથજીની યાત્રા કરી ત્યારે 1 મહિનાની યાત્રા હતી અને છેલ્લે 2001માં ચોથીવાર આ યાત્રા કરી ત્યારે પણ 1 મહિનાની હતી. દરેક વખતે અલગ અલગ અનુભવ થયો હતો.. પ્રથમવાર યાત્રાની પૂર્ણતાને આરે ગયા હતાં ત્યારે આ બર્ફીલું શિવલિંગ ઢળી પડેલું હતું. અને શેષનાગના તળાવમાં શેષનાગની અનુભૂતિ થઈ હતી. 1998માં આ યાત્રાએ બીજી વખતે જવાનું નક્કી કર્યું. અમે ચારેય બેનો સાથે ગઈ હતી. આ વખતની યાત્રા ખૂબ જ પ્રભુની અનુભૂતિ કરાવતી રહી. 14 ફૂટની ઊંચાઈ ધરાવતા આ બર્ફીલા શિવલિંગના દર્શન થયાં. 1999માં અદમ્ય ઈછા હોવાથી ભોલેબાબાની કૃપાથી ફરીથી શ્રી અમરનાથજીની યાત્રાએ ઊપડ્યાં શેષનાગ તો વિના વિઘ્ને પહોંચ્યાં. પરંતુ પુષ્કળ વરસાદને કારણે શેષનાગમાં બે દિવસ રોકાવું પડ્યું હતું. આ વખતે ભોલેબાબાની ઈચ્છા કાંઈ જુદી જ હતી. આ વખતે ફક્ત તેમનાં સ્થાનકનાં જ દર્શન થયાં. એક વાત હતી કે આ વખતે આપણાં દેશનાં જવાનોને ભાવુક્તાથી ભોલેબાબાની પ્રાર્થના કરતાં જોયાં. અમારું મન પણ ગદગદિત થઈ ગયું હતું. પાછા ફરતાં વરસાદ ન નડે તે માટે ગુફાથી ઊતરવાનું ચાલુ કર્યું તે સીધા ચંદનવાડીએ ક્યાંય રોકાયા વિના પહોંચી ગયાં. ત્યારબાદ મિલેનિયમ વર્ષે એટલે કે 2000માં ફરી કૈલાશબાબાનો બોલાવો આવ્યો એટલે કૈલાશ યાત્રાએ નીકળી પડ્યાં. 2001માં પાછી શ્રી અમરનાથજીની યાત્રાએ જવાની ઈચ્છા થઈ અને બર્ફીલે બાબાનો બોલાવો પણ આવી ગયો. આ વખતનો અનુભવ તો કાંઈ અનેરો હતો. અમારો પીઠ્ઠુ [સામાન ઊચકવાવાળો મજૂર] અચાનક માંદો પડી ગયો અને અમને કીધા વગર જ સામાન લઈને પહેલગામ પાછો ઉતરી ગયો અને અમે રાહ જોતા જોતા કોઈ પણ જાતનાં ગરમ કપડાં વગર પહેરેલે કપડે બર્ફીલેબાબાનાં દર્શને ઉપડી ગયા. ભોલેબાબાની કૃપાથી રસ્તામાં અમને વરસાદ ન નડ્યો તેમ જ ઠંડી પણ સહન થઈ શકે એવી હતી. પરંતુ આ વખતે 8 ફૂટનાં બર્ફીલેબાબાનાં દર્શન થયાં હતાં. આમ દર વર્ષે નિરાળા અનુભવ સાથે ભોલેબાબાનાં દર્શનનો લ્હાવો મેળવ્યો હતો.

યા તે રૂદ્ર શિવા તનુરઘોરાપાપકાશિની |
તયા નસ્તનુવા શન્તમયા ગિરિશન્તાભિચાકશીહિ ||

(શ્વેતાશ્વર ઉપનિષદ, 3-5)

‘હે મહાદેવ ! આપનું જે ભયાનકતાથી મુક્ત તથા પુણ્યકર્મોથી પ્રકાશમાન કલ્યાણ કરનારું જે સ્વરૂપ છે – કે જેના દર્શન કરવા માત્રથી પરમ આનંદની પ્રાપ્તિથાય છે – હે ગિરિશન્ત ! અર્થાત પર્વતપર નિવાસ કરનારા અને સમસ્ત લોકોને સુખ પહોંચાડનારા પરમેશ્વર, એ પરમ શાંત મૂર્તિ સ્વરૂપથી જ કૃપા કરીને આપ અમારી તરફ જુઓ. આપની કૃપા દષ્ટિ પડતાં જ અમે નખશિખ પવિત્ર બનીને આપની પ્રાપ્તિને યોગ્ય બની જઈશું’. ઈ.સ. 1997ની એ રાતે હૃદયમાં આવા કેટલાક આર્ત પોકારો પ્રાર્થનાના સ્વરૂપે ઊઠી રહ્યા હતા, અને કેમ ન હોય ! બીજે દિવસે કૈલાસપતિ મહાદેવના એક નવા નિવાસ સ્થાને એટલે કે બર્ફિલા બાબા અમરનાથને મળવા જવાનું હતું. ભોલેબાબાની કરૂણા કહો તો કરૂણા અને કૃપા કહો તો કૃપા, પરંતુ એ 1997ની સાલથી આજ સુધીમાં ચાર વખત અમરનાથ યાત્રાનો લહાવો મળ્યો અને સાથે સાથે સતત કૈલાસ-માનસરોવર યાત્રા તો ચાલુ જ રહી ! હવે તો મિત્રો વરસની શરૂઆત થાયને તરત પૂછવા લાગે છે, ‘આ વર્ષે કયાં ? કૈલાસ કે અમરનાથ ?’ ત્યારે હું હસી પડું છું અને કહું છું, ‘જ્યાં ભોલેબાબા બોલાવે ત્યાં.

     મારી દષ્ટિએ કૈલાસ-માનસરોવર અને અમરનાથ યાત્રા એમ બંનેમાં સ્વસ્થ તન અને મનની જરૂરિયાત તો છે જ પણ અમરનાથયાત્રા પ્રમાણમાં સરળ એટલા માટે છે કારણકે તેમાં કૈલાસ-માનસરોવર યાત્રા જેટલો મોટો ખર્ચ નથી તેમજ પાસપોર્ટ કે વીઝાની કોઈ ઝંઝટ નથી. કોઈ પણ ઉંમરના વ્યક્તિ આ યાત્રામાં જોડાઈ શકે છે. વળી, માર્ગમાં અનેક ભંડારાઓ હોવાથી ખાવા-પીવાની જરાય તકલીફ નથી પડતી. દરેક યાત્રિકનું સુંદર ભાવભીનું સ્વાગત થાય છે અને ભાવિકોને આગ્રહ કરીને જમાડે છે. અમરનાથની યાત્રા કરનાર ઈચ્છુક વ્યક્તિએ, બે મહિના પહેલા જમ્મુ ઍન્ડ કશ્મીર
બૅંન્કમાં રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. આ સાથે પાસપોર્ટ-સાઈઝ ના બે ફોટોગ્રાફ્સ તેમજ ફેમિલી ડૉકટરનું ફિટનેસનું સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે. આ વિધિ કર્યા બાદ યાત્રીકોને દર્શનની તારીખ સાથે પાસ આપવામાં આવે છે. અગાઉ આ યાત્રા (1997 થી 2004 સુધી) ગુરુપૂર્ણિમા એટલે કે અષાઢ સુદ પૂનમથી ચાલુ થઈને રક્ષાબંધન-એટલે કે શ્રાવણ સુદ પૂનમના દિવસે પૂર્ણ થતી હતી, પરંતુ હવે ભારત સરકારે આ યાત્રાની મુદત વધારીને બે મહિનાની કરી છે – એટલે કે જેઠ સુદ પૂનમથી ચાલુ થઈને રક્ષાબંધનનાં દિવસે પૂર્ણ થાય છે.

અમરનાથજીની ગુફા સુધી પહોંચવાનાં બે માર્ગ છે. એક માર્ગ જમ્મુથી પહેલગામ, ચંદનવાડી, શેષનાગ, પંચતરણી થઈને શ્રી અમરનાથજીની ગુફા સુધી જાય છે અને બીજા માર્ગે શ્રીનગરથી સોનમર્ગ થઈ બાલતાલને રસ્તે શ્રી અમરનાથજીની ગુફા સુધી પહોંચી શકાય છે.

     જમ્મુથી ઉધમપુર, પટ્ટની ટોપ, રામવન અને નહેરુ ટનલ થઈને પહેલગામ સુધી પહોંચતો આ રસ્તો પર્વતમાળામાંથી પસાર થતો હોવાથી ચોમાસા દરમિયાન અહીં ભેખડો ધસવાનો ભય રહે છે. તેથી આવા સમયે ઘણીવાર યાત્રીઓને રસ્તામાં રોકાઈ જવુ પડતું હોય છે. તો આવા સમય માટે થોડોક નાસ્તો તેમ જ પાણીનો બંદોબસ્ત રાખવો જરૂરી છે. પહેલગામથી ચંદનવાડી સુધી પહોંચવા સરકારી મીની બસની સગવડ હોય છે. ચંદનવાડીથી આ યાત્રાનો શુભારંભ થાય છે.અહીંથી રજિસ્ટર કરેલાં ઘોડાઓ તથા રેજિસ્ટર કરેલા પોર્ટરો મળી રહે છે. રજિસ્ટર કરેલાં જ પોર્ટરો અને ઘોડા પસંદ કરવા જેથી સામાન ચોરાવાનો ભય ન રહે. આ પહાડનાં રસ્તાઓ હોવાથી અહીંના હવામાનનો ભરોસો ન રખાય. ગમે ત્યારે વરસાદ કે હિમવર્ષા થાય તેથી રેઈનકોટ, સ્વેટર, ગરમ કાન ટોપી અને હાથના મોજા પ્રવાસમાં સાથે રાખવા જરૂરી છે.

         ચંદનવાડીથી યાત્રાનો આરંભ કરી પીસ્સુ ટોપનું 3 કિ. મી. ચઢાણ ચઢવાનું છે. આ થોડુંક કપરૂં ચઢાણ છે પરંતુ ‘અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી’ એ ન્યાયે બહુ વાંધો નથી આવતો. ડોલી કે ઘોડા પર આરામથી જઈ શકાય છે. પીસ્સુટોપ પસાર કરીને ‘શેષનાગ સુધી પહોંચવાનું હોય છે. આ રસ્તો સરળ છે. શેષનાગમાં એક મોટું તળાવ છે. જે હંમેશા લીલુંછમ્મ રહે છે. તેની નજીક જઈ શકાતું નથી. લોકવાયકા મુજબ આ તળાવમાં શેષનાગનો વાસ છે. અમારી પ્રથમ વખતની 1997ની આ યાત્રામાં અમે આ તળાવમાં Impression જોયું હતું જે છેલ્લે ૐમાં ફેરવાઈ ને વિખરાઈ ગયું હતું. અહીં વાતાવરણમાં થોડી ઠંડી હોવાથી થોડીક ગુંગળામણ કદાચ અનુભવાય પરંતુ કપૂર સાથે રાખી થોડી થોડી વારે સુંઘવાથી અકળામણ દૂર થાય છે. અહીં રાત્રી રોકાણ કરવું પડે છે. ટેંટની સગવડ હોય છે પરંતુ એનું બુકિંગ પહેલેથી કરાવ્યું હોય તો વધુ સારી સગવડ મળી રહે છે.

        શેષનાગથી ‘મહાગુનુસ’નો ઘાટ પસાર કરી પંજતરણી નદી પસાર કરી ‘પંચતરણી’માં રાત્રી મુકામ કરવાનો છે. આ નદી કિનારાનો મુકામ ખૂબજ સુંદર છે. ચોમેર ઊંચા ઊંચા પહાડોની વચ્ચે વહેતી આ નદીનાં ઘાટ પરનો આ મુકામ આહ્લાદક છે. બીજા દિવસે અહીંથી શ્રી અમરનાથજીની ગુફા તરફનું પ્રયાણ શરૂ થાય છે. શરૂઆતનો રસ્તો થોડોક કઠિન છે પરંતુ આગળનો રસ્તો સરળ છે. રસ્તામાં ‘બમ ભોલે’ ‘જય ભોલે’ નાં નારા કરતા ભાવિકો મળે છે. આમ સામસામા નારાઓનું આદાનપ્રદાન યાત્રીઓ ગુફા તરફ વધતાં જાય છે. અને ત્યાં તો દૂરથી ભોલેબાબાની ગુફાના દિવ્ય દર્શન થાય છે, જેને જોતાં ભાવમગ્ન બની જવાય છે.

         ગુફાની ઉપર પહોંચવા 300 પગથિયાં ચઢવા પડે છે. ભાવિકોની ખૂબજ મોટી કતાર ને કારણે ઉપર સુધી પહોંચતા 3 થી 4 કલાક લાગે છે. વળી, ઘણીવાર તો 6 થી 7 કલાક પણ લાગે છે. ગુફામાં આરસપહાણનાં પથ્થરો પાથરેલાં હોવાથી ત્યાં વધુ સમય ગાળવો મુશ્કેલ છે. આખા વર્ષ દરમિયાન અજાણી જગ્યાથી ટપકતું આ પાણી વિશાળ ‘શિવલીંગ’ રૂપે જમા થાય છે. ઘણી વખત 14 ફૂટ ઊચું લીંગ બને છે. અમે 1998 માં આવા વિશાળ સ્વરૂપે દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. અહીં હિમથી બનેલાં પાર્વતી મૈયા તેમજ ગણેશજી હાજરાહજૂર છે. અહીંથી વહેતી અમરગંગાનું જળ અને ખરતી ભસ્મ લઈ જવાય છે. ચામડાની કોઈપણ વસ્તુ લઈ જવાતી નથી પરંતુ પૂજાપાનો સામાન લઈ જવાય છે. દીવો,ધૂપ, ચૂંદડી,બીલીપત્ર વગેરે લઈ જવાય છે.

            એક દંતકથા મુજબ આ સ્થાને પ્રભુ આશુતોષે મા પાર્વતીને અમરત્વનું જ્ઞાન આપ્યુ હતુ. આ અમરતત્વની કોઈને જાણ ન થાય તેથી પ્રભુ આશુતોષે શેષનાગને ત્યજી દીધો તેમજ ગણેશજીને કોઈ આ સ્થળે પ્રવેશે નહીં તેનું ધ્યાન રાખવા મહાગુનુસ ઘાટ પર ઊભા રાખ્યા હતા. આ મહાગુનુસ એટલે મહાગણપતિ. આટલું રક્ષણ હોવા છતાં આ જગ્યાએ એક કબુતરનું જોડું હાજર હોવાથી એ જોડું અમર થઈ ગયું કહેવાય છે, જે અહીં અચુક જોવા મળે છે. આ ગુફાની શોધ એક મુસલમાન ભરવાડે કરી હતી. શ્રી અમરનાથજીની આવકનો 1/3 ભાગ હજી પણ તે ભરવાડનાં વંશજોને મળે છે. અહીંનાં મોટાભાગનાં ઘોડાવાળા તેમજ પૉર્ટર મુસલમાન છે. પહેલગામનાં મુસલમાનો પણ સિઝનમાં પોતાની દુકાનો ખોલતાં પહેલાં શ્રી અમરનાથજીનાં દર્શન કરતાં હોય છે.

                શ્રી અમરનાથજીની ગુફા સુધી પહોંચવાનો બીજો રસ્તો શ્રીનગરથી સોનમર્ગ થઈને બાલતાલથી જવાય છે. આ રસ્તો અગાઉ મિલીટરીનો હતો પરંતુ હવે આમ જનતા માટે ખુલ્લો કરવામાં આવ્યો છે. આ રસ્તાનું ચઢાણ ઘણું સીધું હોવાથી આ રસ્તો થોડો કઠિન છે. લગભગ 45% કાટખૂણિયા રસ્તાઓ છે. વરસાદ દરમિયાન ઉપરથી ઉતરવાનો રસ્તો થોડો ચીકણો થાય છે તેથી ઉતરવામાં ખૂબજ સાવધાની રાખવી પડે છે. આ રસ્તે યાત્રીઓ એક દિવસમાં આ યાત્રા પૂરી કરે છે. અહીંની વહેતી અમરગંગામાં ભાવુકો સ્નાન કરે છે જેનો લાભ લઈને અમે ધન્યતા અનુભવી છે. આ માર્ગથી જનાર દરેક યાત્રીઓ પાસે રેનકોટ, ગરમ કપડાંમાં સ્વેટર, બુઢિયા ટોપી તેમજ હાથનાં ગરમ મોજા વગેરે હોવા જરૂરી છે. આ ઉપરાંત ગૉગલ્સ અને ટ્રેકિંગ શૂઝ પણ હોવા જરૂરી છે. જે યાત્રીને ચાલીને યાત્રા કરવાની ઈચ્છા હોય તો ત્રીજા પગ સમી લાકડી સાથે રાખવી જરૂરી છે. કપૂર પણ સાથે રાખવું કારણકે તે ઊંચાઈ પર ઑક્સિજનનું કામ આપે છે. પૂજાપાનો સામાન પણ લઈ જઈ શકાય છે. આ યાત્રા માટે આપણી સરકારે રક્ષણનો પૂરો બંદોબસ્ત કર્યો છે. આ ઉપરાંત છેલ્લા બે વર્ષથી શ્રી અમરનાથજીની યાત્રા છ બેઠકવાળા હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હવામાન સારું હોય તો જ આ હેલિકોપ્ટરની વ્યવસ્થા ચાલુ હોય છે.

          આ અમરનાથધામની આવી સુંદર યાત્રા જીવનમાં કદી ન ભૂલાય એવી અવિસ્મર્ણીય અનુભૂતિ બની રહે છે. આ પ્રકારની યાત્રાઓનો લ્હાવો વારંવાર લેવાનું મન થાય છે અને જીવન ધન્ય બની જાય છે. આજે હું જ્યારે આંખ બંધ કરું છું ત્યારે મારી સામે એ પહાડો, એ ગુફા, એ બમ-બમ ભોલેનો નાદ, ખળખળ વહેતી અમરગંગા અને ભોલે બાબાનું એ લિંગ સ્વરૂપ અને ઓમકાર નો એ ધ્વનિ મારા અંતરમાં ગુંજ્યા જ કરે છે…. ગુંજ્યા જ કરે છે…

                   

                      ૐ નમઃ શિવાય

2 comments June 25, 2007

એલિફંટા

               આજે જેઠ સુદ પાંચમ [શિવ-પાર્વતી વિવાહ]

આજનો સુવિચાર:-ભૂત , ભવિષ્ય, વર્તમાન સંપૂર્ણ જ્ઞાનનો આધાર વેદ છે.

હેલ્થ ટીપ્સ:- નખ પરના સફેદ ડાઘ એ કેલ્શિયમની નહીં પણ પ્રોટીનની ખામીની નિશાની છે.

                                   એલિફંટા


| View Show | Create Your Own 

      મુંબઈથી 10 કિ.મી.ના અંતરે અરબી સમુદ્રમાં એક ટાપુ આવ્યો છે. જ્યાં એલિફંટાની ગુફાઓ આવી છે. ત્યાં પહોંચવા મોટરબોટમાં કે લૉંચમાં બેસી જઈ શકાય છે. રાજબંદર પર ઉતર્યા બાદ 2 કિ.મી.ચાલવું પડે છે જોકે હવે મીની ટ્રેનની સગવડ કરવામાં આવી છે. તેમાંથી ઉતરીને લગભગ 120 જેટલાં પગથિયા ચઢી ગુફા સુધી પહોંચાય અછે. ત્યાં અંદર જવા ટિકિટ ખરીદવી પડે છે. અંદર જતાં સરકારી ગાઈડ મળી રહે છે જે ગુફામાંની મૂર્તીઓનો પરિચય આપતા હોય છે તેમજ ગુફાનો ઈતિહાસ જણાવે છે.

        પ્રાચીનમાં આ ધારાપુરી દ્વિપ તરીકે ઓળખાતો હતો. ધારા એટલે કિલ્લાની દિવાલ અને પુરી એટલે નગરી એટલે કિલ્લાબંદીથી સુરક્ષિત નગર. 11મી સદીના એક તામ્રપત્ર પર આ નગરનો ઉલ્લેખ ‘શ્રીપુરી’ના નામે હતો. ખરેખર એ દિવસોમાં આ નગરી ખૂબજ સમૃધ્ધ હોવી જોઈએ.

     ઈ.સ. 1534માં પુર્તગાલી આ રાજબંદરે ઉતર્યા હતાં. તેઓએ ગુફાને બહાર વિરાટ કદના હાથીનું શિલ્પ જોયું તેથી તેઓએ આ સ્થળનું નામ ‘એલિફંટા કેવ્ઝ’ નામ આપ્યું. જોકે પાછળથી આ વિરાટ હાથીનું શિલ્પ મુંબઈ લાવવામાં આવ્યું અને ‘જિજામાતા ઉદ્યાન’ ભાયખાલામાં સ્થાપિત કરવામાં આવ્યુ. અહીં ચાલુક્ય અને ગુપ્ત કાળની કળાનો અદભૂત સમનવય જોવા મળે છે.

    એ દિવસોમાં હિંદુ ધર્મમાં બે સંપ્રદાય મુખ્ય હતા. શૈવ અને વૈષ્ણવ. એલિફંટાની ગુફામાં કડરાયેલી શિવ, પાર્વતી તથા ગણોની પ્રચલિત કથાઓ પરથી એ સાબિત થાય છે કે અહીં શૈવ સંપ્રદાયનો પ્રભાવ હતો.

      અહીં મુખ્ય 4 ગુફાઓ છે. પ્રથમ ગુફાનો વિસ્તાર લગભગ 130 ફૂટનો છે. ગુફામાં દાખલ થતાં જમણી બાજુએ નૃત્ય મુદ્રામાં ‘નટરાજ’ શિવજીની પ્રતિમા દ્રશ્યમાન થાય છે. પરમશાંતિનો અલૌકિક ભાવનો અનુભવ થાય છે.

     ત્યારબાદ શિવમંદિર આવે છે. તેના ચાર દ્વાર છે અને ચારે દ્વાર પર દ્વારપાળની 8 મૂર્તિઓ છે. મૂખ્ય દ્વાર પૂર્વાભિમુખ છે. પૂર્વમાં અલંકારકૃત ઈંદ્રદેવ ઊભાછે. દક્ષિણમાં હાથમાં માનવની ખોપરી લઈ યમરાજા ઊભા છે. પશ્ચિમમાં વરુણદેવ છે અને ઊત્તરમાં કુબેરજી ઊભા છે. દરેક દ્વારપાળ ખૂબ સુંદર રીતે કંડારાયેલા છે. મંદિરના મધ્યભાગમાં શિવલિંગ છે. મહાશિવરાત્રિએ અહીં મેળો ભરાય છે.

        શિવમંદિરના પાછળ પશ્ચિમ ભાગમાં અંધકાસુરનો વધ કરતા શિવજીની મૂર્તિ છે. અહંકાર રૂપી અંધકારનો જ્ઞાનરૂપી તલવારથી વધ કરવામાં આવે છે.

      ત્યારબાદ શિવ-પાર્વતી વિવાહના શિલ્પ જોવા મળે છે. શિવજીનો કલ્યાણકારી ચહેરો સાત્વિકભાવની અનુભૂતિ કરાવે છે. ત્યાં જળકુંડ છે. અહીં શિવમંદિર છે. અહીં ગંગાધર શિવજીની પ્રતિમા જોવા મળે છે. ભાગીરથી ગંગાને શિવજી જટામાં ધારણ કરે છે.

     મહેશ મૂર્તિમાં શિવજી હાજર છે. આ મૂર્તિ ત્રિમૂર્તિ તરીકે પ્રચલ્લિત છે. આ મૂર્તિ ભારતીય કળાની ચરમ સીમાએ છે. મધ્ય ચહેરો અત્યંત શાંત તત્પુરુષનો છે. સુવર્ણ મોતીથી આભૂષિત, માથે અલંકૃત મુકુટથી સુશોભિત મૂર્તી છે. ડાબી બાજુ રુદ્ર સ્વરૂપે શિવજીનું સંહારક સ્વરૂપ પ્રગટ થાય છે. જમણી બાજુએ ઈશ્વરીય ચહેરો પ્રગટ છે. શાંત સર્જન સ્વરૂપે છે.

      અર્ધનારીશ્વરરૂપે શિવ-શક્તિની [શિવ-શિવા] પ્રતિમા જોવા મળે છે. શિવ-શિવાનું મિલન એટલે દિલ અને દેહનું ઐક્ય. સીતા રામનાં કે પછી રાધા કૃષ્ણનાં હૃદયમાં એકતા છે પરંતુ ઉમા મહેશ તો હૃદય અને દેહથી પણ એક થઈ ગયા હોવાથી અર્ધનારીનટેશ્વર બની ગયા.

     શિવ પાર્વતી સોગઠાબાજી રમે છે તેવી મૂર્તીઓ પણ જોવા મળે છે. તેમ રાવણ કૈલાસને ખેંચવાનો પ્રયત્ન કરે છે તેવી પ્રતિમા જોવા મળે છે. મહાયોગી શિવજીની પ્રતિમા જોવા લાયક છે.

            અંતમા એલિફંટાની ગુફાઓ શિવધામ છે.

          મુંબઈમાં ગેટવે ઇંડિયાથી અને ભાઉ ચા ધક્કાથી દર કલાકે લૉંચ દ્વારા એલિફંટા જઈ શકાય છે. ચોમાસાના દિવસો છોડીને દરરોજ જઈ શકાય છે.

                           ૐ નમઃ શિવાય

9 comments June 19, 2007

હિમાલયે તું કેદારમ

                                     આજે અધિક જેઠ વદ આઠમ

આજનો સુવિચાર:- જો શ્રધ્ધા અને આસ્થા હોય તો કોઈ પણ કાર્યની સફળતા માટે ઉંમર આડખીલી રૂપ નથી.

હેલ્થ ટીપ્સ:- ગરમ દિવેલના ચાર ચાર ટીપા નાકમાં નાખવાથી બંધ નાક ખૂલી જશે.

 
| View Show | Create Your Own

                                            કેદારનાથ

    ઉત્તરાંચલની ચારધામની યાત્રા એટલે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રીની યાત્રા. મુંબઈથી આ યાત્રા 19 દિવસમાં થાય છે. મુંબઈથી દિલ્હી અને દિલ્હીથી આગળ બસમાં અથવા તો પ્રાઈવેટ ટેક્સી દ્વારા થઈ શકે છે. બદ્રીનાથ અને ગંગોત્રી સુધી તો ટેક્સી પહોંચી શકે છે. યમનોત્રી અને કેદારનાથ ઊંચાઈએ આવ્યા હોવાથી તે યાત્રા ધોડા પર કાંતો ડોલી પર અથવા પગપાળા કરી શકાય છે. નાના બાળકોને મજબૂત પહાડી જુવાનો કંડીલમાં લઈને ચઢી જાય છે.

        કેદાર શબ્દનો અર્થ જળથી સભર ધરતી થાય છે.

       ગઢવાલ જિલ્લામાં 11,750 ફૂટની ઊંચાઈએ આવેલા કેદારનાથનું એક અનોખું માહત્મ્ય છે. પથ્થરના આ મંદિરને ઈ.સ. 1099માં ભોજરાજાએ બનાવ્યુ6 હતું અને તેનો જિર્ણોદ્ધાર 1800માં અહિલ્યાબાઈ કરાવ્યો હતો.. આ યાત્રા બદ્રીનાથ, કેદારનાથ, પશુપતિનાથની ભેગી થઈને એક થાય છે. પશુપતિનાથ નેપાલમાં આવ્યું છે. પરંતુ કેદારનાથ અને બદ્રીનારાયણની યાત્રા સાથે થઈ શકે છે.
     કેદારનાથનું આ લિંગ શિવલિંગ નથી. પણ ફક્ત ત્રિકોણાકાર ઊંચો ભાગ છે, જે નંદીનો પુષ્ઠભાગ ગણાય છે. આ કેદારનાથની કથા કાંઈ અનોખી છે. શિવજીના આ દિવ્ય જ્યોતિર્લિંગની કથા મહાભારતમાં છે. કૌરવ અને પાંડવોના આ યુદ્ધમાં અનેકની હત્યા થઈ હતી, તેનાં પાપ નિવારણ માટે પાંડવો કાશી ગયા. ત્યાં પાંડવોને ખબર પડી કે ભગવાન શિવજી હિમાલયમાં છે તેથી તેઓ શિવજીનાં દર્શનાર્થે હિમાલય ગયા. પરંતુ શિવજી અંતર્ધ્યાન થઈ ગયા. પાંડવો તેમની શોધમાં ગૌરીકુંડ વિસ્તારમાં પહોંચ્યા. ત્યારે એક નંદીને નકુલ સહદેવે જોયો જેનાં શીંગડા જમીનમાં ખોંસાયેલા હતાં. ભીમે તેને બહાર કાઢવા ગદા પ્રહાર કરી ઘાયલ કર્યો પરંતુ શીગ જમીનમાં ખોસાયેલા હોવાને કારણે નંદી બહાર નાનીકળી શક્યો તેથી ભીમે તેને બળપૂર્વક બહાર કાઢતા તેનું માથું અને ધડ અલગ થઈ ગયા અને માથું નેપાળમાં જઈ પડ્યું અને પૂંઠનો ભાગ કેદારધામમાં પડ્યો.

ત્યારબાદ પ્રભુએ પાંડવોને જ્યોતિરૂપે દર્શન આપ્યાં. ભીમને પોતાના કૃત્યનો ક્ષોભ થતાં તેણે નંદીના પુષ્ઠભાગને ઘીથી મર્દન કરી આપ્યું. આમ આજે પણ ભાવિકો કેદારનાથમાં કેદારનાથજીની પૂજા ઘી ચોળીને કરે છે.

        કહેવાય છે કે કેદારનાથજી દર્શન વગર બદ્રીનાથની યાત્રા અધૂરી ગણાય છે. અને આ યાત્રા સફળ નથી થતી. કેદારનાથ પહોંચવા હૃષીકેશ અને કોટદ્વાર સુધી પહોંચ્યા બાદ ગૌરીકુંડ પહોંચવું પડે છે. ત્યારબાદ 14 કિ.મી.ની યાત્રા પગપાળા કાંતો ઘોડા પર કાંતો ડોલીમાં કરવામાં આવે છે. આમ આ બદ્રીકેદારની યાત્રા સંપૂર્ણ થાય છે.

                                    ૐ નમઃ શિવાય

1 comment June 8, 2007

મુક્તિનાથ

                           આજે વૈશાખ સુદ એકાદશી

આજનો સુવિચાર:-આજે લોકોમાં દુઃખો વધ્યા નથી પરંતુ સહનશક્તિ ઘટી છે.

હેલ્થ ટીપ્સ:- ફુદીનાના તાજા પાનનો એક ચમચો રસ અડધા કપ પાણીમાં ભેળવી પીવાથી પેટની ગરબડ અને ગેસના ભરાવામાં રાહત આપે છે.

                                      મુક્તિનાથ

                              મુક્તિનાથનું મંદિર

         કૈલાસ માનસરોવરની યાત્રા એ શિવપાર્વતીની સર્વોત્તમ યાત્રા ગણાય છે. આ યાત્રા કર્યા પછી માનવીનાં મનમાં કોઈ ઈચ્છા રહેતી નથી. આવી જ એક અનોખી એક બીજી યાત્રા છે. આ યાત્રા અનોખી એટલા માટે કહેવાય છે કારણ તે સ્થળે પહોંચવા કાંતો ફ્લાઈટમાં જવું પડે છે. આ ‘મુક્તિનાથ’ એ ભગવાન વિષ્ણુનું સ્થાનક છે અને ગંડકી નદીનું ઉદભવ સ્થાન કહેવાય છે.

          નેપાલમાં આવેલા 12,300 ફૂટની ઊંચાઈએ મુક્તિનાથ સુધી પહોંચવા પોખરાથી ફ્લાઈટ દ્વારા ‘જોમસમ’ નામના ગામે પહોંચવું પડે છે. ત્યાંથી 5 દિવસનું ટ્રેકિંગ કરવું પડે છે. ત્યાં સુધી પહોંચવા ઘોડા મળી રહે છે. અને હવે તો મોટર બાઈક પર જઈ શકાય છે. ફેબ્રુઆરીથી મે મહિના આ યાત્રા કરવા માટે ઉત્તમ છે. કાઠમંડુથી હેલિકોપ્ટર દ્વારા પણ આ યાત્રા કરી શકાય છે. પોખરાથી પણ હેલિકોપ્ટર દ્વારા અહીં પહોંચી શકાય છે.

        પૌરાણિક કથા મુજબ તુલસી એક પતિવ્રતા સ્ત્રી હતી. શંખચૂડ નામના રાક્ષસ સાથે તેના વિવાહ થયા હતા. અને તુલસીના પાતિવ્રતતાને કારણે શંખચૂડ ખૂબ બળવાન બની ગયો હતો અને તેને કોઈ હરાવી શકતું ન હતું અને તે કાળોકેર વર્તાવતો હતો. તેણે બ્રહ્મા પાસે વરદાન મેળવ્યું હતું કે જ્યાં સુધી તુલસીનું પાવિત્ર્યભંગ ન થાય ત્યાં સુધી એ અણનમ રહેશે. વિષ્ણુ ભગવાને તેનો કાળોકેર અટકાવવા માટે ચાલાકીથી તેનું માનભંગ કર્યુ અને શિવજી દ્વારા શંખચૂડનો વધ થયો.. તુલસીનાં શ્રાપરૂપે વિષ્ણુ ભગવાન કાળા પથ્થર બની ને ગંડકી નદીમાં જઈ પડ્યા. આ ગંડકી નદીમાંથી મળતા પથ્થરો ‘શલિગ્રામ’ તરીકે પૂજાય છે.

                ગૌમુખ જેમાંથી સતત જળધારા વહે છે.

      અહીં લક્ષ્મીવિષ્ણુની મૂર્તી છે. અને તેના પરિસરમાં 108 ગૌમુખ છે અને તેમાંથી અવિરત જળધારા વહી રહી છે. જેની નીચે ઊભા રહી સ્નાન કરી શકાય છે. અહીં મુક્તિનાથ ‘ચુમિંગ ગ્યાત્સા’ એટલે કે ‘સહત્ર ધારા’ તરીકે ઓળખાય છે.

         અમે 2004ની સાલમાં પોખરાથી હેલિકોપ્ટર દ્વારા કરી હતી. હેલિકોપ્ટર દ્વારા અન્નપૂર્ણા ખૂબ સુંદર દેખાય છે. અને એવી અનેક અદભૂત હિમાલય રેંજ જોવા મળે છે. હેલિકોપ્ટર દ્વારા કલાકમાં આ યાત્રા પૂર્ણ થાય છે.

                          આ યાત્રાનું અત્યંત સુંદર સ્થાન છે.

                               ૐ નમઃ શિવાય

2 comments April 28, 2007

‘એકલિંગજી’

         આજે ફાગણ વદ નોમ

આજનો સુવિચાર:- હિંમત એ નથી કે જ્યારે તમારી પાસે આગળ જવા શક્તિ હોય પણ એ છે કે જ્યારે તમારી પાસે શક્તિ ન હોય ને આગળ વધો તે છે. ————— નેપોલીયન બોનાપાટ

 હેલ્થ ટીપ્સ:- બદામ, પિસ્તા, કાજુ અને અખરોટની પેસ્ટમાં થોડું કાચું દૂધ ભેળવી ચહેરા પર હળવેથી મસાજ કરવાથી ચહેરા પરનાં મૃતકોષો દૂર થાય છે. આ પેસ્ટ સારા સ્ક્રબરની ગરજ છે.

 એકલિંગજી મહાપ્રભુ

   આપણાં ભારતમાં અનેક શિવતીર્થો આવેલાં છે. કેટલાંક પ્રસિદ્ધ છે. આવું જ એક પ્રસિદ્ધ શિવતીર્થ એટલે ‘એકલિંગજી મહાપ્રભુ’. જ્યાં અનેક દેવો,ગાંધર્વો, ઋષિઓએ તપશ્ચર્યા કરી છે. એવું આ તીર્થ પવિત્ર અને સ્વયંભુ છે.

    ‘એકલિંગજી મહાપ્રભુ’નું તીર્થસ્થાન ઉદયપુરથી ઉત્તરમાં રાષ્ટ્રીય ઘોરીમાર્ગ 8 ઉપર [National Highway no. 8] 23 કિ.મી. દૂર આવેલ છે. અરવલ્લીની આ સોહામણી પહાડીઓથી ઘેરાયેલું આ તીર્થ અત્યંત રમણીય, મનોહર, ભાવનાત્મક છે. કહેવાય છે કે 1400 હજાર વર્ષો પૂર્વે ‘હારિત’ ઋષિનાં કહેવાથી મેવાડ વંશના રાજાએ આ સ્વયંભૂ લિંગને શોધ્યું હતું. તેના પર પોતાની ગાય દૂધનો અભિષેક કરતી હતી એ વાતની જાન બપ્પા રાવને ખબર પડી. ત્યારબાદ મેવાડના રાજાઓ પોતાને ‘એકલિંગજી દાદા’ના મંત્રીઓ ગણાવે છે. આ ‘એકલિંગજી દાદા’ની કૃપાથી મેવાડ અભેદ્ય અને અજેય રહ્યું.
             સતયુગમાં એકલિંગજી લિંગાકાર હતા ત્યારબાદ મહારાણા ‘રાયમલજી’એ શ્યામ પાષાણથી ચતુર્મુખ શ્રીવિગ્રહની સ્થાપના કરી. દરરોજ લગભગ ચાર પ્રહર આ ચારે મુખની પૂજા આરતી થાય છે. પૂર્વમુખ સૂર્ય, દક્ષિણમુખ રુદ્ર સ્વરૂપ, પશ્ચિમમુખ બ્રહ્માજી અને ઉત્તરમુખ વિષ્ણુ સ્વરૂપે પૂજાય છે. પૂર્વ દ્વાર પર પાર્વતી પરિવાર બિરાજમાન છે. સુંદર સભાગૃહ છે. મંદિરની પાછળનાં ભાગમાં થોડી ઉંચાઈએ અંબાજી, ગણપતિ તથા મહાકાલીનાં મંદિરો આવ્યાં છે. વૈકુંઠ સમા પવિત્ર આ મંદિર 108 મંદિરોથી ઘેરાયેલું છે. આ મંદિરની આસપાસ જોવાલાયક સ્થળો છે. જેવાંકે કાલિકામંદિર, ઐરાવત હાથી, નવનાથોનું મંદિર, તુલસીકુંડ, પાતાલેશ્વર મહાદેવ, તક્ષકકુંડ , અર્બુદામાતાનું મંદિર વગેરે ઘણાં સ્થળો છે.

       અહીં મહાશિવરાત્રીનાં દિવસે મેળો ભરાય છે. આ મેળામાં ભાગ લેવાં અનેક ભક્તજનો આવે છે. અહીં ફાગણ વદ ચૌદશે ભવ્ય પાટોત્સવ ઊજવાય છે. કહેવાય છે કે સતયુગમાં દેવોના રાજા ઈંદ્રએ આ તીર્થમાં તપ કરી બ્રહ્મહત્યાનું નિવારણ કર્યું. દ્વાપરયુગમાં તક્ષક નાગે રાજા જન્મેજયથી બચવા એક લિંગજીનું શરણું લીધું હતું. ત્રેતાયુગમાં કામધેનુની પુત્રી નંદિનીએ વિશ્વામિત્રના ભયથી બચવા તપશ્ચર્યા કરી હતી.

       આ તીર્થની મુલાકાત જરૂર લેજો. ત્યાંથી નાથદ્વારા શ્રીનાથજી જવાય છે.

                                  ૐ નમઃ શિવાય

2 comments March 13, 2007

Previous Posts


શોધખોળ

આભાર

Dr. Chandravadan Mis… on સિંહ ચાલીસા
TAJDIN on વિચારોને મેળે
shivshiva on આસ્વાદ
amit pisavadiya on આસ્વાદ
Dilip Gajjar on આસ્વાદ

તાજેતરમાં લખાયેલુ

મહિનાની નોંધણી

તારીખીયુ

November 2009
M T W T F S S
« Oct    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

ભલે પધાર્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

RSS ગીત ગુંજ

free counters