Posts filed under 'ગાથા[માહિતી]'

ઈલકાબો વિષે થોડું વિશેષ

                                 આજે વૈશાખ સુદ નોમ

આજનો સુવિચાર:- રાજા હો યા રંક, સૌથી સુખી એ છે જે પોતાના ઘરે શાંતિ મેળવે છે.

 

હેલ્થ ટીપ:- તુલસીનાં માંજર પાણીમાં પલાળી એ પાણી પીવાથી શરીરમાં ઠંડક રહેશે.

 

ઈલકાબો વિષે થોડું વિશેષ

 

26મી જાન્યુઆરી આપણા દેશમાં અપાતા ઈલકાબો વિષે થોડું જાણીએ.

 

1] ભારતરત્ન – જે આ વર્ષે કોઈને આપવામાં આવ્યો નથી.

2] પદ્મવિભૂષણ

3] પદ્મભૂષણ

4] પદ્મશ્રી

ઉપરોક્ત [2] [3] [4] ઈલકાબો સંગીતકલા ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે કે કોઈ વિશિષ્ટ ક્ષેત્રે અથવા તો દેશની ઉત્તમ સેવા કરવા બદલ આપવામાં આવે છે.

 

5] અર્જુન એવૉર્ડ – જે રમતગમતના ક્ષેત્રમાં આપવામાં આવે છે.

6] શ્રમરત્ન

7] શ્રમભૂષણ

8] શ્રમવીર

9] શ્રમદેવી

 

ઉપરોક્ત [6] [7] [8] [9] ઈલકાબ ઉદ્યોગક્ષેત્રે આપવામાં આવે છે.

 

આ ઉપરાંત અન્ય ઈલકાબો પણ આપવામાં આવે છે.

10] જમનાલાલ બજાજ એવૉર્ડ – જે સમાજસેવા માટે આપવામાં આવે છે.

11] જ્ઞાનપીઠ એવૉર્ડ – સાહિત્યક્ષેત્રે આપવામાં આવે છે.

12] શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડ – વિજ્ઞાનક્ષેત્રે આપવામાં આવે છે.

13] નેશનલ ફિલ્મ એવૉર્ડ – શ્રેષ્ઠ ચલચિત્ર અથવા શ્રેષ્ઠ દિગ્દર્શક અથવા શ્રેષ્ઠ ઍક્ટર કે ઍક્ટ્રેસ માટે આપવામાં આવે છે.

14] સંચારશ્રી ઍવોર્ડ – દૂર સંદેશા ક્ષેત્રમાં રૂ. 3000/- નું ઈનામ અપાય છે.

                                                                               — સંકલિત

 

                                      ૐ નમઃ શિવાય


6 comments May 13, 2008

રવીન્દ્રનાથ ઠાકુર, સ્વામી ચિન્મયાનંદજી

                            આજે વૈશાખ સુદ ત્રીજ

આજનો સુવિચાર:- આનંદ આપણા ઘરમાં જ હોય છે, તેને અન્યના બગીચામાં અર્થ નથી.

 

હેલ્થ ટીપ:- સૂવાની ભાજી હરસથી પીડાતી વ્યક્તિ તથા અતિસારથી પીડાતી વ્યક્તિ માટે અસરકારક છે.

        આજે કવિવર રવીન્દ્રનાથ ટાગોરનો જન્મદિન છે. 8/5/1861ના દિવસે બંગાળના નાના ગામમાં આપણા રાષ્ટ્રગીતનાં રચૈતા અને પ્રખર રાષ્ટ્રપ્રેમી લોકોત્તર ગાયક કવિ રવીન્દ્રનાથ ઠાકુરનો જન્મ થયો હતો. પિતા ગામના જાગીરદાર હોવાથી રવીન્દ્રનાથનું શિક્ષણ, જીવન અને જગતનાં સર્વ વિષયનુ જ્ઞાન ઘરે બેઠા શિક્ષક દ્વારા પ્રાપ્ત થયું હતું. પ્રકૃતિ અને કવિતા નાનપણથી મળ્યાં હતાં. જીવનનું સર્વાંગી શિક્ષણ આપે તેવી ‘શાંતિ નિકેતન’ નામની સંસ્થાની સ્થાપના કરી. તેમના કાવ્યનું સંગીત રવીન્દ્ર સંગીત તરીકે ઓળખાય છે. તેમના અપૂર્વ કાવ્યસંગ્રહ ‘ગીતાંજલી’ દ્વારા તેમને 1913માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. તેમણે હજાર જેટલાં ગીતો, કાવ્યો તથા અનેક વાર્તાઓ, નવલકથા, નાટકો, નિબંધો પ્રવાસવૃતાંતો, પત્રો લખ્યાં છે.

     સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજી અને રવીન્દ્રનાથ દેશની પ્રજા સાથે રહેલા. જલિયાવાલાં હત્યાકાંડ વખતે તેમણે બ્રિટીશ ઈનકલાબો પાછા વાળેલા. 7/8/1941માં તેમનું અવસાન થયું હતું.

અજિત શેઠ અને નિરૂપમા શેઠ રવીન્દ્રસંગીતના પસિદ્ધ ગાયકો છે. રવીન્દ્રનાથ ટાગોરનું પ્રસિદ્ધ ગીત

‘તારી હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે’

——————————————————————————–

                             

          સ્વામી ચિન્મયાનંદજી

 

                 કેરાળાના એર્નાકુલમનગરમાં 8 મે 1916ના રોજ પથમપલ્લી કુટુંબમા જન્મેલા બાલકૃષ્ણ મેનન એટલે સ્વામી ચિન્મયાનંદજીએ લખનૌ યુનિવર્સિટીમા સ્નાતકની ઉપાધી મેળવીને પત્રકારત્વનું ક્ષેત્ર પસંદ કર્યું હતું પરંતુ સ્વામી શિવાનંદજી નાં સાનિધ્યમાં આવ્યા બાદ તેમના જીવનની રાહ બદલાઈ ગઈ હતી. તેમણે આધ્યાત્મિક જિંદગી સ્વીકારી હતી. તેમણે 40 વર્ષ સુધી પરિભ્રમણ કરીને વિશ્વભરમાં અસંખ્ય સ્થળોએ શાળાઓ, હૉસ્પિટલો, આશ્રમો, આધ્યાત્મિક કેન્દ્રો ખોલ્યા હતા. 1993માં કૅલિફોર્નિયાના સાન ડિયાગોમાં તેમણે મહાસમાધિ લીધી.

 

                                            ૐ નમઃ શિવાય


5 comments May 7, 2008

ડૉ. ગૌતમભાઈ પટેલ સાથે એક મુલાકાત [2]

                             આજે ફાગણ વદ ચોથ [અંગારકી ચોથ]

આજનો સુવિચાર:- કંજૂસો પોતાનું ધન છુપાવે છે, શૂરવીર શક્તિ છુપાવે છે, જ્ઞાની દુઃખ છુપાવે છે, ચતુર વ્યક્તિ પોતાનું નામ છુપાવે છે. – શેખ સાદી

હેલ્થ ટીપ્સ:- અઠવાડિયામાં બે વખત વાળમાં તેલ નાખવાથી વાળ મુલાયમ રહેશે.

                                      ડૉ. ગૌતમ પટેલ:- એક પરિચય

     ડૉ. શ્રી ગૌતમ પટેલ સંસ્કૃત ભાષાના વિદ્વાન અને ભારતીય સંસ્કૃતિના જ્ઞાતા છે. તેઓ દેશ વિદેશમાં વિવિધ વુષયો પર વ્યાખ્યાનો કરે છે. તેમણે હિંદુ ધર્મ, ભારતીય સંસ્કૃતિ, હિન્દુ ધર્મના મહાન ગ્રંથો, વેદ, ઉપનિષદ, ગીતા વગેરે વિષે ઘણાં પુસ્તકો લખ્યાં છે. તેઓ સફળ અને પ્રભાવક વક્તા પણ છે. હાલમાં અમેરિકાના ‘ગુજરાત ટાઈમ્સ’માં તેમણે કરેલી કૈલાસ માનસરોવરની યાત્રા વિષે અનોખું વર્ણન કરે છે. અત્યાર સુધી 15 મણકા પ્રગટ થઈ ચુક્યાં છે.

     આપણા માનવંતા વાચક શ્રી મનવંતભાઈ પટેલ જે અમેરિકામાં રહે છે, તેઓ મને અચૂક આ મણકાઓ મોકલી આપે છે. તેમનો હું મેઘધનુષ તરફથી આભાર માનું છું.

    વાંચકોની માંગને ધ્યાનમાં રાખતા તેમણે બાલાસિનોરમાં કરેલા પ્રવચનની થોડી વધુ વિડીયો ક્લિપ્સ રજુ કરું છું. આશા રાખું છું કે આપ સહુને ગમશે.

                                       ૐ નમઃ શિવાય


1 comment March 25, 2008

ડૉ. ગૌતમભાઈ પટેલ સાથે એક મુલાકાત

                 આજે ફાગણ વદ બીજ

આજનો સુવિચાર:- જીવનનો જીવન તરીકે સ્વીકાર કરો. – શ્રી કૃષ્ણ

હેલ્થ ટીપ્સ:- બાળકોને ઝીણો તાવ કે ખાંસી હોય તો થોડા ગરમ પાણીમાં એક ચમચો મધ ભેળવીને પીવડાવવાથી મટી જશે.

          ડૉ. ગૌતમભાઈ પટેલ સાથેની એક મુલાકાત

     તા.14/3/2008ના રોજ મારે કારણોસર બાલાસિનોર જવાનું થયું હતું. ત્યાં ગયા બાદ ખબર પડી કે ‘બાલાસિનોર વિદ્યામંડળ’ સંચાલિત વ્યાખ્યાનમાળાનો 17મો મણકો રજુ થવાનો હતો અને તેમાં ગુજરાતનાં ‘સંસ્કૃત સહિત્ય ઍકેડમી’ના માજી ચૅરમેન છે અને તેમને ‘પ્રેસિડંટ ઑફ ઈંડિયા’ દ્વારા સંમાનિત કરવામાં આવ્યા છે, એવા વિદ્વાન ડૉ. શ્રી ગૌતમભાઈ પટેલનું વ્યાખ્યાન છે. તેમનો વિષય હતો ‘કૃષ્ણ’ જીવન જીવવાની કળા. હું તો એકદમ આનંદિત થઈ ગઈ કે આવા મહાનુભવને સાંભળવા આટલી સુંદર તક પ્રાપ્ત થઈ. શ્રી મોરારીબાપુ હંમેશા તેમની કથામાં શ્રી ગૌતમભાઈનો ઉલ્લેખ કરતાં હોય છે. મોરારીબાપુનાં શબ્દોમાં ‘મોટા ગજાનાં માનવી’

     શ્રી ગૌતમભાઈએ ડારવીનની જીવસૃષ્ટિની ઉત્પત્તિ વિષેની વાતો અને આપણા વેદોમાં કહેલી ભગવાન શ્રી વિષ્ણુના અવતારો સાથે સરખામણી કરી સમજાવ્યું. અને શ્રી કૃષ્ણ એ પૂર્ણપુરુષોત્તમ છે તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે

• કૃષ્ણ કહે છે કે જીવનને જીવન તરીકે સ્વીકાર કરો..

• કૃષ્ણનાં જીવનમાં ક્યાંય ફરિયાદ નથી જ્યારે આપણું જીવ ફરિયાદથી ભરપૂર છે. છે તેનો સ્વીકાર કરો..

• કૃષ્ણનું જીવન એક ક્રાંતિ છે. તેમણે ગોકુળનાં લોકોના શોષણ વિરુદ્ધ ક્રાંતિ કરી.

• ગોવર્ધન પર્વતનું પૂજન એ ઈંદ્ર વિરુદ્ધ ક્રાંતિ હતી. ‘પ્રત્યક્ષને પૂજતાં શીખો’

• કૃષ્ણે ગૌસેવાનો આદર્શ આપ્યો.. કૃષ્ણની બાળલીલા એ આનંદની પરાકાષ્ઠા છે.

• પાંડવોના અશ્વમેઘ યજ્ઞમાં એંઠી પતરાળી ઉપાદવાનું કામ સ્વીકારી તેમણે એ સાબિત કર્યું કે ‘જીવનમાં જે કામ આવ્યું તે કામ કરવામાં શરમ ન હોવી જોઈએ. જીવનમાં કોઈપણ કામ ખોટું નથી.’

• કૃષ્ણ અને અર્જુન એ મિત્રતાના આદર્શ સમ છે. એ ઉપરાંત કૃષ્ણા[દ્રોપદી] અને કૃષ્ણ પણ મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ છે.

• કૃષ્ણ એટલે પ્રેમ, સત્ય, સ્નેહ. રાધા અને કૃષ્ણનો પ્રેમ કામ રહિત હતો. જ્યાં વિષય કે ભોગનું સ્થાન નથી તે રાધાકૃષ્ણનો પ્રેમ.

• રામ કહે તે ધર્મ જ્યારે કૃષ્ણ કરે ધર્મ.

• સત્ય, સાહસ, સ્નેહ, સેવા, સ્વાર્થનો ત્યાગ એ કૃષ્ણનો સંદેશ છે.

• ગીતામાં કૃષ્ણ કહે છે કે ‘હું તને પ્રેમ કરું છું’ પણ આપણે તો પ્રકાશ તરફ પીઠ માંડીને બેઠાં છીએ. પ્રભુ તો આપણને પ્રતિપલ ચાહે છે પણ આપણને ક્યાં તેની સમજ છે? આપણી પ્રત્યેક ક્ષણ કૃષ્ણને આધીન છે.

• અભયની સાક્ષાત મૂર્તિ એટલે કૃષ્ણ.

અંતમાં શ્રી કૃષ્ણાય નમઃ કહી પૂર્ણવિરામ આપ્યો.

                             ૐ નમઃ શિવાય


7 comments March 23, 2008

લાલા લજપતરાય

                    આજે પોષ વદ છઠ [લાલા લજપતરાય જયંતી]

આજનો સુવિચાર:- સમય સમયનું કામ કરે તે ગાળામાં તમારે તમારું કાર્ય પૂરું કરી લેવું જોઈએ.

હેલ્થ ટીપ્સ:- જાયફળને પાણીમાં ઘસીને, અડધી ચમચીમાં મધમાં ચાટવાથી અતિસાર [ઝાડા] બંધ થાય છે.

                                લાલા લજપતરાય જયંતી

   પંજાબના હાલના મોગા જિલ્લામાં 28મી જાન્યુઆરી 1865ના રોજ મુનશી રાધાકિશન આઝાદ અને ગુલાબદેવીને ત્યાં લજપતરાયનો જન્મ થયો હતો. સ્વામી દયાનંદના વિચારોથી તેઓ ખૂબ પ્રભાવિત હતા તેમજ આર્યસમાજથી સંકળાયેલા હતા. તેમણે વકીલાતની ડિગ્રી મેળવી હતી અને 1892માં તેઓ હાઈકૉર્ટમાં પ્રેક્ટિસ કરવા લાહોર આવ્યા. 1895માં તેમણે અનાથ થયેલા હિન્દુ કુટુંબને સહાય કરવાના હેતુથી પંજાબ નેશનલ બેંકની સ્થાપના કરી. 1905માં તેઓ કૉંગ્રેસના પ્રતિનિધિ તરીકે લંડન ગયા. આઝાદીની લડતમાં સક્રિય ભાગ લેવા લાગ્યા અને વિદેશી માલનો બહિષ્કાર અને સ્વદેશીની ઝુંબેશ શરુ કરવામાં તેમણે ઘણી મદદ કરી. તેમનો પરિચય બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ સાથે થયો. પછી તો આ ત્રિપુટીએ પાછુ વળીને જોયું જ ન હતું. આ ત્રણે વચ્ચે એવી એકતા સધાઈ કે તેમની ત્રિપુટી લાલ, બાલ અને પાલ તરીકે ઓળખાવા લાગી. 1914થી 1920 દરમિયાન તેઓ અમેરિકામાં રહ્યા અને પાછા આવ્યા પછી તેમણે હોમરૂલ-સ્વરાજ્ય માટેનું આંદોલન શરૂ કરાવ્યું. ભારતીય બંધારણમાં અંગ્રેજોએ કરેલા સુધારાના વિરોધમાં સાયમન કમિશનને પાછા ચાલ્યા જવા તે મેદાનમાં આંદોલન શરુ થયું.

                                                    શ્રીફળ

 

        શ્રીફળ એટલે કે નારિયેળ જે આપણને ચારિત્ર્ય-પૂજાની પ્રેરણા આપે છે. બહારની સુંદરતાથી ન શરમાતાં નારિયેળ પોતાના આંતરિકસૌંદર્યથી સમૃદ્ધ છે. બહારથી કઠોર પરંતુ અંદરથી અતિ કોમળ અને મધુર શ્રીફળ મહાપુરુષોની મહાનતાનું પ્રતિક છે. નારિયેળ આપણને ઉત્કૃષ્ટ મનોવૈભવ નાં દર્શન કરાવે છે. વૈભવ એટલે શ્રી. એ દ્રષ્ટિથી નારિયેળને ‘શ્રીફળ’ નામ આપ્યું છે. મંદિરમાં દેવી, દેવતા સામે નારિયેળ ફોડવા પાછળ બલિદાનની ભાવના છે. મનુષ્ય અને પશુનું બલિદાન આપવાવાળા પ્રાચીન માનવને વિશ્વામિત્ર દ્વારા નિર્મિત પ્રતીક-સૃષ્ટિના નર અર્થાત નારિયેળનું સૂચન કર્યું છે. મંદિરમાં નારિયેળને ચઢાવી ઉપરનો અડધો ભાગ મંદિરમાં રાખીને નીચેનો ભાગ અડધો ભાગ પ્રસાદરૂપે લાવવાની પદ્ધતિ છે. આ રીતે ઋષિઓએ માનવને નરહત્યા અને પશુ હત્યામાંથી બચાવી લીધો. આમ માનવને હિંસાથી અહિંસા તરફ આગળ વધવા શ્રીફળે પોતાનું બલિદાન આપ્યું કોઈપણ શુભકાર્યની શરુઆત બલિદાન વગર સફળ થતું નથી.આ વાતની સ્મૃતિરૂપે શુભકાર્યની શરૂઆતમાં શ્રીફળ ચઢાવવાની જરરિયાતનો આપણે સ્વીકાર્ય કર્યો છે.

                                          ૐ નમઃ શિવાય


Add comment January 28, 2008

તુમ મુઝે ખૂન દો મૈં તુમ્હે આઝાદી દૂંગા

                                   આજે પોષ વદ એકમ

આજનો સુવિચાર:- આપણે જો ઈચ્છીએ તો નાની કે મોટી દરેક ભૂલ આપણી શિક્ષક બની શકે છે.

હેલ્થ ટીપ્સ:- કુંવારપાઠુંનો પાક શરીરમાં થતા વાયુ અને સાંધાના દુઃખાવામાં ફાયદો કરે છે.

 

જય હિન્દનો જય ઘોષ આપનારા સુભાષચંદ્ર બોઝ

‘તુમ મુઝે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા’

     જેમનો લલકાર હતો તે સુભાષચંદ્ર બોઝની આજે જન્મદિન છે. 23 જાન્યુઆરી 1897માં સ્વાતંત્ર્ય સેનાની સુભાષચંદ્ર બોઝનો જન્મ બંગાળના કોડિલિયા ગામે થયો હતો. એ સદીમાં જન્મ લેવો સદભાગ્ય ગણાતુ હતું. દેશની બુરી હાલત જોઈ તેમના મન પર ભારે અસર થઈ હતી. મેટ્રિક થયા બાદ હિમાલયમાં ગુરુની શોધમાં નીકળી પડ્યા. ગુરુ પાસેથી તેમને મોક્ષની સિદ્ધિની અપેક્ષા ન હતી પરંતુ માતૃભૂમિની સેવા શીખવે તેવો ધર્મ શીખવો હતો. થાકી પાછા ફરી તેઓ ચિત્તરંજનબાબુ પાસે આવી રહ્યા. દેશબંધુએ તમને રાષ્ટ્રિય વિદ્યાપીઠના આચાર્ય બનાવ્યા હતા. પછી તો જેલવાસનો સિલસિલો ચાલુ થયો. સુભાષબાબુએ જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ સૌ સાથે કામ કર્યું હતું.

        1937માં તેઓ હરિપુરા કોંગ્રેસનાં પ્રમુખ બન્યા. પછી તો તેમણે કોંગ્રેસ પણ છોડી.ગુપ્ત વેશે દેશદેશાવર ફર્યા. આઝાદ હિંદની ફોજની સ્થાપના કરી. યુવાનોને પડકાર ફેંક્યો,’તુમ મુઝે ખૂન દો મૈં તુમ્હે આઝાદી દૂંગા’. તેઓ દ્રઢતાપૂર્વક માનતા હતા કે લશ્કરી તાકાતથી જ ભારતની મુક્તિ શક્ય થશે. જાપાને જીતેલા આંદામાન નિકોબાર ટાપુઓ તેમને સોંપાયા. એમના પડકારથી જ ભારતીય ભૂમિસેના, નૌસેના અને વાયુદળનો વિદ્રોહ ફાટ્યો.

             સુભાષચંદ્ર બોઝે મશહૂર ‘જય હિન્દ’નું સૂત્ર ગૂંજતું કર્યું. 19-8-1945ના દિવસે ટોકિયો જતા વિમાની અક્સ્માતમાં તેમનું અવસાન થયું. આવા વીર પુરુષને શત શત પ્રણામ.

                                             ૐ નમઃ શિવાય


2 comments January 23, 2008

મહાલક્ષ્મીમાતાનું મંદિર

         આસો સુદ ચોથ [આજે કુષ્માંડામાનું પૂજન,જેમણે બ્રહ્માંડની રચના કરી]

આજનો સુવિચાર:- પુસ્તકોનું મૂલ્ય રતો કરતાં વધુ હોય છે જે માનવનાં અંતઃકરણને ઉજ્જ્વળ બનાવે છે. –ગાંધીજી

હેલ્થ ટીપ્સ:- પેટ સાફ ન આવતું હોય તો કાળી દ્રાક્ષ [કીસમીસ]ને ચાવીને ખાવાથી ફાયદો થાય છે.

                                    મહાલક્ષ્મીમાતાનું મંદિર


          તળ મુંબઈ ભુલાભાઈ દેસાઈ રૉડ પર સ્થિત ‘મહાલક્ષ્મી’ માતાજીનું મંદિર ખૂબ પ્રખ્યાત છે. ખૂબ સુંદર મંદિર બનાવ્યું છે. લગભગ ઈ.સ.1785ના વર્ષમાં ‘પાઠારે પ્રભુ’ નામના ચીફ ઍંજિનીયરે બનાવ્યું હતું.

        ઈતિહાસ પ્રમાણે મુંબઈને માનવ રચિત બંદર બનાવવા માટે વર્લીના કિનારા પર દરિયાઈ મોજાથી થતા નુકશાનને અટકાવવા દિવાલ બનાવવાની હતી. પરંતુ કોઈપણ કારણોસર આ દિવાલ બે વખત પડી ગઈ. એક રાતે અહીંના ચીફ ઍંજિનીયરને માતાજી સપનામાં આવ્યા અને એમની મૂર્તી વર્લીનાં દરિયામાંથી કાઢવા કહ્યું. આમ દરિયામાં શોધખોળ કર્યા બાદ મહાલક્ષ્મી માની મૂર્તિ મળી આવી અને ત્યારબાદ આ દિવાલ કદી પડી નથી. આ મૂર્તિ મળવાથી ‘પાઠારે પ્રભુ’ અહીં મહાલક્ષ્મી માનું મંદિર બનાવ્યું. અવારનવાર આ મંદિરનો જિર્ણોદ્ધાર કરવામાં આવે છે.

         મને યાદ આવે છે કે હું જ્યારે નાની હતી ત્યારે મારા બાપુજી અમને [ભાઈ બહેનોને] અહીં મગની દાળનાં વડા ખાવા લઈ આવતાં પડિયામાં વડા સાથે આમલીની મીઠી ચટણી પણ હોય. હજી એ દિવસો યાદ કરીને મોંમા પાણી આવે છે. મંદિરના પાછળનાં ભાગમાં નીચે ઉતરીને દરિયા કિનારે જવાતું હતું, મોટા મોટા પથ્થરો પર બેસીને આ વડા ખાવાની અનેરી મઝા આવતી હવે તો દુકાનો અને હૉટલો થઈ ગઈ છે.

           મંદિરના પરિસરમાં શેરડીનો રસ કાઢવાના સંચાની સાથે બાંધેલા ઘુઘરાનો મીઠો અવાજ અને રસ પીવા આમંત્રિત કરતા ગામઠી માણસોની મીઠી લહેકભર્યા ગીતો યાદ આવે છે. જોકે હજીપણ બેઠા હોય છે પણ એ દિવસોની મઝા કંઈક ઑર જ હતી. દિવાળીના દિવસે ચોપડા પૂજન કર્યાં બાદ માતાજીનાં દર્શન કરવા ચણિયા ચોળી પહેરી ઘોડાગાડીમાં બેસી મંદિરે જતાં. હવે તો એટલી બધી ભીડ હોય છે કે કલાકોના કલાકો લાઈનમાં ઊભા રહો તો પણ એટલી મિનિટો માટે દર્શન કરવાનો લ્હાવો નથી મળતો.

      મંદિરના પરિસરમાં પ્રસાદ,મીઠાઈ વેંચવા દુકાનો હોય છે. ફૂલવાળાઓ [મોટેભાગે બહેનો જ ફૂલ વેંચવા બેઠી હોય છે.]ની દુકાન છે. જેમાં પ્રસાદ [સાકરિયા], નાળિયેર, માતાજીને ચઢાવવા માટે ચુંદડી, ફૂલ હાર, કંકુ ચોખા અબીલ ગુલાલ અગરબત્તી વગેરે પૂજાનો સામાન મળતો હોય છે. પહેલા તો દરેક પગથિયે ભીખ માંગણિયા બેસી રહેતા હતા. પરંતુ હવે ઓછા થઈ ગયા છે. પરંતુ બાવાજીઓ કે નાગપંચમી વખતે નાગને દૂધ પીવડાવવાને બહાને મદારીઓ બેસતા હોય છે.

           ઈંસ્ટંટ ફોટો પાડવાવાળાની દુકાનો પણ છે. અમે નાના હતાં ત્યારે મોટરમાં બેસીને ફોટો પડાવતાં. એમાં પણ આ નવરાત્રીનાં દિવસોમાં મેળો ભરાતો હોય છે. ઉપરોક્ત બધુ હાજર હોય છે પણ તે ઉપરાંત જાયંટ વ્હીલ, મેરિગો રાઉંડ વગેરે નાના બાળકોને ગમતી રમતો ,પીપુડા તેમજ ફુગ્ગા વેંચવાવાળા બધા હાજર હોય.

      આમ દશેરા સુધી મહાલક્ષ્મીમાતાનાં મંદિરમાં દર્શન સાથે મેળો ભરાતો હોય છે. દિકરાઓ નાના હતાં ત્યારે તેઓને અહીં લઈને આવીને ખૂબ આનંદ મેળવ્યો હતો. હવે તો મારે માટે ‘વો દિન યાદ કરો’.

                                        જય માતાજી જય ભવાની


6 comments October 15, 2007

પતેતી

                     આજે શ્રાવણ સુદ સાતમ [શીતળા સાતમ]

આજનો સુવિચાર:- સોગંદ ચેતન મન ખાય છે અને અંદર બેઠું છે તેના પર અચેતન મનનું આવરણ છે. – ઓશો

હેલ્થ ટીપ્સ:-સૂંઠને પાણીમાં ઘસી તેની પેસ્ટ કપાળે લગાડવાથી આધાશીશી મટે છે.

                                     પતેતી

આજે દૂધમાં સાકરની જેમ ભળેલા પારસીઓનું પર્વ પતેતી છે.

                   સહુ પારસીબંધુઓને પતેતી મુબારક.

       પતેતી એટલે પશ્ચાતાપ કરવો. અવેસ્તામાં પતેતનું ભણતર હોય છે. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરી શુદ્ધ થવાનું હોય છે. પારસી કોમમાં પતેતીનો તહેવાર દિવાળીની જેમ વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. એના પછીનો દિવસ નવું વર્ષ એટલે કે નવરોઝ કહેવાય છે. પારસીઓ એમના નૂતન વર્ષને નવરોઝ મુબારક કહે છે.

      જરથોસ્તી ધર્મના છેલ્લા રાજા યઝદઝદ, જે આરબોના આક્રમણને ખાળી ન શક્યો, તેની યાદમાં યદઝર્દી સંવત શરુ થઈ. આજે તેમનું 1377મુ વર્ષ ચાલે છે અને પારસીઓને ભારતમાં વસવાટ કરે 1350 સાલ થયાં. ઈરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવા તેઓ લગભગ 1350 વર્ષ પહેલાં પારસીઓ ભારતમાં આવ્યા. સૌ પ્રથમ તેઓ દીવ બંદરે ઉતર્યા જ્યાં તેમણે 19 વર્ષ ગાળ્યાં ત્યાં પૉર્તુગીઝોના હુમલાથી કંટાળી તેઓ દરિયાઈ માર્ગે સંજાણ બંદરે ઉતર્યા. અહીં જેમ દૂધમાં સાકર ભળે તેમ તેઓ ગુજરાતી સમાજમાં ભળી ગયાં.

    પારસીઓ ઈરાનથી જે પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા તેની ઉદવાડામાં સ્થાપના કરી જે આતશ બહેરામને નામે ઓળખાય છે. હિંદુ ધર્મમાં જનોઈની વિધિ છે તેમ પારસીઓમા કુમાર- કુમારીઓ દરેકને માટે નવજોત વિધિ છે.

     પારસીઓનો ધર્મ એટલે જરથોસ્તી ધર્મ જેની સ્થાપના ઈ.સ. 590ની આસપાસ અષો જરથુષ્ટ્રે કરી હતી. ઈશ્વરપ્રાપ્તિ એમનાં જીવનનું એક લક્ષ હતું. નિર્જન પહાડો પર કલાકો ચિંતન કરતા. જ્યારે નિરાશા તેમને ઘેરી વળી ત્યારે અચાનક સંધ્યા ટાણે સૂર્યે એમને જ્ઞાનનો પ્રકાશ આપ્યો. ઈશ્વર-અહુરમઝદે દર્શન આપ્યાં અને પવિત્રતાની માંગણીથી તેઓ અષો એટલે પવિત્ર જરથુષ્ટ્ર બન્યા. જ્ઞાનપ્રાપ્તિ પછી તેમણે 47 વર્ષ સુધી ધર્મસ્થાપક તરીકે ઈરાનમાં જરથોસ્તી ધર્મની જ્યોત જલાવી રાખી. 77 વર્ષની વયે બંદગી કરતાં તુરાની સૈનિકે પીઠ પાછળ ઘા કર્યો અને તેમનું મૃત્યુ થયું. તેમનો ધર્મગ્રંથ અવેસ્તાને નામે ઓળખાય છે. આ ધર્મ એકેશ્વરવાદમાં માને છે.

      દાદાભાઈ નવરોજી, ફિરોઝશાહ મેહતા, મીઠુબેન પટીટ, વીર નરિમાન, માદામ ભિખાઈજી કામા, જમશેદજી તાતા, જમશેદજી જીજીભાઈ, લવજી નસરવાનજી વાડિયા, રતન તાતા, ગોદરેજ, ડૉ. હોમી ભાભા, ડૉ હોમી શેઠ, નાની પાલખીવાલા, સોલી સોરાબજી, સોલી કાપડિયા વગેરે જેવા અનેક વીરલાઓ આ કોમમાંથી આવેલા છે અને વિશ્વમાં નામ રોશન કર્યું છે.

                                            ૐ નમઃ શિવાય


7 comments August 20, 2007

કવિ દયારામ

                        આજે શ્રાવણ સુદ પાંચમ [નાગ પંચમી]

આજનો સુવિચાર:- લંકાવિજયી શ્રીરામને સોનાની લંકામાં રુચી ન હતી કારણ જન્મદાતા માતૃભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.

હેલ્થ ટીપ્સ:- દ્રાક્ષ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળી પીવાથી આધાશીશી મટે છે.

                                      કવિશ્રી દયારામ

આજે 18મી ઑગસ્ટના દિને ગુજરાતમાં અને ગુજરાતીઓના દિલમાં પ્રિય અને આદરણીય બનેલા કવિશ્રી દયારામનો જન્મદિન છે. ઈ.સ. 1777માં નર્મદા નદીને કિનારે આવેલા ચાંદોદ ગામે જન્મેલા દયારામે દસ વર્ષની આયુમાં પિતા અને બારમે વર્ષે માતાની છત્રછાયા ગુમાવી હતી. સ્વામિનારાયણના સાધુ પ્રેમાનંદ સ્વામીના પરિચયથી તેમજ સત્સંગથી કાવ્યરચનાને બળ મળ્યું. 13 વર્ષની કુમળી વયે 66 કડીનું કાવ્ય રચ્યું હતું. વૈષ્ણવ મંદિરોમા મધુરકંઠે ભક્તિ ગાન કરતા. ગુજરાતી ભાષા ઉપરાંત તેમણે વ્રજ, મરાઠી, પંજાબી અને કચ્છી ભાષામાં ભાવગીતોની રચના કરી હતી. 60 વર્ષની ઉમર દર્મિયાન તેમણે 300 થી વધુ ગદ્ય અને પદ્યની રચના કરી હતી. તેમની શ્રેષ્ઠ કૃતિ ‘રસિક વલ્લ્ભ’ ગણવામા આવે છે. આ ઉપરાંત રૂકમણી વિવાહ, અજામિલ વ્યાખ્યાન, ભક્તિ પોષણ, પ્રેમરસગીતા, કૃષ્ણલીલા જેવી અનેક કૃતિઓની રચના કરી હતી.

ઓધવ નંદનો છોરો તે નમેરો થયો જો;
મુને એકલી મૂકીને મથુરા ગયો જો………ઓધવ !

એને મૂકી જાતાં દયા નવ ઊપની જો;
મુને ભ્રાંતિ પડી છે એના રૂપની જો ……..ઓધવ !

કોઈએ કામણ કર્યું કે ફટક્યો ફરે જો;
કેમ દિલ એનું મુજ પર ના ઠરે જો………ઓધવ !

ઓધવ ! સંદેશો કહીને વ્હેલા આવજો જો;
સાથે દયાના પ્રીતમને તેડી લાવજો જો……….ઓધવ !

                                                  ૐ નમઃ શિવાય


7 comments August 18, 2007

સ્વાતંત્ર્ય દિન

આજે શ્રાવણ સુદ ત્રીજ [સ્વાતંત્ર્ય દિન]

આજનો સુવિચાર:- સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે આત્મનિરીક્ષણ જરૂરી છે.
હેલ્થ ટીપ્સ:- તડબૂચની અંદરના ગર્ભનો ગર કરી તેમાં ગુલાબજળ ભેળવી સાકર સાથે પીવાથી પેટની ગરમી દૂર થાય છે.

આજે 15મી ઑગસ્ટ, સ્વાતંત્ર્ય દિન છે સહુને આજના દિનની મુબારક.

                                    મેડમ ભિખાઈજી કામા

     ભારતમાં ત્રિરંગો ઝંડો લહેરાવાનો પ્રથમ અવસર આપણા પ્રથમ વડા પ્રધાન શ્રી. જવાહરલાલ નહેરુજીને હસ્તે થયો હતો. પરંતુ વિદેશની ધરતી પર ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનું બહુમાન મેડમ ભિખાઈજી કામાને મળ્યું હતું.

     મેડમ ભિખાઈજી કામાનો જન્મ ઈ.સ. 1861માં થયો હતો. આઝાદીનાં જંગમાં આ બાનુએ અનોખી વીરતા દાખવી હતી. ઈ.સ. 1902માં સારવાર માટે લંડન ગયા હતા જ્યાં તેમની મુલાકાત દાદાભાઇ નવરોજી સાથે થઈ હતી. ત્યારબાદ એમની આઝાદી જંગમાં સક્રિયતા વધી હતી. ઈ.સ. 1907માં વિદેશ ભૂમિ ઉપર યોજાયેલા આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં બધા દેશો દ્વારા પોતપોતાના રાષ્ટ્રીયધ્વજ લહેરાવ્યો હતો. તેની સાથે આ બાનુએ ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો. આ ધ્વજમાં સૂર્ય ચંદ્ર અને સપ્તર્ષિના સાત તારાઓનું પ્રતીક હતું તેમજ ધ્વજની વચ્ચે દેવનાગરી લિપિમાં ‘વંદે માતરમ’ લખ્યું હતું. દેશભક્તિ અને શૂરવીરતાનો અનોખો સંગમ હતો મેડમ ભિખાજીમાં. એમણે યુરોપ અને અમેરિકામાં ભારતની આઝાદીનો નાદ જગાડ્યો હતો. તેમના હાથે ક્રાંતિકારીઓની સંસ્થા ‘અભિનવ ભારત’નો શુભારંભ કરાવાયો હતો. ઈ.સ. 1935માં 74 વર્ષે તેઓ ભારત પાછા ફર્યા. ઈ.સ. 1936માં 13મી ઑગસ્ટના રોજ મુંબઈની એક પારસી હૉસ્પિટલમાં તેમનું અવસાન થયુ હતું.
સારે જહાઁસે અચ્છા હિદુસ્તાઁ હમારા
હમ બુલબુલે હૈ ઈસકી યે ગુલસિતાઁ હમારા

                                             ૐ નમઃ શિવાય


3 comments August 15, 2007

Previous Posts


વિભાગો

Recent Comments

himalek32 on થોડું શોધવ…
Kartik Mistry on થોડું શોધવ…
Kartik Mistry on થોડું મગજ ક…
Harsukh Thanki on ઈલકાબો વિષ…
અનિમેષ … on થોડું મગજ ક…

Recent Posts

Archives

Calendar

May 2008
M T W T F S S
« Apr    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links