Posts filed under 'નિરોગી[સ્વાસ્થય]'

સૂર્ય નમસ્કાર

                      આજે ચૈત્ર સુદ ચોથ

આજનો સુવિચાર:- ખોટું બોલતાં શીખવું પડે છે, જ્યારે સત્ય કુદરતી બોલાઈ જાય છે.

 

હેલ્થ ટીપ્સ:- આદુની કતરી કરી તેમાં સિંધવ લૂણ ઉમેરી જમતા પહેલા લેવાથી ભૂખ ઉઘડે છે.

 

 

 

                                 સૂર્યનમસ્કાર

     સૂર્યનમસ્કાર એક સંપૂર્ણ યોગનું આસન છે. જેનાથી શરીરને આરોગ્ય,શક્તિઅને ઉર્જા મળે છે. સૂર્યનમસ્કારથી શરીરનું અંગેઅંગ કાર્યરત થાય છે અને શરીરની તમામ આંતરિક ગ્રંથિઓ અને આંતરિક સ્ત્રાવ [હૉર્મોંસ]ને નિયમિત કરે છે.
સૂર્યનમસ્કાર સૂર્યોદયને સમયે કરવું હિતાવહ છે. સૂર્યનમસ્કાર 11 થી 21 વખત કરી શકાય. એ દરેકની શારીરિક પ્રકૃતિ અવલંબે છે.

સૂર્યનમસ્કાર કરવાની 12 સ્થિતીઓ છે. આ બાર સ્થિતીઓ સૂર્યનાં બાર નામ સાથે જોડાયેલી છે.

1]    સૂરજની સામે મુખ કરી ઉભા રહી નમસ્કારની મુદ્રામાં ઉભા રહીને હાથને છાતીની સામે રાખવા.

ૐ મિત્રાય નમઃ

2]    શ્વાસને અંદર ભરી હાથને આગળ લંબાવી હાથને ઉપર તરફ લઈ જઈને પાછળ લઈ જવા. દ્રષ્ટિ આકાશ તરફ રાખવી. કમરને બને તેટલી પાછળ ઝૂકાવવી.

ૐ રવયે નમઃ

 

3]    શ્વાસને બહાર કાઢી હાથ આગળ લઈને કમરને આગળ ઝૂકાવી પગ પાસે જમીન પર ટેકવા. જો હથેળીઓ જમીનને સ્પર્શ કરી શકે અને માથું ધુંટણને અડાડી શકાય તો ઉત્તમ છે.

ૐ સૂર્યાય નમઃ

4]    હવે નીચે ઝૂકાવતાં હાથની હથેળીને છાતીની બાજુ પર ટેકવી રાખીને ભુજંગાસનની સ્થિતીમા રહેવું. ત્યારબાદ જમણા પગને બન્ને હાથની વચમાં લાવવો. અને પગની એડી જમીન પર ટેકવી શરીર ઉંચું કરવું. દૃષ્ટિ આકાશ તરફ રાખી શ્વાસને અંદર ભરો.

ૐ ભાનવે નમઃ

5]    શ્વાસ બહાર કાઢતાં જમણો પગ પાછળ લઈ જઈને ગર્દન અને માથાને બે હાથની વચમાં રાખવા નિતંબ અને કમરને ઉપર તરફ ઉઠાવવા. માથાને નીચે તરફ રાખીને નાભિની સમક્ષ જોવું.

ૐ ખગાય નમઃ

6]    હાથને અને પગને પંજાને સ્થિર રાખતા છાતી અને ઘુટણોને જમીનને સ્પર્શ કરે એ સ્થિતીમાં રાખો. આ સાષ્ટાંગ પ્રણામનો એક પ્રકાર છે.

ૐ પૂણ્યે નમઃ

7]    શ્વાસને અંદર ભરતાં છાતીને ઉપર ઉપાડો. કમરને જમીન પર ટેકવી રાખો. હાથ અને પગને સીધા રાખવા.

ૐ હિરણ્યગર્ભાય નમઃ

8]    પાંચ નંબરની સ્થિતીમાં આવો.

ૐ મરીચાય નમઃ

9]    ચાર નંબરની સ્થિતીમાં આવો પણ પગની સ્થિતી બદલો. જમણા પગને બદલે ડાબા પગનો ઉપયોગ કરો.

ૐ આદિત્યાય નમઃ

10]    ત્રણ નંબરની સ્થિતીમાં આવો.

ૐ સવિત્રાય નમઃ

11]    બે નંબરની સ્થિતીમાં આવો.

ૐ અર્કાય નમઃ

12]    એક નંબરની સ્થિતીમાં આવો.

ૐ ભાસ્કરાય નમઃ.

સૂર્ય નમસ્કારથી થતાં લાભ:-

1] આ એક સંપૂર્ણ વ્યાયામ છે. એનાથી શરીરનાં દરેક અંગો મજબૂત અને નિરોગી બને છે.

2] પેટ, હૃદય, ફેફસા સ્વસ્થ થાય છે.

3] મેરુદંડ એટલે કે કરોડરજ્જુને લચીલી બને છે અને આવેલી વિકૃતીઓ દૂર થાય છે.

4] લોહીનું ભ્રમણ સુધરે છે અને લોહીની અશુદ્ધિઓ દૂર થતાં ચર્મ રોગો દૂર થાય છે.

5] હાથ, પગ, બાવડા,જાંઘ અને ખભાનાં સ્નાયુઓ સુદ્રઢ બને છે.

6] માનસિક શાંતિ મળે છે અને તેજસ્વિતા આવે છે.

7] મધુ પ્રમેહ એટલે કે ડાયાબિટીસનાં રોગીઓ માટે ઉત્તમ આસન છે.

 

 

                                                 ૐ નમઃ શિવાય


6 comments April 8, 2008

સ્વસૂચન

                                        આજે ફાગણ વદ પાંચમ

આજનો સુવિચાર:- પશુને નહિ બોલી શકવાથી તો મનુષ્યને બોલવાને કારણે પીડાવું પડે છે.

હેલ્થ ટીપ્સ:- વાળમાં નાખવાનાં તેલમાં આંમળાનાં ટુકડા મૂકી રાખી એ તેલ વાપરવાથી વાળ સુંદર થાય છે.

                        સ્વસૂચનો [ઑટો સજેશન] કેવીરીતે આપશો.

  કહેવાય છે કે જો આપણે આપણાં મનને જો હકારાત્મક સૂચનો આપતા રહીએ તો એ સૂચનો અચૂક સફળ થાય છે. દા. ત. કે આપણે કોઈ કસરત કરવાની શરૂઆત કરીએ અને આપણું મન કસરત કરતાં કરતાં એમ વિચારીએ કે મારું શરીર બહુ દુઃખે છે એનાં કરતાં એમ વિચારીએ કે મારું શરીર દુઃખતું નથી એમ વિચારશો તો શરીરના દુઃખાવાનો અનુભવ નહી થાય. એમાં પણ જો એનાં સોનેરી નિયમોનો પાલન કરશો તો આપણા મનમાં નકારાત્મક વિચારો [નેગેટીવીટી] દૂર થશે. તો આપણે જોઈએ કે સ્વસૂચનો કેવી રીતે બનાવવા.

• સ્વસૂચનો બને તેટલા હકારાત્મક હોવા જોઈએ. એટલે એમ વિચારો કે મારું સ્વાસ્થય સારું થઈ રહ્યું છે નહીં કે મારી બીમારી ઓછી થઈ રહી છે.

• સ્વસૂચનનું વાક્ય હંમેશા ચાલુ વર્તમાનકાળનું હોવું જરૂરી છે. જેમ કે વજન ઉતારવું હોય તો એમ તમારા મનને એ સૂચન મોકલો કે દિવસે દિવસે હું પાતળો થતો કે થતી જાઉં છું.

• સ્વસૂચન જો લાંબું હોય તો ધારી અસર થતી નથી. માટે સૂચન બને તેટલું ટુંકું બનાવો. કદાચ બે શબ્દોનું સૂચન બની શકે જેમ મંગલ હો, કે પછી ૐ શાંતી જેવું બની શકે.

• સ્વસૂચનમાં સહેલા શબ્દોનો ઉપયોગ કરો.

• એક સાથે વધુ સૂચનનો ઉપયોગ ન કરવો. જો એમ થશે તો અર્ધજાગૃત મન મુંઝવણમાં મુકાઈ જશે.

• નિયમિત સમયે સ્વસૂચન આપવાની ટેવ પાડો અને તેનો સંતોષકારક પરિણામ ન આવે ત્યાં સુધી સૂચનો આપતાં રહો.

ટીપ્સ:- ‘સ્વ’ને સૂચન આપવાથી સફળતા મળશે. અન્યને સૂચનો આપવાનું બંધ કરો.
                                                                                      —- સંકલિત

                                    ૐ નમઃ શિવાય


7 comments March 27, 2008

10 કુટેવો

                                    આજે મહા સુદ દસમ
આજનો સુવિચાર:- પ્રેમ એ એવો રસ્તો છે જેના દ્વારા તમને ખુશીનો ઢગ પ્રાપ્ત થાય છે.

હેલ્થ ટીપ્સ:- મગજને યુવાન રાખવા હંમેશા નવા નવા પડકાર ઉઠાવતા રહો.

                                    10  કુટેવો

      મગજ આપણા શરીરનું એક અતિ મહત્વનું અંગ છે. તેની કાળજી રાખીશું તો જ આપણે એક સ્વસ્થ જીવન જીવી શકીશું. જીવનની કેટલીક કુટેવો છોડવી જરૂરી છે. આમ તો આપણી ઘણી કુટેવો હોય છે પણ આપણે તેને આપણી ટેવો સમજીને છોડી દેતાં હોઈએ છીએ. પરંતુ અમુક ચોક્કસ કુટેવો પ ધ્યાન દઈએ તો જરૂરથી છોડી શકાય જે મગજની સ્વસ્થતા, કાર્યક્ષમતા અને અસરકારકતા માટે અતિ આવશ્યક છે.

* સવારનો નાસ્તો ન કરવો

જે લોકો સવારનો નાસ્તો નથી લેતા તેઓના લોહીમાં સાકરનું પ્રમાણ ઘટી જાય છે. આ મગજને જરૂરી પોષક તત્વોની ઉણપ ઊભી કરે છે. તેને કારણે મગજને ઘસારો પહોંચે છે.

*   વધુ પડતું ખાવું.

આ આદત મગજની નસોને સખત અને અસંવેદનશીલ બનાવી દે છે, જેથી મગજની ક્ષમતા ઓછી થઈ જાય છે.

*   ધ્રૂમપાન કરવું.

આ આદત મગજને એક કરતાં વધુ રીતે નુકશાન પહોંચાડે છે. એનાંથી સ્મૃતિભ્રંશનો રોગ ઉદભવે છે.

*   વધુ પડતી સાકરનું સેવન કરવું.

આ આદતથી પ્રોટીન અને બીજા પોષક તત્વો શરીરના શોષણમાં અંતરાય પેદા કરે છે.

* હવાનું પ્રદુષણ [આ કુટેવ નથી]

પ્રદુષિત હવા શ્વાસમાં લઈએ તો મગજને ઓછો ઑક્સિજન મળે છે એટલે કાર્યશક્તિ ઘટી જાય છે.

*   અપૂરતી ઊંઘ

ઊંઘ આપણા મગજને આરામ આપે છે જો એ જ પૂરી ન થાય તો મગજનાં કોષો નાશ પામે છે.

*   સૂતી વખતે માથું ઢાંકેલું રાખવું.

માથું ઢાંકીને સુવાથી ઑક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે અને કાર્બનડાયોક્સાઈડનું પ્રમાણ વધી જાય છે. જે મગજ માટે નુકશાનકર્તા છે.

* બીમારી વખતે મગજ અશાંત રાખવું કે તાણમાં રાખવું.

બીમારી વખતે મગજ હંમેશા શાંત રાખવું તેને શ્રમ આપવાથી કે ખૂબ અભ્યાસ કરવાથી મગજની અસરકારકતામાં ઘટાડો થાય છે અને મગજને નુકશાન પહોંચાડે છે.

*   મગજને કાર્યશીલ ન રાખવું.

વિચાર કરવો એ મગજને તંદુરસ્ત રાખવાનો શ્રેષ્ઠ માર્ગ છે. જો મગજને કાર્યરત ન રાખવામાં આવે તો તે સંકુચિત થઈ જશે.

*   ઓછું બોલવું.

વિચારવંત અને તંદુરસ્ત વાર્તાલાપ મગજને કાર્યક્ષમ અને અસરકારક બનાવે છે.

                                                                 —- સંકલિત

                                        ૐ નમઃ શિવાય


3 comments February 16, 2008

જ્યુસ થેરેપી

                                        આજે મહા સુદ નોમ

આજનો સુવિચાર:- સાચો પ્રેમ તેમનો છે, જેમના સંગમાં વર્ષો દિવસો જેવાં લાગે છે અને જેમના વિયોગમાં દિવસો પણ વર્ષો જેવાં લાગે છે.
હેલ્થ ટીપ્સ:- જુદા જુદા ફળોના રસનો રોજિંદો ઉપયોગ રોગોને દૂર કરવામાં મદદ કરે છે. એ કુદરતી એપિટાઈઝર છે.


| View Show | Create Your Own

                                               જ્યુસ થેરેપી

     અલગ અલગ થેરેપીમાં હવે ‘જ્યુસ થેરેપી’નો સમાવેશ થાય છે. ઠંડીની ઋતુમાં તબિયતને સાચવનારા અને વહેલી સવારે વૉકિંગ કરવાની સંખ્યા કદાચ ઘટી જાય છે. જોકે મુંબઈ જેવા શહેરમાં આવી સંખ્યાનો કદી પણ ઘટાડો નથી થતો. પણ આ વર્ષની ઠંડીની ઋતુએ મુંબઈ જેવા શહેરની પ્રજાને ગરમ કપડા કબાટમાંથી કાઢી પહેરવા મજબૂર કર્યાં હતા. પરંતુ હેલ્થ કૉંસિયસ લોકો પોતાનું સ્વાસ્થ્ય જુદા જુદા પ્રકાર જ્યુસ વડે સુધારી રહ્યાં છે. સવારનાં આવા ઘણા તાજા જ્યુસવાળાઓ જોવા મળે છે. કારેલાનો, લીમડાનો, તુલસીનો, આમળાનો, આદુનો, ગાજરનો, ઘઉંના જ્વારાનો, જાંબુનો, બીટનો વગેરે વગેરે…… અનેક જ્યુસ લઈને બેઠેલા જોવા મળે છે.

     જ્યુસ થેરેપી એક એવી થેરેપી છે જેના દ્વારા વિવિધ પ્રકારની બિમારીનો ઈલાજ કરવામાં આવે છે. આ થેરેપીમાં તાજાં ફળ, કાચા-પાકાં ફળ અને લીલા શાકભાનાં જ્યુસનો સમાવેશ થાય છે. આનાંથી શરીરની આંતરિક ઉર્જાને કેંદ્રિત કરીને તે રોગની ચિકિત્સા કરવામાં આવે છે. અનેક ફળો એવા6 છે કે જેનો નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે તો શરીરની રોગપ્રતિકારક શક્તિનું સ્તર વધે છે. તે ઉપરાંત શરીરમાંથી હાનિકારક તત્વોનો નિકાલ થાય છે. જ્યુસ થેરેપી ખાસ કરીને જેમનું બ્લડપ્રેશર ઊંચું નીચું રહેતું હોય તેમના માટે ઉપયોગી છે. આ જ્યુસમાં કાર્બોહાઈડ્રેટસ, વિટામીન, ખનિજ તત્વો ભરપૂર હોય છે. ખાસ કરીને વિટામીન સી પ્રમાણ ભરપૂર હોય છે.

      ડાયાબિટીસ પર કારેલા, લીમડા, તુલસી, જાંબુ, ઘઉંના જ્વારાનો રસ અસરકારક છે. સફરજનમાં રહેલું સોરબીટલ નામનું તત્વ ઍંટિઓક્સિડંટનું કાર્ય કરે છે અને શરીરમાં રહેલા વાઈરસનો નાશ કરે છે. બીટ તંદુરસ્તી વધારે છે. કોબીજનો જ્યુસ પેટનાં ચાંદા એટલે અલ્સર મટાડે છે. કોબીજનો જ્યુસ લેતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી. ગાજરનો રસ કૅંસરનો પ્રતિકાર કરવામાં મદદ કરે છે.દૂધીનો રસ પેટમાં ઠંડક પહોંચાડે છે અને વાળની વૃદ્ધિ કરે છે. સક્કરટેટીનો રસ લોહી પાતળું કરવામાં મદદ કરે છે. આનાથી હૃદયરોગનો હુમલો થવાની શક્યતા ઘટાડે છે. સંપૂર્ણ સ્વસ્થતા માટે આમળાનો રસ ખૂબ અસરકારક છે. લસણનો વિશિષ્ઠ ગુણ એ છે કે તે કુદરતી એંટિબાયોટિક છે.તેનું સેવન કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. લસણનો જ્યુસ અનેક પ્રકારની બીમારી દૂર કરવામાં મદદ કરે છે. આદુનો રસ પેટની બિમારી દૂર કરે છે. આદુનો રસ માઈગ્રેન [આધાશીશી] દૂર કરવામાં મદદ કરે છે અને મોશન સીકનેસની બીમારી ઘટાડવામાં મદદ કરે છે. ભોજન લેતાં પહેલા થોડા પાણીમાં 3 થી 4 ચમચી આજ્યુસ ભેળવીને પીવાથી પાચન શક્તિ વધે છે. કોઈપણ ફળનો જ્યુસ લીધા પછી ઓછામાં ઓછું એક કલાક બાદ ભોજન લેવું. આ એક એપેટાઈઝરનું કામ કરે છે.

 – સંકલિત

                                             

                                                ૐ નમઃ શિવાય


10 comments February 15, 2008

પાંદડાનો ઔષધિય ઉપયોગ

                           આજે માગશર વદ અમાસ

આજનો સુવિચાર:- સૌથી ઓછું કહેનાર ઈચ્છુક જ સૌથી વધારે બડબડાટ કરે છે.

હેલ્થ ટીપ્સ:- વધુ પડતું વજન સ્ત્રીઓ માટે કૅંસરનું કારણ બને છે.

પાંદડાનો ઔષધીય ઉપયોગ

પાંદડું લીલુને રંગ રાતો
હેજી મારી મેંદીનો રંગ મદમાતો

કેટલું મદમાતું ગીત છે. એટલું જ આ મેંદીનું પાન આપણે માટે ઉપયોગી છે. સ્ત્રીઓ કોઈપણ શુભ પ્રસંગે હાથમાં મેંદી લગાડવાનું પસંદ કરે છે. મેંદી હાથની વધુ પડતી ગરમી ચૂસી લે છે અને સું દર રંગ આપે છે. તેમજ આ મેંદીને પીસીને માથામાં લગાડવાથી કંડિશનરનું કામ પણ કરે છે.દાઝી જવાથી પડતા ફોલ્લા કે ચાંદા પર આ મેંદીના પાનનો ઉપયોગ થાય છે. વરસાદમાં વધારે પલડવાથી હાથ પગનાંઆંગળીઓમાં થતા સડા પર મેંદીના પાન અને બાવળના પાનનો ઉપયોગ થાય છે. આ તો ફક્ત મેંદીના પાનની વાત થઈ આવા તો ઘણા પાન આપણા દેશમાં છે જેને વિષે આપણે જાણતા નથી.

કેરીનાં પાન :- કેરીનાં પાન વાત-પિત્ત તેમજ કફને શાત કરનારાં છે.ગળાનાં રોગો મટાડે છે. હેડકીમાં પન આરામ આપે છે. તેની ફુંપળોના રસને ગરમ કરી કાનમાં નાકહ્વાથી કાનનો દુઃખાવો મટે છે.

ખજૂરનાં પાન:- ખજૂરના પાનનો રસ અને લીંબુનો રસ સરખા પ્રમાણમાં મેળવી પીવાથી પેટનાં કીડાનો નાશ થાય છે.

લીમડાનાં પાન:- લીમડાનાં પાનનો તો ઉપયોગ તેના વૃક્ષની જેમ વિશાળ છે. ગરમ પ્રદેશના આ વૃક્ષનો દરેક ભાગ કડવો છે. ચામડીનાં રોગોમાં લીમડાના પાન ઉત્તમ ઔષધ છે. લીમડાના પાનના રસમાં મધ ભેળવી પીવાથી પેટનાં કીટાણુઓનો નાશ થાય છે તેમજ તાવમાં થતી બળતરા અને તાવ પણ ઘટશે. લીમડાનાં પાનને તેલમાં ઉકાળી માથામાં લગાડવાથી માથાનાં ખરતાં વાળ અટકે છે.

તુલસીનાં પાન:- તુલસી તો ઘરનો વૈદ્ય કહેવાય છે. માટે કહેવાય છે કે દરેક ઘરમાં તુલસીનો ક્યારો હોવો જરૂરી છે. ઉધરસ મટાડવા તુલસીનાં દસ પાનને એક કપ પાણીમાં ઉકાળી તેમાં એક ચમચી મધ ભેળવી પી જવું. તેમજ તુલસીનાં પાન સાથે કાળા મરીનાં બે દાણા ચાવી જવાથી ગળાની તકલીફ દૂર થાય છે.

ચમેલીનાં પાન:- ચમેલીનાં પાનનો કવાથ બનાવી તેનાથી કોગળા કરવાથી મોં નાં ચાંદા દૂર થાય છે. તેમ જ તેને ચાવવાથી દાંતનો દુઃખાવો મટે છે.

ફૂદીનાનાં પાન:- ફૂદીનાનાં પાનનો ઉપયોગ તો જગવિખ્યાત છે. મીંટ ફ્લેવરની પીપર, ચોકલેટ, પીણાં વગેરે વગેરે. આપણે ચામાં ઉકાળી પીએ છીએ. પાણીપુરીના પાણીમાં મુખ્યત્વે ફૂદીનાનાં પાનનો ઉપયોગ થાય છે. આજ ફૂદીનાના પાનનાં રસમાં મધ મેળવી પીવાથી ઊલટી બંધ થાય છે. ફુદીનાના પાનને ઉકાળી તેનો અર્ક કૉલેરાના દર્દી માટે લાભદાયક છે.

મૂળાનાં પાન:- મૂળાનાં પાનને બારીક વાટીને દુઃખાવાની જગ્યાએ મલમની જેમ લેપ લગાડી તેની પર પાટો બાંધી દેવાથી દુઃખાવામાં રાહત રહેશે. મૂળાનાં પાન અને ડાખળીના 50 મિ.લી. રસમાં દસ ગ્રામ સાકર મેળવી રોજ સવારે ખાલી પેટ પીવાથી કમળાના રોગમાં ફાયદો થાય છે.

ગાજરના પાન:- ગાજરનું સેવન ખૂબ લાભદાયક છે એ તો આપ સૌ આગળ આપ અસહુ વાંચી ગયા. ચામડીના રોગ પર ગાજર ઉત્તમ છે. તેનાં પાનમાં વધારેમાં વધારે પોષક તત્વો ભર્યાં છે. તેનો રસ ખૂબ લાભદાયક છે.

જામફળનાં પાન:- જામ ફળનાં પાન મોંના ચાંદા મટાડે છે. જામફળનાં પાંચ-છ પાન પાણીમાં ઉકાળી, ઠંડું કરી દિવસનાં 3 થી 4 વાર તેનાં કોગળા કરવાથી દાંતનાં દુઃખાવામાં રાહત રહે છે.

વાલોળનાં પાન:- વાલોળનું શાક તો થાય છે પરંતુ તેના પાનમાં વધુ ઔષધિય ગુણ છે. તેના પાનને વાટી તેનો લેપ દાદર પર લગાડવાથી તે મટે છે.

બીલીપત્ર:- શિવજીને ચઢતા આ બીલીપત્રમાં અનેક ગુણ છે. બીલીપત્રને સૂકવી તેનુ ચૂર્ણ બનાવી ½ ચમચી ત્રિફળાના ચૂર્ણ સાથે રાત્રે હુંફાળા પાણી સાથે લેવાથી કિડની પરના સોજા પર આરામ મળે છે.

જાંબુનાં પાન:- જાંબુનાં ઠળિયાની જેમ જાંબુનાં પાન પણ મધુપ્રમેહ [ડાયાબિટિસ]માં લાભદાયક છે. તેનાં પાનને વાટી તેને પાણીમાં મસળી-ઘોળી સવારે પીવાથી મધુપ્રમેહનાં રોગીને લાભ થાય છે.

સરસવનાં પાન:- સરસવનાં પાનનું શાક વિટામિન ‘એ’થી ભરપૂર હોય છે. તે આંખની જ્યોતિ વધારે છે. એનિમિયા કે લોહીની ઊણપમાં સરસવનાં શાકનું સેવન ફાયદાકારક છે.

આંકડાનાં પાન:- આંકડાનાં પાનને સરસવનાં તેલમાં નાખી ગરમ કરીની ગાળી તેમાં 10 ગ્રામ કપૂર ભેળવી સાંધા પર માલિશ કરવાથી સોજા પર અને દુઃખાવો પર રાહ રહે છે.

કરમદાનાં પાન:- ઉધરસમાં આ પાન મધમાં મેળવી ખાવાથી લાભ થાય છે. તાજાં પાનનો રસ ગાળી ડ્રોપરથી બે ટીપાં આંખમાં નાખવાથી શરુઆતનો મોતિયો મટે છે.

દાડમનાં પાન:- લોહીનાં હરસમાં દસ કાળી મરી, બે મુઠ્ઠી દાડમનાં પાન સાથે વાટી દરરોજ એક વખત પીવાથી લાભ થાય છે.

આ ઉપરાંત અનેક પાન છે જેમાં ઔષધિય ગુણ છે,

— સંકલિત

                                

                                        ૐ નમઃ શિવાય


4 comments January 8, 2008

પૌષ્ટિક આહાર

                             આજે માગશર સુદ સાતમ [આજે મહાઓચ્છવ]

આજનો સુવિચાર:- આપવાથી ધનનો નાશ થાય છે એવી ભ્રમણા કદી રાખવી નહીં. કૂવો, બાગ-બગીચો,વૃક્ષો જેમ જેમ દેતા જાય છે તેમ તેમ તેમની સંપદા વધુ વૃદ્ધિ પામે છે. — પ્રેમચંદ

હેલ્થ ટીપ્સ:- સૂંઠના ચૂર્ણને છાશમાં ભેળવી બબ્બે કલાકનાં અંતરે લેવાથી અતિસાર [ઝાડા] પર અંકુશ રહે છે.

       રોજિંદા જીવનમાં લેવાતા ખોરાકમાં આપણે જો થોડીક કાળજી રાખીશું તો આપણે જરૂરથી પૌષ્ટિક તત્વો મેળવી શકીશું.

* ઘઉંમાં ચણા, મેથી અને સોયાબીન જેવા સ્વાસ્થ્યવર્ધક કઠોળ ઉમેરી તેનો લોટ દળાવો.

* રોજિંદા ભોજનમાં કેવળ ઘઉંની રોટલીનો વપરાશ ન કરતા બાજરી, જુવાર તેમજ મકાઈના રોટલાનો વપરાશ કરો.

* મોસમ અનુસાર ઉપલબ્ધ આટા સાથે લીલા શાકભાજી જેવા કે દૂધી, પાલક, મેથી વગેરે ઉમેરો.

* દાળ સાથે પાલક, ચોળા અથવા મેથી ભેળવો. તેવી જ રીતે કઠી સાથે સરગવાની શીંગ અને પાલકનો પ્રયોગ કરો.

* ઋતુ અનુસાર ચણા,મૂળા અને ગાજર તથા તેના પાંદડાનો છૂટથી ઊપયોગ કરો.

* મહિલાઓમાં મોટેભાગે આયર્ન [લોહ]ની ઉણપ જોવા મળે છે તો તેમણ ચોળા,મૂળા,ગાજર,પાલકનો છૂટથી કરવો જોઈએ.

* પાલક, ફૂદીના,મેથી,કોથમીરનાં પાંદડાની સૂકવણી કરી તેનો પાઉડર આખું વર્ષ શાકભાજીમાં વાપરી શકાય.

* ફણગાવેલા કઠોળને ભોજનમાં હોવું ખૂબ જરૂરી છે. સોયાબીનની વડીનો ઉપયોગ શાક તરીકે કરી શકાય છે.

* ગાજર, મૂળા, કાકડી, ટામેટા, કાંદા, મોગરી, કોબી વગેરેનો ઉપયોગ કાચા સ્વરૂપમાં સલાડમાં કરવો જોઈએ.

* ભોજન બાદ સિઝનલ ફળો જેવાં કે કેરી, પેરુ, પપૈયુ, સફરજન, કેળાં, સંતરા, મોસંબી, ચીકુ, જાંબુ, દ્રાક્ષ, કલિંગરનો ઉપયોગ કરો.

* વધારાના કાર્બોહાઈડ્રેડ મેળવવા ભોજનમાં બટાટા, શક્કરિયા, કંદ, સુરણ, મકાઈ વગેરેને ભોજનમાં નિયમિત રૂપે સ્થાન આપો.

                                  ૐ નમઃ શિવાય


2 comments December 16, 2007

તબીબી સત્ય

                                 આજે જેઠ સુદ સાતમ

આજનો સુવિચાર:- ફળ આવે ત્યારે વૃક્ષ ઝૂકી જાય છે. વર્ષાના સમયે મેઘ પણ ઝૂકી જાય છે. સંપત્તિ આવે ત્યારે ઘણા સજ્જ્નો સુદ્ધાં નમ્ર બની જાય છે, કેમ કે પરોપકારી વ્યક્તિઓના સ્વભાવમાં જ ઝૂકી જવાનો તથા નમ્ર બની રહેવાનો ગુણ રહેલો છે. — વિનોબા ભાવે

હેલ્થ ટીપ્સ:- રોજ રાત્રે ચાર-પાંચ તુલસીના પાંદડા નાખી તાંબાના લોટામાં પાણી ભરવું. નયણાકોઠે આ પાણી પીવાથી કુષ્ઠ રોગ, આંખોની તકલીફ, માથાનો દુઃખાવો, વાયુ, કફ વગેરેમાં રાહત મળે છે.

                                    તબીબી સત્ય

• આપણા શરીરમાં રહેલા લાલ રક્તકણો 120 દિવસ સુધી જીવંત રહે છે.

• આપણા શરીરમાં એક સમયે 2.5 અબજ લાલ રક્તકણો હોય છે. આ આંકડો જાળવી રાખવા અઢી કરોડ નવા રક્તકણો બોનમેરોએ બહાર પાડવા પડે છે.

• રક્તકણો ફક્ત 20 સેકંડમાં સંપૂર્ણ શરીરનું ચક્કર લઈ શકે છે.

• આપણું હૃદય દરરોજ લગભગ 10,000 વખત ધડકે છે.

• આપણા શરીરમાંરુધિર 60,000 માઈલની મુસાફરી કરે છે.

• આપણી આંખો દસ કરોડ રંગોને ઓળખીને પીછાણી શકે છે અને સૌથી મોટા ટેલિસ્કોપનીની સરખામણીએ વધારે માહિતી ગ્રહણ કરે છે.

• પૃથ્વીની ધરી પર અસ્તિત્વ પામેલા સુક્ષ્મ જીવો કરતાં વધારે જીવો આપણા શરીર પર જીવે છે.

• સામાન્ય રીતે 30 વર્ષ બાદ માનવીનું શરીર ધીરે ધીરે સંકોચાવાનું શરૂ કરે છે.

• મોટા ભાગના માણસો 60 વયે પહોંચતા પહોંચતા 50 ટ્કા સ્વાદેન્દ્રિય ગુમાવે છે.

• માનવશરીરમાં પતંગિયા કરતાં ઓછા સ્નાયુઓ હોય છે.

• જ્યારે માનવ હસે કે શરમાય ત્યારે ઘણીવાર તેનું મોઢું લાલ થાય છે સાથે પેટ પણ લાલ થાય છે.

                                                                                      — સંકલિત

                                 ચાલવાથી થતાં ફાયદાઓ

        જેટલું વધું ચાલશો તેટલું જ વધારે અને ભરપેટ ખાઈ શકશો. એક વખત ઈચ્છિત વજન પ્રાપ્ત કરી લીધા પછી વધુ ખાવા છતાં સ્લિમ અને પરફેક્ટ રહેવાશે. ચાલવાથી શાંતિ મળશે અને માંસપેશિયોને આરામ મળશે.

• દરરોજ ત્રણ કિ.મી. ચાલવાથી ત્રણ અઠવાડિયામાં તો આત્મવિશ્વાસ વધે છે તેમજ તણાવ દૂર થાય છે અને પ્રસન્નતા મળે છે.

• ચાલવા જતાં પહેલા એક ગ્લાસ પાણી જરૂરથી પીજો..

• ખાવાનું ખાધા પછી ચાલવાનું તેમજ લાંબી મજલ કાપવાનું ટાળજો.

• ચાલતી વખતે આરામદાયક ચંપલ કે શૂઝ પહેરજો જેથી ચાલવામાં તકલીફ ન પડે.

• એકલા ચાલવામાં જો કંટાળો આવતો હોય તો મિત્રોને પણ ચાલવા માટે આમંત્રિત કરો.

• શ્વાસ ફૂલે તેટલું ઝડપથી નહીં પણ ઝડપથી ચાલવાનું જરૂરથી રાખવું.

• ચાલવાથી જરૂર ફાયદો છે પરંતુ દરેક વ્યક્તિને માટે અલગ અલગ ફાયદો હોય છે.

                                                                       — સંકલિત

                                    ૐ નમઃ શિવાય


4 comments June 21, 2007

કેળાં

                       આજે અધિક જેઠ વદ બારસ

આજનો સુવિચાર:- કૃષ્ણ ધર્માતિત છે, ગુણાતીત છે. બધાથી પર છે. – મોરારી બાપુ

હેલ્થ ટીપ્સ:- પાંચ બદામને પલાડી, વાટીને ચહેરા પર લગાડી 15 મિનિટ સૂકાવા દો ત્યારબાદ નવશેકા પાણીથી ચહેરો ધોવાથી ચહેરાનો ભેજ અને તેલનું સમતુલન રહેશે.

                                                     કેળાં


| View Show | Create Your Own 

     ઘણીવાર આપણે સવારે ઊઠીએ ત્યારે થાક અને કંટાળો વર્તાતો હોય છે. જેને મોર્નિંગ સીકનેસ કહેવાય છે. આ લાગણી દૂર કરવા સવારના નાસ્તા અને ભોજન વચ્ચે એક કેળું ખાવાથી રક્તનું પરિભ્રમણ વધે છે અને સ્ફૂર્તિ અનુભવાય છે.

    કેળાંમાં રહેલાં ખનિજ તત્વો અને વિટામિન આપણા સ્વાસ્થ્યને અનેક રીતે સારું રાખે છે. સફરજન કરતાં પણ કેળાં વધુ ગુણકારી છે. તેમાં ત્રણ પ્રકારની શર્કરા [શુગર] છે જેવી કે સુક્રોઝ, ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ છે સાથે સાથે કેળામાં ફાઈબર પણ છે. માત્ર બે કેળાં ખાવાથી દોઢ કલાક સક્રિય કાર્ય કરી શકાય છે. આપણી કેટલીય સામાન્ય શારીરિક સમસ્યાઓ કેળાંના ઉપયોગથી દૂર થય છે.

       કેળામાં રહેલો ટ્રિપ્ટોફેમ નામક પ્રોટીન શરીરમાં જઈને સેરોટિનાઅં પ્રવર્તિત થાઈને શરીરને આરામ આપે છે તેથી કેળું ડિપ્રેશનમાં આરામદાયક છે અને આનંદનો અનુભવ થાય છે.

         કેળામાં રહેલું વિટામિન બી-6 લોહીમાં રહેલી શર્કરાનું નિયમન કરતું હોવાથી મહિલાઓને માસિકધર્મમાં કેળાં ખાવા હિતાવહ છે. જેનામાં હેમોગ્લોબિન ઓછું હોય છે તો કેળામાં રહેલું આયન પૂરું પાડે છે. એનેમિક વ્યક્તિએ કેળાનો ઉપયોગ કરવો હિતાવહ છે.

      કેળાંમાં રહેલું પોટેશિયમ બ્લડપ્રેશરની સમસ્યા ઓછી કરવામાં મદદ કરે છે. કેળામાં ખૂબ ફાઈબર હોવાને કારણે કબજિયાતની તકલિફ દૂર થાય છે. પાચક ફળ હોવાને કારણે એસિડિટી પણ દૂર કરે છે તેથી અલ્સરનાં દરદી માટે કેળાં ઉત્તમ છે. કેળામાં કુદરતી એંટાએસિડ હોવાને કારણે છાતીની બળતરા દૂર કરે છે.

ઘણી સંસ્કૃતિમાં સગર્ભા મહિલાઓ માટે કેળાં શારીરિક અને ભાવનાત્મક દૃષ્ટિએ ‘ઠંડક ધરાવનાર’ માનવામાં આવે છે. થાઈલેંડમાં સગર્ભા સ્ત્રીઓ કેળાં વધારે ખાય છે જેથી આવનાર બાળક શાંત પ્રકૃતિનું થાય. આજે લગભગ દરેક વ્યક્તિ ઓછા વધતા પ્રમાણમાં સ્ટ્રેસનો અનુભવ કરતાં હોય છે એવામાં કેળામાં રહેલું પોટેશિયમ હૃદયનાં ધબકારા નિયમિત બનાવવામાં તેમજ મસ્તિષ્ક સુધી ઑક્સિજન પહોંચડવામાં મદદ કરે છે. તે ઉપરાંત શરીરમાનાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે આ કેળાં. આમ કેળાં શરીર માટે ઉત્તમ છે. તેનું સેવન હિતકારી છે.

      કેળાંની અનેક જાતો છે જેવી કે લીલા કેળાં જે શાક તરીકે વપરાય છે [ઉંધિયામાં]. કેળાંની વેફર બનાવવાનાં કેળાં, એલચી કેળાં, જે ખૂબ મીઠાં હોય છે, ગોલ્ડન કેળાં , જે પીળા હોય છે, ખાવામાં ખૂબ મીઠાં હોય છે. કાચા કેળાંમાંથી અનેક વાનગી પણ બને છે. જૈન ધર્મી બટાટાની જગ્યાએ કાચા કેળાનો ઉપયોગ કરતાં હોય છે.

ૐ નમઃ શિવાય


Add comment June 12, 2007

ઉનાળામાં ઠંડક આપતા પ્રાણાયમ

                                    આજે અધિક જેઠ વદ બીજ

આજનો સુવિચાર:- દુનિયામાં અકારણે વેરી ઘણાં હોય છે, તમે અકારણે ઉપકારી બનો.

હેલ્થ ટીપ્સ:-ભૂખ ન હોવા છતાં ખાવું અને ચાવ્યા વગર ઝડપથી ખાવું એ રોગોને નોતરું આપવાનું કામ કરે છે.

                              ઉનાળામા ઠંડક આપતા પ્રાણાયમ

 
| View Show | Create Your Own

શીતલી પ્રાણાયમ :-

[1] સુખાસન કાંતો વજ્રાસન અથવા તો પદ્માસન અથવા જે આસનમાં અનુકૂળ પડે તે આસનમાં બેસી હાથ ઘૂંટણ પર રાખો..

[2] જીભને તેના બંને છેડાથી ઉપરની બાજુએ નળી જ્ર્વો આકાર થાય તેમ રાખો.

[3] મોઢું ખૂલ્લું રાખો અને મોઢા વાટે જીભના નળી જેવો આકાર બનાવી તેમાંથી હવા પસાર થાય તે રીતે ફેફસાં હવાથી પૂરેપૂરાં ભરાઈ જાય તેમ શ્વાસ અંદર લો. [Inhale]

[4] થોડીવાર શ્વાસને અંદર રોકી રાખો પછી મોઢું બંધ કરી નાક વાટે હવા બહાર કાઢી નાખો.

[5] આ ક્રિયાનું પુનરાવર્તન 8 થી 10 વખત કરો.

શિયાળામાં આ પ્રાણાયામ અલ્પ માત્રામાં કરવો નહીં તો શરદી થઈ જશે.

આ પ્રાણાયામ કરવાથી ઉનાળામાં એરકંડિશન જેવી ઠંડક અનુભવશો. ભૂખ અને તરસ છિપાશે. હાઈ બી.પી.માં ફાયદો થશે.રક્તશુદ્ધિનું કાર્ય કરે છે.

સીતકારી પ્રાણાયમ:-

1] ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે આસનમાં બેસો.

2] જીભને તાળવા સાથે અડાડો.

3] જીભને અંદર તરફ થોડી વાળીને ઉપર અને નીચેના દાંત થી દબાવો.

4] હોઠ ખુલ્લા રાખી સિસ્કારા જેવો ધીમો અવાજ આવે તે રીતે મોંઢાથી ફેફસા ભરાઈ જાય તે રીતે શ્વાસ ભરો.

5] થોડીવાર શ્વાસ રોકો.

6] ત્યારબાદ મોઢું બંધ રાખી નાકેથી ધીરે ધીરે શ્વાસ બહાર કાઢો.

8 થી 10 વખત આ ક્રિયાનું પુનરાવર્તન કરવું. આ ક્રિયાથી શરીર ઠંડુ પડશે. ઉનાળામાં તરસ છિપાય છે અને ગરમીમાં રાહત રહે છે. શિયાળામાં આ પ્રાણાયામ ન કરવો. શરદી અને કફ થઈ જશે.

આ પ્રાણાયામથી ઉપરોક્ત લાભ થશે. તે ઉપરાંત પાયોરિયા, દાંતનાં રોગો, ગળા અને જીભના રોગોમાં પણ ફાયદો થશે.

                                              ૐ નમઃ શિવાય


2 comments June 3, 2007

શલભાસન

                    આજે અધિક જેઠ સુદ પાંચમ

આજનો સુવિચાર:- મનુષ્ય જાતિમાં બે જૂની કૂટેવો છે. એક તો મેણાં મારવાની અને બીજી આંખ મારવાની. જો પુરુષ આંખ મારવાની અને સ્ત્રી મેણાં મારવાનું બંધ કરે તો જીવન અને સમાજના અડધા સંઘર્ષ ખતમ થઈ જશે.-મુનિ તરુણસાગરજી


 

હેલ્થ ટીપ:- જો વાળ રંગતા હો તો તડકામાં ફરતા પહેલાં વાળ ઢાંકવાનું ભૂલશો નહી.

                                         શલભાસન


| View Show | Create Your Own

શલભાસન એક એવું આસન છે જેનાંથી ફેફસાં શક્તિશાળી બને છે.

સંસ્કૃતમાં ‘શલભ’નો અર્થ ‘તીડ’ થાય છે. આ આસનની અંતિમ સ્થિતિનો આકાર ખેતરમાં ઉડતાં તીડની બેસવાની સ્વાભાવિક સ્થિતિ જેવી દેખાય છે. આથી આ આસન ‘શલભાસન’ તરીકે ઓળખાય છે.

આસન કરવાની રીત:- યોગનાં આસનો કદીપણ બિછાનું બિછાવ્યા વગર કરવા નહી.

1] શલભાસન કરવા પેટ પર સૂઈ જાઓ. બંને પગ સાથે જોડાયેલા હોવા જોઈએ. બંને હાથ ઉંધા રાખી જાંઘની નીચે મૂકો..

2] શ્વાસ અંદર ભરો. અને જમણો પગ ધીરે ધીરે બને તેટલો ઉપર ઉઠાવો. પગ ઘુંટણેથી વળે નહી તેમનુ ધ્યાન રાખો.

3] ચીબુક જમીનને અડીને રહેવી જોઈએ.

4] 10 થી 30 સેકંડ આ સ્થિતિમાં રહો.

5] શ્વાસ છોડતાં છોડતાં પૂર્વત સ્થિતિમાં પાછાં આવો.

6] આ રીતે ડાબા પગને ઉપર ઉઠાવો.

આમ આ રીતે 5 થી 6 વખત કરવું.
શલભાસનનો આ એક સરળ પ્રકાર છે.
બીજા પ્રકારમાં શ્વાસ ભરીને બંને પગ સાથે રાખીને ધીરે ધીરે ઉપર ઉઠાવો.
આ ‘શલભાસન’ 2 થી 4 વખત કરવું.

 ‘શલભાસન’નો 3જો પણ એક પ્રકાર છે.

    પૂર્વતઃ સ્થિતિમાં પેટ પર જમીન પર સૂવું અને ત્યાર બાદ ડાબા હાથને કમર પર મૂકો અને શ્વાસને અંદર ભરતાં જમણા હાથને આગળ લંબાવો અને ડાબો પગ ધીરે ધીરે ઉપર ઉઠાવો. આ સ્થિતિમાં થોડીવાર રહેવું ત્યારબાદ પૂર્વતઃ સ્થિતિમાં આવો. ત્યારબાદ ડાબો હાથ લંબાવી અને જમણો પગ ઉઠાવો. આવી રીતે 3 થી 4 વખત કરવું.
આ આસનથી થતાં ફાયદા:-

સર્વાઈકલ સ્પોંડિલાઈટીસમાં આ આસન લાભદાયક છે.

આ આસનમાં પેટનાં નીચેના ભાગ, કમર તથા નિતંબો પર ખેંચાણ અને દબાણ આવવાથી ત્યાંની પેશીઓ મજબૂત થાય છે.

કમરની નીચેનાં હાડકા સુદૃઢ બને છે. પેટ પર વધેલી ચરબી ઘટે છે. પાચનશક્તિ વધે છે અને કબજિયાત દૂર થાય છે.

ગેસની તકલિફ દૂર થાય છે. સ્પ્લિન અને લીવરની મંદતા દૂર થાય છે.

સાવધાની:- હર્નિયા, વધુ પડતી ખાંસી, કરોડરજ્જુમાં જૂની તકલિફ, એસિડિટી, પેટમાં દર્દ, હાઈ બ્લડ પ્રેશરવાળા, હૃદય રોગી તેમજ દમની તકલિફ્વાળાને માટે આ આસન હિતકારી નથી.

                                       ૐ નમઃ શિવાય


5 comments May 21, 2007

Previous Posts


વિભાગો

Recent Comments

himalek32 on થોડું શોધવ…
Kartik Mistry on થોડું શોધવ…
Kartik Mistry on થોડું મગજ ક…
Harsukh Thanki on ઈલકાબો વિષ…
અનિમેષ … on થોડું મગજ ક…

Recent Posts

Archives

Calendar

May 2008
M T W T F S S
« Apr    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links