Posts filed under 'મંથન[ભક્તિરસ]'

દેવીના વિવિધ અવતારો

           આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ એટલે આસો સુદ છઠ્ઠ

                    આજે કાત્યાયની માતાજીનું પૂજન થાય છે.

આજનો સુવિચાર:- ધ્યાન થોડા સમય પૂરતું જ કરો, પણ રોજ કરવું જોઈએ. – શ્રીમાતાજી

કાત્યાયની માતાજી

કાત્યાયની માતાજી

 

    નવરાત્રિના ચોથા દિવસે કૂષ્માળ્ડા માતાજીનું પૂજન થાય છે જેમના એક હાથમાં અમૃતનો કળશ છે અને બીજા હાથમાં લોહીથી ખરડાયેલ કળશ ધારણ કર્યો છે. કુષ્માળ્ડા દેવીનું સ્વરૂપ અંબિકા અને દુર્ગાનો એક પર્યાય ગણાય છે.

નવરાત્રિનો પાંચમા દિવસે સ્કંદમાતાજીનું પૂજન થાય છે. સ્કંદ એટલે કાર્તિકેયની માતા.

પૌરાણિક કથાઓ મુજબ તારકાસુરનો વધ કરવા સ્કંદ કાર્તિકેયે અવતાર લીધો હતો. બ્રહ્માએ તારકાસુરને વરદાન આપતા કહ્યું હતું કે કેવળ સાત દિવસનું બાળક તેનો વધ કરી શકશે. કાર્તિકેયે પોતાના જન્મના સાતમા દિવસે તારકાસુરનો વધ કર્યો હતો. તેમના ઉછેરમાં સાત સ્કંદમાતાઓનો ઉલ્લેખ છે.

નવરાત્રિના છઠ્ઠા દિવસે કાત્યાયની માતાજીનું પૂજન થાય છે.

પૌરાણિક કથા મુજબ જ્યારે ભગવાન વિષ્ણુ પોતાની દસેય ઈન્દ્રિય અને અગિયારમું મન, તેને અંતર્મુખ કરીને પોઢ્યા હતા ત્યારે તે સમયે મુર દાનવ ભગવાન વિષ્ણુ સાથે યુદ્ધ કરવા આવી ચડ્યો. ભગવાન વિષ્ણુના અગિયાર ઈન્દ્રિયોમાંથી અતિ સ્વરુપવાન કન્યા પ્રગટ થઈ. તેને જોઈ મુર દાનવ મોહી પડ્યો અને લગ્નની માંગણી કરી. ત્યારે આ કાત્યાયની દેવીએ યુદ્ધનું આહવાન આપતા કહ્યું કે જે મને યુદ્ધમાં જીતે તેની સાથે લગ્ન કરું. આમ બન્ને વચ્ચે ભીષણ યુદ્ધ થયું. પરંતુ આતો અલૌકિક મા આદ્યશક્તિ જગદંબા હતા તેમણે મુર દાનવનું મસ્તક ખડગ વડે છેદી કાઢ્યું. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થતા માતાજીએ આસુરી શક્તિનો વધ કર્વાની શક્તિ અને શસ્ત્રો માંગ્યા.

 

દેવીના વિવિધ અવતારો

 

ત્રિગુણાત્મિકા:- સૃષ્ટિનું સ્વરૂપ સત્વ, રજ અને તમ ગુણોથી યુક્ત હોવાને કારણે તેઓ ‘ત્રિગુણાત્મિકા’ કહેવાય છે. આ દેવીની ઉપાસના કરવાથી આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક ઉન્નતિ થાય છે.

દુર્ગાદેવી:- દેવીએ શતનેત્રી– સ્વરૂપ ધારણ કરી દુર્ગમ નામના રાક્ષસનો વધ કર્યો હોવાથી તેઓ દુર્ગા કહેવાયા. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી દુર્ગાદેવીના અવતારો ગણાય છે.

ચામુંડા:- ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કરવાથી તેઓ ચામુંડા કહેવાયા.

શાકંભરી:- પોતાના ભૂખ્યા તરસ્યા ભક્તોને દેવીએ કંદમૂળ અને શાકભાજી આપ્યા તેથી તેઓ શાકંભરી તરીકે ઓળખાયા.

સતી:- દક્ષ પ્રજાપતિની કન્યા રૂપે આદિમાયાએ અવતાર લીધો અને સત્ય માટે પોતાની આહુતી આપી તેથી તેઓ સતીદેવી તરીકે ઓળખાયા.

પાર્વતી-કાલી-ગૌરી:- સતીદેવી બીજા જન્મમાં પર્વતરાજ હિમાલયને ઘરે અવતાર લીધો તેથી તેઓ પાર્વતી તરીકે ઓળખાયા. શરીરકાંતી કાળી હોવાથી કાલી તરીકે ઓળખાયા.

માતૃકા:- કાર્તિકેયની સાતમાતા સ્કંદમાતા તરીકે ઓળખાય છે. તેથી તેઓ માતૃકા તરીકે ઓળખાયા. સિન્ધુઘાટીમાં સાતમાતૃકાઓની મૂર્તિઓ મળી આવી છે.

 

                                           ૐ નમઃ શિવાય

6 comments September 23, 2009

ચન્દ્રઘંટા માતાજી

     આજે નવરાત્રિનો ત્રીજો દિવસ એટલે આસો સુદ ત્રીજ

              આજે ચન્દ્રઘંટા માતાજીનું પૂજન થાય છે.

આજનો સુવિચાર:- જે દેહમાં પવિત્ર અને નિષ્કલંક આત્મા રહે છે, તે દેહ પણ પવિત્ર અને નિષ્કલંક જ હોય છે. – પ્રેમચંદ

ચન્દ્રઘંટા માતાજી

ચન્દ્રઘંટા માતાજી

આજે ચન્દ્રઘંટા માતાજી પૂજાય છે.

પિંડબપ્રવર આસઢા ચ ચંડકોસ્ત્રકૈર્યુતા
પ્રસાર્દતનુતાં માઘં ચંડખંડેતિ વિશ્રુતા

અર્થાત વાઘ પર સવાર થયેલી પ્રચંડ શસ્ત્રોને ધારણ કરતી એવી જગપ્રસિદ્ધ ચંડખંડ દેવી મારા પર પ્રસન્ન થાઓ.

પૃથ્વીના શ્રેષ્ઠ પિંડ એવા ચન્દ્ર ઉપર આરૂઢ થયેલી ચાંદનીરૂપી વસ્ત્ર ધારણ કરનારી દેવી ચન્દ્રઘટા છે. ચાંદની જેવી શીતળતા અર્પે અને પરમશાંતિ, મનનો ઉદ્વેગ બંધ કરી શીતળતા પ્રસરાવે તે માટે મા ચન્દ્રઘટાની ઉપાસના કરવી તેમના દસે હાથમાં ખડગ આદિ શસ્ત્રો છે. તેમના મસ્તક પરઘંટ આકારનો ચન્દ્ર છે. તેમના ઘંટનો ધ્વનિ સદાયે ભક્તોનું રક્ષણ કરે છે. દેવી ચન્દ્રઘંટા વાઘ પર આરૂઢ છે.

પૌરાણિક કથા મુજબ સતયુગમાં ઈંદ્ર અને અસુરો વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયુ હતું. તેમાં અસુરોએ ઈંદ્રને પરાસ્ત કર્યો અને દેવોની ભૂંડી દશા થઈ હતી. છેવટે બધા દેવો બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવજીને વાત કરી. તેથી તેઓ દુઃખી થયા. આમ ઉશ્કેરાયેલા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને તમામ દેવોના તેજથી પણ અધિક પ્રભાવશાળી મા જગદંબા ચંડખંડ દેવી રૂપે પ્રગટ થયા. હજારો આભૂષણ તેમ જ હજારો શસ્ત્રો ધારણ કરનારી આ માતા અને મહિષાસુર વચ્ચે ભીષણ યુદ્ધ થયું. આખરે ત્રિશૂળ વડે મહિષાસુરના મસ્તકને છેદી કાઢ્યું. આ અસુરના બળવાન શરીર પર સિંહ ચઢી ગયો અને તેનું લોહી ચૂસવા લાગ્યો. અંતે દેવી સમક્ષ મહિષાસુરે પ્રાણ તજ્યા. દેવીએ તેની સદગતિ કરી ત્યારથી દેવીના પૂજન સાથે મહિષાસુરના મસ્તકનું પૂજન થાય છે.

યા દેવી સર્વ ભૂતેષુ દયા રૂપેન સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ

જય અમ્બે

ૐ નમઃ શિવાય

Add comment September 20, 2009

બ્રહ્મચારિણી [નોરતાની રાત]

           આજે નવરાત્રિનો બીજો દિવસ એટલે આસો સુદ બીજ

                   આજે બ્રહ્મચારિણી માતાનું પૂજન થાય છે.

આજનો સુવિચાર:- સત્ય એક જ છે. વિદ્વાન તેને અનેક પ્રકારથી વર્ણવે છે. — ઋગ્વેદ

મા બ્રહ્મચારિણી

મા બ્રહ્મચારિણી

दधाना करपदमाभ्यां अक्षमाला कमडलुम
देवी प्रसीदतु मह्यम ब्रह्मचारिणी अनुत्तमा

   અર્થાત કમલ, અક્ષમાલા અને કમંડલને ધારણ કરનારી સર્વશ્રેષ્ઠ બ્રહ્મચારિણી દેવી મારા પર પ્રસન્ન થાઓ.

        બ્રહ્મ એટલે તપ થાય છે. તપનું આચરણ કરનાર આ દેવી જ્યોતીર્મય છે. હાથમાં કમંડલમાં અમૃતરૂપી જળ રાખ્યું છે. જેનો છંટકાવ શરીરને અમૃતમય કરી દે છે. હાથમાં અક્ષત માળા છે. એટલે કે ફરી જન્મ આપી અને અમૃત સ્વરૂપનું જળ નાખી જીવનમુક્ત કરે છે.

પુરાણોમાં મા બ્રહ્મચારિણીની એવી કથા છે કે દેવાધિદેવ મહાદેવને પ્રાપ્ત કરવા મા પાર્વતીએ કઠિન તપસ્યા કરી. હિમાલયની કડકડતી ઠંડીમાં જળમાં ઊભા રહી તેમણે કઠિન તપ કર્યુ. ચારેબાજુ અગ્નિ પ્રગટાવી વચ્ચે બેસી તેમણે પંચાગ્નિ તપ કર્યું. પ્રાતઃકાળથી સાયંકાળ સુધી સૂર્યની સામે જોઈ રહીને સૂર્યનિવિષ્ટ દ્રષ્ટિ તપ કર્યું. અન્ન, જળ અને છેવટે પર્ણોનો ખોરાક પણ છોડી દઈને તેમણે કઠોર ઉપવાસ કર્યા તેથી તેઓ ‘અપર્ણા’ કહેવાયા. દેવાધિદેવ શિવજીને તેમણે પરબ્રહ્મ સ્વરૂપે પ્રાપ્ત કર્યા તેથી તેઓ બ્રહ્મચારિણી દેવી કહેવાયા.                                                          —સંકલિત

या देवी सर्वरूपेषु मातृरूपेण संस्थीता
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः

[અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ પટેલે [આકાશદીપ] પોતાની આ રચના મોકલ્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

નોરતાની રાત

ઢોલીડા…ઢોલીડા…ધબકે માઝમ રાત(૨)
શોભે નવલા નોરતાની રાત(૨)
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત

આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)
એકતાલી,બે તાલી,દેજો રે સાત તાલી(૨)
કે ગરબે…ઘૂમે આરાસુરી માત(૨)
શોભે નવલા નોરતાની રાત
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત

આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)
એક તાલી, બે તાલી દેજો રે સાત તાલી(૨)
કે ગરબે…કે ગરબે ઘૂમે પાવાવાળી માત(૨)
શોભે નવલા નોરતાની રાત
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત

આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)
શ્રધ્ધાના દીવડાને…તાલીઓના તાલ(૨)
ધબકેછે ઢોલને ભક્તિની હેલ
ગાઈએ ગુણલાને…. રમીએ રાસ,રમીએ રાસ

કે ગરબે..કે ગરબે ઘૂમે બહૂચરમાત
કે ગરબે..કે ગરબે ઘૂમે ઉમીયામાત
કે ગરબે ઘૂમે આશાપુરીમાત
ઝમકે ઝાંઝરનો ઝમકાર,શોભે નવલાં નોરતાની રાત
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત

આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)

શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

                                     ૐ નમઃ શિવાય

5 comments September 19, 2009

શૈલપુત્રી [નવરાત્રિનો પ્રથમ દિવસ]

          આજે નવરાત્રિનો શુભારંભ એટલે આજે આસો સુદ એકમ  

 
આજનો સુવિચાર:- વિકટ સમસ્યાઓનો સરળ ઉકેલ શોધવો સૌથી મુશ્કેલ કામ છે.

 

આજથી નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં શક્તિપૂજાનું આ મહાપર્વ એટલે નવરાત્રિનો પ્રારંભ.

या देवी सर्वभूतेषु शक्तिरुपेण सस्थिता
नमस्तसै नमस्तसै नमस्तसै नमोनमः

શૈલપુત્રી

શૈલપુત્રી

 

                                   શૈલપુત્રી

નવરાત્રિના પ્રથમ દિવસે પર્વતરાજ હિમાલયની પુત્રી શૈલપુત્રીનું પૂજન થાય છે.

    આ શૈલપુત્રી એટલે દેવોના દેવ મહાદેવની પ્રથમ પત્ની ‘સતી’, જે પૂર્વજન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રી તરીકે પ્રસિદ્ધ હતા. એમના લગ્ન દેવાધિદેવ શિવજી સાથે થયા હતા પરંતુ શિવજી એ સમયે અઘોરવેશી હતા.

      યજ્ઞ વખતે પોતાના અપમાનનો બદલો લેવા દક્ષ પ્રજાપતિએ પોતાના જમાઈને એટલે કે શિવજીને નોતર્યા ન હતા તેમજ યજ્ઞમાં સ્થાન પણ ન આપ્યું હતું. આથી દુઃખી સતીએ યજ્ઞમાં પોતાની જાત હોમી દીધી. શિવજીને આની જાણ થતા દક્ષ રાજાના યજ્ઞનો  ધ્વંસ કર્યો. અને સતીના દેહને લઈને ત્રિભુવન ડોલાવવા લાગ્યા. સતીનાં અંગો જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠ બની ગયા

       માર્કંડેયપુરાનમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે. તે અર્ધ ચંદ્રધારી કમલ તથા ત્રિશૂલ ધારણ કરી બેઠેલી છે.
    

                                                  ૐ નમઃ શિવાય

4 comments September 18, 2009

શ્રાદ્ધ

                       આજે ભાદરવા વદ એકમ [શ્રાદ્ધની શરુઆત]

 

આજનો સુવિચાર:- તમે જેટલું ઓછું બોલશો સામેવાળા એટલું જ વધુ ધ્યાનથી સાંભળશે.

માનસરોવરને કિનારે પિતૃતર્પણ

માનસરોવરને કિનારે પિતૃતર્પણ

                                                      શ્રાદ્ધ

       ભાદરવા વદ એકમથી અમાસ સુધીનું પખવાડિયું એટલે શ્રાદ્ધ પક્ષ. શ્રદ્ધા અને પ્રસન્નતા માટે જે સન્માન અને આદરભાવભરી લાગણી વ્યક્ત કરવામાં આવે તે વૈદિક કર્મને ‘શ્રાદ્ધ’ કહેવાય છે. શ્રાધ એ મૃત્યુ પછીનું સંસ્કાર કર્મ છે. સોળ દિવસની [પૂનમથી અમાસ સુધી] સોલ તિથિઓ પ્રમાણે જાતકો પિતૃઓનું શ્રાદ્ધકર્મ કરતા હોય છે. આમાં પિંડદાન, કાગવાસ, બ્રહ્મભોજન વગેરે કર્મો કરવાના હોય છે.

     મત્સ્યપુરાણ અનુસાર મૃત વ્યક્તિઅ પુનર્જન્મ ધારણ કરીને બીજી યોનિમા હોય છે. વસુ, રુદ્ર, આદિત્ય જેવા પિતૃદેવતા દ્વારા ખાદ્યપદાર્થો મૃતાત્માઓને પહોંચાડાય છે અથવા તે પદાર્થોનું સૂક્ષ્મ વસ્તુઓમાં રૂપાંતર થઈને તે ભિન્ન ભિન્ન યોનિમાં પિતૃઓને પ્રાપ્ત થાય છે.

     સ્કન્ધપુરાણ અનુસાર પિતૃઓ અને દેવ યોનિ એવી છે કે જે હજારો જોજન દૂરથી કરેલી પૂજા ગ્રહણ કરે છે અને સ્તુતિથી સંતુષ્ટ થાય છે. તિકાળજ્ઞાની પિતૃઓ સર્વવ્યાપી હોય છે. તેઓ તર્પણ કરેલું ભોજન સ્થૂળશરીરથી આરોગતા નથી પરંતુ સૂક્ષ્મશરીરથી ગ્રહણ કરી સંતુષ્ટ બની મનુષ્યોને આશીર્વાદ આપે છે.

      શ્રાદ્ધ માટે સૌથી પવિત્ર સ્થલ બિહારમાં આવેલું ગયાતીર્થ કે બુદ્ધગયા છે. માતૃશ્રાદ્ધ માટે ઉત્તર ગુજરાતનું સિદ્ધપુર સ્થળ ફળદાયી ગણાય છે.

ભવિષ્યપુરાણ અનુસાર શ્રાદ્ધના બાર પ્રકારો છે.

1] નિત્ય   [2] નૈમિત્તિક   [3] કામ્પ   [4] વૃદ્ધિ    [5] સપિંડન   [6] પાર્વણ   [7] ગોષ્ટિ   [8] શુદ્ધયર્થ   [9] નાંદી    [10] દૈવિક    [11] યાત્રાર્થ    [12] પુષ્ટયર્થ

           ગરૂડપુરાણમાં કાગડાને પિતૃઓનો પ્રતિનિધિ કહ્યો છે. મૃતાત્માના ‘પ્રાણસૂત્ર’ને તે ઓળખતો હોવાથી શ્રાદ્ધની તિથિએ કાગવાસ નાખવામાં આવે છે.
                                                                                                               — સંકલિત

                       

                                         ૐ નમઃ શિવાય

7 comments September 4, 2009

ગણેશજીના વિવિધ રૂપો

                                   આજે ભાદરવા સુદ નોમ

 

આજનો સુવિચાર:- જ્યાં નીતિ અને બળ બન્નેને કામમાં લેવાય છે, ત્યાં બધી બાજુથી સફળતા પ્રાપ્ત થાય છે. — શંકરાચાર્ય

G1-480

 

ગણેશજીના વિવિધ રૂપો

 

વિઘ્નેશરાય વરદાય સુરપ્રિયાય,
લંબોદરાય સકલાય જગદ્વિતાય
નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય,
ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે

ગણેશ, ગણપતિ, ગજાનન, લંબોદર, વિઘ્નહર્તા, સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, ધૂમકેતુ, ગણાધ્યક્ષ, ભાલચન્દ્ર, વિનાયક વગેરે અનેક વિવિધ નામ ધરાવતા ગણેશજી વિશ્વભરમાં પૂજાય છે. તેમની વિવિધ પ્રકારની મૂર્તિઓ જગતના જુદા જુદા વિસ્તારોમાં જોવા મળે છે.

મૅક્સિકોમાં વરુણ દેવતા તરીકે ઓળખાતા ગણેશજીની બે ભુજાઓ છે. તેમની સૂંઢ લાંબી છે અને કપાળ પર સૂર્યનું પ્રતિક છે. આંખો સોનેથી મઢેલી છે. બુદ્ધ ભગવાન જેવી મુદ્રામાં ગણેશજી બિરાજમાન છે. ત્યાંની સંસ્કૃતિ અનુસાર તેમને ફૂલપાનના આભૂષણો પહેરાવવામાં આવ્યા છે.

દક્ષિણ બાલીના જંબરનમાં આવેલી ગણેશજીની મૂર્તિ અગ્નિરૂપે ઓળખાય છે. સાતમી કે આઠમી સદીની આ પાષાણની મૂર્તિ બે ભૂજાની છે. બાલીમાં બીજે બધે કાંસ્યની મૂર્તિઓ જોવા મળે છે. પાષાણની આ મૂર્તિ દુનિયામાં એક છે એવું મનાય છે. આ મૂર્તિમાં બાલી સંસ્કૃતિની ખાસ વિશિષ્ટતા દેખાય છે. આ મૂર્તિમાં પગનાં તળિયા જાવા પદ્ધતિ અનુસાર એકમેકને સ્પર્શ કરે છે. ગણેશજીના જમણા હાથમાં મશાલ અને ડાબા હાથમાં પાત્ર છે. તેમનું મોઢું મોટું, આંખો ગોળ અને કપાળ પર કમળ છે. માથા પરના મુગટમાં મૂલ્યવાન હીરો જડેલો છે. સૂંઢ ગરદન તરફ વળેલી છે તેની બાજુમાં જ્વાળા છે. કમરપટ્ટો ઈંડોચીન પદ્ધતિનો છે. અહીંયા ગણેશજી સૂર્યરૂપે ઓળખાય છે. જ્યારે રાજારાણીનું મૃત્યુ થાય ત્યારે તેમના પૂતળા બનાવી જમણા હાથમાં ગણેશજીની મૂર્તિ મૂકવામાં આવે છે. આમ કરવાથી રાજારાણી દેવરૂપ પામે છે એવી માન્યતા છે. ગણેશજી દુષ્ટોના સંહારક દેવતા હોવાથી બાલીના ગણપતિના હાથમાં મશાલ હશે એવું અનુમાન કરવામાં આવે છે.

ઈંડો – ચાઈનામાં ગણેશજી વિનાયક તરીકે ઓળખાય છે. અહીં સ્સતમી કે આઠમી સદીની આ ગણેશજીની મૂર્તિ બે માથાવાળી છે. આગળનું માથુ હાથીનું છે અને પાછળનું માથું મનુષ્યનું છે. આ મૂર્તિમાં ગણેશજી ઊભા છે. ડાબા હાથમાં પાત્ર છે અને જમણા હાથમાં પાંદડાની ડાળખી છે.

જાપાનમાં ગણેશજીની મૂર્તિ હસમુખો ચહેરો ધરાવે છે, પુસ્તક બેઠેલી આ મૂર્તિના ચાર હાથમાં કુહાડી, કુંભ, ધનુષ્યબાણ અને પુષ્પમાળા છે. આંખો લીલી છે અને માથે ચોટી છે.

જાવામાં બોરોના ગણેશ તરીકે ગણેશજી ઓળખાય છે. તેમને ચાર હાથ છે અને પગ પાસે માનવખોપડીઓ કોતરેલી છે. ગણેશજીની આખી મૂર્તિ ભારતીય જાવાપદ્ધતિની છે. પાછળની બાજુ કાપાલિક ચહેરો કોતરવામાં આવ્યો છે જે ભૂત પિશાચનો નાશ કરનારો ગણાય છે.

તિબેટમાં ગણેશજી રાક્ષસોથી રક્ષણકર્તા તરીકે માનવામાં આવે છે જેથી મંદિરના મુખ્ય દ્વાર પર મૂર્તિ રૂપે ચિત્રમાં જોવા મળે છે. તામ્બોમાં દેવાલયના મુખ્યદ્વાર પર વ્યાઘ્રચર્મ પર ગણેશજીની મૂર્તિ કંડારેલી છે. તેમના ગળામાં રુદ્રાક્ષમાળા અને સર્પ જોવા મળે છે.
ઈરાનમાં ગણેશજી શૂરવીર યોદ્ધાના સ્વરૂપે જોવામાં આવે છે. તેઓ શંકર ભગવાનના ગણના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે. તેમને દાઢી પણ છે. ચીનમાં ગણેશજી ગૂઢ વિદ્યાના દેવતા ગણાય છે. અફઘનીસ્તાનમાં ઈજિપ્ત સંસ્કૃતિ પ્રમાણે તૈયાર કરેલી સાતમી કે આઠમી સદીની ગણેશજીની મૂર્તિ જોવા મળે છે. બૉર્નિયામાં જટાધારી અને ગળામાં સર્પોના હાર સહિત ગણેશજીની મૂર્તિ જોવા મળે છે. ઉત્તર વિયેટનામમાં ગણેશજીના ચહેરા પર એક આખો અને બીજો અડધો દાંત જોવા મળે છે.

નેપાળમાં સૂર્યવિનાયક, શ્રીલંકામાં યોગાયોગ વિંદા શ્રી ગણેશ, મધ્ય એશિયામાં ગણેશ, કમ્બોડિયામાં મહારાજ લીલા મુદ્રા શ્રી ગણેશ, બ્રહ્મદેશમાં મહાપિચેન, કામ્પુચિયામાં શ્રી ગણેશ ખમેર તરીકે ઓળખાય છે.

આમ દેશ-વિદેશમાં ગણપતિબાપ્પા એક યા બીજા સ્વરૂપે પૂજાય છે, આરાધ્યાય છે, શ્રદ્ધા રાખીને સ્થાપિત કરી પૂજે છે, ભજન કરે છે.

— સૌજન્ય :- જન્મભૂમિ

ગણપતિ બાપ્પા મોરિયા
પુઢચા વર્ષી લવકર યા
અર્થાત
હે ગણપતિ બાપા
આગલે વર્ષે જલ્દી આવજો,

                                          ૐ નમઃ શિવાય

5 comments August 29, 2009

આરતી શા માટે?

                      આજે ભાદરવા સુદ સાતમ

આજનો સુવિચાર:- સફળતાની નીચે અનેક ભૂલો ઢંકાયેલી હોય છે. — બર્નાડ શૉ

આરતી

આરતી

 

 

                                     આપણે આરતી શા માટે કરીએ છીએ?

      ભગવાનની પૂજા કે ભજનના અંતે અથવા કોઈ સંતપુરુષ કે સન્માનીય મહેમાનના સ્વાગતમાં આરતી ઉતારવામાં આવે છે. આરતીની સાથે ઘંટારવ થાય છે. આરતી ગવાય છે.મંગળ વાદ્યો વાગે છે અને તાળી પાડવામાં આવે છે. ષોડશ ઉપચાર પૂજાનો એક ઉપચાર છે. જેને ‘મંગળ નિરંજન’ દિવ્ય અને પવિત્ર પ્રકાશ] કહેવાય છે. પરમાત્માના સંપૂર્ણ રૂપને પ્રકાશિત કરવા આપણે જમણા હાથમાં પ્રગટાવેલા દિવા લઈને જમણાથી ડાબી દિશામાં ગોળાકાર કરીને તેની જ્યોતને ફેરવવામાં આવે છે. તેનાથી ભગવાનનું દરેક અંગ અને તેમનું સમગ્ર સ્વરૂપ પ્રકાશિત થાય છે.

     જ્યારે આરતી ઉતારવામાં આવે છે ત્યારે સૌ મનમાં અતહ્વા મોટા અવાજે આરતી ગાય છે અથવા ભગવાનના સુંદર રૂપનાં દર્શન કરે છે. આરતી વખતે આપણને વધુ એકાદ્રતા અને ભક્તિભાવનો અનુભવ થાય છે. ભગવાનના સુંદર રૂપનાં દર્શન કરે છે. આરતી વખતે વધુ એકાગ્રતા અને ભક્તિભાવની અનુભૂતિ થાય છે. આરતી પૂરી થાય ત્યારે બે હાથ જ્યોત પર ફેરવીને આંખે અને માથે અડાડીએ છીએ.

     ભગવાનની પ્રતિમાનો અભિષેક તથા શ્રૃંગાર કરીને અને તેમને નૈવેદ્ય ફળાહાર વગેરે ધરાવી પ્રેમથી તેમની પૂજા કરીને શોભા અને સુંદરતાની અનુભૂતિ થાય છે. આરતીનું ગાન, તાલીનો તાલબદ્ધ ધ્વનિ, ઘંટારવ વગેરે, ભગવાનના દર્શનથી થતા આનંદ અને માંગલ્યમાં પૂરક છે.

       ઘણીવાર કપૂરથી આરતી કરવામાં આવે છે. એનું પણ આધ્યામિક મહત્વ છે. કપૂરને પ્રગટાવ્યા પછી તે અશેષ સળગી જાય છે. કપૂર આપણી મૂળભૂત વાસનાઓનું પ્રતિક છે. જ્યારે આરતીની જ્યોત જ્ઞાનાગ્નિનું પ્રતિક છે. જ્યારે જ્ઞાનાગ્નિથી અશેષ વાસના બળી જાય છે ત્યારે ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય છે. બીજી રીતે વિચારીયે તો ભગવાનના દર્શનથી બધીજ વાસનાઓ બળી જાય છે.

     આરતી થતી હોય ત્યારે નયનો અંતરમાં ડોકિયું કરતા હોય તેમ આપોઆપ બીડાઈ જાય છે. એનો અર્થ એ થાય છે કે આપણામાં ભગવાનનું મંદિર છે – ભગવાન આપણા હૃદયમંદિરમાં વસે છે. આરતી પૂરી થતા તેની આશકા લઈને આંખે અડાડી માથા ઉપર ફેરવીએ ચીએ. તેનો અર્થ એ થાય છે કે જે જ્યોતિ ભગવાનને પ્રકાશિત કરે છે તે મારી દૃષ્ટિને પણ દિવ્યતા અર્પો અને મારા વિચારોને ઉન્નત કરો.

    આરતીનો તાત્વિક અર્થને વિસ્તારપૂર્વક જોઈએ તો સૂર્ય, ચન્દ્ર, તારા વિદ્યુત અને અગ્નિ એ પ્રકાશના કુદરતી સ્તોત્ર છે. વિશ્વના આ બધા કુદરતી ઘટકોનાયે મૂળ સ્તોત્ર ભગવાન છે. આરતી કરી આપણે ચેતનાસ્વરૂપ ભગવાનનો આભાર માનીયે છીએ.

ન તત્ર સૂર્યો ભાતિ ન ચન્દ્ર તારકમ !
નેમા વિધ્યુતો ભાંતિ કુતોયમગ્નિ:!
તમેવ ભાન્તમ અનુભાતિ સર્વમ
તસ્ય ભાસા સર્વમિદં વિભાતિ !!

                                                                                  — સંકલિત

                                          ૐ નમઃ શિવાય

1 comment August 26, 2009

ભગવાન વિષ્ણુના નામ

                 આજે જેઠ સુદ દસમ [ગંગાવતરણ, ગંગાદશહરા સમાપ્ત]

 

આજનો સુવિચાર:-વિચારશૂન્યતા આજના યુગની સામાજિક આપત્તિ છે. – જોન રસ્કિન

હેલ્થ ટીપ:- નખને કાપતા પૂર્વે થોડીવાર હુંફાળા પાણીમાં ડૂબાડી રાખવા જેથી સરળતાપૂર્વક કપાશે.

Lord_Vishnu[1]

ભગવાન વિષ્ણુનાં પંચાવન નામ

1] પુષ્કરમાં પુંડરિકાક્ષ
2] ગયામાં ગદાધર
3] ચિત્રકૂટમાં રાઘવ
4] પ્રભાસમાં દૈત્યસૂદન
5] જયંતીમાં જય
6] હસ્તિનાપુરમાં જયંત
7] વર્ધમાનમાં વારાહ
8] કાશ્મીરમાં ચક્રપાણિ
9] કુબ્જાભમાં જનાર્દન
10] મથુરામાં કેશવદેવ
11] કુબ્જામ્રકમાં હૃષીકેશ
12] ગંગાદ્વારમાં જટાધર
13] શાલગ્રામમાંમહાયોગ
14] ગોવર્ધન ગિરિવર હરિ
15] પિંડારકમાં ચતુર્બાહુ
16] શંખોધ્ધારમાં શંખી
17] કુરૂક્ષેત્રમાં વામન
18] યમુનામાં ત્રિવિક્રમ
19] શોણતીર્થમાં વિશ્વેશ્વર
20] પૂર્વસાગરમાં કપિલ
21] મહાસાગરમાં વિષ્ણુ
22] ગંગાસાગર સંગમમાં વનમાળી
23] કિષ્કિન્ધામાં રૈવતકદેવ
24] કાશીતટમાં મહાયોગ
25] વિરજામાં રિપુંજય
26] વિશાખયુપમાં અજિત
27] નેપાલમાં લોકભવન
28] દ્વરિકામાં શ્રીકૃષ્ણ
29] મંદરાચયમાં મધુસુદન
30] લોકાકુલમાં રિપુહર
31] શાલગ્રામમાં હરિ
32] પુરૂષવટમાં પુરૂષ
33] વિમલતીર્થમાં જગતપ્રભુ
34] સૈન્ધપારણ્યમાં અનંત
35] દંડકારણ્યમાં સારંગધર
36] ઉત્પલાવર્તકમાં શૌરિ
37] નર્મદામાં શ્રીપતિ
38] રૈવતકગિરિ પર દામોદર
39] નંદામાં જળશાયી
40] સિંધુસાગરમાં ગોપીશ્વર
41] મહેન્દ્રતીર્થમાં અચ્યુત
42] સહ્યાદ્રિ પર દેવદેવેશ્વર
43] માગધવનમાં વૈકુટ
44] વિન્ધ્યગિરિ પર સર્વપાપહારિ
45] ઔણ્ડમાં પુરૂષોત્તમ
46] હૃદયમાં આત્મા
47] વટવૃક્ષ પર કુબેર
48] પર્વત પર શ્રીરામ
49] દરેક ચાર રસ્તા પર શિવ
50] ધરતી અને આકાશમાં નરક
51] વશિષ્ટ તીર્થમાં ગરૂડધ્વજ
52] સર્વત્ર ભગવાન વિષ્ણુ
53] કાંકરોળીમાં શ્રીનાથજી
54] ઉત્તર ગુજરાતમાં શામળાજી
55] ડાકોરમાં રણછોડરાય

– સંકલિત

                                              ૐ નમઃ શિવાય

8 comments June 1, 2009

વાસંતિક નવરાત્રી

                  આજે ચૈત્ર સુદ પાંચમ [ચૈત્રી નવરાત્રિનો પાંચમો દિવસ]

આજનો સુવિચાર:- કરેલી ભલાઈનો ભૂલેચૂકે અહંકાર ન કરવો – મોરારીબાપુ

હેલ્થ ટીપ:- રોજ સવારે બે ગ્લાસ ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે.

ambaji1

         વાસંતિક નવરાત્રિ

યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ

માતાજી પોતે બનાવેલી આ સૃષ્ટિનું સૌંદર્ય સદા અચળ અને એમની બનાવેલી માનવ સૃષ્ટિને ઊની આંચ ન આવે તે માટે તેમણે ભિન્ન ભિન્ન સમયે અને ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરી દર વખતે નવા નામે પ્રગટ થયાં હતાં. પોતાની અમોઘ શક્તિને વિભાજિત કરી પોતાનામાં રત રહેનારી મા જ્યારે દેવોને જરૂર પડે અને સ્મરણ કરતા ત્યારે તેઓ નીતિ, નિયમ અને ધર્મને આધીન રહી હાજર થતાં.

પિતા ધર્મ ચૂકેલા દક્ષ પિતાએ યોજેલા યજ્ઞમાં વગર નિમંત્રણે પહોંચેલા સતીથી પોતાના પતિ શિવજીની ઉપેક્ષા સહન ન થતા યજ્ઞમંડપમાંથી પાછા ન ફરતા યજ્ઞકુંડીમાં શિવજીને પુનઃ પામવાના નિરાધારથી પોતાના દેહને સમર્પણ કર્યું.

બીજે જન્મે હિમાલય પુત્રી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. હિમાલય પિતા હતા તેથી તેમનું નામ પાર્વતી પડ્યું. પર્વતપુત્રી હોવાને કારણે ઘણી જગ્યાએ તેઓ ‘ગિરિજા’ કે ‘શૈલજા’ નામે ઓળખાવા લાગ્યા તો કોઈ તમને ‘ક્ષિતિધર તનયા’ તરીકે ઓળખે છે.
આગલા જન્મમાં સતીના રૂપે તેમણે અગ્નિસ્નાન કર્યું હતું તેથી તેમનો દેહ કાળો થઈ ગયો હતો તેથી તેઓ ‘કાલિકા’ના નામે ઓળખાય છે.

શિવજી સાથે લગ્ન કરવાની પ્રબળ ઈચ્છાને કારણે માતા મેનકાને પોતાનો નિર્ણય જણાવ્યો. આ નિર્ણય સાંભળતા મેનકા બોલી ઊઠ્યાં કે ‘ઉમા’ જેનો અર્થ એ થાય છે કે ‘ન કરતી’. એ સમયથી તેઓ ‘ઉમા’ના નામે ઓળખાવા લાગ્યા.

શિવજીને મેળવવા મહેલ છોડી તેમણે તપ આદર્યું. ન જોયો તડકો કે ઠંડી, ન જોઈ વરસાદની અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ વર્ષો સુધી ઘોર તપશ્ચર્યા આદરી. વહેતી નદીમાં સ્નાન કરી હવનમાં મગ્ન રહેતા પાર્વતીજી કંદમૂળ કે સૂકા પાંદડા ખાઈ જીવનની સાધના આદરી. અંતે સૂકા પર્ણોનો આહાર છોડ્યો આથી તેઓ ‘અપર્ણા’ તરીકે ઓળખાવવા લાગ્યા.

      પરીક્ષા લેવાના હેતુથી શિવજી એકવાર બ્રહ્મચારીનું સ્વરૂપ લઈ પાર્વતીજી પાસે ભિક્ષા માંગવા આવ્યા અએ તેમણે માતાજીને કહ્યું કે હું પ્રથમ સ્નાન કરી આવુ પછી હું ભિક્ષા લઈશ. શિવજી જે નદીમાં સ્નાન કરવા ગયા હતા તે નદીમાં મગર રહેતો હતો. શિવજીનો પગ એ મગરના મોંમા આવી ગયો અને શિવજીએ મદદ માટે બૂમો પાડી. તણાતા શિવજીને બચાવવા પાર્વતીજીએ શિવજી તરફ હાથ લંબાવ્યો અને બ્રહ્મચારી રૂપે આવેલા શિવજીનાં હાથમાંમૂક્યો. ત્યારથી પાર્વતીજી ‘હસ્તાલિકા’ના નામે ઓળખાવા લાગ્યા.

એકવાર શિવજીએ પાર્વતીજીને કાળી નાગણ સાથે સરખાવ્યા તેથી પતિને રીઝવવા ગૌરવર્ણ માટે તેમણે બ્રહ્માજી પાસે વરદાન મેળવવા તપ આદર્યું. બ્રહ્માજીએ ખુશ થઈને તેમનો વર્ણ ગૌર કર્યો. ત્યારથી તેઓ ‘ગૌરી’ને નામે ઓળખાવા લાગ્યા.

     આમ જોવા જઈએ તો શક્તિ,નામ,કામ,ધામ સર્વ આપણા શરીરમાં કુંડલિની સ્વરૂપે વિદ્યમાન છે. શંકા-કુશંકા કરનારને આ આદ્યશક્તિનો અનુભવ થતો નથી. વિચારોના વમળોમાંથી બહાર આવી જોઈશું તો આ આદ્યાશક્તિ જીવનની હરપળે જરૂર પડે શક્તિરૂપે હાજર છે. એથી તો તેઓ ‘સર્વરૂપા’ તરીકે ઓળખાય છે.

           માતાજી ‘લક્ષ્મી’ રૂપે કોલ્હાપૂરમાં વસ્યા છે. માતાજી ‘રેણુકા’ રૂપે માતુપુરમાં, ‘તુળજાભવાની’ રૂપે તુળજાપુરમાં, ‘સપ્તશૃંગી’ રૂપે નાસિકમાં વસ્યાં છે. હિંગળા, જ્વાલામાઈ, શાકંભરી, ભ્રામરી, રક્તાંબિકા, દુર્ગા જેવા જુદા જુદા નામ સાથે જુદા જુદા સ્થાને માતાજીએ વસવાટ કર્યો છે. વિદ્યાચલમાં ‘વિદ્યાચલી’ તરીકે કાંજીપુરમાં ‘અન્નપૂર્ણા’ તરીકે, નીલપર્વતમાં ‘નિલાંબા’ તરીકે સ્થિત છે. શ્રીનગર પાસે ‘જાંબુનવેશ્વરી’ તરીકે સ્થિત છે. વેદારણ્યમાં ‘સુંદરી’ તો એકાંબરમાં ‘પરાશક્તિ’,’મહીલસા’, અને ‘યોગેશ્વરી’ વળી ચીનમાં ‘નીલ સરસ્વતી’ રૂપે તેમજ મણિદ્વીપ પર્વત પર ‘ભુવનેશ્વરી’ તરીકે ઓળખાય છે. જ્યારે કામરૂપમાં ‘ત્રિપુરસુંદરી’ તરીકે પ્રખ્યાત છે.

આમ એક અને અખંડ, ભિન્ન દેખાતા માતાજી અભિન્ન છે. સદાયે આપણી સાથે રહેતા માતાજીને શત શત પ્રણામ.
                                                                             — સંકલિત

                                          ૐ નમઃ શિવાય

2 comments March 31, 2009

હોળી

         આજે ફાગણ સુદ ચૌદસ [હુતાશની પૂનમ, હોલિકા દહન]

આજનો સુવિચાર :- આફતના વાદળો ઘેરાય ત્યારે સમજવું કે સુખનો વરસાદ વરસવાનો છે.

હેલ્થ ટીપ :- સીઝનમાં જાંબુ ખાવાથી પથરી થતી નથી.

 

હોલિકા દહન

હોલિકા દહન

                                                                હોળી

         શિશિરઋતુને વિદાય કરતો અને વસંતઋતુનું સ્વાગત કરતો તહેવાર એટલે હોળી. પ્રાચીન સમયથી દરેક ઋતુનાં પરિવર્તનના કાળને તહેવાર રૂપે ઉજવવામાં આવે છે. આમ જોઈએ તો હોળીને તહેવાર એ શિશિરઋતુ દરમિયાન વધેલા મચ્છરના ત્રાસને નાશ કરવાનો છે. આદિવસે આપણે અગ્નિ પ્રગટાવીને મચ્છરોનો નાશ કરીએ છીએ અને કેસુડાનાં રંગે રંગાઈને વસંતનાં વધામણા કરીએ છીએ. ફાગણ માસ એટલે ઋતુસૌંદર્યનો લોકોત્સવ અને ઋતુ પરિવર્તનનો રંગોત્સવ.

        ભવિષ્યોત્તર પુરાણમાં જણાવ્યા મુજબ ઢૂંઢા નામની રાક્ષસી બાળકોને હેરાન પરેશાન કરતી. તેને બીભત્સ શબ્દોથી નવાજીને ઠેરઠેર અગ્નિ પ્રગટાવી તેની આસપાસ પ્રદક્ષિણા કરીને નાના-મોટા સહુ ભગવાનનો મંત્રજાપ કરે છે. મંત્રજાપ અને અગ્નિથી ડરી રાક્ષસી ભાગી જાય છે.

     સતયુગમાં રઘુરાજાએ હોલિકા ઉત્સવનો પ્રચાર કર્યો હતો. બીજી માન્યતા પ્રમાણે બાલકૃષ્ણના પ્રાણ લેવા આવેલી પૂતનાનો સંહાર કર્યો અને તેના વિશાળ દેહના ટુકડા કરી તેને ગામ બહાર સળગાવી ગોવાળોએ આનંદ પ્રગટ કર્યો. ત્યારથી હોળીના પર્વની શરૂઆત થઈ. ગોપીઓએ ભક્તિથી કામને બાળ્યો ત્યારથી હોળી પર્વ શરૂ થયો એવો એક મત છે. સૌથી પ્રચલિત કથા ભક્ત પ્રહલાદની છે. ભક્ત પ્રહલાદની રક્ષા થઈ અને હોલિકાનું દહન થયું. આ ખુશાલી વ્યક્ત કરવા લોકો પિચકારીમાં રંગબેરંગી રંગો અને ગુલાલ ઉડાડવામાં આવે છે.

હોળીનો બીજો દિવસ એટલે ધુળેટી અને ફૂલડોલ, વસંતોત્સવ, રંગોત્સવ કે પોંખોત્સવ પણ કહે છે. કહેવાય છે કે એકવાર ભગવાન કૃષ્ણે યાદવોને ખૂશ કર્યાં હતા તેથી યાદવોએ ભગવાનને રાજી કરવા ફૂલને ઝૂલો [ડોલ] બનાવી તેમાં શ્રી કૃષ્ણ અને અર્જુનને બેસાડી તેમની પૂજા કરીને પ્રેમથી ઝૂલાવ્યા, ત્યારથી ડોલોત્સવનો શુભારંભ થયો હતો.

    ડોલોત્સવમાં ઝૂલો શણગારવામાં આવે છે, ફાગ ખેલાય છે, રસિયા ગવાય છે અને ચારે બાજુ ગુલાલ ઉડાડી આનંદ અને ઉલ્લાસનું વતાવરણ ઊભું થાય છે. આ દિવસ ચૈતન્ય મહાપ્રભુનો આવિર્ભાવ દિન છે. તેમણે પ્રેમ ભક્તિના હિંડોળે હરિને ઝૂલાવ્યા હતા.

                    જુદા જુદા પ્રદેશમાં જુદી જુદી રીતે આ પર્વ મનાય છે.

મારવાડમાં લોકો કહેવાય છે કે ‘દિવાળી અઠેકઠે પણ હોળી તો ઘરે જ’ તેઓ ડફ વગાડી ફાગ ખેલે છે અને ઘરે ઘરે નૃત્ય કરે છે. મહારાષ્ટ્રમાં હોળીને ‘શિમગો’ કહે છે જ્યારે દક્ષિણમાં ‘કામદહન’ના નામે આ તહેવાર ઊજવવામાં આવે છે. બંગાળમાં ફાગણ સુદ ચૌદસથી હોલયાત્રાનો પ્રારંભ થાય છે. ઉત્તર ભારતમાં હોળીના પર્વે ઘેરૈયા એકબીજા ઉપર રંગ છાંટે છે. વ્રજભૂમિ અને ભરતપૂર તરફ એકબીજા પર પથ્થર નાખવાનો રિવાજ છે જ્યારે ઉત્તર ગુજરાતમા વીસનગર બાજુ એકબીજા ઉપર જૂનાં જૂતાં ફેંકવામાં આવે છે.

ધૂળેટી રમતા પહેલા થોડી સાવચેતી લો.

હોળી રમતા પહેલા ચહેરા ઉપર અને ત્વચા પર તેલ લગાડો જેથી રંગોની આડ અસર ન થાય.

નખ પર નેઈલ પોલિશ લગાડી લો જેથી નખ ખરાબ ન થાય.

વાળમાં તેલ લગાડો જેથી રાસાયણિક રંગથી વાળ ખરાબ ન થાય.

કોઈના ચહેરા પર રંગથી ભરેલા કે પાણીથી ભરેલા ફુગ્ગા ફેંકશો નહીં. કેટલીકવાર રંગવાળું પાણી આંખમાં ઉતરી આંખોને નુકશાન પહોંચાડે છે.

રંગાયા પછી આંખોને છાલક મારીને ધોતા નહીં કારણ રંગ કે ગુલાલ આંખોમાં જવાની શક્યતા વધી જશે.

હોળી રમતા પહેલા દાગીના ઉતારી ઘરે મૂકી દેજો જેથી તૂટવા કે ખોવાઈ જવાનો ભય ન રહે.

હોળી રમતા વધુ પડતા ઘસાયેલા કપડા ન પહેરતા જેથી વધુ ફાટી જવાનો ભય ન રહે અને ઈજ્જત બચી રહે.

                                        ૐ નમઃ શિવાય

1 comment March 9, 2009

Previous Posts


શોધખોળ

આભાર

shivshiva on આસ્વાદ
amit pisavadiya on આસ્વાદ
Dilip Gajjar on આસ્વાદ
neetakotecha on આસ્વાદ
sanjay arvilndlal mo… on શિવશિવાને સાનિધ્યે

તાજેતરમાં લખાયેલુ

મહિનાની નોંધણી

તારીખીયુ

November 2009
M T W T F S S
« Oct    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

ભલે પધાર્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

RSS ગીત ગુંજ

free counters