Posts filed under 'મંથન[ભક્તિરસ]'

શ્રી વલ્લભાચાર્ય

           આજે ચૈત્ર વદ બારસ [અગિયારસનો ક્ષય]

આજનો સુવિચાર:- સફળતા એવી સીડી છે જેના પર ખીસ્સામાં હાથ રાખીને ન ચઢી શકો.

 

હેલ્થ ટીપ્સ:- સંતરાનો જ્યુસ પીવાથી શરીરની પૉટાશની ખામી દૂર થશે અને ચહેરાની કરચલીઓ દૂર કરવામાં મદદ કરશે.

                        આજે વલ્લભાચાર્યનો 531મો પ્રાગટ્ય દિવસ છે.

 

       લક્ષમણ ભટ્ટજીની પત્ની ઈલ્લમાગારૂજીએ પોતાના અધૂરા માસે જ્ન્મેલાબાળકને મૃત સમજીને એ બાળકને વૃક્ષની બખોલમાં પોતાની  સાડીમાં વીંટાળીને મૂકી દીધુ અને ઉપર સૂકાપાંદડાં ઢાંકી દીધા.ચૌડા ગામમાં રાત્રીનાં મુકામ વખતે ઊંઘમાં પ્રભુની આજ્ઞાથી તેઓ જ્યાં બાળકને મૂક્યું હતું ત્યાં પાછા ફ્રર્યાં. પ્રભુનાં આ પ્રાગટ્ય દિવસ એટલે ચૈત્ર વદ એકાદશી.  સાલ 1535ની હતી. રવિવારના દિવસે મધ્યાંતરે થયું હતુ. આ બાળક એટલે પુષિમાર્ગના પ્રણેતા વલ્લભાચાર્ય અથવા શ્રી મહાપ્રભુજી. કાશીમાં’શુદ્ધાદ્વૈત’નો સિદ્ધાંત રજુ કરી તે સમયનાં શંકરાચાર્યને પરાજિત કર્યાં ત્યારથી તેમને ‘મહાપ્રભુજી’ની પદવી એનાયત થઈ.

   અગ્યાર વર્ષની વયે  આપશ્રીએ પ્રથમ પરિક્રમાની શરૂઆત કાશીથી કરી. આપશ્રીએ ત્રણ વખત ચાલીને દેશભરમાં ભ્રમણ કરીને પુષ્ટિમાર્ગીય ધર્મનો પ્રચાર કર્યો. યાત્રા દરમિયાન જ્યાં જ્યાં આપે ત્રણ દિવસથી વધારે દિવસનો મુકામ કરીને શ્રી ભાગવતનું પારાયણ કર્યું તેને શ્રી મહાપ્રભુજીની ‘બેઠકજી’ કહેવામાં આવે છે. આવી બેઠકો આપણા દેશમાં 84 છે. તેમાં ઘણી અપ્રગટ છે. એમાં મુખ્ય ચંપારણ્યની ગણાય છે.

 

આપે અષ્ટાક્ષરી મંત્ર એટલે કે શ્રી કૃષ્ણ શરણં મમ આપ્યો.

 

શ્રી…… ના ઉચ્ચારથી સૌભાગ્ય્ની પ્રાપ્તિ થાય છે.
કૃ……….ના ઉચ્ચારથી સર્વ અપરાધનો [પાપનો] નાશ થાય છે.
ષ્ણ……..ના ઉચ્ચારથી ત્રિવિધ તાપનો નાશ થાય છે.
શ………ના ઉચ્ચારથી જન્મનું દહન થાય છે- જન્મને બાળી નાખે છે.
ર……….ના ઉચ્ચારથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.
ણં………ના ઉચ્ચારથી પ્રભુમાં હંમેશા દૃઢ ભક્તિ થાય છે.
મ………ના ઉચ્ચારથી શ્રી કૃષ્ણ રત્નનો ઉપદેશ કરનાર ગુરૂદેવમાં પ્રેમ થાય છે.
મ……….ના ઉચ્ચારથી પ્રભુની સાથે મળી જવાથી અન્ય યોનિમાં જવાનું બંધ થાય છે. અર્થાત જન્મ-મરણ છૂટે છે.

 

વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા
દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા

 

                                       જૈ જૈ શ્રી ગોકુલેશ


5 comments May 1, 2008

આપણે દીવો શા માટે પ્રગટાવીએ છીએ?

                    આજે ચૈત્ર વદ નોમ

આજનો સુવિચાર:- પ્રશંસાના ભૂખ્યા એ સાબિત કરી દે છે કે તેમનામાં લાયકાતનો અભાવ છે.

 

હેલ્થ ટીપ્સ:- અપૂરતી ઊંઘ ચીડિયા સ્વભાવનું એક કારણ છે.

 

                  આપણે દીવો શા માટે પ્રગટાવીએ છીએ?

   આપણા દેશભરમાં દરેક ઘરે ભગવાનની સમક્ષ દીવો કરવામાં આવે છે. કેટલાંક ઘરમાં સવારે દીવો પ્ર્ગટાવવામાં આવે છે જ્યારે કેટલાંક ઘરમાં સવાર અને સાંજ દીવો પ્રગટાવવામાં આવે છે. કોઈક ઘરમાં તો અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે. રોજિંદી પૂજા, ધાર્મિક પ્રસંગો, ઉત્સવો અને ઉદઘાટન જેવા અનેક સામાજિક પ્રસંગોના શુભારંભ દીપક પ્રાગટ્યથી કરવામાં આવે છે.

    પ્રકાશ જ્ઞાનનું પ્રતીક છે અને અંધકાર અજ્ઞાનનું. ઈશ્વર જ્ઞાનનાં પુંજ છે, તે ચૈતન્યસ્વરૂપ છે. તે જ સર્વ પ્રકારના જ્ઞાનનું ઉદભવસ્થાન, જ્ઞાનને પ્રગટ કરનાર અને જ્ઞાનનાં સાક્ષી છે. તેથી ઈશ્વર રૂપે પ્રકાશની-દીપકની આરાધના કરવામાં આવે છે.

    પ્રકાશ અંધકારનો નાશ કરે છે તેવી જ રીતે જ્ઞાન અજ્ઞાનનો નાશ કરે છે. વળી, જ્ઞાન એવી આંતરસંપત્તિ છે કે જેના થકી સર્વ પ્રકારની બાહ્ય સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. માટે, સર્વ સંપત્તિઓમાં મહાસંપત્તિરૂપે જ્ઞાનને આપણે વંદન કરીએ છીએ. તેથી જ શુભપ્રસંગોમાં આપણા સર્વ વિચાચારો અને કર્મોના સાક્ષીરૂપે દીપકને આપણે જલતો રાખીએ છીએ.

   આપણા દેશમાં ઘીના અથવા તેલના દીવાનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે. દીવામાંનું ઘી આપણી વાસનાઓનું નકારાત્મક વૃત્તિઓનું પ્રતીક છે અને વાટ અહંનું. આધ્યાત્મિક જ્ઞાન વડે વાસનાઓનો ધીમે ધીમે ક્ષય થાય છે અને અહં પણ એજ રીતે નાશ પામે છે. દીપકની જ્યોત સદાય ઊર્ધ્વગામી હોય છે. એ જ રીતે, આપણે પણ ઉચ્ચતર આદર્શો પ્રતિ ગતિ થાય એવું જ્ઞાન સંપાદન કરવું જોઈએ.

        જેમ એક વિદ્વાન માણસ પોતાનું જ્ઞાન અનેકને આપી શકે છે એ જ રીતે એક દીપક સેંકડો દીપક પ્રગટાવી શકાય છે. અનેક દીવા પ્રગટાવવાથી મૂળ દીવાનો પ્રકાશ કાંઈ ઝંખવાતો નથી. તેવી જ રીતે જ્ઞાનનું વિતરણ જ્ઞાનને વધુ તર્કશુદ્ધ બનાવે છે અને જ્ઞાનમાં આપણી નિષ્ઠા વધારે પાકી બને છે.

દીપજ્યોતિ: પરબ્રહ્મ દીપ: સર્વતમોપહ:
દીપેન સાધ્યતે સર્વ સંધ્યાદીપો નમોસ્તુતે

અર્થાત

   હું સંધ્યા કાળે દીપકને વંદન કરું છું. તેનો પ્રકાશ પરમ ચૈતન્યસ્વરૂપ પરમાત્મા છે. તેના થકી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે અને તેના થકી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે.

મનોહર દીપજ્યોતિ સિવાય અન્ય કઈ વસ્તુ ઘરને શોભાવશે?
ગહન જ્ઞાનપ્રકાશ સિવાય અન્ય કઈ વસ્તુ મનને આભૂષિત કરશે?
– સ્વામી ચિન્મયાનંદજી

આમ દીવો કરવાની પરંપરામાં બૌદ્ધિક અને આધ્યાત્મિક અર્થનો ભંડાર ભરેલો છે. ભારતીય સંસ્કૃતિખરખર ઉમદા પરંપરાઓથી સમૃદ્ધ છે.

 

                                             ૐ નમઃ શિવાય


2 comments April 29, 2008

મહાશિવરાત્રી

                            આજે મહા વદ તેરસ

આજનો સુવિચાર:- ભૂતકાળને વાગોળો નહી, ભવિષ્યની ચિંતા છોડો, વર્તમાનમાં જીવતાં શીખો, બાકી બધું ઈશ્વર પર છોડો.

હેલ્થ ટીપ્સ:- બાલ્યકાળમાં ખાંડ રસાયણનું કામ કરે છે, યુવાવસ્થામાં અમૃતનું કામ કરે છે અને વૃદ્ધાવસ્થામાં ઝેરનું કામ કરે છે.


| View Show | Create Your Own

                              આવતી કાલે મહા શિવરાત્રી

‘શિવરાત્રી અર્થાત ઘોર ધર્મગ્લાનિના સમયે લોકકલ્યાણ હેતુ પરમપિતા પર્માત્મા શિવના અવતરણનું યાદગાર પર્વ’

 શિવ એટલે કલ્યાણકારી, વિશ્વપિતા, અલૌકિક જન્મ લઈને અવતરિત થાય છે તેથી તેઓ ‘સ્વયંભૂ’ કહેવાય છે. શિવનું આ વિશ્વમાં અવતરણ એટલે ‘મહાશિવરાત્રી’. સંસારમાં જ્યારે પાપાચાર, ભ્રષ્ટાચાર, અત્યાચાર છવાઈ જાય છે તે સમય શિવના અવતરણનો સમય છે. મહાવદ ચર્તુદશી આત્માઓના અજ્ઞાન-અંધકારના પરિકાષ્ઠાનું પ્રતિક છે. અને ત્યારબાદ શુક્લ પક્ષ પરમપિતા શિવ દ્વારા ‘ઈશ્વરીય જ્ઞાન અને યોગ’ દ્વારા પવિત્ર અને અને સુખ-શાંતિથી ભરપૂર નવી સૃષ્ટિના પ્રારંભનું પ્રતિક છે.

      વિશ્વના બધા જ ધર્મોના લોકો પરમાત્માના અસ્તિત્વમાં વિશ્વાસ કરે છે. બધા પરમાત્માને એક માને છે અને પરમાત્માને ‘જ્યોતિબિંદુ સ્વરૂપ’ માને છે. શિવનો અર્થ ‘કલ્યાણકારી’ અને લિંગનો અર્થ ‘ચિન્હ’. માટે શિવલિંગ એ કોઈ એક ધર્મનું પ્રતિક નથી પરંતુ પરમાત્મા તો કોઈ પણ ધર્મ, વર્ણ કે કર્મથી સંબંધિત હોય બધાનાં આરાધ્ય છે.

     પરમાત્મા એક છે. વિભિન્ન ધર્મોમાં વિભિન્ન નામથી ઓળખવામાં આવે છે. મુસ્લિમ ધર્મમાં ‘નૂર’ કહેવાય છે. ક્રિશ્ચન ધર્મમાં ‘ડિવાઈન લાઈટ’ કહે છે. શીખ ધર્મમાં ‘ઑંકાર’ના નામથી સંબોધવામાં આવે છે. આમ ‘સર્વ આત્માઓના કલ્યાણકારી જ્યોતિબિંદુ સ્વરૂપ’ એટલે શિવલિંગ રૂપી પરમાત્મા શિવ.

        શિવરાત્રિના દિવસે ભક્તો શિવલિંગ પર અર્કનાં ફૂલ, જે કડવાપણનું પ્રતિક છે, ધતૂરો, જે કમજોરીનું પ્રતિક છે, બિલિપત્ર, જે શીતળતાનું પ્રતિક છે, ચઢાવે છે. જાગરણ કરે છે. ઉપવાસ કરે છે. આનો અર્થ એ કે આપણે શિવ પર ક્રોધ, લોભ, મોહ, અહંકાર જેવી કમજોરીઓ સમર્પિત કરીકરીએ છીએ અર્થાત ત્યાગ કરવાનો છે. રાત્રિનું જાગરણનું રહસ્ય એ છે કે શિવનાં વર્તમાન અવતરણ સમયે આપણે આપણી આત્માની જ્યોતિ જગાવીએ. અને ઉપવાસ રાખી મન બુદ્ધિથી પરમાત્માની સમીપ રહીએ. શિવલિંગ પર ત્રણ રેખાઓ શિવનાં ત્રણ કર્તવ્ય જેવાં કે સ્થાપના, પાલન અને વિનાશના પ્રતિક છે. શિવલિંગ પર રખાતો કળશ જે માનવીય બુદ્ધિનું પ્રતિક છે અને તેમાં ભરેલું જળ પરમાત્મા પ્રતિ સંકલ્પનું પ્રતિક છે.

     મહાશિવરાત્રીને ‘સત્યમ, શિવમ, સુંદરમ’ના નવા સંકલ્પથી આવકારીએ અને જન્મ-જન્માંતર માટે ઈશ્વરીય સુખ-શાંતિ પ્રાપ્ત થાય એવી ઈશ્વરીય કૃપા વરસે તેવી દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કરીયે.

                                                                                                             —– સંકલિત

                            આપ સહુને મહાશિવરાત્રીની શુભેચ્છાઓ.

                                                   ૐ નમઃ શિવાય


4 comments March 5, 2008

ગણેશ જયંતી

આજે મહા સુદ ચોથ [માઘી ગણેશ ચતુર્થી]

આજનો સુવિચાર:- જ્યાં દેવો પગ મૂકતાં ડરે છે ત્યાં મૂર્ખ સીધો પહોંચી જાય છે.

હેલ્થ ટીપ્સ:- મૂત્રમાર્ગમાં ફેલાતો ચેપી રોગ અટકાવવામાં પાણી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

 

‘સર્વ પ્રથમ દેવ સર્વમાં ને શુભકાર્યમાં પ્રથમ વંદાય
વિઘ્નહર્તા એ છે ગણેશ્વર બળ-બુદ્ધિના એ છે દેવ.’

      આજે માઘી ગણેશચતુર્થી છે. આજથી દસ દિવસ ગણેશોત્સવના ગણાય છે. બધા દેવોનો જન્મદિવસ એક જ દિવસ ઉજવાય છે જ્યારે ગણેશજીનો જન્મ દિવસ બે વાર ઉજવાય છે.

    પૌરાણિક કથા મુજબ જ્યારે કૈલાસ પર શિવજી હાજર ન હતા ત્યારે મા પાર્વતીને સ્નાન કરવું હતું. દ્વાર પર કોઈ રક્ષક ન હોવાને કારણે તેમને પોતાના પ્રસ્વેદના મેલમાંથી ગણેશજીને ઉત્પન્ન કર્યા અને દરવાજાથી કોઈ પ્રવેશ ન કરે તે માટે તેમને બેસાડ્યા. જોગાનુજોગ શિવજી એ સમયે પાછા ફર્યા અને ગણેશજીએ તેમના ભવનમાં પ્રવેશ ન આપતા પિતાપુત્રનાં સંબંધથી અજાણ આ બન્ને વચ્ચે યુદ્ધ થયું અને એમાં ગણેશજીનો શિરછેદ થયો. આથી પાર્વતીજી કલ્પાંત કરવા લાગ્યાં.શિવજીએ તેમને આશ્વાસન આપ્યું અને ગણને આદેશ આપ્યો કે રસ્તામાં જે પ્રથમ મળે તેનું મસ્તક લઈ આવવું. આમ ગણેશજીના ધડ પર હાથીનું મુખ બેસાડ્યું. આમ ભાદરવા સુદ ચોથને દિવસે ગણેશજી ફરીથી સજીવન થયા. ત્યારથી ગણેશજીનાં બે જન્મદિવસ મનાવાય છે. મહા સુદ ચોથ અને ભાદરવા સુદ ચોથ.

મહા સુદ ચોથના દિવસે ગણેશજીની પૂજા તલ અને કુંદથી થાય છે માટે મહાસુદ ચોથ ‘તલકુંદ’ ચોથ તરીકે પણ ઉજવવાય છે. દેશમાં, પરદેશમાં સર્વત્ર ગણેશજીની પૂજાનું ખૂબ મહત્વ છે. ગણેશનાં 12 નામો ખૂબજ પ્રચલિત છે.

1] સુમુખ [ૐ સુમુખાય નમઃ]

2] એકદંત [ૐ એકદંતાય નમઃ]

3] કપિલ [ૐ કપિલાય નમઃ]

4] ગજકર્ણ [ૐ ગજકર્ણાય નમઃ]

5] લંબોદર [ૐ લંબોદરાય નમઃ]

6] વિકટ [ૐ વિકટાય નમઃ]

7] વિઘ્નનાશક [ૐ વિઘ્નનાશાય નમઃ]

8] વિનાયક [ૐ વિનાયકાય નમઃ]

9] ધુમ્રકેતવ [ૐ ધુમ્રકેતવે નમઃ]

10] ગણાધ્યક્ષ [ૐ ગણાધ્યક્ષાય નમઃ]

11] ભાલચંદ્ર [ૐ ભાલચંદ્રાય નમઃ]

12] ગજાનન [ૐ ગજાનનાય નમઃ]

        આમ ૐકારના સાક્ષાત સ્વરૂપ એવા શ્રી ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થાય છે. આ દિવસોમાં સ્વયંભૂ એવા અષ્ટવિનાયક ગણેશજીની વિશિષ્ટ રૂપે પૂજા કરાય છે. આ અષ્ટવિનાયકનાં આઠ મંદિરો મહારાષ્ટ્રમા આવેલા છે.

1] મોરગાંવના ‘મોરેશ્વર’

2] થેઉરના ‘ચિંતામણિ’

3] રાંજણગાંવના ‘મહાગણપતિ’

4] સિદ્ધટેકના ‘સિદ્ધિવિનાયક’

5] ઓઝારગાંવના ‘વિઘ્નેશ્વર’

6] લેણ્યાદ્રિના ‘ગિરિજાત્મજ’

7] રાયગઢના ‘બલ્લારેશ્વર’

8] મહાડના ‘વરદ વિનાયક’

આ અષ્ટવિનાયકની કથાઓ અગાઉ લેખમાં આપેલી છે.

‘ગણેશ જયંતી’ના શુભ અવસરે મંગલકર્તા ગણપતિ સર્વજનનું કલ્યાણ કરે એવી પ્રાર્થના છે.

                               ૐ નમઃ શિવાય


5 comments February 10, 2008

LIFE

                                            આજે પોષ સુદ એકમ

આજનો સુવિચાર:- પ્રાર્થના ઈશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે.
                                                                                                           — સોરેન કિર્કગાર્ડ

હેલ્થ ટીપ્સ:- કોલેસ્ટ્રોલ ઘટાડવા મોસંબીનો રસ પીઓ અથવા મોસંબી છોલીને ખાવ.

                                        

                             LIFE

Life is challenge               meet it.

Life is gift                         accept it.

Life is adventure            Dare it.

Life is sorrow                  overcome it.

Life is tragedy               face it.

Life is duty                    perform it.

Life is game                   play it.

Life is muster               unfold it.

Life is a song                Sing it.

Life is opportunity      Take it.

Life is journey             complete it.

Life is promise            Fulfill it.

Life is love                   enjoy it.

Life is beauty             praise it.

Life is spirit               realize it.

Life is struggle          fight it.

Life is puzzle             solve it.

Life is goal                achieve it.

                                                   

                                  From      BHAGAVAT GEETA.

                                             ૐ નમઃ શિવાય


6 comments January 9, 2008

કાળી ચૌદસ

           આસો વદ ચૌદસ [કાળી ચૌદસ]

આજનો સુવિચાર:- જે ઘરમાં દીકરીની અવગણના થતી હોય તે ઘરમાં ધનતેરસનું પૂજન અધુરૂ ગણાય છે.

હેલ્થ ટીપ્સ :- શિયાળામાં ત્વચાના સૌંદર્ય અને અદભૂત નિખાર માટે તેલમાલિશ સર્વશ્રેષ્ઠ છે.

    દિવાળીને દિવસે પાવાપુરીમાં મહાવીર સ્વામીનું નિર્વાણ થયુ હતુ. ધનતેરસનો પછીનો દિવસ ‘કાળી ચૌદસ’ અથવા ‘નરક ચતુર્દશી’ના નામે ઓળખાય છે. જુનવાણી લોકો આ દિવસે દહીંવડા બનાવી જાહેર રસ્તા પર પાણીનું કુંડાળું કરી વચમા દહીં વડા મૂકી પાછળ જોયા વગર કકળાટ બહાર કાઢ્યાનો સંતોષ માની ઘરે પાછા ફરે છે. આ દિવસે મહાવીર સ્વામીએ સોળ પ્રહર સુધીનો પ્રવચનશ્રેણીનો પ્રારંભ કર્યો હતો તેથી આ દિવસ ‘રૂપ ચૌદશ’ તરીકે ઓળખાય છે.

    પૌરાણિક કથા મુજબ ‘નરકાસુર’ નામના એક અસુર રાજાએ ચોમેર હાહાકાર મચાવ્યો હતો. તેણે લક્ષ્મીજી સહિત ઈંન્દ્રને અને 16,000 રાજકન્યાઓને કેદ કરી રાખ્યાં હતા. દેવોની પ્રાર્થનાથી ભગવાન શ્રી કૃષ્ણે પોતાની નીડર પરાક્રમી પત્ની સત્યભામાને લઈને નરકાસુરના ત્રાસમાંથી મુક્ત કરવા પ્રાગજ્યોતિષપુર પહોંચ્યા. નવદુર્ગા માતાજીએ સત્યભામાને વજ્ર જેવી શક્તિ પ્રદાન કરી. નરકાસુરની સાથે તુમુલ યુદ્ધ કરી તેનો વધ કર્યો. 16,000 રાજકન્યા સાથે ઈંદ્ર અને લક્ષ્મીજીને મુક્ત કર્યાં. ત્યારથી આ દિવસ નરક ચતુર્દશી તરીકે ઑળખાય છે. નરકાસુરે મરતાં પહેલા ભગવાન શ્રી કૃષ્ણ પાસે વર્દાન માંગ્યું કે મારા અભિમાન અને અજ્ઞાનમાં અજવાળાં પાથરવા લોકો દિવડા પ્રગટાવી આનંદ ઉત્સવ ઊજવે. અને બીજે દિવસે લોકોએ દીવડા પ્રગટાવી મોટો ઉત્સવ ઉજવ્યો જે દિપાવલીના નામે પ્રખ્યાત થયો.

       બીજી કથા અનુસાર ભગવાન રામજી દશેરાને દિવસે લંકેશ્વર રાવણનો વધ કરી અયોધ્યા પાછા ફર્યાં. તે દિવસ આ કાળી ચૌદસનો દિવસ હતો. અંધારી રાત હોવાથી લોકોએ તેમનો સત્કાર દીવડા પ્રગટાવી સ્વાગત કર્યું હતું અને દિવાળીને દિવસે શ્રી રામજીનો રાજ્યાભિષેક થયો હતો.

        ત્રીજી કથા અનુસાર ભગવાન શ્રી વિષ્ણુએ વામન અવતારમાં બલિરાજા પાસેથી ત્રણ ડગલાં જમીન માંગી હતી. અને ત્રીજા ડગલે બલિરાજાને નરકમાં પહોંચાડી દીધો હતો. એ દિવસ આસો વદ અમાસનો હતો.. દિપાવલીનો દિવસ હતો. બલિરાજાનાં આ સમર્પણની સ્મૃતિ રૂપે ત્રણ અહોરાત્રી રૂપે ઊજવાય છે.

                       આપ સૌને દિપાવલીની શુભેચ્છાઓ

                                   ૐ નમઃ શિવાય


2 comments November 8, 2007

નવ સ્વરૂપે મા દુર્ગા

આસો સુદ બીજ

આજનો સુવિચાર:- થોડો વખત ખામોશ રહેશો તો મૌનની ટેવ પડશે. શબ્દોનાં મૌન સાથે વિચારોનાં મૌનનો અભ્યાસ થશે તો મનની શાંતી મળશે.

હેલ્થ ટીપ્સ:- ચણાના લોટમાં ચંદન, હળદર,ગુલાબજળ, તથા મધ ભેળવીમુલાયમ પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ત્વચા નિખરી ઊઠશે.

                                 મા દુર્ગાનાં નવ સ્વરૂપ


| View Show | Create Your Own

    મહાદેવનાં ત્રણ સ્વરૂપ છે જેવા કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેવી જ રીતે મહાદેવીનાં ત્રણ સ્વરૂપો છે. સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગા.

        સરસ્વતીમાતા બુદ્ધિ અને વિવેકનાં દેવી છે. લક્ષ્મીમાતા ધન અને ઐશ્વર્યનાં દેવી છે. મહિષાસુરનો સંહાર કરવા માટે બ્રહ્મા, વિષ્ણુ, મહેશે શક્તિ સ્વરૂપે મા દુર્ગાનું સર્જન કર્યું.

      નવરાત્રિના પર્વમાં મા દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે. પુરાણકાળથી ‘નવ’નો આંકડો અતિશુભ માનવામાં આવ્યો છે. આદ્યશક્તિનાં પણ ‘નવ’ સ્વરૂપ મનાયા છે. નવશક્તિ, નવદુર્ગા, નવરાત્રિ, નવપ્રભા જેવા શબ્દો મા દુર્ગાની યાદ અપાવે છે. મા દુર્ગાનાં ‘નવ’ સ્વરૂપો છે. શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી.

‘શૈલપુત્રી’ દુર્ગામાનું પહેલું સ્વરૂપ છે. નવરાત્રિના પ્રથમ દિવસે દુર્ગામા શૈલપુત્રી તરીકે પુજાય છે. તેમણે પર્વતરાજ હિમાલયના ઘરે જન્મ લીધો હતો તેથી તેઓ ‘શૈલપુત્રી’ તરીકે ઓળખાયા. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબાહાથમાં કમળનું ફૂલ શોભે છે. તેમનું વાહન ‘બળદ’ છે.

નવરાત્રિનાં બીજા દિવસે ‘બ્રહ્મચારિણીમા’નું પુજન થાય છે.તેમનું સ્વરૂપ અત્યંત સુંદર છે પરંતુ અત્યં કઠોર તપશ્ચર્યાને કારણે તેમનું નામ બ્રહ્મચારિણી નામ પડ્યું. તેમનાં જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ શોભે છે.

    ‘ચંદ્રઘંટા’ દુર્ગામાનું ત્રીજુ સ્વરૂપ છે. તેમના મસ્તક પર ઘંટ આકારનો અર્ધચંદ્ર હોવાને કારણે તેમનું નામ ‘ચંદ્રઘંટા’ નામ પડ્યું. નવરાત્રિનાં ત્રીજા દિવસના પૂજનનું મહત્વ વધારે છે. તેમના શરીરનો રંગ સોનાજેવો છે. અને તેમના દસ હાથમાં શસ્ત્રો છે અને તેમનું વાહન વાઘ છે.

    ‘કુષ્માંડા’ માતાજીનું ચોથુ સ્વરૂપ છે. જેમની પૂજા નવરાત્રિના ચોથે દિવસે કરવામાં આવે છે. મંદ હાસ્ય દ્વારા સમસ્ત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેઓ ‘કુષ્માંડા’ તરીકે ઓળખાયા. તેમના સાત હાથમાં કમંડળ, કમળનું ફૂલ, કળશ તથા શસ્ત્રો ધારણ છે તેમજ આટઃઅમા હાથમાં જાપમાળા છે. તેમનું વાહન વાઘ છે.

       ‘સ્કંદમાતા’ દુર્ગામાતાનું પાંચમું સ્વરૂપ છે. તેમની પૂજા નવરાત્રિનાં પાંચમા દિવસે થાય છે. તેમનાં ખોળામાં ભગવાન ‘સ્કંદ’ એટલે ‘કાર્તિકેય’ છે. એમના બે હાથમાં કમળનાં ફૂલ છે અને એક હાથ આશીર્વાદની મુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે.

      નવરાત્રિનાં છઠ્ઠા દિવસે જેમનું પૂજન થાય છે તે ‘કાત્યાયની’ મા તરીકે ઓળખાય છે. તેમનું વાહન સિંહ છે.

   રંગે અત્યંત કાળા, વિખરાયેલા વાળ, ગળામાં વિદ્યુત સરીખી માળા એ દુર્ગામાનું સાતમું સ્વરૂપ છે જે ‘કાલરાત્રી’ તરીકે ઓળખાય છે. તેમનું વાહન ગદર્ભ છે. અત્યંત ભયાનક સ્વરૂપે માતાજી પ્રગટ થાય છે.

     મા દુર્ગાની આઠમી શક્તિ રૂપે ‘મહાગૌરી’ પ્રગટ થયા. અત્યંત ગૌર વર્ણીય ‘મહાગૌરી’નું વાહન વૃષભ એટલે બળદ છે.

‘સિદ્ધિદાત્રી’ માનું નવમું સ્વરૂપ છે. તેમનું પૂજન નવરાત્રિના નવમે દિવસે થાય છે. તેઓ કમળનાં ફૂલ પર બિરાજમાન છે.

                  નવદુર્ગાને નમન હો 

                                       

                                       ૐ નમઃ શિવાય


3 comments October 13, 2007

એક શરત મારી

આજે ભાદરવા સુદ દસમ
 

આજનો સુવિચાર:- લાગણીની પરવશતા એ સ્નેહનો પુરાવો છે.

હેલ્થ ટીપ્સ:- મીઠાની બરણીમાં ચોખાનાં દાણા રાખવાથી મીઠાને ભેજ નહી લાગે.

‘એક શરત મારી’ અને ‘એક શરત મારી’ એમાં મહાભારત રચાઈ.

     એક વેદ અને ચાર સંહિતાના રચૈતા શ્રી વ્યાસજીએ મનોમન મહાભારતની રચના કરી. પછી વિચાર આવ્યો કે શિષ્યોને ભણાવું શી રીતે? વ્યાસજીની મુંઝવણ બ્રહ્માજી પામ્યા અને વ્યાસજી પાસે આવ્યાં.

      વ્યાસજીએ વ્યથા રજુ કરતાં કહ્યું,” ભગવન, મનોમન મહાકાવ્યનું નિર્માણ કર્યું છે જેમાં વેદોનું રહસ્ય ઉપરાંત ઉપનિષદોનો મર્મ વણ્યાં છે. ભૂત, વર્તમાન, ભવિષ્ય; જરા,મૃત્યુ, ભય, વ્યાધિ, ભાવ અને અભાવની સમજણ; વિવિધ ધર્મો અને આશ્રમોનાં લક્ષણો ગૂંથ્યાં છે. ચાતુર્વર્ણ અને સમગ્ર પુરાણોનો સાર, તપ, બ્રહ્મચર્ય, પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાઓનું પ્રમાણ, યુગોનું પ્રમાણ, વેદો, અધ્યાત્મ; શિક્ષા, ચિકિત્સા, દાન, પાશુપાત, દેવો અને મનુષ્યોના જન્મોનો હેતુ, તીર્થોનુ વર્નન, વનો, સાગરો, અને નગરોના વર્ણન આવ્રી લીધાં છે. યુદ્ધ કૌશલ, વ્યાકરણ, જનતા જીવન, જે પન સર્વલોકને ઉપયોગી થઈ પડીવું પ્રભુ મેં આ એક જ ગ્રંથમાં વણી લીધુ છે. પરંતુ આ મારા કાવ્યને હું લખાવું એવો મને કોણ લેખક મળશે?”
  ત્યારે બ્રહ્માજીએ હસીને કહ્યું કે ‘એવો તો એક જ લેખક મળી શકશે અને તે છે ગણપતિજી. તેના જેવો ઉત્તમ લહિયો હે વ્યાસજી આપને કોઈ નહી મળે. અને આ તમારું કાવ્ય મહાકાવ્ય રૂપે રહેશે..આના કરતાં કોઈ કાવ્ય ચઢિયાતું નહી રચાય.’ બ્રહ્માજીનું સૂચન ધ્યાનમાં રાખી વ્યાસજી ગણપતિજીને શરણે ગયાં.

   ગણપતિએ કહ્યું કે “તમારા કાવ્યનો લેખક તો હું બનું પણ મારી એક શરત છે.” ”શી શરત છે પ્રભુ? આપની શરત મને માન્ય જ હશે”. વ્યાસજીએ કહ્યું.

   ”મારી શરત એ જ કે મહર્ષિ, તમે વચમાં થંભ્યા વગર તમારો ગ્રંથ ધારાવાહી રીતે લખાવો તો જ હું તમારો લેખક બનું.”
  “માન્ય છે પ્રભુ, સાથે મારી પણ એક શરત છે પ્રભુ”

”શી?”

”આપ જે લખો તે સમજીને જ લખશો.”

“કબૂલ.”

    અને મહાભારત લખાવવાનું ને લખવાનું શરુ થયું. વ્યાસજી લખાવતા ગયાં અને ગણપતિજી લખતા ગયાં. લગભગ એક લાખ શ્લોકોના બનેલા આ ગ્રંથમાં લગભગ આઠ હજાર આઠસોશ્લોક એવાં છે જેમાં ખુદ વ્યાસજી કહે છે

કાંતો હું સમજું,
અથવા તો શુકદેવ સમજે;
સંજય કદાચ સમજે ;
અથવા ન યે સમજે !

આમ ‘એક શરત મારી’ વચ્ચે મહાભારતનું મહાકાવ્ય વ્યાસજી અને ગણપતિજીએ પુરું કર્યું.

                            ૐ ગં ગણપતયે નમઃ


Add comment September 22, 2007

ગણેશ ભજન

                     આજે ભાદરવા સુદ નોમ

આજનો સુવિચાર:- આયુષ્ય, સંપત્તિ,ઘરનું છિદ્ર, દાન, માન, અપમાન ગુપ્ત રાખવા- જાહેર કરવા નહિં.

હેલ્થ ટીપ્સ:- પાકેલા નાસપતિનો ગર ત્વચા પર રગડવાથી શુષ્કતા દૂર થાય છે.

ગણપતિ સ્વરૂપ કથા

    ગણેશજીના ચાર અવતાર મનાયા છે. સતયુગમાં કશ્યપપુત્ર વિનાયક, જેઓ સિંહ પર આરૂઢ હતા. આ આવતારમાં આપે દેવાંતક નરાંતક રાક્ષસનો નાશ કર્યો હતો.. દ્વાપરયુગમાં શિવપુત્ર ગજાનન, જેમણે સિંદૂરનો વધ કર્યો હતો અને વરેણ્ય રાજાને ગણેશગીતા સંભળાવી હતી. ત્રેતાયુગમાં મયુર પર આરુઢ રહેનાર આ શિવપુત્ર મયુરેશ્વરે સિંધુ દૈત્યનો નાશ કર્યો હતો.

     ગણપતિની ઉપાસના એટલે ૐકાર-પ્રણવ- પરબ્રહ્મની ઉપાસના. ૐકારથી ગજમુખ ગણેશજીના સ્વરૂપનો વિકાસ થયો. વેદમાં, ઉપનિષદમાં પ્રથમ ૐ કાર અને મંગલ કાર્યોમાં અધિપતિ મનાય છે. રિદ્ધિ સિદ્ધિના આ સ્વામીએ મહાભારતનો વિરાટ ગ્રંથ લખવામાં વ્યાસજીને મદદ કરી હતી.

શ્રી ગણેશચતુર્થી નિમિત્તે અમારા ભજન ગ્રુપ દ્વારા ગવાયેલું એક ગણપતિજીનું પલના ભજન સાંભળો.

મારવાડી ભજનનાં શબ્દો નીચે પ્રમાણે છે.

ગણપતિ ઝૂલે પાલન ગજાનન

કાહે કો થારો બન્યો રે પાલનો
કાહેકી લગ રહી ડોર ગજાનન

અગડ ચંદનકો બન્યો રે પાલના
રેશમકી લગ રહી ડોર ગજાનન

કૌન જ ઝૂલાવે કૌન જ ઝૂલે
કૌન જ મનમેં ફૂલે ગજાનન

ગૌરા ઝૂલાવે, ગણપતિ ઝૂલે
શિવશંકર મન હી મન ફૂલે

ૐ ગં ગણપતયે નમઃ


4 comments September 21, 2007

ગણેશોત્સવ

આજે ભાદરવા સુદ પાંચમ [ઋષિ પાંચમ]

આજનો સુવિચાર:- પરિવર્તન પ્રવૃતિમાં નહીં પણ વૃત્તિમાં હોવી જરૂરી છે.

હેલ્થ ટીપ્સ:- અચાનક દમનો હુમલો આવે ત્યાર એક કપ ગરમાગરમ કડક કોફી પીવાથી શ્વાસનળી ખૂલી જશે અને દરદીને રાહત રહેશે.

 

      આજે ઋષિપાંચમ અથવા સામા પાંચમ . આ દિવસે સપ્તઋષિનું પૂજન થાય છે. આ સપ્તઋષિઓ એટલે વસિષ્ઠ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને કશ્યપ છે.

    કથાનુસાર ઈંદ્રે પોતાને મળેલા બ્રહ્મહત્યાના પાપને ચાર જગ્યાએ વહેંચી નાખ્યા. [1] સ્ત્રીઓને રજસ્વલા રૂપમાં [2] વૃક્ષને ગુંદર ઉત્પન્ન થશે [3] પાણીમાં ફીણ ઉત્પન્ન થશે [4] પૃથ્વીમાં ખાડા પડશે. આ ચારે જણાની વિનંતીથી ઈંદ્રે એમને આમનું નિવારણ આપ્યું. સ્ત્રી રજોગુણમાંથી મુક્ત થતાં પ્રજનન કરી શકશે, વૃક્ષને કાપવાથી ફરી ઊગી શકશે. પૃથ્વી વધુ ઊર્જાવાન બની તેના ખાડા પૂરી શકશે. પરંતુ આ માટે તેમણે આ સપ્તઋષિની પ્રાર્થના કરી અને આ ઋષિઓએ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી. કેમકે આ ઋષિઓએ ભાદરવા સુદ પાંચમે વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરી હોવાથી જે આ દિવસે સપ્તઋષિની પ્રાર્થના કરશે તે પાપમાંથી મુક્તિ પામશે એવું ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યું.

      ગઈકાલે ગણેશચતુર્થી હતી. મહારષ્ટ્રમાં ખૂબ જોરશોરથી આ તહેવાર મનાય છે. જોકે આ તહેવાર ભારત દરેક પ્રાંતમાં ઉજવાતો હોય છે. દસ દિવસ ચાલતા આ તહેવાર દરમિયાન લોકો ખૂબ ભક્તિ પૂર્વક શ્રી ગણેશજીનું પૂજન કરતા હોય છે. આ વર્ષે લગભગ 300 કરોડ રૂપિયાનો લોકોએ આ તહેવાર પાછળ ખર્ચ્યો છે. મુંબઈ ગણપતિની મુર્તિની ઊંચાઈ માટે પ્રખ્યાત છે અને પૂના તેના ડેકોરેશન માટે પ્રખ્યાત છે. આ વખતે મુંબઈની ખેતવાડી 12મી ગલ્લીના ગણપતિની મૂર્તિ 30 ફૂટ ઊંચી છે. પ્રખ્યાત લાલબાગચા રાજા [ગણપતિ]ને અત્યાર સુધી લગભગ 30 કિલો સોનુ ભક્તો તરફથી ચઠ્યુ છે અને મનાય છે કે આ વર્ષે 65 કિલો જેટલું થશે. લાલબાગના ગણ પતિજી અને પૂનાના દગડુશા ગણપતિ ઈચ્છાપૂરક ગણેશ મનાય છે. લોકો ત્યાં ભાવપૂર્વક પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માનતા રાખે છે અને ઈચ્છા પૂર્ણ થતાં દર્શનાર્થે જઈ માનતા પૂર્વક ભોગ ધરાવતાં હોય છે.

         હિંદુ ધર્મ પ્રત્યેક શુભકાર્યનાં પ્રારંભે ગણેશજીનું પૂજન કરતાં હોય છે. માતા પાર્વતીજી સેવા અને માતાપિતાની પ્રદક્ષિણાને સર્વોત્તમ તીર્થયાત્રા ગણનાર ગણપતિને ખૂદ શંકર ભગવાને, મનુષ્યના સર્વ કાર્યોની શરૂઆતમાં પ્રથમ પૂજાના અધિકારી બનાવ્યા છે.

     મહારાષ્ટ્રમાં ગણપતિને ‘મોરયા’ કહે છે. એનું મૂળ પૂના પાસેના એક સ્થાનિક દેવતામાં છે. કહેવાય છે કે મોરગાંવના સાધુ, મોરયા, ગણપતિના પરમ ઉપાસક હતા. લોકોએ એમને જ ગણપતિના અવતાર માની લીધા. અને તેથી જ લોકો કહે છે,

‘ગણપતિ બાપ્પા મોરિયા
પોઢચા વર્ષી લૌકર યા.’

ગણપતિ બાપા મોરિયા
આવતા વર્ષે જલ્દી આવજો.

                                                ૐ ગં ગણપતયે નમઃ


5 comments September 16, 2007

Previous Posts


વિભાગો

Recent Comments

himalek32 on થોડું શોધવ…
Kartik Mistry on થોડું શોધવ…
Kartik Mistry on થોડું મગજ ક…
Harsukh Thanki on ઈલકાબો વિષ…
અનિમેષ … on થોડું મગજ ક…

Recent Posts

Archives

Calendar

May 2008
M T W T F S S
« Apr    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links