શિવશિવાને સાનિધ્યે
મારી કૈલાસ-માનસરોવર યાત્રા
જીવનું શિવ પ્રતિ પ્રયાણ [1]
મારી 1996થી 2007 સુધીની કૈલાસ યાત્રાનાં અનુભવો તથા સંસ્મરણો
જીવનું શિવ પ્રતિ પ્રયાણ કાંઈ એકાએક ઊભી થયેલી ઘટના નથી પરંતુ જન્મોજનમનાં સંસ્કાર, પુણ્યો ભેગા થયા હોય ત્યારે શિવ જીવને પોતાની તરફ દોરે છે.
જગતગુરૂ શંકરાચાર્યે કહ્યું છે કે ‘ જો આપણું ચિત્ત સ્વસ્થ અને પ્રસન્ન હશે તો પ્રભુ દર્શનનું દ્વાર આપોઆપ ખૂલી જશે.’
જોકે શિવજીની કૃપા વગર તો અસંભવ છે. એમની કૃપા વગર તો ડગલું મંડાતું નથી તો કૈલાસની યાત્રા વિષે કેમ વિચારાય?? શિવજી પ્રત્યેની સંપૂર્ણ આસ્થા અને દૃઢ મનોબળથી જ આ યાત્રા કરી શકાય.
ધર્મ અને સંસ્કૃતિ એ જીવનનાં ધ્યેયો તરફ દોરી જનારા મુખ્ય પરિબળો છે. આ ઉપરાંત કૌટુંબિક વાતાવરણ , શાળાનું શિક્ષણ, તેમ જ શૈશવકાળનાં પણ મુખ્ય ભાગ ભજવતાં હોય છે. મારાં બાળપણમાં મારા માને રોજ શિવ મંદિરે જતાં જોયાં છે તેમ તેમની સાથે ઘણી વખત અમે એટલે હું અને મારો ભાઈ યોગેશ જતાં. આમ શિવજી પ્રત્યેની મારી આસ્થામાં મારી માનો હાથ જરૂરથી છે. મારી યાત્રાની પાયાની ઈંટ તરીકે મારી મા નર્મદાબાને મારા ખૂબ ખૂબ નમન છે. ખરા આશીર્વાદ તો મારા સાસુ તારાબા તરફથી પ્રાપ્ત થયાં છે. પહેલી યાત્રા વખતે તો એમણે આશીર્વાદ આપ્યાં જ હતાં. જોકે તેઓ પુષ્ટિમાર્ગીય હોવા છતાં તેમણે અમારી આ યાત્રા માટે કદી વિરોધ કર્યો ન હતો. 2000ની સાલમાં ગવર્મેંટની યાત્રામાં જ્યારે અમારો નંબર આવ્યો ત્યારે એમણે મને કહ્યું ‘નીલા જા હવે તમારી યાત્રાની તૈયારી કર તમારો નંબર આવ્યો છે.’ એમનાં આ શબ્દે મારી યાત્રા સફળ થઈ અને મારી જિંદગી પ્રત્યેનીદૃષ્ટી બદલાઈ ગઈ. ખરેખર વડીલોનાં આશીર્વાદ જિંદગીમાં મોટોભાગ ભજવે છે.
ઈ.સ. 1996મા જ્યારે આ યાત્રા કરી ત્યારે કૈલાસ વિષે કોઈપણ પ્રકારની માહિતી ન હતી. 1993માં અમારા ફેમીલી ફ્રેંડ તેમજ અમારા ઈંકમટેક્ષ ઍડવાઈઝર બચુભાઈ પ્રજાપતિએ આ યાત્રા કરી હતી. તેમણે અમને આ યાત્રા વિષે ખૂબ સુંદર માહિતી આપી હતી. મોટા દિકરા કવનનાં લગ્ન બાદ વિચાર કર્યો અને ફેબ્રુ.માં ગવર્મેંટ તરફથી જતી આ યાત્રા માટે ઍપ્લિકેશન કરી અને મંજૂરી પણ આવી ગઈ. 35 જણાનાં અમારા ત્રીજા બૅચના અમારા કાફલામાં અમે 8 જણાં તો મુંબઈનાં જ હતાં. આમ જોવા જાય તો મુંબઈની પ્રજા સાહસિક તો ખરી જ ! હરવા ફરવાનું હોય કે યાત્રા આમચી મુંબઈના લોકો આગળ હોય છે. બારડોલી, સુરત, સોનગઢ,કચ્છ, ચેન્નાઈ,દિલ્હી વગેરે આપણા દેશનાં અનેક ખૂણેથી અમે યાત્રીઓ ભેગાં થયાં હતાં. એમાં ઘણી બહેનોએ એકલા આવવાની હિંમત કરી હતી. ઘણા ભાઈઓ એકલા હતાં અને થોડા કપલ [અમારા જેવા] હતાં. અમારા લાઈઝન ઑફીસર Sp. Director of C.B.I., Sp. D.G.C.R.P.F. શ્રી. ડી. એ. કર્તિકેયન સાહેબ હતા અને સાથે તેમની દીકરી પણ હતી. 32 દિવસની અમારી આ યાત્રા ખૂબ જ યાદગાર હતી.
ફક્ત ઈંડિયન પાસપૉર્ટ ધરાવતી વ્યક્તિઓ ગવર્મેંટ તરફથી જતી આ યાત્રા માટે ઍપ્લિકેશન આપી શકે. 1996ની સાલમાં અમારી આ યાત્રા 32 દિવસની હતી પરંતુ 2000ની સાલથી આ યાત્રા 27 દિવસની થઈ. રૂપિયા 1,000નો ડ્રાફ્ટ ‘કુમાઉ મંડળ વિકાસ મંડળ’ ના નામે કઢાવી દિલ્હી મોકલવો પડે છે. યાત્રાની શરૂઆત કરતાં 3 દિવસ અગાઉથી પહોંચવું પડે છે. પ્રથમ દિવસે યાત્રીઓ સાથે ઓળખ વિધી પતાવ્યા બાદ મૅડિકલ ચેકપ કરાવવું પડે છે. આ રિપૉર્ટમાંથી પસાર થયા બાદ જ આ યાત્રા કરી શકાય છે. બીજે દિવસે વિદેશી ચલણ અને અને વિઝા લેવામાં આવે છે. ત્રીજે દિવસે રહી ગયેલા સામાનની ખરીદી. એ સમયે કૈલાસ, માનસરોવર્ની પરિક્રમા દરમિયાન યાત્રીઓએ જાતે રાંધવું પડતું હતું. મેં પણ માનસરોવર પર અમારા યાત્રીઓ માટે બે દિવસ ભોજન બનાવ્યું હતું. કયો સામાન લઈ જવો, કેટલો સામાન લઈ જવો એ જણાવતી પુસ્તિકા govt. તરફથી મોકલવામાં આવે છે. આમ અમે 20 જૂન 1996ના રોજ અમે આ યાત્રાએ જવા તૈયાર થયા. જીવનનો અતિ અમૂલ્ય અવસર મ્હાલવા તૈયાર થયા.
વધુ આવતા અંકે ………………..
ૐ નમઃ શિવાય
જીવનું શિવ પ્રતિ પ્રયાણ [2]
મુંબઈના મેઘના અને મુકુલને જ્યારે ખબર પડી કે અમે સાથે આવવાનાં છીએ તેમને એમ કે અમે નાની વયનાં હોઈશું કારણ એ બંન્ને અમારા ગ્રુપનું સૌથી નાની વયનું કપલ હતું. મેઘનાએ મારી ઉંમર પૂછી તો મેં 49 જણાવી તો થોડી નિરાશ થઈ પણ મેં તેને સાંત્વના આપતાં કહ્યું કે એક વખત મારી સાથે વાત કરવાનું ચાલું કર પછી તને ખબર ખ્યાલ આવશે. તે દિવસથી આજસુધી મેઘનાને એમ લાગ્યું નથી કે તેનાથી 25 વર્ષ મોટી ઉંમરની વ્યક્તિ સાથે વાત કરી રહી છે. અમારા ગ્રુપમાં બારડોલીની કૉલેજમાં ભણાવતા પ્રોફેસર જાહ્નવિકાબેન શુક્લા જેમણે 1995માં કૈલાસની યાત્રા માટે ઍપ્લિકેશન કરી હતી પરંતુ દિલ્હીમાં થતી મૅડિકલ ઍક્સામિનેશનમાં ફેલ થયાં હતાં. એમની સાથે મુંબઈના ભરત વેદ પણ હતા જેમને કારણે જ જહાનવિકાબેનનાં મનમાં મુંબઈના માણસો પર વિશ્વાસ ન મૂકવાનો ઘર કરી ગયું હતુ. કૈલાસ યાત્રા પર જતા પહેલા ત્રણ દિવસ અગાઉ દિલ્હી પહોંચી અશોક યાત્રી હૉટલમાં અમારો ઉતારો હતો. એક રૂમમાં 4 વ્યક્તિને ઉતારો આપવામાં આવતો. અમારી સાથે જાહ્નવિકાબેન અમારા રૂમમાં હતાં. અમારી સાથે વાત કરતા થોડાક અચકાતા હતાં. દીકરી ફોન કરવા ઉતરતા હતાં ત્યારે મેં તેમને Good Morning Wish કર્યાં અને સાથે સાથે have a nice day પણ wish કર્યાં. આ વિશ સાથે તેમની મુંબઈવાળાની પહેચાન બદલાઈ ગઈ.જોકે યાત્રા દરમિયાન એટલી મૈત્રી નો’તી વધી પરંતુ ત્યારથી આજ સુધી મને મોટીબેન તરીકે ગણે છે અને તેમના બાળકો પોતાની સગી માસી તરીકે ગણે છે. જાહ્નવિકાબેનની અને બચુભાઈ પ્રજાપતિની મદદથી હું આ યાત્રા વિષે નાનકડી પુસ્તિકા લખી શકી હતી. [કૈલાસ માનસરોવર- એક શ્રદ્ધાપૂર્ણ યાત્રા]
શ્રી બચુભાઈની જેમ અમારી જ જ્ઞાતિના એક ભાઈ શ્રી દીપકભાઈ શાહ જેમણે 1987માં આ યાત્રા કરી હતી તેમણે અમ્ને આ યાત્રા વિષે માહીતિ પણ આપી તેમજ અમુક વસ્તુઓ અમારી પાસે ન હતી તે પણ આપી હતી તેમજ કેટલો સામાન લેવો અને કઈ રીતે લઈ જવો તેની સંપૂર્ણ માહિતી આપી હતી. અમારી સાથે સુરતથી ડૉ. એડિબામ પારસી કપલ આવ્યાં હતાં. તેઓએ ક્યાંક પુસ્તકમાં વાંચ્યું હતું કે માનસરોવર નામનું એક મોટું તળાવ છે જે આટલી ઊંચાઈ પર આવેલું સૌથી મોટું તળાવ છે. કુતુહલતા ભર્યા આ વયોવૃદ્ધ સાલસ કપલે અમને ખૂબજ સાથ આપ્યો હતો. આમ તો દરેક યાત્રી પોતપોતાની આસ્થાથી આવેલાં. એમાં જૈનધર્મી પણ હતાં. દક્ષિણ ભારતીય પણ હતા. બંગાળી, મારવાડી, મરાઠી,ગુજરાતી વગેરે દરેક ભાષીનો એક મેળો હતો. અમારા લાઈઝન ઑફીસર ડી.આર.કાર્તીકેયન તો આ યાત્રાથી એતલા પ્રભાવિત થયેલા કે એમણે તો પોતાની દીકરી કંચનાને હૈદ્રાબાદથી ફ્લાઈટમાં બોલાવી દીધી અને અમારી સાથે જોડાઈ ગઈ. આમ અમારો શંભુમેળો શંભુના દર્શને જવા નીકળ્યા.
વિશ્વપ્રસિદ્ધ કૈલાસ પર્વત એ દેવોના દેવ મહાદેવ અને મહાશક્તિ મા પાર્વતીનું રહેણાક છે. આપણાં જન્મોજનમનાં પુણ્ય ભેગા થાય છે અને જે જલ્દીથી પ્રસન્ન થાય છે તેવા પ્રભુ આશુતોષની કૃપા વિના આ યાત્રા અને દેવભૂમિના દર્શનનો લ્હાવો મળે છે તેથી વધુ મહત્વની વાત એ છે કે જો યાત્રા પરિપૂર્ણ થાય ભોળા શંભુની કૃપા સમજવી. ભલે યાત્રા કરવા નીકળ્યા હો પરંતુ ‘તેની’ કૃપા વિના પૂર્ણ થતી નથી. કોઈપણ ધર્મી હો પણ શ્રદ્ધાપૂર્વક કરેલી આ યાત્રા જરૂરથી પૂર્ણ થાય છે.
20 જુન 1996 એટલે પ્રથમ દિવસ:-
આમ 20મી જુન 1996ના દિવસે સવારે 4 વાગે ‘ૐ નમઃ શિવાય’ ‘હર હર મહાદેવ’ કૈલાશપતિકી જય હો’ ના નારા સાથે ‘અશોક યાત્રી નિવાસ, ન્યુ દિલ્હી’ થી અમારી યાત્રાનો પ્રારંભ થયો. દિલ્હીથી ધારચૂલા સુધીનો પ્રવાસ બસમાં કરવાનો હોય છે. ગજરોલા,કાઠગોદામ, ભુવાલી થઈ અલ્મોડા સુધીનો રસ્તો આરામથી મોજ મસ્તીથી એકબીજાનાં પરિચય સાથે વીતી ગયો. અલ્મોડામાં પ્રથમ પડાવ હતો.
21મી જુન 1996- બીજો દિવસ
અલ્મોડાથી નંદાદેવી, જે વાસુદેવ- દેવકીની પુત્રી જેને કંસે પથ્થર પર પછાડીને મારવાનો પ્રયાસ કર્યો હતો,દર્શનાર્થે પહોંચ્યાં. અહીં લોકો ઘંટ અથવા ઘંટીઓ બાંધી માનતા રાખતા હોય છે. દર્શન કરી ‘ચકોરી’માં ભોજન લઈ ડીડીહાટ થઈ ‘ધારચુલા’ પહોંચ્યા. કુમાઉ મંડલ વિકાસ નિગમ દ્વારા આ યાત્રા યોજાય છે. આ કૈલાસ માનસરોવરનો બેઝ કેમ્પ બે મોટા પતરાથી બાંધેલા રૂમથી બનેલો છે. એકમાં મહિલા યાત્રી અને બીજામાં પુરુષ યાત્રીઓને મુકામ આપવામાં આવે છે. આ મુકામની બાજુમાંથી ધસમતી કાલીગંગા વહે છે. નામ પ્રમાણે તેનું પાણી કાળું છે અને તેનું સ્વરૂપ ભયાનક છે. એક કાંઠે ભારતનું ‘ધારચૂલા’ અને બીજે કાંઠે નેપાલનું ‘દારચૂલા’. બે ગામને જોડતો એક લક્ષમણઝૂલા જેવો પૂલ સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી અવર જવર કરી શકાય. અહીં અવર જવર માટે પાસપૉર્ટની કે વીઝાની જરૂર પડતી નથી.
અહીંથી જરૂરિયાત પૂરતો સામાન પાસે રાખી બીજો સામાન વૉટરપ્રૂફ કોથળામાં મૂકીને બાંધીને ‘કોમન લગેજ’ માટે આપી દેવો પડે છે. અહીંથી જરૂરમંદો માટે ઘોડાવાળા અને પૉર્ટરની વહેંચણી કરવામાં આવે છે.
22મી જુન – ત્રીજો દિવસ
ધારચૂલાથી બસમાં બેસી 17 કિ.મી. દૂર તવાઘાટ જવાનું હતુ. અહીં કાલીગંગા અને ગૌરીગંગાનો સંગમ જોવામળે છે. ગૌરીગંગા નામ પ્રમાણે ધોળી છે. આમ કાળા અને ધોળા પાણીનો નિરાળો સંગમ જોવા મળે છે. અહીંથી બસમુસાફરીનો અંત અને ઘોડા પર અથવા પગપાળા મુસાફરી ચાલુ. જોકે હવે તો માંગ્તી સુધી જીપમાં જવાનું હોય છે. અમે 1996માં અહીંથી 5 કિ.મી. થાનેદારની ચઢાઈ ચઢીને પાંગુ પહોંચ્યા.અહીં રાત્રીનો પડાવ હતો.. અમારી સાથે સરકાર તરફથી 2 ડૉકટરો, વાયરલેસ મેન તેમજ 8 થી 10 પોલિસો અને લાયઝન ઑફિસર હોય છે.
થાનેદારની ચઢાઈ ચઢીને પાંગુ પહોંચતા થાકી તો જવાય જ છે પરંતુ હિમાલયનું લીલુંછમ દૃશ્ય જોઈ અને યાત્રા કરવાનો જોશ આ થાક ઉતારી દે છે. અમારા L.O.એ એક નિયમ રાખ્યો હતો કે પહેલા ભજન પછી ભોજન. આમ ભજનની રમઝટનો આનંદ મેળવ્યો અને કોણ સુંદર ગાઈ શકે છે તેનો ખ્યાલ પણ આવી ગયો.
23 જુન 1996 – ચોથો દિવસ
પાંગુથી નીકળી ‘હિમખોલા’ નદી પસાર કરી નારાયણ આશ્રમ થઈ સીરખા કેમ્પ પહોંચવાનું હતું. મેં અગાઉ ‘નારાયણ આશ્રમ’ વિષે લખેલું છે. આ આશ્રમનું સંચાલન પૂ. સ્વામી તદરૂપાનંદજી કરે છે. અને એ વખતે ગર્બ્યાંગના શિક્ષિત ગંગોત્રીમા કરતા હતાં. હવે તેઓ હયાતમાં નથી. પૂ. તદરૂપાનંદ સ્વામીના આશીર્વચન સાથે અમે સીરખાનું અત્યંત સુંદર જંગલ પસાર કર્યું. અહીં એક વસ્તુ જાણવા જેવી મળી. સુંદર રંગબેરંગી ફૂલોની જાજમમાં ‘બિચ્છુકાંટા’ જેવી વનસ્પતિ પણ જોવા મળે છે જેનો સ્પર્શ માત્ર વીંછી ડંખ્યાની વેદનાનો અનુભવ કરાવે છે. તે નીચે બીજી વનસ્પતિ ઊગે છે જેને મસળી આ ડંખ પર લગાડવાથી આ વેદનામાંથી છૂટકારો અપાવે છે. આમ સીરખા બેઝ કેમ્પ પહોંચ્યાં.
24 જુન 1996 – પાંચમો દિવસ

સીરખા કેમ્પથી 13 કિ.મી. દૂર 8050 ફૂટ ઊંચાઈએ આવેલા ‘ગાલા’ કેમ્પ પહોંચવાનું હતું. પ્રારંભના સરળ રસ્તા પછી 4 કિ.મી.નું ચઢાણ ચઢી ‘રુંગલિંગ ટોપ’ પહોંચી સીધા ઊતરાણ બાદ પાટિયાના બનેલા પુલ દ્વારા ‘હિમખોલા’ નદી પસાર કરી ‘ગાલા’ કેમ્પ પહોંચ્યા. કહેવાય છે કે જેમ મુંબઈની ફેશનનો ભરોસો નથી તેમ હિમાલયના હવામાનનો ભરોસો નથી. અહીં રસ્તામાં વરસાદ તો નડવાનો જ. પણ અમારે નસીબે રાત્રે ધોધમાર વરસાદ પડે અને દિવસે બંધ રહેતો જેથી અમને અમારી આ આગળ વધતી યાત્રામાં બાધા ન આવતી.
વધુ આવતા અંકે…………..
ૐ નમઃ શિવાય
***************************************************************************************
જીવનું શિવ પ્રતિ પ્રયાણ [3]
યે પથ્થર ન ગિરતે તો ચઢાન ન હોતી
યે પાની ન બહતા તો ઢલાન ન હોતી
કાઠમાંડૂસે જાતે તો જલ્દી પહૂંચતે
લેકિન કૈલાશ પર શિવજી ન મિલતે
શ્રી કૃષ્ણકાંત રાજે [યાત્રી]
પહાડ પરથી પડતો નાનો અમથો પથ્થર આપણને ઈજા પહોંચાડે છે. રસ્તામાં અમને આવી જ રીતે ઈજાગ્રસ્ત બહેન મળ્યાં હતાં કે જેમને મજબૂત પૉર્ટર ઊચકીને પાછો લઈ જતો હતો
લગભગ દરેક કેમ્પ પર પહોંચતા ‘રસના’ શરબતથી સ્વાગત થાય છે. ખરેખર ધન્ય છે અહીં પહાડી પૉર્ટરોને. ખૂબ માયાળુ તેમજ આસ્થાવાળા. એમાં કૈલાશયાત્રીઓની તેઓ ખૂબ સેવા કરતા હોય છે. યાત્રીઓ જ્યારે પોતાને મળેલા સ્થાનમાં ગોઠવાય છે ત્યારે તેનો પૉર્ટર સામાન ગોઠવી દે છે. અને યાત્રીને તેજા શૂઝ કાઠવામાં મદદ કરે છે તેમજ ઘણીવારતો પગ પણ દબાવી આપતા હોય છે. ગરમ પાણી લાવી આપીને યાત્રીઓની સુવિધા વધારી આપે છે. આમ યાત્રીઓ ગરમ પાણીથી નાહીને પોતાનો થાક ઉતારે છે અને ત્યારબાદ ભોજન લઈને આરામ કરે છે. પોતાના કપડાં ધોઈને સૂકવી કાંતો બીજા યાત્રીઓ સાથે ગપશપ કાંતો પોતાની પાઠપૂજામાં રત રહેતા હોય છે.
સ્ત્રી યાત્રીઓની રહેવા માટે અલગથી જુદો પરિસર આપવામાં આવે છે તેમજ પુરુષ યાત્રીઓને પણ. અમારી સાથે કાર્તિકેયન સાહેબ હોવાથી કપલ યાત્રીઓને સાથે રહેવાની સગવડ મળી હતી. સાંજના ભજન બાદ ભોજનનો કાર્યક્રમ કાયમ રહેલો. રાતના નવ વાગે નિદ્રાધીન થવું જ પડે નહીં તો જનરેટરથી ચાલતી બધી લાઈટો બંધ. બીજે દિવસે સવારે 5 વાગે લાઈટ ચાલુ થાય.
25 જુન છઠ્ઠો દિવસ:-
યાત્રાનો આ છઠ્ઠાદિવસે ‘ગાલા’થી ‘માલપા’ સુધી પહોંચવાનું હતુ. તે માત્ર 11 કિ.મી. દૂર હતો. 1998માં થયેલી દુર્ઘટના બાદ આ કેમ્પ બંધ થઈ ગયો.છે. શરુઆતનો રસ્તો સરળ હોવાથી ‘જીપ્તી’ ગામ સુધી સહેલાઈથી પહોંચી ગયા. 1999થી આ રતો બદલાઈ જવાથી ધારચૂલાથી ‘માંગ્તી’ સુધી જીપમાં જવાનું હોય છે. માંગ્તીથી 2 કિ. મી.ના ચઢાણ બાદ ગાલા પહોંચવાનું હોય છે. એટલે ગાલાથી પહેલાનાં બધા કેમ્પ એટલે કે પાંગુ, સીરખા સ્કીપ કરવાનાં હોય છે. ત્યારબાદ ‘લખનપુર’ પહોંચવા સતત 4,444 પગથિયા નીચે ઉતરી ‘કાલી ગંગા’ના કિનારા સુધી પહોચી તેના અવિરત ધસમસતા પ્રવાહની સાથે સાથે ચાલતા આગળ વધ્યા.
ડાબી બાજુ પર્વતની અડીખમ દિવાલ અને જમણી બાજુ કાલી ગાંગાનો ધસમસતો પ્રવાહ. આ પ્રવાહની સામે જોવાની હિંમત જ ચાલે. યાત્રાની શરુઆતમાંજ યાત્રીઓને સૂચના આપવામાં આવે છે કે પહાડ પર ચઢતા કે ઉતરતા પાણીનાં પ્રવાહની સામે જોવું નહીં. નહીં તો ચક્કર આવશે. પહાડ પર ચઢતા હંમેશા પગ તરફ જોવું. નતો પહાડને જોવો કે નદીનાં વહેણને. બંને રીતે ચક્કર આવવાનો ચાંસ. ઉપર જોઈયે તો એવું લાગે કે રસ્તો આગળ વધતો નથી તેથી પહાડ ચઢતી વખતે હંમેશા પગ તરફ ધ્યાન દેવું જેથી આગલું પગલું ક્યાં મૂકવું તેનો ખ્યાલ રહે. બીજી ચેતવણી એ મળી હતી કે રસ્તે આવતા એક પણ ઝરણાને કૂદાવવાનો પ્રયત્ન ન કરવો. નહીં પહાડ પરથી નીચે પડી જવાનો ભય રહે છે. આવું એક વખત બન્યું હતું. એક વખત એક મીલીટરીના કપ્તાનને પોતાની આવડત પર ખૂબ ગર્વ હતો અને આવા જ એક નાના ઝરણાને કૂદાવી આગળ વધવા માંગતો હતો. પણ કુદરત અને નસીબ આગળ સહુને ઝૂકવું જ પડે છે. આ કપ્તાને કૂદકો તો માર્યો અને તે પોતાનું બેલેંસ ગુમાવી બેઠો. અને પહાડ પરથી નીચે પડી ગયો અને કાલીગંગામાં સમાધિ પ્રાપ્ત થઈ.
નાના મોટા ઝરણા અને પહાડ પરથી ધોધની નીચેથી પસાર થતાં અમે ‘માલ્પા’ના કેમ્પ પહોંચ્યા. આ કેમ્પની લગભગ અડોઅડ કાલી ગંગા પસાર થાય છે. તેનો પ્રવાહ એટલો ધસમસતો છે કે તેનો ‘નાદ’ કેટલાય વખત સુધી કાનમાં ગુંજ્યા કર્યો. અહીં રસ્તામાં છત્રી આકારના પહાડ પરથી પરથી પાણીનો ધોધ પડે છે, જે ‘છાતા ફોલ’ તરીકે જાણીતો છે, તે આવે છે. ત્યારબાદ એજ નિત્યકર્મ પતાવી બીજા દિવસની તૈયારીની શરુઆત કરી.
26મી જુન સાતમો દિવસ:-
8,845 ફૂટ્ની ઊંચાઈ આવેલો ‘બુધિ કેમ્પ, આરસ્તાનો સૌથી સુંદર કેમ્પ છે. કુદરતે મન મૂકી અહીં સૌંદર્ય વેર્યું છે. માલ્પાથી 9 કિ.મી. દૂર આવેલા આ કેમ્પ પર પહોંચતા રસ્તામાં સુંદર રંગબેરંગી ફૂલોની ચાદરમાંથી પસાર થવું પડે છે. પ્રવાસનાં થાકને ભૂલી મન ભરીને સૌંદર્ય મ્હાલતાં મ્હાલતાં અમે બુધિ કેમ્પ પર પહોંચ્યા. આખા રસ્તે ૐ નમઃ શિવાય નો જાપ રટતા હતા. સતત વરસાદ સખ ઠંડીને કારણે ફરજીયાત મંકી કેપ , સ્વેટર પહેરવી પડી. સૂરજનો કૂણો તડકો મીઠો લાગતો હતો. પણ સાંજના અચાનક વરસાદ ચાલુ થયો અને સતત આખી રાત ચાલુ રહ્યો.
કેમ્પ એટલે કે એક મોટા હૉલમાં મોટા પથ્થરનો પલંગ એની ઉપર દરેકને માટે અલગ અલગ પથારી અને માથા પાસે બે શેલ્ફ જેમાં દરેક પોતાની નાની નાની વસ્તુઓ મૂકી શકે. સાથે એક ઓશિકું અને એક ગરમ ધાબળો આપવામાં આવે છે. હું હંમેશા છેડે સુવા પસંદ કરું. આ દિવસે મારી આ પસંદગી ભારે પડી. છત પરથી ટપકતા પાણીએ મને આખી રાતનો ઉજાગરો આપ્યો. સવારના 6 વાગે ચા નાસ્તાને ન્યાય આપી આગળ વધવાનું હતું.
27 જુન આઠમો દિવસ :-
બુધિ કેમ્પથી 17 કિ.મી. દૂર આવેલા ‘ગુંજી’ સુધીના આજના પ્રવાસમાં શરુઆતનો 6.કિ.મી.નો રસ્તો કપરા ચઢાણવાળો હતો. ત્યારબાદનો 9 કિ.મી. નો રસ્તો સરળ હતો પણ રસ્તો ખૂબ લાંબો લાગતો જાણે ખૂટે જ નહીં. ગમે ત્યારે જોરદાર પવન ફૂંકાય. ચઢાણ પૂરું થયે ‘સિયાલેખ’નાં રંગબેરંગી ફૂલોનાં મેદાનમાં આવ્યાં. અહીંથી ‘વ્યાસક્ષેત્ર’ ચાલુ થાય છે. રસ્તામાં ‘ગર્બ્યાંગ’ નામનું ગામ આવે છે. ઈ.સ. 1956 પહેલા આગામ ખૂબ સમૃદ્ધ ગણાતું હતું પણ 1956માં થયેલા ધરતીકંપે આ ગામને પાયમાલ કરી મૂક્યું. ચીકણી માટી પર વસેલું આ ગામ ધીરે ધીરે ગરકતું જાય છે. તેનાં મકાનો વચ્ચેથી બેસી પડ્યાં છે. અહીંથી ગુંજી કેમ્પ સુધી સહેલાઈથી પહોંચી ગયા. આ રસ્તાની ભારતની છેલ્લી ‘ State Bank of India’ આવેલી છે. તેમ જ છેલ્લી પૉસ્ટ ઑફિસ આવેલી છે. અહીંથી આગળ Indian Tibet Border આવેલી છે તેથી આગળ કોઈ બૅંક નથી કે પોસ્ટ ઑફિસ નથી. અહીં અમને મોટા ગોળાકાર ફાઈબર શીટનાં તંબુમાં રાખ્યા હતાં.
રસ્તામાં ઘોડા પર મને અને મેઘનાને ખૂબ ઉંઘ આવતી તો અમે બંને બચુકાકાને બૂમ પાડી કહેતા કાકા પ્લીસ, કોઈ ભજન ગાઓ તો અમને ઉંઘ ન આવે. એટલે કાકા ખૂશી ખૂશી અમારો સાથ આપી ભજન ગાવાનું ચાલું કરી દે અને અમે તેમનો સાથ દઈ અમારી નીંદર ઊડાવીએ. મને તો હજી પણ ઘોડા પર સવારી કરતા કરતા નીંદર આવે છે.
Strange. ખરું ને?
અહીં કાલી ગંગાનો પ્રવાહ શાંત છે આગળ તેનું મૂળ આવેલું છે. અહીં કુટ્ટી અને કાલી ગંગાનો સંગમ થાય છે. ગુંજી ગામ આ સંગમ નજીક વસેલું છે. અહીંથી અન્નપૂર્ણાની પર્વતમાળા દેખાય છે. ગુંજીથી બે રસ્તા ફંટાય છે . એક રસ્તો ‘આદિ કૈલાસ’ તરફ જાય છે. રસ્તામાંથી જો હવામાન ચોખ્ખું હોય તો આદિકૈલાસનાં દર્શન થાય છે. અને બીજો રસ્તો કાલાપાની તરફ જાય છે. જોકે અમારે તો કાલાપાનીનો રસ્તો પકડવાનો હતો. પણ આદિકૈલાસ વિષે થોડું જાણીયે.
આદિકાળથી પાંચ કૈલાસ ગણાય છે.
1] તિબેટમાં આવેલો કૈલાસ જેની આપણે આ કઠિન યાત્રા કરીયે છીએ.
2] આદિકૈલાસ જ્યાં ગુંજી થઈ ને જવાય છે.
3] મણિ મહેશ
4] કિન્નર કૈલાસ
5] શ્રીખંડ કૈલાસ
આદિકૈલાસ ગુંજી થઈ જવાય છે. રસ્તામાં ‘કુટ્ટી’ નામે ગામ આવે છે જે કુંતીના નામ પરથી અપભ્રંશ થયેલું મનાય છે. અહીં પાંચ પર્વતની હારમાળા હોવાથી આ સ્થળ ‘પાંડવતીર્થ’ તરીકે ઓળખાય છે. ગુંજીથી 30 કિ.મી. દૂર આવેલ ‘આદિ કૈલાસ’ અથવા ‘છોટા કૈલાસ’ અને ‘પાર્વતી સરોવર’ તિબેટમાં સ્થિત ‘કૈલાસ’ અને ‘ગૌરી કુંડ’ની પ્રતિકૃતી છે. આદિ કૈલાસની પરિક્રમા ખૂબ નજદિકથી થાય છે. આદિકૈલાસ પ્રકૃતિની ચરમસીમાએ પહોંચેલું સ્થળ છે. 17,000 ફૂટની ઊંચાઈએ આવેલું પાર્વતી સરોવર બારેમાસ થીજેલું રહે છે જેની પરિક્રમા પૂરી કરતા ત્રણ થી ચાર કલાક લાગે છે. જ્યારે આદિકૈલાસ અને પાર્વતી સરોવરની પરિક્રમા પૂરી કરતાં ત્રણ દિવસ લાગે છે. આ પરિક્રમા કરવા પાસપૉર્ટ કે ડૉક્ટરી તપાસના સર્ટિફિકેટની જરૂરત નથી પડતી.
ગુંજીમાં ફરીથી મૅડિકલ ચેકઅપ થાય છે. અને જો એમાંથી જો તમે પસાર થાઓ તો જ આગળ વધવા મળે છે નહીં તો અહીંથી પાછા ફરવું પડે છે. અહીંથી સાથે આવેલાં ડૉક્ટરો, વાયરલેસમેન તથા રક્ષકપોલિસો પાછા ફરે છે. અહીંથી પાસપોર્ટ ધરાવતા અમારા ઘોડાવાળા તેમજ પૉર્ટરો અને ઈંડિયન તિબેટિયન બૉર્ડર પોલિસ [I.T.B.P.] નાં જવાનો અમારી સાથે જોડાય છે જે અમારી સાથે ‘લિપુલેખ પાસ’ સુધી સાથે રહે છે.
28મી જુન નવમો દિવસ
કાલાપાની મિલિટરીના જવાનો માટે એક સજારૂપ જગ્યા માનવામાં આવે છે. અહીં ફક્ત જવાનો જ રહે છે. અહીં કોઈ ગામ નથી કે ગામવાસી નથી રહેતા કે અહીંથી કોઈજાતનાં વેપાર કે વહેવાર થતાં નથી. [no man’s land ] જેવી જગ્યા છે. વર્ષના ચાર મહિના યાત્રી સિવાય અહીં કોઈને આવવા દેવાતા નથી.
ગુંજીથી કાલાપાની 10 કિ.મી. દૂર આવેલું છે.રસ્તામાં I.T.B.P. ના જવાનો આગળ પાછળ થતાં દરેક યાત્રીઓને કલાકે કલાકે ભેગા કરીને આરામ કરાવી આગળ વધવાનો આદેશ આપે છે. અહીં જવાનો ઉમળકાભેર યાત્રીઓનું સ્વાગત કરે છે. અહીં રસ્તામાં ‘વ્યાસ ગુફા’ આવે છે. કહેવાય છે કે વ્યાસજીએ અહીં બિરાજમાન થઈ મહાભારતની રચના કરી હતી. કેમ્પથી 1 કિ.મી. પહેલા ગરમ પાણીનો ઝરો આવે છે જ્યાં યાત્રીઓ તેમજ જવાનોએ ન્હાવાનો આનંદ લૂટ્યો. અહીં કાલીગંગાનું ઉદભવ સ્થાન છે તે ઉપર અહીંના જવાનોએ કાલીમાતાનું મંદિર બાંધ્યું છે. ખૂબ ભક્તિ કરે છે આ જવાનો. સાંજના મંદિરમાં તેમના ભજનમાં અમે જોડાયા. ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું. વધારાની રકમ અને વધારાનો સામાન જમા કરાવવો પડે છે. અહીં પાસપોર્ટનું એંડોર્સમેંટ કરાવવું પડે છે તેમ જ કસ્ટમ અને ઈમીગીશન ફરીથી કરાવવા પડે છે.
2000 સાલમાં કરેલી યાત્રા યાદ આવી. અહીં અમને મુંબઈ સ્થિત પ્રેરણાબેન ગાંધી મળ્યા. તેમના પતિને કૈલાસ યાત્રા કરવાની ખૂબ ઈચ્છા હતી પરંતુ કેંસરને કારણે કરી ન શક્યા. તેમની ઈચ્છા પૂર્ણ કરવા પોતાનો બીસનેસ થોડો વખત બંધ રાખી ઉઘાડા પગે યાત્રા કરે છે. આ પહેલા પણ એક વખત તેમની મુલાકાત થઈ હતી. 1996ની યાત્રા બાદ પાલનપુરવાળા સ્વામી કલ્યાણજીગીરીએ કૈલાસ યાત્રીઓનો સન્માન સમારોહ આયોજ્યો હતો. હું ભજન ગાવામાં તલ્લીન અને પ્રેરણાબેન નૃત્ય કરવામાં તલ્લીન. નતો એમને ખબર કે મને કે કોણ કોને તાલે નાચતું કે ગાતું’તું. થોડીવાર પછી અમે બંનેને ભાન આવ્યું. અને એકબીજાની ઓળખાણ થઈ અને એકબીજાને અભિવાદન કર્યું.
29મી જુન દિવસ દસમો:-
પર્વતનું મૂળ નામ ‘ન્યા-વિહંગ’ પણ અપભ્રંશ થતા આ પર્વત ‘નબીડાંગ’ના નામે ઓળખાય છે. કાલાપાની 9 કિ.મી. દૂર આવેલા આ પર્વતનાં કેમ્પ પરથી ૐ પર્વતનાં દર્શન થાય છે. ૐ પર્વત એટલે આ પર્વત પર ૐ આકાર કાયમ બરફથી છવાયેલો રહે છે. ૐની આજુબાજુ અને આજુબાજુના પર્વત પર કાયમી બરફ નથી રહેતો. ભારતીય સરહદનો આ છેલ્લો કેમ્પ 13.800 ફૂતની ઊંચાઈએ આવેલો છે. અહીંથી હરિયાળી કે ઊંચી ઊંચી વનસ્પતિઓ દેખાવવાની બંધ થાય છે. જાણે સમાધિમાં બેઠેલા ‘વાલ્મિકી’ ઋષિ જેવા મટોડિયા કોરાધાક જેવા પહાડો નજર આવે. પણ જો જો એમ ન સમજતાં કે કુદરત અહીં જરાયે નથી. અહીંનો સુર્યોદય મ્હાલવા જેવો છે. સૂર્યનું પહેલું કિરણ પહાડો પર જ્યારે ફેલાય છે ત્યારે તેની લાલિમા અંતરને પ્રફુલ્લિત કરે દે છે. ચોમેર સોનેરી આભા ફેલાય છે.
અમે ખૂબ રાહ જોઈ કે અમને ૐ પર્વતનાં દર્શન થાય પણ વાદળોને એ મંજૂર ન હતું ખસવાનું નામ જ ન દે. 13,800 ફૂટની ઊંચાઈ પર રહીને આપણા જવાનો સરહદની રક્ષા કરતા જોઈ તેમને સલામી આપવાનું મન થઈ જાય છે જેમને કારણે આપણે શહેરોમાં સુખશાંતીથી રહી શકીએ છીએ. તેઓને શત શત પ્રણામ. અહીં વપરાયેલા ફોટાના રોલ જમા કરાવવા પડે છે જે પાછા વળતા મળી જાય છે.
અહીંથી જેમ જેમ ઊપર ચઢતા જઈએ તેમ તેમ ઠંડી વધતી જાય છે તેથી સ્વેટર અને મંકી ટોપી પહેરી રાખવી પડે છે.
અહીં યાત્રાનો પ્રથમ તબક્કો પૂર્ણ થાય છે.
ૐ નમઃ શિવાય
*********************************************************************************
જીવનું શિવ પ્રતિ પ્રયાણ [4]
ત્રયીં તિસ્ત્રો વૃત્રીસ ત્રિભોવનમયો ત્રીનપિ સુરા-
નકારોધૈર્વણીસ ત્રિભિરભિદધત્તતીર્ણવિકૃતિ
તુરીયં તે ધામ ધ્વનિભિરવરુન્ધાનમણુભિઃ
સમસ્તં વ્યસ્તં ત્વાં શરણદ ગૃણાત્યોમિતિ પદમ
ત્રિ-વેદો, ત્રિવૃત્તિ, ત્રણ-ભુવન, દેવો ત્રણ અને
ત્રિવર્ણો માંહી એ અ-ઉ-મ વિકૃતિથી પર રહ્યું
તમારું જે ચોથું પદ પ્રસર્તું સૂક્ષ્મ ધ્વનિથી
અખંડે કે ખંડે તવ પદ ક્યે ‘ઓમ’ ઈતિ સ્વરે
હે શરણ આપનાર શંભો ! ઋણ , યજુર અને સામ એ ત્રણે વેદ , જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ એ અંતઃ કરણની વૃત્તિઓ, ભૂઃ ભુવઃ અને સ્વઃ લોક અને ત્રણે દેવો બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ એટલે સર્ગ, સ્થિતિ અને લય. એ સર્વેને અકાર, ઉકાર અને મકાર એ ત્રણેય અક્ષરો વડે ભિન્ન સ્વરુપ પ્રતિપાદન કરતું ઓમ બને છે.
તે પ્રમાણે નિર્વિકાર અને સર્વોપયોગી ભિન્ન અને અવસ્થાથી પાર એવું ચોથું જે આપનું અખંડ ચૈતન્ય સ્વરુપ છે.
ભવ, શર્વ, રુદ્ર, પશુપતિ,ઉગ્ર, મહાદેવ, ભીમ અને ઈશાન એ આપના આઠ નામ પ્રમાણે તે પ્રત્યેક નામની શ્રુતિ પણ ઉપદેશ કરે છે.સર્વનું કલ્યાણ કરનાર સ્વપ્રકાશ, ચૈતન્યસ્વરુપ, પરોક્ષ છતાં પ્રિય અને સર્વનું કલ્યાણ કરનાર તેજઃસ્વરૂપ એવા આપ શંકરને મારા વારંવાર પ્રણામ.
30 જુન :- અગિયારમો દિવસ
અહીંથી યાત્રાનો બીજો તબક્કો શરુ થાય છે.
નબી-ઢાંગ થી ચાઈના બૉર્ડર પસાર કરી ‘તકલાકોટ’ પહોંચવાનું હતું. રસ્તામાં ‘લિપુલેહ પાસ’ આવે છે. આ ‘લિપુલેહ પાસ’ 16,750 ફૂટની ઊંચાઈએ આવેલ છે. જ્યાં બે ઋતુમાંની એક ઋતુ હોય છે. કાંતો સખત ઠંડી સાથે બરફ, કાંતો સખત વરસાદ. અમે આ બધી ઋતુઓનો ‘લિપુલેખ ઘાટ’ પસાર કરતા અનુભવ કરી લીધો.
ચાઈનાનો સમય આપણા સમય કરતાં 2 ½ કલાક આગળ હોવાથી મધરાતે 1 ½ વાગે ઊઠી નિત્યકર્મ પતાવી અમે 2 ½ વાગે લિપુલેખ તરફ જવા પ્રયાણ કર્યું. થર્મલ, સ્વેટર, હાથનાં મોજાં, બુઢિયા ટોપી, રેઈન કોટ વગેરે બધું પહેરી, હાથમાં બેટરી રાખી ચાલવું પડે છે. સવારના સાત વાગે લિપુલેહ ઘાટ પાસે પહોંચવું પડે છે કારણ યાત્રાથી પાછી ફરતી બૅચને લઈ ITBP ના જવાનોએ લેવાની હોય છે અને યાત્રાએ જતી બૅચની સોંપણી કરવાની હોય છે.
લિપુલેહ ઘાટ સુધી પહોંચતા પહેલા ત્રણેક કિ.મી. દૂરથી જ બરફ છવાયેલો હતો. નબીઢાંગથી નીકળતા જ વરસાદનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ કૈલાસ માનસરોવરની યાત્રા કરવાનું સ્વપનું પરિપૂર્ણ કરવાની મહેચ્છાથી ઉમળકાભેર તૈયાર થઈને ચાલવા લાગ્યાં.
આ તબક્કે આપણાં સેવાભાવી પહાડી ઘોડાવાળા અને પૉર્ટરોની મદદ વગર શહેરી લોકો આગળ વધી જ ન શકે તેઓને મારા શત શત પ્રણામ. દરેકે દરેક કેમ્પ પર સામાન લાવવો, ગોઠવવો, ખોલવો બંધ કરવો, ગરમ પાણીની સગવડ કરવી, થાકેલા પગની માલિશ કરવી, કપડાં પણ ધોઈ આપવા વગેરે નાના મોટાં કામ કરી આપવા વગેરે આ પહાડી પ્રજા જ આપણને કરી આપે. રસ્તામાં હાથ પકડી રસ્તો કાપવામાં મદદ કરે , આપણો સામાન ઉચકે અને રસ્તામાંથી પસાર થતાં ગામડામાંથી લોકોની શીખ સાંભળવી કે ‘યાત્રીઓનું ધ્યાન રાખજો’ વગેરે વગેરે……..
આવા સહૃદયી, સદભાવી પહાડી લોકોને મારા શત શત પ્રણામ.
જેમ જેમ લિપુલેહ ઘાટની નજીક આવતા ગયાં તેમ તેમ વરસાદનું જોર વધતું ગયું અને આગળ જતાં હિમવર્ષા ચાલુ થઈ. આઈ.ટી.બી.પી.ના જવાનો, પૉર્ટરો અને ઘોડાવાળાની મદદ અને લાકડી, જે આ યાત્રામાં ત્રીજો પગ ગણાય છે, તો ખરી જ, પણ ચાલુ બરફમાં ખૂંપાતા ખૂંપાતા લિપુલેહ ઘાટ પહોંચ્યા.
તિબેટી ભાષામાં સંગ લાંબો ત્સે લાહને નામે ઓળખાતો ‘લિપુલેહ ઘાટ’ લગભગ 16,750 ફૂટની ઊંચાઈએ આવેલો હિમાલયની પર્વતમાળાનું તિબેટનું એક પ્રવેશદ્વાર છે. વર્ષો પૂર્વે આ રસ્તે તિબેટ, ભારત વચ્ચેનો વ્યાપાર વહેવાર આ રસ્તે થતો હતો. જ્યારથી તિબેટ ચીનમાં જતું રહ્યું હતું ત્યારથી બે દાયકાથી આ રસ્તો બંધ હતો. પરતું હવે 1986થી આ રસ્તો કૈલાશ માનસરોવરની યાત્રા માટે ખોલાયો છે. લિપુલેહ પર્વતનું આ શિખર એટલે લગભગ 25-30 ફૂટ પહોળો એક પટ્ટો.. એની એક બાજુ ભારત અને બીજીબાજુ તિબેટ દેખાય. બન્ને તરફ ગીરીશિખરોની અડીખમ દિવાલ છવાઈ છે.
બન્ને તરફ બરફની સફેદ ચાદર છવાઈ હતી. ગાત્રો થીજવી નાખે તેવી ઠંડી, બરફનુ તોફાન થંભવાનું નામ નો’તું લેતું. ચઢાણને કારણે શ્વાસમાં તકલિફ પડતી હતી. ત્રણ ત્રણ જોડી કપડાં પહેર્યાં હોવા છતાં દરેકનાં શરીર અકડાવવા માંડ્યાં હતાં. દરેકને મોત વ્હેંત છેટું લાગતું હતું. દરેકને થીજી જવાની દહેશત ઘર કરી હતી. કુદરત પાસે વામણાં લાગતાં કોઈપણ યાત્રીઓએ પોતાની શ્રદ્ધા છોડી ન હતી. દરેકે દરેક યાત્રીઓ એકબીજાને મદદ કરવામાં પાછી પાની કરતા ન હતાં. સુધીર તથા બચુભાઈ પ્રજાપતિમાં એક અજબની શક્તિ પ્રભુએ આ વખતે અર્પી દીધી કે તે બન્ને પોતપોતાની રીતે દરેક યાત્રીઓની મદદ કરવી ચાલુ કરી દીધી. દરેકના મોઢા પર એક્ષ્સ ઑઈલની માલિશ કરવા માંડ્યા. દરેકને સૂંઠની ગોળી ખવડાવવા લાગ્યા. જે વધુ ઠંડા પડતા ગયા તેઓને ‘બ્રાંડી’ પીવડવતા ગયા અને ગરમાટનો અનુભવ કરાવતા ગયા. આ વખતે બધા યાત્રીઓ આ બન્નેને આશીર્વાદ આપતા ગયા. અહીંથી ઘોડાવાળા અને પૉર્ટર છૂટા પડવાના હતાં અને સહુએ પોતાનો સામાન પોતે ઊચકવાનો હતો. અને આ તબક્કે ઘણું અઘરૂં હતું. યાત્રીઓની આ પરિસ્થિતી જોઈને અમારા એલ.ઓ. અને ચાઈનીસ ગાઈડે અમને આગળ વધવાની પરવાનગી આપી. કુદરતનો કરીશ્મા તો જૂઓ ભારત્ની બાજુએ બરફ્નું તોફાન અને તિબેટ બાજુ પર શાંત વાતાવરણ. તિબેટમાં ન’તો એટલો સ્નો કે ન’તો વાતાવરણમાં તોફાન.
1 કિ.મી. નીચે ઉતર્યા બાદ સામે થી પહેલા નંબરનો બૅચ સામે મળ્યો. ઉતરાણ કપરું હોવાથી યાત્રીઓ એકબીજાની સહાયતાથી નીચે ઉતરવા લાગ્યાં. આમ 9 દિવસની સાહ્યબીનો નશો આ ઉતરાણમાં ઊતરી ગયો અને પૉર્ટરોનું મહત્વ સમજાઈ ગયું. અહીં ‘આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય’ કહેવતનું જ્ઞાન થઈ ગયું.
નીચે ઉતરતાં વેંત જ તિબેટિયન ઘોડાવાળા તૈયાર હતાં. તેમની વેશભૂષા જોતાં વેંત અમે સહુ પહેલા તો ગભરાઈ ગયાં. ચારેબાજુથી આ બિહામણા લાગતા ઘોડાવાળાથી અમે ઘેરાઈ ગયા. એક અમ્ને એકબાજુથી ખેંચે અને બીજો બીજી બાજુથી. ભાષાથી અજાણ અમે મુંઝવણમાં પડી ગયાં કે શું કરવું ? આખરે ચાઈનીસ ગાઈડે બધાને સમજાવીને વારાફરતી બધાને ઘોડા પર બેસાડ્યા. અહીંના ઘોડા ઊંચા અને મજબૂત પણ ભારત્ની જેમ એક ઘોડાનો માલિક એક હોય એવું ન હતું. અહીંતો પાંચ ઘોડાનો એક જ માલિક. પાંચ કિ.મી.નું અંતર કાપતા સૌ થાકી ગયાં 5 કિ.મિ.નાં અંતરે આવતી નદી પાર કરી સામે ઊભેલી બસમાં બેસી 20. કિ.મી. અંતરે આવેલા ‘તકલા કોટ’ નામના ગામે પહોંચવાનું હતું. આ ગામ સુધી પહોંચવાનો રસ્તો ધુળિયો અને પથરાળ હતો. . ધૂળની ડમરીમાં પસાર થઈ ચીનની સરહદનાં પ્રથમ ગામ ‘તકલાકોટ’નાં ‘પુરંગ’ નામના ગેસ્ટહાઉસમાં અમારો ઉતારો હતો..
ભારત કરતા ચીનનો [તિબેટ હવે ચીનનો એક ભાગ થઈ ગયો છે.] સમય 2 ½ કલાક આગળ હોવાથી ત્યાનો સૂર્યોદય સવારે 8 વાગે થાય છે અને સૂર્યાસ્ત રાતના દસ વાગે થાય છે [જુન,જુલાઈ મહિનામાં]. તકલાકોટમાં અમારા સામાનની અને પાસપૉર્ટની ચકાસણી થઈ. અમે યાત્રાની ફી પેટે દરેક યાત્રીએ 500 ડૉલર ચૂકવ્યા. આમ દસ દિવસે કોઈ હોટલમાં ઉતર્યાનો અમે અનુભવ કર્યો પણ અહીં બાથરૂમ,સંડાસની કે પાણીની સગવડ સારી ન હતી. ખોરાકમાં ચાઈનીઝ ખોરાક દરેકને અનુકૂળ ન પડતું. પણ કહેવાય છે ને કે ‘ભૂખ ન જુએ ભાખરો અને ઊંઘ ન જુએ ખાટલો’ તેમ દરેકે વિકલ્પ વિના સ્વીકારી લીધું. સાંજના બધાએ નેપાલી બજારમાં ફરી માનસરોવરના જળ માટે પ્લાસ્ટિકનાં કૅન ખરીદ્યા અને કરનાળી નદીની આસપાસ ફરવામાં સમય વિતાવ્યો.
વધુ આવતા અંકે………….
ૐ નમઃ શિવાય
**************************************************************************************
- જીવનું શિવ પ્રત્યે પ્રયાણ [5]
તવૈશ્ચર્ય યત્નાદ્યદુપરિ વિરંચિર્હરિરધઃ
પરિચ્છેતું યાતાવનલવનમલસ્કંધ વપુષ:
તતો ભક્તિશ્રદ્ધાભરગુરુગૃણદભ્યાં ગિરિશ યતુ
સ્વયં તસ્થે તાભ્યાં તવ કિમનુવૃત્તિર્ન ફલતિ
- મહિમ્નસ્તોત્ર, 10
હે પ્રભુ! તમારું અનંત સ્વરૂપ તમે બતાવો તો જ જાણી શકાય. તે સાધનસાધ્ય નહિ પણ કૃપાસાધ્ય છે. પ્રમાત્મા પોતે પોતાનાં દર્શન દે તો દર્શન થાય, કોઈ વૈજ્ઞાનિક પ્રયોગનું એ નિશ્ચિત પરિણામ નથી. તો આવું અનંત શિવસ્વરૂપ થયું.
—- સ્વામી સચ્ચિદાનંદ
અમને આ લિપુલેખ ઘાટ પર સૂચના આપવામાં આવી હતી કે આ પહાડી સ્નોફોલમાં કદી પણ આરામ કરવા બેસવું નહીં. હાથ પગ હલાવતા રહેવું. કદી પણ આરામ કરવા ક્યાં બેસવું નહીં, નહીં તો શરીર અકડાઈ જશે. આ વાત પરથી મને એક સત્ય ઘટના યાદ આવી. 1983માં અવી જ રીતે એક ગ્રુપને સ્નોફોલ નડ્યો હતો. એમાં એક ભાઈ અને ગ્રુપનાં બીજા એક બહેન ઘાટ પર કોફી પીવા બેઠાં અને ત્યાં સ્નોફોલ ચાલુ થયો અને ગ્રુપનાં બીજા મેમ્બરો આગળ વધી ગયાં હતાં. આ બંન્નેને થયું કે કોફી પીશું તો થોડો ગરમાવો આવશે અને આગળ વધી જઈશું. પણ કુદરતનો કોપ આ બન્ને પર ઉતર્યો. અને કોફી પીવાની અદામાં જ ત્યાંને ત્યાં જ ઠરી ગયાં અને શિવલોક પામ્યાં. જ્યારે જ્યારે આ વાત તેમનાં ગ્રુપવાળા કરે છે ત્યારે તેઓની આંખ સમક્ષ એમનું ચિત્ર ઊભુ થઈ જાય છે અને અશ્રુ વહી જાય છે.
1લી જુલાઈ 1996 :- બારમો દિવસ
આજે તકલાકોટમાં ફરજિયાત રોકાણ હતું. બેંકમાંથી અમેરિકન ડૉલરનાં ‘હ્યુઆન’ [ચીની ચલણ]માં વટાવવાનાં હતાં. એનો ભાવ એક હ્યુઆન બરાબર 4 રુપિયા હતો. [હવે 6 રુપિયા થઈ ગયો છે.] માનસ સરોવરની પરિક્રમા માટે અને કૈલાસની પરિક્રમા માટે યાક અને ઘોડા અહીંથી નક્કી કરવાનાં હતા અને તે પ્રમાણે તેમને હ્યુઆન પણ આજે જ ચૂકવવાનાં હતાં. 150 હ્યુઆન વ્યક્તિ દીઠનો એમનો ભાવ હોય છે. [જોકે હવે માનસરોવરની પરિક્રમા બસમાં કે લેંડક્રુઝરમાં થાય છે.] એટલે યાત્રીઓએ જરૂરીયાત પ્રમાણે ડૉલરને હ્યુઆનમાં બદલાવ્યા.
[આપણા ગામડામાં લોટા લઈને જતાં અને અહીં ટબ]
ખાવા માટે કે નાસ્તા માટે શાળામાં વાગતા ઘંટની જેમ થાળીનાં ઘંટા વગાડીને બોલાવવામાં આવતા. છે ને નવો અનુભવ!!!!!
આ દિવસે ગ્રુપનાં બે ‘પેટા બેચ’ પાડવામાં આવે છે. પહેલો બેચ [એ બેચ] જે પ્રથમ કૈલાસની પરિક્રમા માટે રવાના થાય છે. જ્યારે બીજો બેચ [બી બેચ] પ્રથમ માનસરોવરની પરિક્રમા માટે રવાના થાય છે. પરિક્રમા દરમિયાન દરેક બેચના યાત્રીઓએ પોતાની જાતે ગ્રુપ માટે રાંધીને ખવડાવવાનું હોય છે [હવે રસોઈયો આપવામાં આવે છે] એટલે ફાસ્ટફૂડનાં પેકેટ્સનો બંદોબસ્ત દિલ્હીથી જ કરવો પડે છે. એનાં પન બે ભાગ કરી બંને બેચ વચ્ચે વહેંચી દેવામાં આવે છે. આ ફાસ્ટફૂડનાં પેકેટસનો દરેકને ભાગે 250 રુપિયાનો આવ્યો હતો.. આ ઉપરાંત અમે તકલાકોટથી અમે ‘કોકોકોલા અને જાંગલી બાઉ [મધ અને સંતરાનું મિશ્રણ]નાં ટીન લીધાં.
પ્રથમ બેચનાં લિડર [L.O.] શ્રી કાર્તિયન સાહેબ હતા અને બી ગ્રુપના બચુભાઈ પ્રજાપતિ હતાં. રાતના બીજા દિવસની તૈયારી કરવાની હતી. એટલે નિદ્રાધીન થયાં.
2જી જુલાઈ 1996 તેરમો દિવસ :-
આમ એક દિવસનાં આરામ બાદ અમે [બન્ને બેચ] તકલાકોટથી સવારે 6 વાગે માનસરોવર જવા રવાના થયાં ‘કૈલાસપતિ કે જય’ના નારા સાથે દરેક જણ માનસરોવરને નીરખવા ઉત્સુક હતાં. 61 કિ.મી.ની દૂર આવેલા ‘ગુર્લામાંધાતા’ની હારમાળા શરુ થાય છે. પૌરાણિક કથા મુજબ ‘માંધાતા’ નામના અતિ પરાક્રમી રાજાએ શિવજીની ટક્કર લીધી હતી અને હારી જવાથી તેમણે આશીર્વાદ રૂપે તેમણે નત મસ્તકે કૈલાસની સમક્ષ રહેવાનું પસંદ કર્યું હતું તેથી ‘ગુર્લામાંધાતા’ પર્વત હંમેશા કૈલાસની સમક્ષ નતમસ્તકે ઊભો છે અને હંમેશા બરફથી છવાયેલો રહે છે.
પુષ્કળ ઠંડી અને પવન સાથે અમારી યાત્રા શરુ થઈ. દૂરથી વિશાળ નીલરંગી જળરાશિ નજર પડે છે. 120 કિ.મી. પરિઘ અને 200 કિ.મી. જેટલું ક્ષેત્રફળ ધરાવતા આ સરોવરને લોકો ‘માનસરોવર. સમજી બેસે છે છે પરંતુ એ ‘માનસરોવર નહીં પણ ‘રાક્ષસતાલ’ અથવા ‘રાવણતાલ’ છે. માનસની પશ્ચિમે આવેલું છે. રાક્ષસતાલને તિબેટીભાષામાં ‘લંગત્સો’ કહે છે. રાક્ષસતાલની વચ્ચે ‘લાચાતો’ અને ‘દોપ્સેરમા’ નામના બે મોટા દ્વિપ આવ્યા છે. ડિસેંબરથી જુન સુધી આ સરોવરનું જળ ઠરી જાય છે. તિબેટી પ્રજા માને છે કે આ જળરાશિમાં અગાઉ રાક્ષસો અજ્ઞાતવાસમાં રહેતા.
પૌરાણિક કથા મુજબ શિવજીને પ્રસન્ન કરવા રાવણે અહીં તપ કર્યું હતું અને અહીં રાવણે તાંડવ નૃત્ય કર્યું હતું. ‘જટાકટા હંસંભ્રમ ભ્રમન્નિલિમ્પ નિર્ઝરી’ જેવા પદોની રચના રાવણે અહીં કરી હતી. રાવણે શિવજી પાસે આત્મલિંગ માંગ્યું આથી આશુતોષે આત્મલિંગ આપી કહ્યું કે જો આ લિંગ ભૂમિ પર મૂકવામાં આવશે તો તે ત્યાં સ્થિર થઈ જશે. લઘુશંકાને કારણે શિવજીનું આ આત્મલિંગ જમીન પર કળથી મૂકાઈ ગયું, જે હાલનું કાશી ગણાય છે.
વાતાવરણ ચોખ્ખું હોય તો કૈલાશનાં પ્રથમ દર્શન અહીંથી થાય છે. અમે સહુ સદભાગી હતાં. અમને પ્રથમ કૈલાશ દર્શન રાક્ષસતાલથી થયાં હતાં. દરેક જણા આનંદ વિભોર થઈને ‘કૈલાસપતિ કી જય હો’નો જયકાર કરવા લાગ્યા. આ ‘રાક્ષસતાલ’નાં જલનું આચમન કોઈ કરતું નથી. કહેવાય છે કે અહીં તાંત્રિકો ઉપાસના કરતાં હોય છે. .
કૈલાસનાં પ્રથમ દર્શન ‘નંદી સ્વરૂપે’ થાય છે. તિબેટીયનો આ સ્વરૂપને ‘સ્વસ્તિક’ સ્વરૂપ માને છે. અમારા આનંદનો કોઈ પાર ન રહ્યો. નજર કૈલાસ પરથી હઠતી ન હતી. આખોમાંથી અશ્રુધારા વહેતી હતી. પ્રભુની અસીમ કૃપા અમારી ઉપર વરસી રહી હોય તેનો અનુભવ થવા લાગ્યો. ખસવાનું મન ન થતું પરંતુ આગળ પણ વધવાનું હતું. માનસને કિનારે પહોંચવાનું હતું. અહીંથી 10 કિ.મી.નાં અંતરે ‘માનસરોવર’ આવ્યું છે. રાક્ષસતાલ અને માનસરોવર ‘ગંગા છુ’ નદી દ્વારા જોડાયેલાં છે. [જોકે હવે આ ગંગા છુ નદીનું અસ્તિત્વ નથી રહ્યું, સૂકાઈ ગઈ છે] તિબેટીયન ભાષામાં ‘છુ’ એટલે નદી. માનસને કિનારે આવેલા ‘ઝૈદી’નામના સ્થળે અમે પહોંચ્યા. માનસના પ્રથમ દર્શંને અમારા અંગે અંગને રોમાંચથી પુલકિત કરી દીધું. માનસરોવર પહોંચવાથી જાણે સફળતાની પ્રથમ સીડી ચઢ્યાનો આનંદ અનુભવતાં હતાં
હિંદુધર્માનુસાર માનસરોવર બ્રહ્માના મન-માનસ દ્વારા ઉત્પન્ન કરાયેલું દેવો માટેનું સ્નાનાગૃહ. દેવી ભાગવત અનુસાર માનસરોવર એ મહાશક્તિપીઠ ગણાય છે. કહેવાય છે કે આ ભૂમિ પર સતીને જમણા હાથની હથેળી પડી હતી.
બીજી કથાનુસાર પાંડવોનાં એક ચક્રવર્તી પૂર્વજે અહીં યજ્ઞની હવિકુંડ બનાવ્યો હતો. હવિ અપાઈ ગયા પછી એમાં જળ ભરાઈ ગયું હતું તે આ માનસરોવર.
બૌદ્ધધર્મમાં આ સ્થળ ખૂબ પવિત્ર ગણાય છે. જૈન ધર્મગ્રંથો માનસરોવરને ‘પદમહૃદ’ કહે છે. તિબેટના લોકો આ સરોવરને ‘ત્સોમપમ’ કહે છે જેનો અર્થ ‘અજય સર’ થાય છે. અહીંનાં જેટલા કંકર તેટલા શંકર ગણાય છે. આથી જ પરિક્રમા દરમિયાન કૈલાસયાત્રીઓ અહીંના કંકર વીણતા હોય છે.
આ નીલરંગી વિશાળ માનસરોવર સમુદ્રની સપાટીથી 16,200 ફૂટની ઊંચાઈ આવેલો એક માત્ર સરોવર છે. જેનો ઘેરાવો 105 કિ.મી.નો છે અને 100 મી. ઊંડુ છે. અમારા ઘણા યાત્રીઓએ અહીં સ્નાન કર્યું અને અમે અમારા પડાવ ‘હોરે’ તરફ આગળ વધ્યા.
વધુ આવતા અંકે………….
ૐ નમઃ શિવાય
***********************************************************************************
જીવનું શિવ પ્રત્યે પ્રયાણ [6]
માનસ કિનારે ચમકતું તારું પાણી
જાણે શ્યામનાં કાનનાં કુંડળ.
તારા કિનારે વેરાયેલા પથ્થર
ફૂલો જાણે રાધા ને કુંતલ.
ઝળુંકતા સફેદ વાદળો,
શ્યામ ઘેરેલી ગાયો.
શાંત સવાર તારે કિનારે,
કૃષ્ણની વાગતી અબોલ.
- રૂચિતા દલાલ
મુંબઈ
માનસરોવર:-
અમેરિકા સ્થિત શ્રી ગૌતમભાઈ પટેલ લખે છે કે ‘આ યાત્રાને આપણે કૈલાસ માનસરોવર યાત્રા તરીકે ઓળખીએ છીએ. આમાં માનસરોવરનું દર્શન અને પરિક્રમા કૈલાસયાત્રા કરતાં સહેજ પણ ઓછાં આલ્હાદક નથી.’
. બૌદ્ધ ધર્મની માન્યતા મુજબ દેવોએ માયાદેવીને સ્નાન કરાવ્યું હતું જેથી તેઓ બુદ્ધ જેવા મહાન આત્માને જન્મ આપવા સમર્થ બને.
પૌરાણિક કથા મુજબ આ પ્રદેશમાં ઋષિઓ તપ કરતા હતા. વર્ષો સુધી આ પ્રદેશમાં વર્ષાનો અભાવ થયો હતો પરિણામે અહીં પીવાના પાણીની તંગી થઈ ગઈ. તેથી ઋષિઓ બ્રહ્માજી પાસે ગયા અને જળના અભાવને દૂર કરવાની વિનંતી કરવા લાગ્યા બ્રહ્માજીએ દેવોની માંગણી ધ્યાનમા રાખીને પોતાના મનમાંથી એક સરોવરનું સર્જન કર્યું અને એ મનમાંથી જન્મ્યું તેથી તે માનસસરોવર અથવા માનસરોવર કહેવાયું. તાત્વિક રૂપે માનસરોવરની વાત કરીએ તો માનસિક સત્ય તે જળ અને ધૈર્ય એ તેની ઊંડાઈ છે. આમ જોઈએ તો માનસનું જળ નિર્મળ સત્ય જેવું છે અને તેની ઊંડાઈ ધૈર્ય જેવી અમાપ છે વળી તેમાં શ્રદ્ધાપૂર્વક કરેલું સ્નાન મનુષ્યને પરમતત્વનું, શિવ તત્વનું દર્શન થાય છે. આ મહાન ક્ષણને અનુભવવી એ નિર્મળ તત્વનું શિવ તત્વનું દર્શન અનુભવવા જેવી વાત છે, હૃદયસ્પર્શી વાત છે જેને અનંતતાનો સ્પર્શ કહી શકાય.
માનસરોવર ‘બિંદુ સાગર’ તરીકે ઓળખાતુ હતુ. કાલિદાસનાં ‘મેઘ્દૂત’માં માનસરોવરનું અને રાજહંસનું વર્ણન છે. માનસરોવર વિશાળ, નીલરંગી, અતિ શુદ્ધ અને સ્ફટિક સમ પારદર્શક છે. તેનો ઘેરાવો 100 કિ.મીનો અને તેની ઉંડાઈ લગભગ 300 મીટરની છે. તેનાં લહેરાતાં પાણી પર પડતાં સૂર્ય કિરણોથી પાણીનાં રંગમાં વિવિધતા જોવાનો લ્હાવો મળે છે. નીલો, લીલો વગેરે અનેક રંગોનું મિશ્રણ જોવા મળે છે.ગુર્લામાંધાતા પર્વત પરથી આવતાં સૂર્યનાં કિરણો જ્યારે ગગનમાં છવાતાં ત્યારે આ દેવભૂમિ સ્વર્ગભૂમિ બની જતી હોય તેની અનુભૂતિ થાય છે. નીલા આકાશની નીચે આવેલા રૂપેરી બરફાચ્છિત રાખોડી રંગના આ ગુર્લામાંધાતા પર્વતનાં પાદચરણો પાસે આવેલા આ નીલરંગી માનસરોવરનું રૂપ કાંઈ અનોખું છે.અહીં પહોંચ્યા બાદ એની પવિત્રતાની અનુભૂતિ ન થાય તો જીવન એળે ગયું કહેવાય. માનસરોવરનું સૌંદર્ય તો પૂનમની રાત્રે સોળે કળાએ ખીલી ઊઠે છે. મધ્યરાત્રિનાં શીત, શાંત, સૌમ્ય ચાંદનીમાં મહાલ્યા બાદ પરોઢનાં ધીમા ધીમા ફૂટતા પ્હોની મીઠી મીઠી આલ્હાદ્ક પળો બેમિસાલ છે. રાત્રિનાં ટમટમતાં તારલાઓ એકબીજા સાથે સંતાકૂકડી રમતાં રમતાં ધરતીને સ્પર્શ કરવાની હોડ તેમજ કરોડો દેવીદેવતાઓ આ સુંદરતાની ચરમસીમા સમ માનસરોવરમાં ઉતરતા હોય એવી અનુભૂતિ મ્હાલવી જ રહી. એમાં પણ જ્યારે મેઘધનુષ નીલા આકાશમાં પોતાની પણછ ખેંચે છે અને તેનું પ્રતિબિંબ આ નીલરંગી માનસરોવરમાં દ્રશ્યમાન થાય છે ત્યારે બનતું ‘મેઘધનુષી ચક્ર’નું દર્શન તો કોઈ વિરલને જ પ્રાપ્ત થાય છે. અવારનવાર બદલાતા રંગભર્યા આ માનસરોવરનાં અબોલ પથ્થરો જાણે પોતાની કથની કહેવા તત્પર હોય એમ આ દેવભૂમિ પર પથરાયેલા છે જે શિવલીંગની જેમ પૂજાય છે. બ્રહ્માજીનાં માનસમાંથી ઉદભવેલું આ સરોવર ચારે વેદોનો સાર છે.
માનસરોવરની ઉત્તરે કૈલાસ પર્વત છે અને દક્ષિણે ગુર્લા માંધાતા છે પશ્ચિમે રાક્ષસતાલ છે. ગુર્લા એટલે પર્વત અને માંધાંતા એ પર્વતનું નામ છે. કહેવાય છે કે સૂર્યવંશમાં યુવનાશ્વ નામના રાજા થઈ ગયા. તેમને સંતાન ન હોવાથી પુત્ર પ્રાપ્તિ માટે ઋષિઓએ ઈંદ્રદેવનો યજ્ઞ કર્યો. યજ્ઞના મંડપમાં એક કળશમાં મંત્રેલું પાણી મૂક્યું હતું જે બીજે દિવસે રાણીને પીવા માટે આપવાનું હતું. રાજા યુવનાશ્વ રાતના તરસ લાગવાથી ઊઠ્યાં અને કળશમાં પાણી જોઈ એ પાણી પી ગયાં. મંત્રાયેલા આ પાણીથી રાજાને ગર્ભ રહ્યો. પૂરા દિવસ ગયે આજની ભાષામાં ઑપરેશનથી [સીઝેરિયન] બાળકનો જન્મ થયો. પ્રશ્ન ઊભો થયો કે કોને ધાવશે. ત્યારે ઈંદ્રે કહ્યું કે મારા યજ્ઞથી એનો જન્મ થયો માટે એ મને ધાવશે—મામ ધાતા- આથી એનું નામ માંધાતા પડ્યું. એ અત્યંત પરાક્રમી રાજા હતો. આથી આપણી ભાષામાં કહેવત છે ‘તું વળી કોણ માંધાતા?’
પૌરાણિક કથા મુજબ આ માંધાતા રાજાએ શિવજીને હરાવવાનો પ્રયત્ન કર્યો હતો અને આશીર્વાદરૂપે તેણે શિવજીનાં સાનિધ્યમાં નત મસ્તકે રહેવાનું પસંદ કર્યું. આથી ગુર્લા માંધાંતા હંમેશા કૈલાસની સામે નત મસ્તકે છે. આમ કૈલાસ અને ગુર્લા માંધાતાની વચમાં આ ભવ્ય નિર્મળ સરોવર તે માન સરોવર.તે 15,000 ફૂટની ઊંચાઈ પર આવેલું છે.
હોરે નો કિનારો થોડોક કાદવ કીચડવાળો હતો પાણી તો અતિશય શુદ્ધ સ્ફટિક સરીખુ પારદર્શક હતું. હિમ જેવાં ઠંડા પાણીનું પ્રથમ સ્નાન અત્યંત રોમાંચક ભર્યું હતું. શરુઆતમાં થોડી તકલિફ તો પડી પણ ‘ૐ નમઃ શિવાય’નાં પંચાક્ષરી જાપે પાપ સાથે થાક પણ ઉતારી દીધો. ઠંડા પાણીમાં સ્નાન કરવા સરસવનું તેલનું માલિશ આશીર્વાદરૂપ છે. અહીં અમને સુવામાટે બે મોટા ઓરડામાં છ પલંગ મળ્યા હતાં સાથે ઓઢવાનું અને ઓશિકું મળ્યું હતું અને એક રસોઈ કરવાનો અલાયદો ઓરડો મળ્યો હતો. 2000ની સાલમાં પણ આવી જ સગવડ હતી.
શ્રી બચુભાઈ પ્રજાપતિને, જેઓ 1993માં આવેલા ત્યારે તેમણે જે જગ્યાએથી સ્નાન કરતા ચાંદીનો સિક્કો મળ્યો હતો, ત્યાં સ્નાન કરતા ફરીથી ચાંનો સિક્કો મળ્યો હતો.
આજે મેં અમારા બૅચનાં સભ્યો માટે રાંધ્યું હતું.દરેકે ગરમ ગરમ ખાવાનો આનંદ માણ્યો હતો.. દરેકે પોતાના મગ અને ડીશ જાતે ધોવાની હતી. દરેક વિચારતાં કે આ રાંધેલા વાસણ કોણ ધોશે. અમારા ગ્રુપના શ્રી રામનાથ પૈ અને શ્રી સાગર અભ્યંકરે ઊપાડી લીધી હતી. અહીં વીજળીની સગવડ ન હોવાથી સૂર્યનાં પ્રકાશમાં જ બીજા દિવસની તૈયારી કરવાની હતી. જોકે આ દિવસો દરમિયાન અહીં સૂર્યાસ્ત રાતનાં દસ વાગે થાય છે. સૂર્યાસ્ત થતાં ઠંડીનુ જોર પકડાયું હતું. તેથી દરેક જણા વેળાસર કામકાજ પતાવી નિંદ્રાધીન થયાં.
3જી જુલાઈ 1996 ચૌદમો દિવસ:-
હોરેથી ‘શૃંગુ’ નો રસ્તો રેતાળ છે. લગભગ 42 કિ.મી.નું અંતર છે. માનસની પરિક્રમા આ સમયે ઘોડા ઉપર અથવા ચાલીને થતી હતી. પરંતુ 1999થી આ પરિક્રમા બસમાં [ગવર્મેંટની ટુરમાં] અથવા કારમાં થાય છે.
અમારા બૅચનાં છ યાત્રીઓએ આ પરિક્રમા ચાલીને કરવાનું નક્કી કર્યું હતું. બાકીનાંએ ઘોડા પર બેસીને પરિક્રમા કરવાનું નક્કી કર્યું. આ ઘોડાવાળા સ્ત્રી અથવા પુરુષ હોય છે.
તિબેટની પ્રજા વિષે વાત કરીએ તો અહીંની પ્રજા ખૂબ ખડતલ છે. આમ પણ તિબેટ દુનિયાનું સૌથી ઊંચાઈએ આવેલો પ્રદેશ છે. અહીંની પ્રજા સૌથી ધર્મિક પ્રજા ગણાય છે. આ ઘોડાવાળા પોતાને કમરે પોતાનું નાનકડું મંદિર બાંધી ‘ૐ મણી પદમે હુમ’ નો સતત જાપ કરતાં હોય છે. અહીંની પ્રજા ગરીબ છે, માણસો મેલાં ઘેલાં લાગતાં પ્રભુમાં અત્યંત આસ્થા ધરાવે છે. તેઓ આપણીભાષા નથી સમજતાં તેમ આપણે તેમની ભાષા નથી સમજતાં પરંતુ ઈશારાની ભાષા સમજે છે. હવે તો આ લોકો આપણી ભાષા થોડી થોડી સમજવા લાગ્યા છે. અમારી સાથે ચીની ગાઈડ હોવાથી અમને થોડી તકલીફ પડી હતી.
આમ ‘ૐ નમઃ શિવાય’નાં સતત જાપ સાથે 13 કલાકની કષ્ટદાયક યાત્રા કરતી વખતે રસ્તામાં ‘ગંગાછૂ’ નામની નદી પાર કરવાની હતી. જોકે હવે આ નદી સૂકાઈ ગઈ છે અને તેની ઉપર બ્રીજ બાંધવામાં આવ્યો છે. આ વખતે દરેક જણે ફરજિયાત ઘોડા પર બેસીને આ નદી પાર કરવાની હતી. તેનાં પાણી ઘણી વખત ઘોડાની છાતી સમાણા હોય છે અને આ પાણી એટલું ઠંડુ હોય છે કે તેમાં ઉઘાડે પગે પાર કરવાથી ‘હિમડંખ’ની શક્યતા હોય છે. આમ થોડું ચાલતાં, થોડીવાર ઘોડા પર બેસતાં અને થોડીવાર આરામ કરતાં કરતાં અમે રાતનાં 8.30 વાગે ‘શૃંગુ’નાં કેમ્પ પર પહોંચ્યાં. આ ઘોડા પરની યાત્રા લાંબી અને કષ્ટદાયક હોવાથી સહુ થાકી ગયાં હોવાથી કોઈએ માનસમાં નહાવાની હિંમત દાખવી નહીં. અહીં પણ વીજળી, પાણી અને ટોયલેટનો અભાવ હતો.. આજે પણ બધાની રસોઈ બનાવવાની જવાબદારી મારા પર હતી. આજે મારી સાથે મેઘના અને પટનાની વિજયાલક્ષ્મી જોડાઈ હતી. આમ અજવાળે અજવાળે જમીને બીજા દિવસની તૈયારી કરી અમે નિંદ્રાધિન થયાં.
4 થી જુલાઈ 1996 પંદરમો દિવસ:-
પરિક્રમાનાં બીજા દિવસે ‘શૃંગુ’થી ‘ઝૈદી’ જવાનું હતું જે 35 કિ.મી. દૂર આવેલ છે. હવે ‘ઝૈદી’ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ રસ્તો ઘાસવાળો અને ભેજવાળી પોચી જમીનવાળો છે. જીન વગરનાં ટૂંકા પેંગડાવાળા ઘોડા પરની મુસાફરી થોડીક અઘરી અને કષ્ટદાયક હતી.
આ કિનારાની રેતી ‘પચરંગી’ રેતી કહેવાય છે. ઘણાં યાત્રાળુ અહીંની રેતીને પ્રસાદી રૂપે લઈ જતા હોય છે. તિબેટનાં લોકો આ રેતીને ‘જિલાલ’ એટલે ‘પ્રસાદી’ કહે છે. આ દિવસની પરિક્રમામાં ઘણીવખતે હજારોની સંખ્યામાં મચ્છરો આવતા હોય છે અને શરીરના કોઈપણ ભાગમાં ચોંટી જાય છે. [આમ તો આપણા શરીરનો મોઢાનો ભાગ જ ખૂલ્લો હોઅય છે.] તેથી ‘માસ્ક’થી ચહેરો ઢાંકવાનો હોય છે. પરંતુ અમારા સારા નસીબે મચ્છરોનો ત્રાસ નડયો ન હતો.
મેઘદૂતમાં વર્ણવેલા રાજહંસ જોવા નથી મળતા પરંતુ રાખોડી રંગના બતકાં અને પચરંગી માછલીઓ અહીં જોવા મળે છે. મારા નસીબે ઘોડા પરથી પડવાનું હતું પણ પોચી જમીને મને અને મારી કમ્મરને બચાવી લીધી. પ્રભુની મહેરબાની થઈ હતી.
માનસરોવરની પરિક્રમા દરમિયાન અને ઊંચાઈને કારણે ભોજનની માત્રા ઘટતી હોય છે અને રસ્તામાં ભોજન બનાવવાની સગવડ નથી હોતી તેથી સાથે રાખેલો સૂકો મેવો, ચોકલેટ તેમજ ચીઝનાં નાના પૅકેટ ભોજનની ગરજ સારતા હતાં. આમ શિવજીનું રટણ કરતાં લગભગ 11 કલાકે અમે ‘ઝૈદી’ કેમ્પ પહોંચ્યાં. સુધીર અને બચુકાકા વહેલા પહોંચ્યા હોવાથી મારી રાહ જોતા બહાર ઊભા હતાં. પુષ્કળ પવન હોવાથી ઠંડીનું પ્રમાણ વધતું હોવાથી બહાર ઊભા રહેવાની પણ હિંમત ન હતી. આજે મુંબઈના રામનાથ પૈએ જમવાનું બનાવવાની જવાબદારી ઊપાડી હતી.
2000ની સાલમાં આ જગ્યાએ સ્ટવ ફાટતાં અહીંના રખેવાળની સ્ત્રી દાઝી ગઈ હતી. અમે સહુએ તેને લાગેલી આગને બુઝાવવામાં મદદ કરી હતી. અને તેને સ્થાનિક હૉસ્પિટલમાં પહોંચાડી હતી.
સ્વછતાનાં અભાવ એવા આ કેમ્પ પર બે રાત અને એક દિવસનું રોકાણ હતું.
5મી જુલાઈ 1996 દિવસ સોળમો:-
આજે આરામનો દિવસ હોવાથી બધાં યાત્રીઓ આરામથી ઊઠ્યાં. સૂર્યનો પ્રકાશ ફેલાતાં દરેક યાત્રીઓએ માનસનું સ્નાન કર્યું. સ્નાન કરતી વખતે પોતાના વતી, કુટુંબીજનો વતી તેમજ દેશ વતી શ્રદ્ધાપૂર્વક ડૂબકી મારી હતી. મેઘના સ્નાન કરવા માટે ખૂબ દરતી હતી પણ મેંતેને મારી સાથે લઈ જઈને માનસ સ્નાન કરાવ્યું તેમ જ ડૂબકી પણ મરાવડાવી. માનસસરોવરમાંથી કાઢેલાં દરેક પથ્થરો શિવલિંગની જેમા પૂજાય છે. જ્યારે નેપાલની ગંડકી નદીમાંથી કાઢેલા દરેક પથ્થર ‘શાલિગ્રામ’ તરીકે પૂજાય છે. અમે સહુએ માનસમાંથી શિવલિંગ એકઠા કર્યાં. ઘણાએ માનસમાં ચાંદીનાં બિલિપત્રો ચઢાવ્યાંં. તો ઘણાએ સિક્કા ધરાવ્યાં. ત્યારબાદ અમે સહુએ માનસનાં કિનારે હવન કર્યું. પાલનપુરનાં સ્વામીજી શ્રી કલ્યાણગીરીજીએ આ હવન કરાવ્યું હતું.
વધુ આવતે અંકે…
ૐ નમઃ શિવાય
*********************************************************************************
જીવનું શિવ પ્રત્યે પ્રયાણ [7]
વાલ્મીકિ રામાયણ કહે છે.
કૈલાસ શિખરે રામ મનસા નિમિત્તં સરઃ
બ્રહ્મણા પ્રાગિદં યસ્માત્તદભૂન્માનસં સરઃ
‘હે રામ! પૂર્વે બ્રહ્માએ કૈલાસના શિખર પર મનથી સરોવરનું નિર્માણ કર્યું હતું તેથી આ સરોવર માન સરોવર બની ગયું.’
ડૉ. ગૌતમ પટેલના કહેવા પ્રમાણે કૈલાસ યાત્રા કોણે કોણે કરવી જોઈએ?
તેઓ કહે છે કે તમે બાળક જેવી કુતુહલવૃત્તિ ધરાવો છો તો તમારે કૈલાસ-માનસરોવરની યાત્રાએ જવું જોઈએ. તમારામાં પ્રકૃતિપ્રેમ હોય તો દુનિયામાં સૌમ્ય-રૌદ્ર પ્રકૃતિદ્રશ્યો જોવા નહીં મળે.તમારામાં સાહસવૃત્તિ છે તો કૈલાસની પરિક્રમા.
તમારામાં યુવાની થનગને છે? કાંઈક કરવાની ઈચ્છા છે? તો આ ઈચ્છા આ યાત્રા કરી બતાવો.
તમે પ્રૌઢ છો? પ્રૌઢતા પચાવી છે? તો આ યાત્રા પૂરતો અવસર આપશે.
તમારે મોજ માણવી છે તો આ યાત્રા પૂરતી મોજ માણવાની તકો પૂરી પાડશે.
તમને એકાંત પ્રિય છે તો જાવ કૈલાસ યાત્રાએ.
તમને સમૂહમાં – ગ્રુપમાં આનંદ માણવો છે તો બનાવો ગ્રુપ અને ચલો કૈલાસ યાત્રાએ.
માનસને કિનારે જ્યારે હવન કરતાં હતાં ત્યારે એક અજબ કિસ્સો થયો હતો. અમે જ્યારે હવન કરવા બેઠા હતાં ત્યારે ખૂબ જ પવન ફૂંકાતો હતો. અમારો હવન પ્રગટતો ન હતો. પુષ્કળ પવન ફૂંકાવાને કારણે દિવાસળી સળગતી ન હતી લાઈટર પણ ઓલવાઈ જતાં હતાં. ત્યારે પૂ. કલ્યાણજીગીરીજી બાપુએ ગુસ્સાપૂર્વક પવનને પડકાર્યો અને કહ્યું, ‘એલ્યા, શા માટે હેરાન કરે છે?’ અમારા આશ્ચર્યની વચ્ચે પવન ઘડીભર થંભી ગયો અને અમારો હવન તુરંત પ્રગટી ગયો અને પવન ફરી પાછો ચાલુ થઈ ગયો. આમ હવન બાદ દરેકે પોતે આણેલા કેરબામાં [કેનમાં] માનસનું જળ ભર્યું અને આરામ કરી દિવસ પસાર કર્યો. બીજા દિવસે કૈલાસની પરિક્રમા કરવાની તૈયારી કરી. આ પવિત્ર જળનું વજન સામાનનાં વજન સાથે ગણવામાં આવતું નથી.
તા. 6 ઠ્ઠી જુલાઈ 1996 , દિવસ સત્તરમો:-
આજે સબગ્રુપની અદલાબદલીનો દિવસ હતો. આજે ‘એ’ ગ્રુપ કૈલાસની પરિક્રમા પૂરી કરી માનસની પરિક્રમા કરવા આવવાનું આવવાનું હતું અને અમે ‘બી’ ગ્રુપવાળા કૈલાસની પરિક્રમા કરવા ‘દારચેન’ જવાના હતાં. આમ અમારું ગ્રુપ બસમાં બેસી ‘દારચેન’ જવા નીકળ્યું. દારચેનમાં અમારા ‘એ’ ગ્રુપનાં સાથીદારો મળ્યાં અને તેમના અનુભવની વાતોનો ઉપરછલ્લો ચિતાર મેળવ્યો.
દારચેનનો અમારો આ બેઝ કેમ્પ પ્રમાણમાં મોટો અને થોડોક વ્યવસ્થિત હતો. કેમ્પના કંપાઉંડમાં જ થોડીક દુકાનો હતી. કમ્પાઉંડની પાછળ ડુંગરા પર ત્યાનાં લોકોની થોડીક વસ્તી હતી. જોકે હવે તો અહીંના કેમ્પની સુરત જ બદલાઈ ગઈ છે. હોટેલ બની ગઈ છે. સગવડ સાથે રૂમો બની ગઈ છે. 1996માં ટેલિફોનની સગવડ હતી નહી પરંતુ હવે તો સેટેલાઈટ ફોન થઈ ગયાં છે માટે હવે ક્યારે પણ આપ્તજન સાથે ફોન દ્વારા સંપર્ક સાધી શકાય છે. 1996માં તો એક મહિના માટે દુનિયાનો જાણે સંપર્ક જ ન રહ્યો હતો.
કૈલાસની પરિક્રમા કઠિન તો કહેવાય જ છતાં યે અમારા ગ્રુપની 6 થી 7 વ્યક્તિઓએ ચાલીને પરિક્રમા કરવાનો નિર્ણય લીધો હતો. અને બાકીની વ્યક્તિઓએ ‘યાક’ પર બેસીને પરિક્રમા કરવાની હિંમત દાખવી હતી. અમે બન્ને પણ એ હિમતવાન વ્યક્તિઓમાં શામિલ હતાં. જોકે હવે કૈલાસની પરિક્રમા માટે ઘોડા મળે છે અને યાકનો ઉપયોગ સામાન ઊચકવા માટે થાય છે. અમને તો યાક પર બેસવાનો અનોખો અનુભવ થયો હતો કે ત્યાર પછી એની પર બેસવાની હિંમત સુધીરે દાખવી જ હતી. અહીંથી ‘કૈલાસ’ દર્શન કરી અમે સહુ અહોભાગ્ય થયાં. અહીં ‘ઉમાછુ, નામની નદી વહે છે. તિબેટીયન ભાષામાં છૂ એટલે નદી. જેમાં સ્નાન કરવાથી કૈલાસ યત્રા સરળ બને છે. જોકે અમારામાંથી કોઈએ આવી હિંમત નો’તી દાખવી.
અહીં ‘યાક’નો પરિચય મેળવવો જરૂરી છે.
‘યાક પુરાણમ’
રુચિતા દલાલ યાક વિષે યાક પુરાણમાં લખે છે કે
છોટા સા હૈ સર, ઔર ભીમકાય કદ
ભરે પૂરે શરીરમેં, દિમાગ નહીં એક અદદ
કાલા કાલા રંગ હૈ ઈનકા, મોટે ભારી સીંગ
ભૈસેકા આકાર પૂંછ ઔર સીંગોકે બીચ
કેવલ બાલોંકા ભંડાર
જહાઁ દિખે હરિયાલી,
વહીં દૌડે ચલે જાતે હૈ
ઈન પર કિસી પ્રકાર કે નિયમ નહીં લાગૂ હોતે
સવાર હોના હૈ યદિ ઉનકી પીઠ પર
બેવકૂકી તરહ બૈઠો ઈનકી પૂંઠ પર
કહીં ઈમકી પીઠ સે સરક ન જાયે બદન
સવાર હો જબ ઈન પર,
રખો આઁખેં મિંચ કર,
સારે સંસારમેં,
યાક ઔર ઈશ્વર દોનો પર રહો નિર્ભર
તભી કર પાઓગે ડોલ્માકો પાસ, ઔર
એક બાર સવાર હોંગે
ફિર કભી ન ફટકોગે ઈનકે પાસ
રુચિતા દલાલ ‘યાક પુરાણ’માં આગળ લખે છે કે કૈલાસયાત્રીઓનાં માનસ પર યાક નામનાં પ્રાણીની શી આણ વર્તે છે એ મેં વિદેશમંત્રાલયનાં કોંફરંસ હોલમાં પ્રથમવાર જાણ્યું. એલ. ઓ. ને એ પ્રશ્ન પૂછાયો કે ‘યાક’નું શું?’
યાક અને યાકવાળાઓમાં કાંઈ ઝાઝો ફરક નથી. એક હરિયાળી જોઈને દોડે તો બીજા લીલી યુઆનની નોટો જોઈને. હા, યાક, યાકવાળા અને યાત્રીઓનાં માનસિક સ્તર વચ્ચે ઘણો મોટો ઉત્ક્રાંતિનો ગાળો છે એટલે એમની વચ્ચે તાલમેલ જરાક બેતાલ બની જાય છે.
યાક અતિશય મજબૂત પહાડી પ્રાણી છે. જંગલી ભેંસ સરીખા લાંબા વાળ ધરાવતા આ પહાડી પ્રાણીને તિબેટનાં લોકો ‘ગાય’ ગણે છે. જ્યાં લીલુ ઘાસ જોયું ને ચરવા ઊભુ રહી જાય છે. નાયક વૃત્તિ ધરાવતું આ પ્રાણી પોતાના સાથીદારોથી હંમેશા આગળ રહેવા મથતું હોય છે અને એકબીજાની સાથે રહેવાનું પસંદ કરતાં હોય છે. મારી દૃષ્ટિએ તેના આ વર્તન પાછળ તેમનું શારિરીક કારણ છે. આટલી ઊંચાઈએ ખૂબ ઠંડી હોવાથી આ પ્રાણીઓ એકબીજાની સાથે સાથે રહેવા ઈચ્છતું હોય છે જેથી એકબીજાના શરીરની ઉષ્મા એકબીજાને હુંફ આપતી હોય છે. એકવાર જો તેઓ મસ્તીમાં આવી જાય તો તેની પરનાં સવારની તો ખેર જ નથી રહેતી. પોતાની મસ્તીમાં તે આગલા યાક પરનાં સવારનાં પગમાં પોતાનું શીંગડુ ભેરવી પાડી નાખવાની ક્ષમતા ધરાવે છે. આમ પ્રભુ પિનાકીનના ગણના વાહન ગણાતા આ યાક પર જે સવારી કરી શકે તેની હિંમતની દાદ આપ વા જેવી ખરી. વળી તેમને સાચવનારા યાકમેન દેખાવે ભલે વિકરાળ લાગતાં હોય પણ દિલના6 કૂણાં હોય છે. આપણે તમની ભાષા અને તેઓ આપણી ભાષા સમજતાં ન હોવાને કારણે મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. હવે તો આ યાકમેન આપણી ભાષા સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
બીજા દિવસે કૈલાસની પરિક્રમા કરવા જવાનું હતું. આમ બીજા દિવસનાં સૂર્યના પ્રથમ કિરણોની પ્રતિક્ષામાં અમે સહુ નિદ્રાધીન થયાં.
તા. 7મી જુલાઈ 1996, દિવસ અઠારમો:-
દારચેનથી દિરેબુ જવાનું હતું. આ અંતર લગભગ 20 કિ.મી.નું હતું. આ પરિક્રમા કઠિન હોવાને કારણે મોટી ઉંમરનાં કે ચાલવાની તકલીફવાળા હોય છે તે અહીં રોકાઈ જાય છે. અમારી સાથે 75 વર્ષની ઉંમરના દાદાજી કુનુરથી આવેલા. ખૂબ શ્રદ્ધા અને આસ્થા હતી એમનામાં. એમણે પણ અમારી સાથે કૈલાસની પરિક્રમા કરવાનું બીડું ઝડપ્યું હતું.
પૂજનીય વસ્તુને આપણે આપણી સવ્ય બાજુએ એટલેકે જમણી બાજુ પર રાખીને જમણી દિશાથી તેની આસપાસ ફરવાની ક્રિયાને પરિક્રમા અથવા પ્રદક્ષિણા કહેવાય છે. અમારી આ પ્રદક્ષિણા દરમિયાન આ પૂજનીય કૈલાસ પર્વત અમારી જમણી બાજુએ હતો. પરિક્રમાની શરુઆત કરતાં પહેલાં દાર્બોચેક નામની જ્ગ્યા આવે છે ત્યાં મોટો સ્તંભ મૂકેલો હોય છે અને તેની ઉપર તાંબાનો કળશ રાખેલો હોય છે. તેને ફરતે ઝંડા રુપે તિબેટિયન ચુદડીઓ ફરકાવવામાં આવે છે. તેની ઉપર ૐ મણિ પદમે ૐ નાં જાપ લખેલા હોય છે. લીલા, લાલ, સફેદ, પીળા રંગની આ ચુંદડીઓ ખૂબ સુંદર દેખાતી હોય છે. કહેવાય છે કે આ સ્તંભની ત્રણવાર પરિક્રમા કરવાથી કૈલાસની પરિક્રમા કરવાનું પૂણ્ય મળે છે. જે લોકો કૈલાસની પરિક્રમા કરી શકતું નથી તે આ સ્તંભની પરિક્રમા જરૂરથી કરે.
2003ની સાલમાં અમે જ્યારે કૈલાસની પરિક્રમા કરવા જવાનાં હતા ત્યારે અહીં પુષ્કળ સ્નો ફોલ થવાથી આ સ્તંભની પરિક્રમા કરી અમારે પાછા ફરવું પડ્યું હતું. અહીં એક વાતનો ઉલ્લેખ કરવો રહ્યો. ગવર્મેંટ તરફથી કૈલાસ યાત્રા કરો કે પ્રાઈવેટ કંપની તરફથી નેપાલથી યાત્રા કરો કૈલાસની તેમજ માનસરોવરની પરિક્રમા એક જ રસ્તે થાય છે.
ત્યારબાદ મૃત્યુદ્વારનું એક મંદિર સરખો બાંધેલો દ્વાર આવે છે. કહેવાય છે કે તેની આરપાર ત્રણ વખત જવાથી જન્મોજનમથી મુક્તિ મળે છે.
આમ એમાં પસાર થયા બાદ થોડુંક આગળ ચાલ્યા બાદ અમને યાકમેન મળ્યાં દરેક પાસે પોતાના યાકમેનની ચિઠ્ઠી હતી તે પ્રમાણે યાક પર બેસવાનું હતું. યાક પર બેસતાં અમે ડરતાં હતાં કારણ જેવા યાક પર બેસવાં જતાં અને યાક ભડકીને ઉઠીને દોડવા માંડે.છેવટે અમને કોથળા ઠાલવતાં હોય તે રીતે બેસાડ્યાં. પણ કોઈની હિંમત હતી કે ફરીથી નીચે ઉતરે. ચીસો પાડતાં જ રહીએ અને યાક તો આગળ ભાગતાં જ રહે. અમારી આ હાલત જોઈ યાકમેન હસતાં રહે. આમ અમે યાક પર એક કલાક ગાળ્યો અને આ યાકમેન પોતાનું લંચ બનાવવા બેઠા અને આરામ કર્યો આમ અમારા ત્રણ કલાક કાઢ્યાં.
આમ પરિક્રમાનાં પ્રથમ દિવસ દરમિયાન કૈલાસનાં સતત દર્શન થતાં હતાં. પરિક્રમાની શરુઆતમાં કૈલાસનાં દક્ષિણનાં દર્શન થાય છે. તિબેટિયનો કૈલાસનાં આ સ્વરુપને સ્વસ્તિક રૂપે જુએ છે. આગળ ચાલતાં ઘણીવાર ગણેશ રૂપે દેખાય છે તો ક્યારેક પાર્વતી રૂપે દેખાય છે.અને હનુમાનજી તો હજરાહજૂર છે. કૈલાસનું પશ્ચિમ દિશાનું સ્વરૂપ શિવપાર્વતીનાં પ્રચંડ સિંહાસન સ્વરૂપે થાય છે. આમ જુદા જુદા સ્વરૂપે કૈલાસનાં દર્શન કરતાં કરતાં અમે રાતનાં 8.30 વાગે અમારા પડાવે પહોંચ્યાં. દિરેબુના આ કેમ્પથી કૈલાસનું સંપૂર્ણ લિંગ રૂપે દર્શન થાય છે.
રસ્તો ખૂબ પથરાળ હતો અને યાક પર બેસીને કમરનાં કટકા કરતાં અમે કેમ્પ પર પહોંચ્યાં. કૈલાસ અને અમારા કેમ્પની વચ્ચે કરનાળી નદી હતી. 2000ની સાલમાં અમે કરનાળી નદીની આ બાજુએ રોકાયા હતાં. કહેવાય છે કે પ્રથમ દિવસની પરિક્રમાનાં અંતે યાત્રીઓની ઈચ્છાઓ ભોલેનાથ પૂરી કરે છે.
પ્રકૃતિ નથી
હાથ ફેલાવું
વરસાવ કૃપાળુ
ઊભી અહીં હું
હાથ ફેલાવી.
આટલી યાતના ભોગવ્યા બાદ ભોળા શંભુ જ આવા અલૌકિક દર્શન આપે છે અને જીવનું ભાથુ પણ બાંધી આપે છે. આમ નિરાકાર પ્રભુનાં દર્શન થતાં જ એમનાં ચરણોમાં મસ્તક ઝૂકી પડ્યું. કૈલાસપતિ ઉમાપતિ મહાદેવનો જયજયકાર દરેકનાં મુખેથી નીકળી પડ્યું. થાક્યાં હોવાં છતાં પ્રભુનાં દર્શનનો આનંદ માણ્યો.
વધુ આવતા અંકે……………….
ૐ નમઃ શિવાય
***********************************************************************************
જીવનું શિવ પ્રત્યે પ્રયાણ [ 8]
કૈલાસની ભવ્યતાનું વર્ણન કરવા માટે પૃથ્વીની દરેક ભાષાના એક એક અક્ષરો લઈએ તો પણ ઓછા પડે. શબ્દની શી તાકાત છે કે એ શબ્દાતીતને વર્ણવી શકે? એનું દર્શન એ એક અનુભૂતિ છે. આ શબ્દો મારા નથી કૈલાસ દર્શન કરી આવેલાં ડૉ. શ્રી ગૌતમ પટેલનાં છે.
શ્રી ગૌતમ પટેલ જણાવે છે કે
શિવ ઉપાસના છેક વેદ કાળથી ભારતમાં ચાલી આવી છે. આજે પણ ભારતમાં કે ભારત બહાર બ્રાહ્મણો રુદ્રી કરે છે. શિવ ઘોર છે અને અઘોર પણ છે. અમંગલમયશીલ ધરાવે છે અને છતાંયે ભક્તોનું સદૈવ મંગલ કરે છે. હળાહળ ઝેરનું પાન કર્યું છે છતાંયે અજર અમર છે. સ્વયં ભસ્મ એટલે ભૂતિ ધારણ કરે છે પણ ભક્તોને વિભૂતિ એટલે વિશિષ્ટ ઐશ્વર્ય પ્રદાન કરે છે. મહાકવિ કાલિદાસનાં શબ્દોમાં તેઓ કહે છે શિવ સ્વયં અકિંચન છે છતાંયે સંપત્તિનું ઉત્પત્તિસ્થાન છે. સ્મશાનમાં રહે છે છતાંયે ત્રણે લોકના સ્વામી છે. ભીમરૂપ – ભયંકર રૂપ ધારણ કરે છતાં શિવ-મંગલસ્વરૂપ કહેવાય છે. વાસ્તવમાં શિવને સાચા સ્વરૂપે જાણનારું કોઈ નથી.
એ નિરંતર છે. નિર્ગુણ એટલે સત્વ, રજ કે તમગુણથી પર છે. નિર્વિકાર છે. તેનામાં કોઈ વિકાર – ફેરફાર થતો નથી. હિત કે અહિત બધું જ તેમને મન સમાન છે. ભયંકર ઝેરી સાપ શરીર પર હોય પણ તેના ઝેરનો તેમને ડર નથી.મસ્તક પર ચંદ્રમાંથી અમૃત ઝરે છે તે માટે તેમને કોઈ પ્રેમ નથી. છાતી પર ખોપરીની માળા હોય તેનાથી કોઈ અશૌચ એટલે અપવિત્રતા નથી. માથા પર ગંગા છે માટે કોઈ પવિત્રતાનો ખ્યાલ નથી. શિવ તો સઘળી અવસ્થામાં સમરસ છે. એમની રીતિ-વૃત્તિ-પ્રવૃત્તિ મા કોઈ ફેર પડતો નથી. શિવ તો મુક્ત છે આપણે સૌ જીવો પશુ છીએ અને શિવ પશુપતિ છે.
કૈલાસ એટલે મા પાર્વતીજી અને દેવાધિદેવ મહાદેવનું નિવાસ સ્થાન તેમજ દેવદેવીઓની દિવ્ય ‘દેવભૂમિ’. નૈસર્ગિક દ્રષ્ટિએ કૈલાસ એટલે કુદરતનું અનોખું, અવર્ણનીય, અકલ્પનીય અને સૌંદર્યની ચરમસીમાએ પહોંચેલું એક અદ્દભૂત સર્જન. એક બાજુ, ચારે તરફ રાખોડી રંગના માટોડીયા પર્વતોની વચ્ચે કાળમીંઢ, વિશાળ લીંગ આકારનો સરસ મજાનો સુંદર પર્વત ‘કૈલાસ’, આવા શિવે કૈલાસને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું છે. એનું વર્ણન કરવું અશક્ય છે. એનો દેખાવ એક ઊંચા ઓટલા જેવો છે જે સદાયે કાળ બરફથી છવાયેલો રહે છે. જાણે રૂનો ઢગલો વેરાયો હોય. પુરાણકાળમાં ‘મેરુ’ પર્વતના નામે ઓળખાતા આ કૈલાસ જ્યારે સંપૂર્ણ બરફથી છવાઈ જાય છે ત્યારે તેમાં સંપૂર્ણ શિવપરિવારનાં દર્શન થાય છે. જેવી દૃષ્ટિ તેવા દર્શન ભક્તો પામે છે. કહેવાય છે કે સોમવતી અમાસે કૈલાસ પર સંપૂર્ણ શિવ પરિવાર બેગો થાય છે. તેની પ્રતિતી અમને 2005ની સાલમાં થઈ હતી. કૈલાસ પર નંદીના દર્શન તો થાય જ છે પણ એ સાલમાં અમને કાર્તિકજીના વાહન મયૂરના, ગણેશજીનાં વાહન મૂષક, ગણેશજી, ડમરૂ, ૐ, ત્રિશૂલ, શિવ-પાર્વતીજીનાં દર્શન થયાં હતા. એ દિવસે સોમવતી અમાસ હતી.
23,000 ફૂટની ઊંચાઈ ધરાવતો આ કૈલાસ પર્વત હંમેશા બરફથી છવાયેલો રહે છે. લોકવાયકા મુજબ કહેવાય છે કે ભગવાન વિષ્ણુનાં અંગુઠામાંથી પ્રગટ થયેલી ગંગાના ભયાનક સ્વરૂપને નષ્ટ કરવા મહાદેવે તેને પોતાની જટામાં સમાવી લીધી. જેથી તેઓ ‘ગંગાધર’ ના નામથી ઓળખાયા. જ્યારે ગંગા ‘કૈલાસ’ પરથી નીચે ઊતરી ત્યારે તેણે સાતવાર ‘કૈલાસ’ની પ્રદક્ષિણા કરી અને પોતાને ચાર નદીઓમાં વહેંચી દીધી અને એ ચાર નદીઓ એટલે બ્રહ્મપુત્રા, સિંધુ (ઈન્દુસ), કરનાળી અને સતલજ. વેદોમાં ‘મેરુ પર્વત’ ના નામે ઓળખાતા આ કૈલાસ પર્વત ને તિબેટીયનો પૃથ્વીનો સ્તંભ માને છે, કે જેનું મૂળ પાતાળના અંતિમ છેડામાં અને ઉપરનો છેડો સ્વર્ગનાં ઉપરીય છેડે અડકે છે. આવા અદ્દભુત કૈલાસ આગળ નથી કોઈ મંદિર કે નથી કોઈ મૂર્તિ કે નથી કોઈ પૂજારી. છે તો બસ ગગનરૂપી વિશાળ છત અને પવનનાં સૂસવાટારૂપી ઘંટારવ કે જે હંમેશા પંચાક્ષરી મંત્ર ‘ૐ નમ: શિવાય’ ના નાદરૂપે ગુંજતો રહે છે. પળે પળે આ અદ્દભુત કૈલાસ જુદાજુદા સ્વરૂપે દ્રશયમાન થાય છે જેમકે ‘અગ્નિપૂંજ કૈલાસ’, ‘શ્વેતશાંતમુદ્રિત કૈલાસ’, ‘સમાધિગ્રસ્ત કૈલાસ’, ‘સુવર્ણ કૈલાસ’ કે પછી ‘મેઘધનુષી કૈલાસ’. બધી ઉપમાઓ કૈલાસ માટે વામણી લાગે છે. આવા અદ્દભૂત કૈલાસના દર્શન એ નયનોની ચરમસીમા જ ગણાય ને ! કૈલાસના દર્શન કરતાં કરતાં ભક્તકવિ શ્રી નરસિંહ મહેતાની પંક્તિઓની પ્રતીતિ થાય કે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’ કે પછી ‘નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો…’
બરફાછિત કૈલાસ પર જ્યારે ફો ફાટતા સૂર્યનાં પ્રથમ કિરણો ઝળહળી ઊઠે છે ત્યારે જ્યોતિર્મય કૈલાસ દર્શન અણુ અણુને સત્યમ શિવમ સુંદરમની અનુભૂતિ કરાવે છે. પરોઢનાં નિર્મળ નીતર્યા આકાશમાં સૂર્યના પ્રથમ કિરણોથી છવાયેલો કૈલાસ શિવજીનાં સ્મિતથી મણિપૂંજ સમો દીપી ઊઠે છે. આ દૃશ્ય નિહાળતાં અમે સંપૂર્ણ કૈલાસમય થઈ ગયા. અમારા ગ્રુપનાં કલકત્તા સ્થિત સંદિપ અગ્રવાલે પરોઢનાં 3 વાગે ઊઠીને કૈલાસ દર્શન કર્યાં જાણે સંપૂર્ણ અગ્નિપૂંજ, લાલ રક્તપૂંજ કૈલાસ દર્શન કર્યાં હતા.
8 મી જુલાઈ 1996 ઓગણીસમો દિવસ:-
કૈલાસ પરિક્રમાનો સૌથી કઠિન દિવસ. દિરેબુથી દોલ્મા પાસ, ગૌરીકુંડ થઈ 20 કિ.મી. દૂર આવેલા ઝેંગઝેરેબુ પહોંચવાનું હતું. દોલ્મા પાસ 18,600 ફૂટની ઊંચાઈ ધરાવે છે. અત્યંત કઠિન ચઢાણ છે. તિબેટિયન ભાષામાં દોલ્મા એટલે પાર્વતી માતા. આ દોલ્માપાસ એટલે શિવ પ્રિયા ઉમાનો વિહાર પ્રદેશ. આ દિવ્ય યાત્રા માટે મનોમન શિવજીનાં ચરણોમાં મસ્તક ઝૂકી ગયું.
દોલ્માપાસ સુધી પહોંચતા યાકની ખૂબ મહેરબાની થઈ હતી. આગળ આગળ ભાગે અને જ્યાં ઘાસ દેખાય ત્યાં મોઢું નાખે. અહીં અમે તો બૂમાબોમ કરીયે પણ સાંભળે કોણ? 5 કિ. મી. યાક વગર ચઢવાનું હતું. પથરાળા પહાડ અને ઊંચાઈને કારને શ્વાસોશ્વાસમાં ખૂબ તકલીફ પડતી. એક એક ડગલે ઊભારહી જવું પડતું હતું. સાથે કપૂરની પોટલી બનાવી રાખી હતી તેથી તેને સૂંઘતા સૂંઘતા આગળ વધતા હતાં. એકબીજાને સહારે દોલ્મા પાસ ચઢી ગયા. આદિવસ તો જિંદગીનો યાદગાર દિવસ બની ગયો હતો. આ તબક્કે મનોબળની પરીક્ષા થઈ જાય ખરી. માનસિક સ્થિતિને કાબુમાં રાખવી પડે છે. ઑક્સીજન પાતળુ થતાં શ્વાસોચ્છવાસમાં તકલિફ પડે. શરુઆતની આ પરિક્રમા વખતે ખબર ન હતી કે પાણી સાથે રાખીને ચાલવું જોઈએ અને થોદું થોડું પાણી પીતા રહીએ તો આ તકલીફ ઊભી ન થાય. આવું કહેવાવાળું કોઈ ન હતું. પણ હિમાલયમાં આવી આશુતોષ ભગવાનને આપણે સમર્પિત થઈએ તો દાદા આપણને સંભાળે જ છે.
રસ્તામાં ‘યમરાજનું નિવાસ’ સ્થાન આવે છે. તિબેટીયનો અહીં પોતાનું એકાદ વસ્ત્ર યા તો માથાના વાળ યમરાજને ચઢાવે છે અને પુનઃજીવન પ્રાપ્તિનું વરદાન માંગે છે. આમ યાત્રાની સર્વોચ્ચ ઊંચાઈએ આવેલા દોલ્મા પાસ પર પહોંચ્યા. આટલી ઊંચાઈએ થોડા સપાટ મેદાન જેવા વિસ્તારમા મોટી મોટી શિલાઓ પર ૐ મણિ પદ્મે ૐ જેવા મંત્રો કોતરેલા મળી આવે છે. તેઓની માન્યતા મૂજબ આ શિલાઓમાં માતા પાર્વતીનો વાસ છે. અને તેની પૂજા કરતાં હોય છે અને ચૂંદડી ચઢાવે છે.
જેવું અઘરું ચઢાણ છે તેવું જ અધરું ઉતરાણ છે.
વધુ આવતા અંકે ….
ૐ નમઃ શિવાય
********************************************************************************
કૈલાસ વિષે શ્રી ગૌતમભાઈ પટેલ લખતા કહે છે કે
‘બિનુ હરકૃપા કૈલાસદર્શન નવ હોઈ.’
જો હું તુલસીદાસ બની જાઉં તો આવું કઈંક લખી નાખું, પણ વો દિન કહાં? કૈલાસદાદાનું આટલે નજીકથી દર્શન થતાં પ્રત્યેકનાં રોમરોમ આનંદથી જાણે કે ભગવાન તો અરીસા જેવો છે. તમે જેવા શણગાર સજીને જશો તેવું પ્રતિબિંબ તમને ત્યાં દેખાશે. ભાગવતમાં પ્ર્હલાદની સ્તુતિમાં સ્પષ્ટ કહેવાયું છે કે ‘તચ્ચાત્મનો પ્રતિમુખસ્ય યથા મુખશ્રી:’
કૈલાસનું વર્ણન કરવા માટે પૃથ્વીની દરેક ભાષાના એકેએક અક્ષરો લઈએ તો પણ ઓછા પડે. શબ્દોની શી તાકત કે એ શબ્દાતીતને વર્ણવી શકે? એનું દર્શન એ એક અનુભૂતિ છે. અનુભૂતિ હૃદયને થાય, પણ હૃદય પાસે વાણી નથી એટલે અનુભૂતિ વર્ણવી શકાય નહી. વાણી વર્ણવી શકે, પણ તેની પાસે અનુભૂતિ નથી. ‘ગિરા અનયન – નયન બિનુબાની’ એવું તુલસીદાસે કહ્યું કહ્યું છે. મને કોઈ પૂછે કે કૈલાસ કેવો છે? તો હુ કહું કે ત્યાં જઈ જુઓ.
મેઘદૂતમાં કૈલાસને મહાકવિ કાલિદાસે ત્રિદશ – વનિતાદર્પણ – એટલે સ્વર્ગની સુંદરીઓના દર્પણ – અરીસા જેવો કહ્યો છે. સ્વર્ગમાંથી સુંદરી શણગાર સજીને પોતપોતાના મહેલની બારીમાંથી કૈલાસ તરફ જુએ અને તેમાં પોતાનું પ્રતિબિંબ દેખાય. આથી ‘સ્વર્ગની સુંદરીઓના અરીસા જેવો કૈલાસ’ આવી વાત કાલિદાસ કહી ગયા, પણ શામાટે સ્વર્ગની જ? પૃથ્વીની કોઈ પણ વ્યક્તિ કૈલાસદાદા પાસે જાય એમાં એને એનું પોતાનું અને પોતાના હૃદયની ભાવનાનું પ્રતિબિંબ અવશ્ય દેખાશે. ડૉ. શ્રી ગૌતમભાઈ પટેલનું એવું માનવું છે કે ભારતીય – હિંદુ ધર્માવલંબી – પોતાને હિન્દુ કહેવડાવનાર કૈલાસ-માનસરોવરની યાત્રા કર્યા વિના મરે તેનો ફેરો એળે ગયો, એનું જીવતર ધૂળધાણી થયું.
દેવાદિદેવ શિવે પોતાના નિવાસ સ્થાન તરીકે કૈલાસને પસંદ કર્યો તેમાં તેમની મહાનતા ઉપરાંત કૈલાસની દિવ્યતા ખરી. સાગરનાં મોજા ગણી ન શકાય, ગંગાની રેતીનાં કણ ન ગણી શકાય, આકાશનાં તારા ન ગણી શકાય, કૃષ્નની લીલા પામી ન શકાય, રામની મહત્તાનું માપ ન મેલવી શકાય, બસ તેમ કૈલાસનાં કૈલાસપણાને ન પામી શકાય. બસ કૈલાસ એ કૈલાસ ! એની પુણ્યસ્મુતિ દરેક યાત્રીને જન્મોજનમ આનંદવિભોર બનાવે છે.
આપણે જમણો હાથ ભગવાન તરફ રાખી પ્રદક્ષિણા કરીએ છીએ, જેને અંગ્રેજીમાં ક્લોકવાઈઝ કહેવાય છે જ્યારે તિબેટીઓ પોતાનો ડાબો હાથ કૈલાસદાદા તરફ રાખીને પ્રદક્ષિણા કરે છે જેને અંગ્રેજીમાં ઍંટીક્લોકવાઈઝ કહેવાય છે. શ્રદ્ધાળુ તિબેટીયનો સાષ્ટાંગ પ્રણામ કરતા પ્રદક્ષિણા કરતાં જોવા મળે છે. આપણને ચાલીને આ પ્રદક્ષિણા કરતા ત્રણ દિવસ લાગે છે જ્યારે સાષ્ટાંગ પ્રણામ કરતા આ પરિક્રમા કરતા 27 દિવસ લાગે છે.
શ્રી કિશોરભાઈ ગાંધી [કૈલાસ યાત્રી] લખે છે કે કૈલાસ દર્શન આધ્યાત્મિક અતીન્દ્રીયનો અનુભવ છે. અહીં શબ્દો નથી. કૈલાસ દર્શન સમયે મન ઝૂમી ઊઠે છે. જીવ તાંડવ કરવા માંડે છે. તમામ પાપોનાં બંધનમાંથી મુક્તિ મળે છે. કૈલાસ નથી કોઈ મંદિર કે નથી મંદિરની કોઈ મૂર્તિ, દશે દિશાઓની દિવાલ ધરાવતું આકાશને ઘુમ્મટ બનાવતું બ્રહ્મમુહૂર્તે સૂર્ય અને સાંધ્યકાળે ચંદ્ર દ્વારા આરતી કરાવતું વિશાળ મહાકાય શિવલિંગ છે. અહીં પુરુષ અને પ્રકૃતિનાં દર્શન થાય છે. કૈલાસ ચિંતન, મનન અને દર્શનના સાક્ષાત્કાર કરાવે છે. કૈલાસદર્શન સ્વયંની ઓળખ ઓગાળી નાખે છે.
પુરાણ અનુસાર કૈલાસ એ ઉત્તમ સ્વર્ગલોક છે. શિવ પાર્વતીનું નિવાસ સ્થાન છે. યક્ષ અને કુબેરની પણ એ નિવાસ ભૂમિ છે. ભાગવતમાં કહ્યું છે :-
જન્મોષધિ તપો મંત્રયોગ સિદ્ધૈર્નરેતરૈ :
જુષ્ટં કિન્નર ગન્ધર્વોરપ્સ રોમિર્વૃતં સહ
જન્મ, ઔષધ, તપ,મંત્ર અને યોગ જેને સિદ્ધ છે એવા માનવેત્તર યોનિના ગંધર્વ, કિન્નરો દ્વારા સેવિત અને સદા અપ્સરાયુક્ત એવો આ કૈલાસ છે.
સ્વામી પ્રણવાનંદજીના મતે 16,400 ફૂટ ઊંચા ગોમ્પા પરથી કૈલાસ પર્વત શ્રેણીનાં 6 શિખરો સ્પષ્ટ દેખાય છે. પશ્ચિમથી ઉત્તર તરફ જોતાં એનાં નામો પ્રમાણે છગ્ના દોર્જે [ દોર્જે= વજ્ર], ડાંગ –રિમ્બો – છ [કૈલાસ], ચન્દેસિંગ [અવલોકિતેશ્વર], જાંબ્યાંગ [મંજુર્ઘોષ] છોગલનોરસંગ અને શિવારી દેખાય છે. તેમને મતે ‘કૈલાસ નાનરંગી પથ્થરોનો બનેલો છે. એક જ પથ્થરમાં અનેક રંગો સાથે રહે છે. જુદા જુદા વર્ણોના શિલાખંડો લાખો વર્ષોના અત્યંત દબાણને લીધે એકરસ થઈને જે શિલા બની છે તે કૈલાસ. ખડકનો એક અદ્વિતીય નમૂનો છે. ઘણીવાર એક કંકરમાં ત્રણ રંગપટ્ટાઓ જોવા મળે છે. આ મિશ્રવર્ણી અથવા કોંગ્લોજારેટ શિલાના ડુંગરા છે.
આધુનિકોમાં નંદલાલ ડેની ‘જોગ્રોફિકલ ડિક્શનરી’માં ગાંગરીથી ગંધમાદન અને બદ્રીનાથ તથા ગંગોત્રી પર્યંતના ચૌખંભા શિખરાવલી સહિત સમસ્ત પર્વતજુથને કૈલાસ સંજ્ઞા અપાયેલ છે.
સુપ્રસિદ્ધ બ્રિટિશ પ્રવાસી સ્વેન હેડન લડાખથી ચીન સુધીના સમગ્ર હિમાલય ખૂંદી વળ્યા છે. એમના ‘હિમાલય’ ગ્રંથમાં કૈલાસને ‘THE OBJECT OF DEVINE HONOURS’ કહ્યો છે.
એમના શબ્દોમાં કહીએ
‘IT SEEMED TO BELONG TO HEAVEN THEN EARTH’
‘IT HAS WONDERFUL MAGNIFICENT LANDSCAPE WITH A SURPRISING BEAUTY’
‘CROWN OF BRIGHT WHITE ETERNAL SNOW.’
તિબેટીયનોની માન્યતા વિષે અમારા નેપાલી સાથીદાર શ્રી હીરાજી ધમાલા કહે છે કે ‘કૈલાસ કમળ સરીખો છે. તેની આજુબાજુના પર્વતો કમળની પાંદડી જેવા છે. કૈલાસ એ શિવજી છે તેમની આજુબાજુના ત્રણ શિખરો મા પાર્વતી. મા લક્ષ્મીજી અને મા સરસ્વતી છે.’
કૈલાસ પર આપણા ભાવ પ્રમાણે દર્શન થાય છે. અમારી 2003ની સાલની યાત્રા વખતે કૈલાસ પર મા પાર્વતીના અપ્રતિમ સૌંદર્યના પ્રાગટ્યના દર્શન થયા હતા. એ વખતે ગુરૂપૂર્ણિમા હતી. 2005ની સાલની યાત્રા વખતે સોમવતી અમાસ હતી. કહેવાય છે કે સોમવતી અમાસને દિવસે સંપૂર્ણ શિવપરિવાર કૈલાસ પર હાજર હોય છે. એની હાજરી રૂપે અમને ગણેશજી અને તેમનું વાહન મુષક, કાર્તિકેયનુ વાહન મયુર, મા પાર્વતીજી અને શીવજી તો ત્યાં હજરાહજૂર છે જ પણ શીવજીના વાહન નંદીના પણ દર્શન થયા હતા. 2007ની સાલની યાત્રા વખતે ખૂદ શીવજીનાં મુખારવિંદના દર્શન કૈલાસ પર પ્રાપ્ત થયા હતા.
[ વધુ આવતા અંકે ]
))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))
22 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed












































1.
nilam doshi | November 18, 2008 at 1:41 am
યે પથ્થર ન ગિરતે તો ચઢાન ન હોતી
યે પાની ન બહતા તો ઢલાન ન હોતી
કાઠમાંડૂસે જાતે તો જલ્દી પહૂંચતે
લેકિન કૈલાશ પર શિવજી ન મિલતે
આજે આખી કૈલાસયાત્રા નિરાંતે વાંચી..માણી…અને ઘેર બેઠા કરી. હમણાં થોડા સમય પહેલા કિન્ંરી પરીખની આ વિષય પરને બુક વાંચી હતી…આજે ફરીથી તેની યાદ તાજી થઇ ગઇ. કંઇક આવા જ અનુભવો સરસ રીતે લખાયેલ છે/ પ્રજ્ઞાબહેનની પણ આ બુક ડાયરીના ફોર્મમાં પ્રકાશિત થયેલ છે. બધા દિવસોનું સુન્દર વર્ણન છે.
તમે પણ આનું પુસ્તક કોક્ક્સ કરો..કરો.
સુન્દર ફોટોગ્રાફસ સાથે સુન્દર વર્ણન..
અમે તો જઇ શકતા નથી. તમારા બધાના અનુભવો વાંચીને જ સંતોષ માણવાનો રહ્યો.
અભિનન્દન અને આભાર …
2.
chetu | November 18, 2008 at 4:58 am
ખૂબ જ સુંદર વર્ણન ..!! લાગ્યું કે અમે પણ આપની યાત્રામાં શામેલ હતા..!!
3.
Ashok | November 18, 2008 at 10:37 am
aapni yatra ma ame pan samel thai gaya hata…. bahu saras ane sachot varnan karyu chhe…Ashok
4.
monali Kadakia | November 18, 2008 at 10:42 am
Very nice Beautiful pictures …..thankyou for making us do kailash darshan ….on the photo
5.
Jignesh Adhyaru | November 18, 2008 at 3:56 pm
Had time out for nearly one hour to read your experiences and at the end, felt just similar to be with you in this yatra.
Yatra, as they say, is the process of getting closer to your own self……it gives time out from daily activities and also a chance to be near to the mother nature.
Very well descripted, you have also quoted nice and excellent references in your writeup. Really very fine.
I am going to Haridwar, Rishikesh just to be on shore of ganga……in coming week……..
Very nice writeup.
6.
shivshiva | November 18, 2008 at 9:34 pm
આપ સહુનો ઉત્તમ પ્રતિભાવ મારી લખવાની હિંમત વધારે છે. આપ સહુનો આભાર.
7.
Neeta Kotecha | November 21, 2008 at 4:49 am
ખરા આશીર્વાદ તો મારા સાસુ તારાબા તરફથી પ્રાપ્ત થયાં છે. પહેલી યાત્રા વખતે તો એમણે આશીર્વાદ આપ્યાં જ હતાં. જોકે તેઓ પુષ્ટિમાર્ગીય હોવા છતાં તેમણે અમારી આ યાત્રા માટે કદી વિરોધ કર્યો ન હતો.
aavat mane khub gami..vadilo na aashirvad bhega hoy to j aa badhu shakya che…
વિશ્વપ્રસિદ્ધ કૈલાસ પર્વત એ દેવોના દેવ મહાદેવ અને મહાશક્તિ મા પાર્વતીનું રહેણાક છે. આપણાં જન્મોજનમનાં પુણ્ય ભેગા થાય છે અને જે જલ્દીથી પ્રસન્ન થાય છે
amara punya kyare bhega thashe???
આ મુકામની બાજુમાંથી ધસમતી કાલીગંગા વહે છે. નામ પ્રમાણે તેનું પાણી કાળું છે અને તેનું સ્વરૂપ ભયાનક છે.
acharaj ni vat che ke ganga nu pani kadu hashe…kyare joish hu aa ???
અહીં કાલીગંગા અને ગૌરીગંગાનો સંગમ જોવામળે છે. ગૌરીગંગા નામ પ્રમાણે ધોળી છે. આમ કાળા અને ધોળા પાણીનો નિરાળો સંગમ જોવા મળે છે.
ufffffff vicharine kaik thay che ke kevu hase e ….
જેમ મુંબઈની ફેશનનો ભરોસો નથી તેમ હિમાલયના હવામાનનો ભરોસો નથી.
hahahaha bahu saras sarkhamani kari neela didi
યાત્રાની શરુઆતમાંજ યાત્રીઓને સૂચના આપવામાં આવે છે કે પહાડ પર ચઢતા કે ઉતરતા પાણીનાં પ્રવાહની સામે જોવું નહીં. નહીં તો ચક્કર આવશે. પહાડ પર ચઢતા હંમેશા પગ તરફ જોવું. નતો પહાડને જોવો કે નદીનાં વહેણને. બંને રીતે ચક્કર આવવાનો ચાંસ
mane anubhav che ano ..jyare hu kedar gai hati…uffffffffff tyato ganganji no avaj etlo ke koi vato kare e sambhaday j nahi…pan man bharai gayu che jyarthi tyani jatra thai che….
આ કપ્તાને કૂદકો તો માર્યો અને તે પોતાનું બેલેંસ ગુમાવી બેઠો. અને પહાડ પરથી નીચે પડી ગયો અને કાલીગંગામાં સમાધિ પ્રાપ્ત થઈ
kaik thay che neela didi vachine..ruvada ubha thai jay che….
મને તો હજી પણ ઘોડા પર સવારી કરતા કરતા નીંદર આવે છે.
chalo aagad jata nindar ni bimari aave to yad rakhva jevi vat ke tamne goda par besadi deva…
,800 ફૂટની ઊંચાઈ પર રહીને આપણા જવાનો સરહદની રક્ષા કરતા જોઈ તેમને સલામી આપવાનું મન થઈ જાય છે જેમને કારણે આપણે શહેરોમાં સુખશાંતીથી રહી શકીએ છીએ. તેઓને શત શત પ્રણામ. અહીં વપરાયેલા ફોટાના રોલ જમા કરાવવા પડે છે
ekdam sachi vat….
આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય’
sav sachi vat kahi..
પણ કુદરતનો કોપ આ બન્ને પર ઉતર્યો. અને કોફી પીવાની અદામાં જ ત્યાંને ત્યાં જ ઠરી ગયાં અને શિવલોક પામ્યાં
pahela pan aa vachiyu hatu tyare pan dhrujari thai gai hati ane aaaje pan evo j anubhav thayo
મામ ધાતા- આથી એનું નામ માંધાતા પડ્યું. એ અત્યંત પરાક્રમી રાજા હતો.
paheli var aa vat sambhadi…
ane biju bahu badhu navu vachva maliyu ke jenathi kyarek aakho khuli j rahi jay ..em thay aavu e hashe ke..have to shivji ne roj maska lagadva che ke he bhole nath tare tya ek var bolav..same thi aamantran mangu chu..plsssss
–
http://neeta-kotecha.blogspot.com/
http://aakroshh.blogspot.com/
http://neetassms.blogspot.com/
http://neeta-myown.blogspot.com/
8.
Nitinkumar Bhatt | January 9, 2009 at 3:25 am
om namah shivay …mane yatra pahela koi j mahiti n hati pan yatra kari ne avya pachi je pan kailash vishe janava ma le che te khubaj dhyan purvak manu chu. me 7th july to 1st aug-2008 ma kailash yatra kari reply me thankyou
9.
Mehul Trivedi | January 27, 2009 at 9:25 pm
Om Namah shivay
Vah !!!!
I feel that with full description of day by day, I have visited Kailash.
Nice work, Thank you
10.
Rameshl Patel | January 28, 2009 at 8:37 am
ભાગ્યશાળી તમે અને આટલું સુંદર ભાવ ભરેલું શબ્દ દર્શન ફોટા સાથે માણવા મળ્યું એટલે સૌ વાંચકો. ૃ
હૃદય સ્તુતી કર્યા વગર કેમ રહી શકે?
કૈલાશ કૃપા
વહે ગંગની ધાર, ચમકે બીજનો ચંદ્ર જટાએ
ફણિધર દે નાગચૂડ,અંગે ભસ્મ ભભૂતિ દમકે
પિનાકીન પાશુપતિ ,તાંડવ નર્તક હળાહળનો હરનાર
ગણેશ કાર્તિકેય પુત્ર સહ માત પાર્વતી શોભે તમ દરબાર
ત્રિશૂળધારી ત્રિલોચન મૃત્યુંજય મહાદેવ તું દાતાર
નમીએ તુજને ,તુ જ કૃપાથી પામીએ કૈલાશ દ્વાર
રમેશ પટેલ(આકાશદીપ)
11.
જય | March 17, 2009 at 4:56 pm
બહુ સુંદર વર્ણન. .ભગવાન શિવ અને કૈલાસ માનસરોવર ના દર્શન કરવાનો અનેરોઅ આનંદ તમારા આ લેખ વડે માણી લીધો. જય
12.
manvant patel | May 29, 2009 at 5:13 pm
ATI SUNDAR ! SAABHAAR ABHINANDAN BAHENAA !
13.
Junagadh | June 19, 2009 at 11:26 pm
Will surely share with mine cousine brother and his family,who will visit this place after 2 month.
Great work done.
— Pallavi Desai
14.
Health Tips | June 19, 2009 at 11:28 pm
I read whole day by day journey description.But I mostly liked 28th day.
Really great adventure!!!
15.
kirti | August 10, 2009 at 10:16 pm
good
16.
vaishvikmodhpariwar | August 28, 2009 at 1:45 pm
May i take the story in my book publish every month? Its guided article.
Regards
Ajit Desai
Jamnagar
9824294175
17.
Paresh Pathak | September 1, 2009 at 2:03 am
Heavenly Pictorial Yatra /View/Darshan of Lord Shiva’s Residence
Marvelous Drafting/Classification/Presentation. After going through
These Articles I also wants to Visit/Yatra of Kailas-Mansarovar !!!
Many many thanks for such an Articles.
Regards
18.
BABUBHAI TRIVEDI | September 12, 2009 at 3:06 pm
SARVOTTAM- / SAY FANTASTIC
19.
BABUBHAI TRIVEDI | September 12, 2009 at 3:07 pm
fantastic
20.
shirish dave | September 16, 2009 at 3:59 pm
Wonderful pilgrimage
Attach some Shiva-stuti-s
21.
ashwin borad | October 22, 2009 at 7:45 pm
om namah shivay….
thank you
a good work,photograpy..
this can only happen due to grace of lord shiva..
wish you best of luck for your next journy……
ashin borad,junagadh,gujarat
22.
sanjay arvilndlal modi | November 20, 2009 at 10:17 pm
ghanu sundar lakhan hatu ane bahu saras rite tame amne man sarovar ane kailash nu varnan karyu.