આજે મહા સુદ ત્રીજ
આજનો સુવિચાર:- પરમપિતાને આપણે જોયા નથી. હા ! પ્રત્યક્ષ પિતામાં પરમપિતાનો સાક્ષાત્કાર અવશ્ય થઈ શકે છે.
હેલ્થ ટીપ :- શિયાળામાં બદામપાક, ખજૂરપાક, ગુંદરપાક, કૌચાપાક વગેરે બળવર્ધક છે.
ભારતનાં રત્નો
આપણા ભારતમાં ઘણી મહાન વ્યક્તિઓ થઈ ગઈ છે કે જેમને જીવનમાં ઘણી ઠેસ પહોંચી હોય અને જીવનમાં મોટું પરિવર્તન આવી જતાં મહાન વ્યક્તિ બની ગઈ. જેવાં કે ……..
ધ્રુવ :
એક સુકોમળ રાજકુમાર, જેની અપરમાએ પિતાના ખોલામાં બેસવા ના દીધો અને કટુ વચનો કહ્યાં, જેથી જંગલમાં તપ કરવા ગયા ને અવિચળ પદ પ્રાપ્ત કર્યું. ધ્રુવના તારાનું સ્થાન પ્રાપ્ત કર્યું.
પ્રહલાદ :
રાક્ષસપુત્ર પણ વિષ્ણુભક્ત. પિતાને ન ગમતું. અનેક રીતેપરીક્ષા કરી. પરિણામે નૃસિંહનો અવતાર થયો અને પિતાનું મૃત્યુ થયું. વિષ્ણુભક્તિનો ફેલાવો થયો.
તુલસીદાસ :
પત્ની પ્રત્યે અપાર પ્રેમ. વિયોગ સહન ન થયો ત્યારે પત્નીએ મ્હેણું માર્યું ને રામભક્ત બન્યા.અને ‘રામાયણ’ જેવી મહાન કૃતિ સંસારને મળી.
મીરા :
રાજરાણી મીરાની કૃષ્ણભક્તિનો વિરોધ રાણાએ કર્યો. અનેક રીતે હેરાન કર્યાં અને મીરાનું મન સંસારમાંથી ઊઠી ગયું ને કૃષ્ણભક્તિમાં લીન થઈ ગયાં. આમ સંસારને ‘કૃષ્ણભક્તિ’નાં પદ મળ્યાં.
સૂરદાસ :
ચિંતામણિ નામક ગણિકાના પ્રેમમાં ડૂબેલા, પરંતુ ગણિકાએ રૂપાળા શરીર પાછળ હાડપિંજર જ છે કહી ઉપદેશ આપ્યો. સૂરદાસજીએ પોતાની આંખો ફોડી નાખી અને કૃષ્ણભક્ત બની સુંદર પદ આપ્યા.
કબીર :
હિન્દુ કે મુસ્લિમ જાતિની ખબર ન હતી એવા અનાથ હતા. વણકરે ઉછેરી મોટા કર્યાં. તરછોડાતાં પ્રભુભક્ત બની ગયા અને દુનિયાને સુંદર ભજનો આપ્યાં. નરસિંહ મહેતા :
ભાભીએ મ્હેણું માર્યુ ને ઘરનો ત્યાગ કરી જંગલમાં ગયા. શિવજીને પ્રસન્ન કરી રાસલીલા જોઈ કૃષ્ણદર્શન પામ્યા અને નરસૈયો હરિભક્ત બની ગયો.. સંસાર નરસૈયાના પદો પામ્યા.
અખો :
જાતે સોની. બહેનને સોનાની સેર માટે અવિશ્વાસ આવ્યો અને અખાનું સંસારમાથી મન ઊઠી ગયું. સમાજને સમાજનાં દૂષણો સમજાવતાં કાવ્યો આપ્યા.
ભર્તુહરિ :
રાજાની રાણી પિંગળાએ પ્રેમનો વિશ્વાસભંગ કરતાં રાજાનું મન સંસારત્યાગી બન્યું અને ભેખ લીધો.
વાલ્મીકિ :
વાલિયો લૂંટારો હતો. પોતાની લૂંટના પાપમાં કોઈ ભાગીદાર થવા તૈયાર ન થવાથી લોકો પ્રત્યેનો વિશ્વાસ ઊઠી ગયો. તપ કરી વાલિયામાંથી વાલ્મિકી બન્યા.
જ્ઞાનદેવ :
બાળવયમાં પિતા પ્રત્યેનું સમાજનું અસ્પૃશ્ય વર્તન જોયું અને સહન ના થયું. જ્ઞાન મેળવ્યું અને ‘જ્ઞાનેશ્વરી ગીતા’ના રચયિતા બન્યાં.
નચિકેત :
લોભી પિતા પોતાના સુખ માટે નચિકેતને વેંચવા તૈયાર થયા. બાળક નચિકેત યમરાજ પાસે પહોંચીને મૃત્યુ વિષે જ્ઞાન મેળવ્યું.
એકલવ્ય :
ગુરુ દ્રોણે શુદ્ર કહીને બાણવિદ્યા શીખવવા મનાઈ કરી, પણ ગુપ્ત રીતે વિદ્યા શીખી ને કુશળ બાણાવળી બન્યો. ગુરુદક્ષિણામાં અંગૂઠો આપી મહાન બની ગયો.
બુદ્ધ :
રાજકુમાર સિદ્ધાર્થે સંસારમાં વૃદ્ધાવસ્થા, મરણ, રોગ, ગરીબી વગેરે દુઃખ જોયાં. પરિણામે વૈરાગ્ય આવ્યો. મહાભિનિષ્ક્રમણ કર્યું ને સિદ્ધાર્થમાંથી ‘બુદ્ધ’ બન્યા ને સંસારને બૌદ્ધ ધર્મ આપ્યો.
– સંકલિત
ૐ નમઃ શિવાય