હેંગિંગ ગાર્ડન – મુંબઈની સાત અજાયબીમાં એક

 હેંગિંગ ગાર્ડન             

 

                               મુંબઈની સાત અજાયબીમાં એક એટલે હેંગિગ ગાર્ડન

 

Hangig Garden

 

ફિરોજશાહ મહેતા ગાર્ડન એટલે હેંગિગ ગાર્ડન. મૉલ અને મલ્ટિપ્લેક્ષમાં મ્હાલનારી યુવાપેઢીને કદાચ આ નામ વિષે કદાચ માહિતી ન પણ હોય પણ મુંબઈની પ્રજા માટે આ એક પ્રિય સ્થળ છે. મુંબઈનાં જોવાલાયક સ્થળોની યાદીમાં આ ગાર્ડન અગ્રતાનું સ્થાન ધરાવે છે.

ઈ.સ.૧૮૮૧માં ત્રણ વિશાળ જળાશયોની ઉપર તેમનું રક્ષણ કરવાના આશયે આ બગીચો-ગાર્ડન બનાવવામાં આવ્યો હતો. આ જળાશયોમાં દસલક્ષ લિટર પાણીનો સંગ્રહ થતો અને એ સમયે આટલું પાણી મુંબઈની જરૂરિયાતનો મોટો હિસ્સો હતો. હેંગિંગ ગાર્ડન આ નામ ગ્રીક શહેર બેબીલોનમાંના બગીચાનું છે. દુનિયાની પ્રાચીન સાત અજાયબીમાં આ બગીચાનો સમાવેશ થતો હતો.

ઈ.સ. પૂર્વે ૬૦૦માં બેબીલોનના રાજા નેબુચાડનેઝર બીજાએ પોતાની પત્ની એમિટિસને ખુશ કરવા આ બગીચો બનાવડાવ્યો હતો. પર્શિયાની આ લાડલી પોતાના દેશની સુંદર વનરાજી અને સુગંધીદાર પુષ્પોની ખોટ અનુભવતી હતી માટે આ બગીચો બનાવડાવવામાં આવ્યો હતો. ઈ.સ. પૂર્વે બીજી સદીમાં વારંવાર ભૂકંપમાં આ બગીચાને નુકશાન થયું હતું આનો ઉલ્લેખ ગ્રીકના ઈતિહાસમાં કરવામાં આવ્યો છે. મુંબઈના મલબાર હિલ પર કમલા નહેરુ પાર્કની સામે આવેલા ફિરોજશાહ મહેતા ગાર્ડનને હેંગિંગ ગાર્ડન એવું નામ મળ્યું તેનું કારણ કદાચ એ હોઈ શકે કે આ બગીચો મલબાર હિલના ઢોળાવ પર છે. ઈ.સ. ૧૯૨૧માં હેંગિંગ ગાર્ડનમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા હતા.

ફિરોજશાહ મહેતાનું નામ મુંબઈના રાજકારણમાં અગ્રસ્થાને હતું. મુંબઈ નગરપાલિકાના પુનરુત્થાન માટે તેમની વિસ્તૃત અરજીને કાયદાનુ રૂપ આપવામાં આવ્યું હતું. મુંબઈના આવા અગ્રણીનું નામ આ હેંગિંગ ગાર્ડનને આપવામાં આવ્યું.

હેંગિગ ગાર્ડનની અનેક ખૂબીઓમાં એક એ છે કે નાના ઝાડવાની વાડમાંથી બનાવેલી પ્રાણી તથા માનવાકૃતિઓ. બગીચામાં ફૂલોનું એક મોટુંમસ ઘડિયાળ અને બીજું સૂર્યઘડિયાળ પણ છે જે સૂર્યપ્રકાશ મુજબ સમય દેખાડે છે. મલબાર હિલના દક્ષિણ છેડે આવેલા અરબી સમુદ્રનો સુંદર નજારો પણ આ બગીચા પરથી જોવા મળે છે. સવાર અને સાંજ અહીં લોકો જોગિંગ તેમજ વૉકિંગ કરતા જોવા મળે છે. સિનિયર સિટીઝનોનું મિટિંગ સ્થળ ગણાય છે. યોગના તેમજ લાફિંગ ક્લાસિસ પણ જોવા મળે છે. લોકો અહીં પોતાના મિત્રો સાથે પોતાના સુખ દુઃખની વાતો કરતા પણ જોવા મળશે. બપોરના સમયે તો બાળકો શાળામાંથી પિકનિક મ્હાલતા જોવા મળે છે. બહારગામથી આવતા આગંતુકો પણ અહીંની સુંદરતા મ્હાલતા જોવા મળશે. બગીચાની બહાર ફૂટપાથ પર ફેરિયાઓ પણ પોતાની કમાણી કરી લેતા દેખાશે. મુખ્ય દરવાજામાં પ્રવેશ કરતા પહેલા મલબાર હિલની પોસ્ટ ઑફિસ છે. જમણી બાજુથી નીચે ઉતરવાના રસ્તાની જમણી બાજુએ મુંબઈનું પ્રખ્યાત બાબુલનાથનાં મંદિરે જવાનો રસ્તો છે.

જેણે હેંગિંગ ગાર્ડન નથી જોયું તેને મુંબઈને મ્હાલ્યું નથી.

 

— સંકલિત

 

                                                                                      ૐ નમઃ શિવાય

9 comments on “હેંગિંગ ગાર્ડન – મુંબઈની સાત અજાયબીમાં એક

  1. મુંબઈનું મારું માનીતું અને મજાનું સ્થળ. હું સૌપ્રથમ વખત મુંબઈ આવ્યો હતો (૧૯૭૫માં) ત્યારથી મારું ગમતું સ્થળ છે. લેખમાં બૂટ હાઉસનો ઉલ્લેખ કેમ ભૂલી ગયા એ નવાઈ લાગે છે!
    The Boot House, Hanging Gardens, Malabar Hill, Mumbai, Maharashtra - India.

    Like

  2. ખૂબજ સુંદર માહિતી, હેંગિંગ ગાર્ડન ની મુલાકત તો લીધી હતી, પરંતુ ઈતિહાસ આજે જાણ્યો. અને એ પણ હકીકત છે કે હેંગિંગ ગાર્ડન જેવું જ અદભુત બુટ હાઉસ પણ છે.

    ધન્યવાદ !

    Like

  3. વિષ્ણુપુરાણ ના પહેલા અંશમાં વિશ્વકર્માને દેવતાઓના શિલ્પકાર માનવામાં આવે છે તથા શિલ્પાવતારના રૂપમાં યોગ્ય સન્માન આપવામાં આવ્યું છે. આવી માન્યતા અનેક પુરાણોમાં પણ જૉવામાં આવે છે. જયારે શિલ્પગ્રંથો માં તેમને સૃષ્ટિકર્તા માનવામાં આવ્યા છે. સ્કંદપુરાણ માં તેમને દેવભવનોના નિર્માતા કહ્યા છે. વિશ્વકર્મા શિલ્પકળામાં એટલા નિપુણ હતા કે, તેઓ જળ ઉપર માર્ગનું નિર્માણ કરી શકે છે. સૂર્યની માનવજીવનને નુકસાન કરતી જવાળાઓનો સંહાર પણ વિશ્વકર્માએ કર્યો હતો. રાજવલ્લભના વાસ્તુશાસ્ત્રમાં આ વાતનો ઉલ્લેખ જૉવા મળે છે. આ ઉલ્લેખ અન્ય ગ્રંથોમાં પણ જોવા મળે છે. વિશ્વકર્મા કંબાસૂત્ર , જલપાત્ર, પુસ્તક અને જ્ઞાનસૂત્ર ધારણ કરે છે. હંસ ઉપર બિરાજમાન, સર્વસૃષ્ટિના ધરતા, શુભ મુકુટ તથા વૃદ્ધકાય જૉવામાં આવે છે.

    Like

Leave a comment