મુંબઈનાં હેરીટેજ – ૧
માણેકજી અગિયારી
પારસીબાનુ માણેકજી શેઠ અગિયારી નજીક
માણેકજી અગિયારી -પારસી પ્રજાના ભૂતકાળની સાક્ષી
એકલા ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાંથી પારસી પ્રજા પાંખી થતી જાય છે. ઈ.સ. ૧૮૧૩માં એકલા ફોર્ટ વિસ્તારમાં ૧૦,૮૦૧ની વસ્તિમાં ૫,૩૬૪ જેટલા પારસી હતા. મુંબઈનું પ્રથમ ચર્ચ, પ્રથમ દેરાસર અને પ્રથમ અગિયારી પણ ફોર્ટ વિસ્તારમાં જ બન્યા હતા.
મુંબઈની સૌથી બીજા નંબરની જૂની હયાત પારસી અગિયારી એટલે પેરિન નરિમાન સ્ટ્રીટ પરની માણેકજી નવરોજી શેઠ શેનાઈ અગિયારી. આ અગિયારી ૧૭૩૦માં બનાવવામાં આવી હતી. એ સમય પારસીઓનો વિકાસ કાળ હતો. ૧૯૬૩માં પ્રકાશિત થયેલા ‘હાઈલાઈટ્સ ઑફ પારસી હિસ્ટ્રી’માં પી.પી.બલસારાએ નોંધ્યું છે કે મુંબઈમાં પારસીઓ ૧૫૩૮થી વસેલા હતા. ૧૬૬૫માં પારસી સદગૃહસ્થ ખુરશેદજી પોચાજી પાંડેએ પૉર્ટુગીઝોને ‘બોમ બાહિયા’ના અર્થાત સારું બંદરના રક્ષણ માટે કિલ્લો ચણવા જરૂરી સામાન અને માણસો પૂરા પાડ્યા હતા. જોકે આ કિલ્લો પાછળથી કૅસલ એન્ડ ધ ફૉર્ટ ડિસ્ટ્રિક્ટ ઑફ બૉમ્બે તરીકે પ્રખ્યાત થયો.
૧૭૦૯માં બનાજી લીમજીએ ફૉર્ટે વિસ્તાર્માં અગિયારી બંધાવી હતી જે હજી પણ અડિખમ ઊભી છે. ત્યારબાદ ૧૭૩૩માં માણેકજી નવરોજી શેઠે અગિયારી બંધાવી હતી. માણેકજી નવરોજી સુરતથી મંબઈ આવ્યા બાદ જમીનનો એક મોટો ટુકડો ખરીદ્યો. જેની ઉપર તેમણે પ્રથમ અગિયારી બાંધવાનું કાર્ય કર્યું અને વધેલા ટુકડા પર પારસી કૉલોની બંધાવી.
પારસી માન્યતા મુજબ અગિયારીનું મુખ્ય કાર્ય પવિત્ર અગ્નિને રાખવાનું છે નહીં કે ઈમારતની મહિમા વધારવા ઈમારતની શોભા વધારવાની.
આ કારણોસર પારસીઓની અગિયારીઓ બહારથી ક્યારેય ભવ્ય જોવા નહી મળે. બિનપારસીઓને અગિયારીમાં પ્રવેશ ન હોવાને કારણે અગિયારી અંદરથી કેવી હોય છે તેનું વર્ણન અશક્ય છે. પરંતુ ઉપલબ્ધ માહિતી મુજબ જ્યાં પવિત્ર અગ્નિ મુકાયો હોય છે એ જગ્યા ‘આતશગાહ’ કહેવાય છે. અગિયારીમાં મહદઅંશે કુદરતી જળનો સ્તોત્ર હોય છે.
પેરિન નરિમાન સ્ટ્રીટ ખાતેની આ અગિયારીને જોતાં એ સમજાય છે કે પારસીની જાહોજલાલીની ચરમસીમાના કાળમાં બંધાઈ હશે. આ અગિયારીના નામમાં આવતો શેનશાઈ શબ્દ, પારસીઓ દ્વારા વપરાતા કેલેન્ડરનું નામ છે. અગામી ૧૯મી જૂને આ અગિયારીને ૨૮૦ વર્ષ પૂરાં થશે.
ૐ નમઃ શિવાય