આજે શ્રાવણ વદ તેરસ [શિવરાત્રી]
આજનો સુવિચાર:- સેવાનો આધાર પૈસો નથી, પરંતુ હૃદય અને ઈચ્છા છે.
– સ્વામી શિવાનંદજી
કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર
કાશી વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ મંદિરને ગોલ્ડન ટૅમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
કાશી વિશ્વનાથ એ દ્વાદશ જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિંગ છે. કાશી અથવા વારાણસી અથવા બનારસ એ દેવોના દેવ મહાદેવનું નિવાસસ્થાન ગણાય છે. ગંગાના પશ્ચિમકાંઠે વસેલી કાશી નગરી સૌથી પુરાણી નગરી મનાય છે. કાશીને હિન્દુ ધર્મગ્રંથોમાં સાત મોક્ષદાયી પુરીઓમાંની એક તરીકે પણ ઓળખવામાં આવે છે.
કાશીમાં ભારતના સૌથી અધિક શિવાલયોની સંખ્યા હશે એવું મનાય છે. કાશીને રુદ્રમય પણ માનવામાં આવે છે. ધર્મગ્રંથો અનુસાર શિવજીના ત્રિશૂળ પર વસેલું કાશી, વારાણસી, બનારસ, અવિમુક્ત, આનંદવન, મહાસ્મશાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થળે શિવજી સ્વયં મરણોન્મુખ જીવને તારકમંત્ર સંભળાવે છે, એટલે જીવને બ્રહ્મજ્ઞાન મળે છે. આ માન્યતાને કારણે અહીં મૃત્યુનો મહિમા છે.
પૌરાણિક કથા અનુસાર હિમાલયના કૈલાસમાં વસવાટ કરતા શિવજીનાં ધ્યાન કે સમાધિમાં કોઈ વિઘ્ન આવે તે માટે માતા પાર્વતીજીએ શિવજીને બીજું સ્થાન શોધવાની પ્રાર્થના કરી અને શિવજીએ રાજા દિવોદાસની કાશીનગરી પસંદ કરી. જ્યારે નિકુંભ નામના શિવગણે આ નગરી માનવરહિત બનાવી ત્યારે રાજા દિવોદાસને ખુબ દુઃખ થયું. આથી તેમણે ઘોર તપ કરી બ્રહ્મદેવને પ્રસન્ન કરી પોતાનું દુઃખ દૂર કરવાની પ્રાર્થના કરી. આથી બ્રહ્માજીની સમજાવટ થી શિવજી મંદરાચલ ચાલ્યા ગયા. પરંતુ શિવજીનો વારાણસી પ્રત્યેનો સ્નેહ જોઈ ભગવાન વિષ્ણુએ રાજા દિવોદાસને જ્ઞાનોપદેશ આપતાં દિવોદાસ તપોવન જવા રાજી થઈ ગયા અને ત્યારબાદ વારાણસી શિવજીનું કાયમી નિવાસસ્થાન બની ગયું. શિવજીએ આ નગરની સ્થાપના ત્રિશૂળ પર કરી છે. 51 શક્તિપીઠમાંની એક શક્તિપીઠ મણિકર્ણિકા ઘાટે આવેલી છે.
અંદાજે 40 ચોરસફૂટ જેટલા વિસ્તારમાં પથરાયેલા મંદિરમાં બે ગર્ભગૃહ અને ત્યારબાદ બે સભામંડપ છે. બે ગર્ભગૃહ પર ચતુષ્કોણી શિખર છે અને સભામંડપ પર ઘુમ્મટ આકાર શિખર છે. આ ઘુમ્મટ અને ડાબા ગર્ભગૃહ શિખર પર રણજિત સિંહે આપેલું સુવર્ણપાત્ર જોઈ શકાય છે. ડાબી તરફના ગર્ભગૃહમાં કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ આવેલું છે. આ જ્યોતિર્લિંગ ગર્ભગૃહની વચમાં નથી, પરંતુ એક ખૂણામાં છે. તેની શાળુંકાનો ભાગ ચાંદીથી મઢેલો છે. મુખ્ય શિવલિંગ મધ્યમ કદનું છે.
અહીં ગંગાજીસ્નાનના મહિમા ઉપરાંત ચાર સ્થળોના દર્શનનો મહિમા છે. પ્રથમ તો કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગનું મંદિર, સંકટમોચન હનુમાનજીનું મંદિર, મા અન્નપૂર્ણા મંદિર અને કાળબૈરવનું મંદિર.
અહીં દર ત્રીજા વર્ષે પંચકોશી યાત્રા થાય છે. ગંગાજીના કિનારે શ્રેણી ઘાટ આવેલા છે. કાશીમાં જ લગભગ 57 થી 64 જેટલા ઘાટ છે. એમાંના મુખ્ય કાશી ઘાત , મણિકર્ણિકા ઘાટ, દશાશ્વમેઘ ઘાટ મુખ્ય છે. અન્ય ઘાટમા વરુણાસંગમ ઘાટ, પંચગંગા ઘાટ, અસ્સી સંગમ ઘાટ, જલાશાયી ઘાટ, શિવાલા ઘાટ, કેદાર ઘાટનો સમાવેશ થાય છે. કેદાર ગાટ પર આવેલા પુરાણા કેદારેશ્વર મંદિરની બાજુમાં આવેલા ગૌરીકુંડને ઘણો પવિત્ર માનવામાં આવે છે.
— સંકલિત
ૐ નમઃ શિવાય