આસો સુદ બીજ
આજનો સુવિચાર:- થોડો વખત ખામોશ રહેશો તો મૌનની ટેવ પડશે. શબ્દોનાં મૌન સાથે વિચારોનાં મૌનનો અભ્યાસ થશે તો મનની શાંતી મળશે.
હેલ્થ ટીપ્સ:- ચણાના લોટમાં ચંદન, હળદર,ગુલાબજળ, તથા મધ ભેળવીમુલાયમ પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ત્વચા નિખરી ઊઠશે.
મા દુર્ગાનાં નવ સ્વરૂપ
[rockyou id=87217971&w=426&h=320]
મહાદેવનાં ત્રણ સ્વરૂપ છે જેવા કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેવી જ રીતે મહાદેવીનાં ત્રણ સ્વરૂપો છે. સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગા.
સરસ્વતીમાતા બુદ્ધિ અને વિવેકનાં દેવી છે. લક્ષ્મીમાતા ધન અને ઐશ્વર્યનાં દેવી છે. મહિષાસુરનો સંહાર કરવા માટે બ્રહ્મા, વિષ્ણુ, મહેશે શક્તિ સ્વરૂપે મા દુર્ગાનું સર્જન કર્યું.
નવરાત્રિના પર્વમાં મા દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે. પુરાણકાળથી ‘નવ’નો આંકડો અતિશુભ માનવામાં આવ્યો છે. આદ્યશક્તિનાં પણ ‘નવ’ સ્વરૂપ મનાયા છે. નવશક્તિ, નવદુર્ગા, નવરાત્રિ, નવપ્રભા જેવા શબ્દો મા દુર્ગાની યાદ અપાવે છે. મા દુર્ગાનાં ‘નવ’ સ્વરૂપો છે. શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી.
‘શૈલપુત્રી’ દુર્ગામાનું પહેલું સ્વરૂપ છે. નવરાત્રિના પ્રથમ દિવસે દુર્ગામા શૈલપુત્રી તરીકે પુજાય છે. તેમણે પર્વતરાજ હિમાલયના ઘરે જન્મ લીધો હતો તેથી તેઓ ‘શૈલપુત્રી’ તરીકે ઓળખાયા. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબાહાથમાં કમળનું ફૂલ શોભે છે. તેમનું વાહન ‘બળદ’ છે.
નવરાત્રિનાં બીજા દિવસે ‘બ્રહ્મચારિણીમા’નું પુજન થાય છે.તેમનું સ્વરૂપ અત્યંત સુંદર છે પરંતુ અત્યં કઠોર તપશ્ચર્યાને કારણે તેમનું નામ બ્રહ્મચારિણી નામ પડ્યું. તેમનાં જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ શોભે છે.
‘ચંદ્રઘંટા’ દુર્ગામાનું ત્રીજુ સ્વરૂપ છે. તેમના મસ્તક પર ઘંટ આકારનો અર્ધચંદ્ર હોવાને કારણે તેમનું નામ ‘ચંદ્રઘંટા’ નામ પડ્યું. નવરાત્રિનાં ત્રીજા દિવસના પૂજનનું મહત્વ વધારે છે. તેમના શરીરનો રંગ સોનાજેવો છે. અને તેમના દસ હાથમાં શસ્ત્રો છે અને તેમનું વાહન વાઘ છે.
‘કુષ્માંડા’ માતાજીનું ચોથુ સ્વરૂપ છે. જેમની પૂજા નવરાત્રિના ચોથે દિવસે કરવામાં આવે છે. મંદ હાસ્ય દ્વારા સમસ્ત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેઓ ‘કુષ્માંડા’ તરીકે ઓળખાયા. તેમના સાત હાથમાં કમંડળ, કમળનું ફૂલ, કળશ તથા શસ્ત્રો ધારણ છે તેમજ આટઃઅમા હાથમાં જાપમાળા છે. તેમનું વાહન વાઘ છે.
‘સ્કંદમાતા’ દુર્ગામાતાનું પાંચમું સ્વરૂપ છે. તેમની પૂજા નવરાત્રિનાં પાંચમા દિવસે થાય છે. તેમનાં ખોળામાં ભગવાન ‘સ્કંદ’ એટલે ‘કાર્તિકેય’ છે. એમના બે હાથમાં કમળનાં ફૂલ છે અને એક હાથ આશીર્વાદની મુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે.
નવરાત્રિનાં છઠ્ઠા દિવસે જેમનું પૂજન થાય છે તે ‘કાત્યાયની’ મા તરીકે ઓળખાય છે. તેમનું વાહન સિંહ છે.
રંગે અત્યંત કાળા, વિખરાયેલા વાળ, ગળામાં વિદ્યુત સરીખી માળા એ દુર્ગામાનું સાતમું સ્વરૂપ છે જે ‘કાલરાત્રી’ તરીકે ઓળખાય છે. તેમનું વાહન ગદર્ભ છે. અત્યંત ભયાનક સ્વરૂપે માતાજી પ્રગટ થાય છે.
મા દુર્ગાની આઠમી શક્તિ રૂપે ‘મહાગૌરી’ પ્રગટ થયા. અત્યંત ગૌર વર્ણીય ‘મહાગૌરી’નું વાહન વૃષભ એટલે બળદ છે.
‘સિદ્ધિદાત્રી’ માનું નવમું સ્વરૂપ છે. તેમનું પૂજન નવરાત્રિના નવમે દિવસે થાય છે. તેઓ કમળનાં ફૂલ પર બિરાજમાન છે.
નવદુર્ગાને નમન હો
ૐ નમઃ શિવાય