આજે શ્રાવણ સુદ એકમ
આજનો સુવિચાર:- ચારિત્ર્ય એટલે ઈચ્છાઓનો વિકાસ પામેલો સમૂહ — ટાગોર
શ્રાવણ મહિનો ચાલુ થાય એટલે શિવજીમાં મન ધ્યાનસ્થ થઈ જાય છે. શિવજીનું ધ્યાન આવતાં જ બાર જ્યોતિર્લિંગનું સ્મરણ થાય છે. જ્યોતિર્લિંગના સ્મરણ માત્રથી પાપમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. બાર જ્યોતિર્લિંગમાંથી ત્રણ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં આવેલા છે. મુંબઈ અને તેની આસપાસનાં પરાંમાં કેટલાક એવાં શિવમંદિરો છે જેનો રામાયણ અને મહાભારત કાળ સાથે નાતો છે. આવું આગવું સ્થાન ધરાવતા શિવમંદિરોનો ઉલ્લેખ શ્રાવણ માસની શરૂઆતમાં કરીએ.
અંબરનાથ-જેને વિષે અગાઉ પણ મેં લખેલું છે.
અંબરેશ્વર શિવમંદિર તરીકે ઓળખાતું આ મંદિર શિલેહારા વંશના રાજા ચિત્તારાજાએ બંધવ્યું હતું. ઈ.સ. 982 કે 1060મા6 આ મંદિર બંધાવ્યા હોવાના પુરાવા મળ્યા છે. હેમાદપંથી શૈલીનું આ મંદિર કાળા પથ્થરમાંથી કોતરવામાં આવ્યું ચ્હે.
વાલકેશ્વર મંદિર:-
જ્યોતિર્લિંગ રામેશ્વરની જેમ મુંબઈના વાલકેશ્વર મંદિરનો સંબંધ ભગવાન રામજી સાથે છે. સીતાજીની શોધમાં નીકળેલા રામ અને લક્ષમણ આ સ્થળે રોકાયા હતા અને રામે રેતીનું શિવલિંગ બનાવી એની પૂજા કરી હતી. વાલકેશ્વર એટલે વાળુ[રેતી]માંથી બનેલા ઈશ્વરએવો થાય છે. શિલહારા વંશના રાજાઓના દરબારમાંના ગૌડ સારસ્વત બ્રાહમણ જ્ઞાતિના દરબારી લક્ષમન પ્રભુએ ઈ.સ.1127માં મંદિર બંધાવ્યું હતું. ત્યારબાદ પોર્ટુગીઝોએ તોડી પાડ્યું હતું અને 1715માં રામ કામત નામના વેપારી અને દાનવીરે તેનો જીર્ણોદ્ધાર કરાવડાવ્યો હતો.
કોપિનેશ્વર મંદિર:-
થાણે રેલ્વે સ્ટેશન નજીક બાઝાર પેઠ વિસ્તારમાં આવેલા આ મંદિરમાંનું શિવલિંગ પાંચ ફૂટ ઊંચું છે અને તેનો ઘેરાવો પણ એટલો જ છે. શિલહારા વંશના એક રાજાએ ઈ.સ. 810 થી 1240 ના સમય દરમિયાન બંધાવ્યું હતું. 1760માં સર સુબેદાર રામાજી મહાદેવ બિવાલકરે આ મંદિરનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. અને ત્યારબાદ 1879માં સ્થાનિક હિંદુ પ્રજાએ આ મંદિરનો પુનરોદ્ધાર કરાવ્યો હતો.
ખિડકાલેશ્વર મંદિર:-
ડોમ્બીવલીની નજીક ખિડકાલી ગામ નજીકનું આ મંદિર પાંડવકાલીનનું હોવાનું મનાય છે. પાંડવો વનવાસ દરમિયાન આ સ્થળે રોકાયા હતાં. એ દરમિયાન યુધિષ્ઠિર શિવપૂજન માટે પ્રેરિત થઈ ધ્યાન મગ્ન થયાં ત્યારે શિવલિંગ અને તળાવ આપોઆપ પ્રગટ થયાં હતાં. સદીઓ પછી ગ્રામવાસીઓને આ તળાવ અને શિવલિંગની જાનકારી થઈ અને આ મંદિર બાંધવામાં આવ્યું.
એલિફંટા ગુફા:- અગાઉ એલિફંટા વિષે મેં લખેલું છે.
પાંચમી અને આઠમીસદીની વચ્ચે બનેલી આગુફાઓને કાળક્રમે ખૂબ નુકશાન પહોંચેલું પરંતુ ચારે તરફ દરવાજા ધરવતા ચોરસ ગર્ભગૃહમાંનુ શિવલિંગ યથાવત રહ્યું હતું.
કાશીવિશ્વેશ્વર મંદિર:-
1783માં દાદોબા જગન્નાથ મંત્રીએ પોતાની જ્ઞાતિ સોમવંશી પાઠાર ક્ષત્રિય માટે માટુંગામાંકાશીવિશ્વેશ્વર મંદિર બંધાવ્યું હતું. આજે પણ આ મંદિરનો પુરાણો દેખાવા યથાવત છે.
બાબુલનાથ મંદિર:- અગાઉ આ મંદિર વિષે મેં લખ્યું છે.
મુંબઈના શિવભક્તોનું અતિપ્રિય અને સૌથી જુનું આ બાબુલનાથનું મંદિર એક ગોવાળિયાની પ્રેરણાથી પાંડુરંગ શેઠના પ્રયાસથી બન્યું હતું. 1780માં નાના દેવાલય તરીકે સ્થપાયેલું આ મંદિર કાળક્રમે વિશાળ બન્યું છે. અહીં શિવલિંગ સ્વયંભૂ છે.
ધાકલેશ્વર મંદિર:-
મહાલક્ષ્મી મંદિરના પરિસરમાં આવેલું ધાકલેશ્વર મહાદેવનું મંદિર 1835માં દાદાજી ધાકજીએ બંધાવ્યું હતું. ઓરિસ્સાના કોણાર્ક અને મોઢેરાના સૂર્યમંદિર જેવી સૂર્યની મૂર્તિ આ મંદિરમાં છે. 2008માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો.
માનકેશ્વર મંદિર:-
ડોકયાર્ડ રોડ ખાતે આવેલા માનકેશ્વરમંદિરનું શિવલિંગ સ્વયંભૂ છે. આ મંદિર કેશવાજી ક્ષત્રિયે બંધાવ્યું હતું. સાવ જૂની શૈલીના આ મંદિરના ગર્ભગૃહમાં સ્ત્રીઓનો પ્રવેશ નિઃશેધ છે. મૂછાળા ભોલેબાબાની ખાસ મૂર્તિના દર્શન કરવા ભક્તો દૂરદૂરથી આવે છે.
તુંગારેશ્વર:-
વસઈમાંનું તુંગારેશ્વર મંદિર પ્રાચીન છે. એક દંતકથા મુજબ સંજીવની ધરાવતો પર્વત લઈને જતી વખતે હનુમાનજી દ્વારા થોડી સંજીવની અહીં પડી ગયેલી. ભક્તોના માનવા મુજબ વર્ષની અમુક ચોક્કસ રાત્રે આ ટેકરી પરના અમુક છોડવા પ્રકાશિત અવસ્થામાં જોવા મળે છે.
આ ઉપરાંત નળબજાર વિસ્તારનું ગોળ દેવળ, મુલુંડનું બાલરાજેશ્વર મંદિર, ભીડભંજન શિવમંદિર, જુહૂનું નિલકંઠેશ્વર મંદિર જેવા અન્ય કેટલાંક શિવમંદિરો છે જેનો ઈતિહાસ એક કે બે સદીઓ જૂનો છે.
— સંકલિત
ૐ નમઃ શિવાય