આજે કારતક સુદ એકાદશી [દેવ ઊઠી અગિયારસ]
આજનો સુવિચાર:- કામ કરે તેનાથી ભૂલ તો થાય, તેથી ભૂલથી ડરવું, કામથી નહીં.
શા માટે?
લાગે છે અવાચક થૈ ગૈ છે કલબલતી કાબર બહાર બધે,
ન્હૈ તો અહીં એકીસાથે આ શાયરના અવાજો શા માટે?
આકાશી વાદળને નામે આ વાત તમોને કહી દઉં છું
કાં વરસી લો, કાં વીખરાઓ, આ અમથાં ગાજો શા માટે?
મારો તો ઈરાદો છે ખાલી કવિતામાં કામણ પૂરવાનો,
ત્યાં રૂપની આડે ઘૂંઘટના બેઢંગ રિવાજો શા માટે?
આ જલતી શમાને ઠારો ના, આ પરવાનાને વારો ના,
એ પ્રેમની પાગલ દુનિયામાં વહેવારૂ ઈલાજો શા માટે?
દફનાઈ જવા દો ગૌરવથી એ જ્યાં જન્મે છે ત્યાં ને ત્યાં,
આંસુ ને જિજ્ઞાસાની કાંધે મહોબતનો જનાજો શા માટે?
આજ સૂરાલયના દસ્તુર હૈ બદલાયા છે શું સાકી,
પી-પી કહેનારા બોલે છે આ પાજો-પાજો શા માટે?
નમન નમનમાં હોય છે કાંઈ વધતો ઓછો ફેર નક્કી,
ન્હૈં તો આ નમેલી નજરે અમને આપ નવાજો શા માટે?
આ દિલને તમારે માટે તો બચપણથી અનામત રાખ્યું છે,
આ સહેજ ઉંમરમાં આવ્યા કે આ રોજનો તકાજો શા માટે?
આ વાત નથી છાની છપની, ચર્ચાય છે જાહેરમાં સઘળે,
શરમાળ કુસુમને કહી દો કે મધુકરનો મલાજો શા માટે?
— મધુકર રાંદેરિયા
ૐ નમઃ શિવાય