સિદ્ધિવિનાયક મંદિર [મુંબઈનું શ્રદ્ધાસ્થાન]

આજે ભાદરવા સુદ છઠ્ઠ

 

 સિદ્ધિવિનાયક મંદિર [મુંબઈનું શ્રદ્ધાનું એક સ્થાન]

 

૧૯મી નવેંબર ઈ.સ. ૧૮૦૧ના દિવસે સિદ્ધિવિનાયકના મંદિરની સ્થાપના આગરી સમાજના ધનાઢ્ય મહિલા દેવુબાઈ પાટિલની પ્રેરણા હેઠળ થઈ હતી. આજે આ દેવાલય કરોડો લોકો માટે અતૂટ અને નિરંતર શ્રદ્ધાનું સ્થાન બની ગયું છે. નિઃસંતાન દેવુબાઈને ઈશ્વરની પ્રાર્થના કરતા ગણેશજીના મંદિરની સ્થાપના કરવાની ઈચ્છા થઈ. ત્યારબાદ અહીંના ચતુર્ભૂજ વિધ્નહર્તાએ અવિરતપણે લોકોની મનોકામના પૂર્ણ કરવા માંડી. ‘નવસાલા પાવણારા ગણપતિ’ [માનતાઓ પૂરી કરનારા ગણપતિ] તરીકે આ વિઘ્નહર્તાનું નામ એટલી હદ સુધી સ્થપાઈ ગયું કે ૧૯૬૫ બાદ દર મંગળવારે સિદ્ધિવિનાયકના દર્શનાર્થે સર્પાકારમાં લાંબી કતારો લાગવા માંડી. ૧૯૭૫ બાદ ભવિકોના ધસારાથી મંદિર નાનું પડવા લાગ્યુ.

જમણી તરફની સૂંઢ આ ગણપતિની મૂર્તિ મૂળ કાળા પથ્થરમાંથી કંડારાયેલી હતી. આજે આ એકદંતની અઢી ફૂટ ઊંચી અને બે ફૂટ પહોળી મૂર્તિ સોનાના મંડપમાં બિરાજમાન છે. આ ચતુર્ભૂજ મૂર્તિના ઉપરના જમણા અને ડાબા હાથમાં અનુક્રમે કમળ તથા કુહાડી છે અને નીચેના જમણા અને ડાબા હાથમાં અનુક્રમે જપમાળા અને મોદક છે. યજ્ઞોપવિતની જગ્યાએ ડાબેથી જમણે નાગ છે. મૂર્તિના પાછળના ભાગમાં તેમની પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ જોવા મળે છે. રિદ્ધિ અને સિદ્ધિની હાજરીને કારણે આ મંદિરનું નામ સિદ્ધિવિનાયક અપાયુ છે. એક સમયે સિદ્ધિવિનાયકની મૂર્તિ પર સિંદુર અર્ચવામાં આવતુ પણ હવે તો એના પર કાયમી સિંદૂરીયો રંગ લગાડવામાં આવ્યો છે. ગણેશજીના શણગારમા સોના, ચાંદી, હીરા, માણેક વગેરેનો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે. તેમજ ગણેશજીના વિવિધ નામોના હીરાથી જડિત મુગટનો પણ તેમના શણગારમાં શોભે છે.

અહીં ગણેશજી તો પ્રધાન દેવતા તો છે પરંતુ અહીંના પરિસરમાંના હનુમાનજીના મંદિરનો મહિમા અનેરો છે. લોકવાયકા મુજબ એલ્ફિન્સ્ટન રોડ નજીકના સયાની રોડ પર રસ્તાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે કામ કરતા કર્મચારીઓને હનુમાનજીની એક પ્રતિમા મળી. એમણે આ મૂર્તિને એક બાજૂ પર મૂકી કામ ચાલુ રાખ્યું. આ વાતના સમાચાર સિદ્ધિવિનાયકના પૂજારી ગોવિંદ ફાટકને મળતા જ તેમણે એ મૂર્તિને મંદિરમાં તેડાવી લીધી અને એક નાનકડું મંદિર બંધાવી ત્યાં સ્થાપના કરાવી. આજે પણ આ દેરી જેવું મંદિર ગર્ભગૃહની સામેની તરફ છે.

મુંબઈનું આ મહત્વનું સ્થળ હોવાથી આતંકવાદીનો ભય સતત રેહેતો હોવાને કારણે થોડા સમય્ર પૂર્વે મંદિરને એક મજબૂત દિવાલથી રક્ષવામાં આવ્યું છે. ૧૯૯૪માં આ મંદિરને નવું રૂપ આપવામાં આવ્યું છે. નવતર ડિઝાઈન અને અનેરી સુવિધાઓ સાથે આ મંદિર અનોખું બની ગયું છે. ૧૫૦૦ કિલોનો કળશ ગર્ભગૃહની ટોચ પર શોભી રહ્યો છે. મંદિરના દરવાજા પર અષ્ટ ગણપતિ, અષ્ટ લક્ષ્મી અને દશાવતાર કંડારવામાં આવ્યા છે.

મંગળવાર ગણપતિનો દિવસ હોવાથી સોમવારની રાતથી લોકો પગપાળા ચાલીને અહીં વહેલી સવારે પહોંચવાનો પ્રયત્ન કરે છે. મંગળવાર, સંકષ્ટી તેમજ અંગારકીને દિવસે સવારે સવાત્રણ વાગ્યાથી દર્શન ખૂલી જાય છે જે સામાન્ય દિવસોમાં સવારે સાડાપાંચ વાગે ખૂલી રાત્રે ૯.૫૦ વાગે સેજની આરતી પૂરી થયે દર્શન બંધ થાય છે. જોકે મુંબઈ આખું ભાદરવા મહિનામાં ગણેશમય બની જાય છે પરંતુ સિદ્ધિવિનાયક મંદિરમાં મહા મહિનાના માઘી ગણેશોત્સવનો મહિમા અનેરો છે. સાવ નાની દેરીમાંથી આજે એક વિશાળ મંદિર બન્યું એ જ મુંબઈગરાની ગણપતિ પ્રત્યેની અનોખી શ્રધા દર્શાવે છે.

                                                                                                                                                                         –સંકલિત

                       

                                                                                  ૐ નમઃ શિવાય

4 comments on “સિદ્ધિવિનાયક મંદિર [મુંબઈનું શ્રદ્ધાસ્થાન]

  1. બહુજ સરસ જાણવા લાયક માહિતી પુરી પાડી છે અને અતિ સુંદર લેખ.
    મંગળવારે ભક્તો બાપ્પાના દર્શન માટે અને મનોકામના પુરી થાય તે માટે અહિંયા કલાકો લાઈનમાં ઉભા રહીને પ્રતિક્ષા કરે છે.

    Like

Leave a comment