ફળોનો રાજા કેરી

                              આજે વૈશાખ સુદ પાંચમ

આજનો સુવિચાર:- ખોટી હામાં હા કરતાં સ્પષ્ટ ના તમારા માટે વધુ હિતકારી સાબિત થશે.

 

હેલ્થ ટીપ:- ગરમ દૂધ અને ચા પીધા પછી પાણી પીવું યોગ્ય નથી.

 

 ફળોનો રાજા કેરી

 

      ભલે એને આમ કહેવાય છે પણ તેમાં કાંઈક ખાસ વાત છે. એ અમૃતફળ છે. પાકી કે કાચી કેરી બધ્ધી જ અવસ્થામાં આરોગ્યવર્ધક છે. ફળ તો ફળ ગોટલી પણ આરોગ્યવર્ધક છે. આંબાનાં પાંદડાનો ઉપયોગ પણ આપણે પૂજામાં કરીએ છીએ.

    સ્કૂલનાં દિવસો યાદ કરતાં કહું તો સ્કૂલના દરવાજાની બહાર કાચી કેરી કાપીને બેઠેલા ફેરિયા પાસેથી મીઠું મરચું ભભરાવીને તેની જ્યાફત ઉડાડવાની મઝા તો અનેરી જ હતી. કાચી કેરીનાં અથાણાં બને છે. તેમાંથી ચટણી બને, પનો બને જેના સેવનથી ગરમી લૂ લાગતી નથી.

     કેરીમાં કેલેરી અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ હોવાથી વજન વધવાનો ભય ખરો પણ જેને વજન વધારવું હોય તે પાકી કેરીનું સેવન કરે. કેરીમાં આયર્નનું પ્રમાણ વધારે હોવાથી એનેમિક વ્યક્તિ કેરીનું સેવન જરૂરથી કરે. કહેવાય છે કે તેને વિટામિન ઈનું પ્રમાણ હોવાથી હૉર્મન સીસ્ટમને અસરકારક બનાવે છે. બેક્ટેરિયલ ઈંફેક્શન, કબજિયાત, ડાયરિયા, આંખોની સમસ્યા, વાળ ખરવા, હૃદય રોગનો હુમલો, લીવરની સમસ્યા, મેંસ્ચુઅલ ડિસઑર્ડર, મૉર્નિંગ સિકનેસ, પાઈલ્સ, અળાઈ વગેરેમાં પાકી કેરી રાહત આપે છે.

       કેરીનાં ગોટલાનાં ગર્ભ કાઢીને એટલે કે ગોટલી કાઢીને તેની ચીરીઓ કરી તેમાં મીઠું અને લીંબુનો રસ લગાડી સૂકવી તેને મુખવાસ તરીકે ઊપયોગ કરવામાં આવે છે. આ ગોટલી તુરી હોય છે. ઊલટી અને અતિસાર મટાડે છે. હૃદયમાં થતી બળતરા દૂર કરે છે. આ ગોટલીનાં પાઉડરમાં આમળાનો ભૂક્કો, કાંટાળા માયુનો ભૂક્કો તથા વાટેલા લવિંગ નાખવાથી ઉત્તમ પ્રકારનું દંતમંજન થશે. કાચી કેરીને સૂકવીને આંબોળિયા અને સૂકવેલાં આંબોળિયામાંથી આમચૂર પાઉડર બનાવવામાં આવે છે જેનો ઊપયોગ ખટાશ માટે થાય છે.

      ફાયદા તો જોયા પણ જો વધુ પડતી કેરી ખવાય તો કેરીની ગરમી મોંઢા ઉપર ફૂટે છે. કેરીના રસમાં જો મીઠું અને સૂંઠ પાઉડર ઉમેરીને ખાવામાં આવે તો તે પાચ્ય બની જાય છે. કેરીના રસના સૂકવેલા પાપડ તરસ- ઉલટી મટાડનાર, વાતહરનાર, પિત્તહર, રોચક અને હલકાં છે.
    પાકી કેરી ચૂસીને ખાવાની મઝા તો કાંઈ ઓર છે બાળપણ યાદ આવી જાય. કેરીને ચૂસીને ખાવામાં પણ ફાયદો જ છે. કેરી ચૂસીને ખાવાથી તે રૂચિકર લાગે જ છે અને સાથે સાથે તે બળવર્ધક છે અને વીર્ય વધારનાર છે.
    ગરમીની શરુઆતમાં કાચી કેરી ઉપલબ્ધ હોય છે. ત્યારબાદ આફૂસ, પાયરી, કેસર કેરી આવવા માંડે છે અને સીઝન પૂરી થતા તો તોતાપુરી, લંગડો, દશેરી, બાટલી કેરીઓ મળવા માંડે છે. આમ ચોમાસા સુધી કેરી મળતી રેહે છે અને એનો આનંદ ઉઠાવવો જોઈએ અને વર્ષભર સ્વસ્થતા મળી રહે છે.

 

                                                   ૐ નમઃ શિવાય

1 comment May 9, 2008

રવીન્દ્રનાથ ઠાકુર, સ્વામી ચિન્મયાનંદજી

                            આજે વૈશાખ સુદ ત્રીજ

આજનો સુવિચાર:- આનંદ આપણા ઘરમાં જ હોય છે, તેને અન્યના બગીચામાં અર્થ નથી.

 

હેલ્થ ટીપ:- સૂવાની ભાજી હરસથી પીડાતી વ્યક્તિ તથા અતિસારથી પીડાતી વ્યક્તિ માટે અસરકારક છે.

        આજે કવિવર રવીન્દ્રનાથ ટાગોરનો જન્મદિન છે. 8/5/1861ના દિવસે બંગાળના નાના ગામમાં આપણા રાષ્ટ્રગીતનાં રચૈતા અને પ્રખર રાષ્ટ્રપ્રેમી લોકોત્તર ગાયક કવિ રવીન્દ્રનાથ ઠાકુરનો જન્મ થયો હતો. પિતા ગામના જાગીરદાર હોવાથી રવીન્દ્રનાથનું શિક્ષણ, જીવન અને જગતનાં સર્વ વિષયનુ જ્ઞાન ઘરે બેઠા શિક્ષક દ્વારા પ્રાપ્ત થયું હતું. પ્રકૃતિ અને કવિતા નાનપણથી મળ્યાં હતાં. જીવનનું સર્વાંગી શિક્ષણ આપે તેવી ‘શાંતિ નિકેતન’ નામની સંસ્થાની સ્થાપના કરી. તેમના કાવ્યનું સંગીત રવીન્દ્ર સંગીત તરીકે ઓળખાય છે. તેમના અપૂર્વ કાવ્યસંગ્રહ ‘ગીતાંજલી’ દ્વારા તેમને 1913માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. તેમણે હજાર જેટલાં ગીતો, કાવ્યો તથા અનેક વાર્તાઓ, નવલકથા, નાટકો, નિબંધો પ્રવાસવૃતાંતો, પત્રો લખ્યાં છે.

     સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજી અને રવીન્દ્રનાથ દેશની પ્રજા સાથે રહેલા. જલિયાવાલાં હત્યાકાંડ વખતે તેમણે બ્રિટીશ ઈનકલાબો પાછા વાળેલા. 7/8/1941માં તેમનું અવસાન થયું હતું.

અજિત શેઠ અને નિરૂપમા શેઠ રવીન્દ્રસંગીતના પસિદ્ધ ગાયકો છે. રવીન્દ્રનાથ ટાગોરનું પ્રસિદ્ધ ગીત

‘તારી હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે’

——————————————————————————–

                             

          સ્વામી ચિન્મયાનંદજી

 

                 કેરાળાના એર્નાકુલમનગરમાં 8 મે 1916ના રોજ પથમપલ્લી કુટુંબમા જન્મેલા બાલકૃષ્ણ મેનન એટલે સ્વામી ચિન્મયાનંદજીએ લખનૌ યુનિવર્સિટીમા સ્નાતકની ઉપાધી મેળવીને પત્રકારત્વનું ક્ષેત્ર પસંદ કર્યું હતું પરંતુ સ્વામી શિવાનંદજી નાં સાનિધ્યમાં આવ્યા બાદ તેમના જીવનની રાહ બદલાઈ ગઈ હતી. તેમણે આધ્યાત્મિક જિંદગી સ્વીકારી હતી. તેમણે 40 વર્ષ સુધી પરિભ્રમણ કરીને વિશ્વભરમાં અસંખ્ય સ્થળોએ શાળાઓ, હૉસ્પિટલો, આશ્રમો, આધ્યાત્મિક કેન્દ્રો ખોલ્યા હતા. 1993માં કૅલિફોર્નિયાના સાન ડિયાગોમાં તેમણે મહાસમાધિ લીધી.

 

                                            ૐ નમઃ શિવાય

4 comments May 7, 2008

અક્ષયતૃતીયા

આજે વૈશાખ સુદ બીજ [અખા ત્રીજ, અક્ષય તૃતીયા]

આજનો સુવિચાર:- અક્ષય એટલે જેનો નાશ નથી થતો તે. ભગવાનનું એક નામ અક્ષય છે.

 

હેલ્થ ટીપ:- ગરમીમાં ઘરનું સારી રીતે રાંધેલું ભોજન લો.

 

                     આજે અક્ષય તૃતીય એટલે અખાત્રીજ

    અક્ષયનો અર્થ જેનો ક્યારેય ક્ષય થતો નથી. કહેવાય છે કે પાંડવોના વનવાસ દરમિયાન સૂર્યનારાયણે તેમને અક્ષયપાત્ર આપ્યું હતું. આ પાત્ર તેમની પાસે બાર વર્ષ સુધી રહ્યું હતું . આ અક્ષયપાત્ર એટલે તેમાંથી ભોજન ક્યારેય ખૂટે નહીં જેમાંથી પાંડવોએ દુર્વાસાને જમાડ્યા હતા.

    પૌરાણિક કથા મુજબ બધી તિથિઓ પ્રભુ પાસે પહોંચી ગઈ અને પોતાનું મહત્વ બતાવવા લાગી. પૂર્ણિમા, ચૌદસ તેરસ, અગિયારસ વગેરે પોતાનું મહત્વ જણાવ્યું. પૂર્ણિમાએ શરદ પૂનમ્નું મહત્વ જણાવતાં કહ્યું હું મોટી. ચૌદસે અનંત ચૌદસનું મહત્વ બતાવતાં જણાવ્યું કે હું મોટી. દશમ વિજયા દશમીનું મહત્વ જણાવતાં કહ્યું હું મોટી. આમ બધી તિથિઓ પોતાનું મહત્વ જણાવતી ગઈ. પરંતુ ત્રીજ [તૃતીયા] એક બાજુએ ઊભી ઊભી રડતી હતી. પ્રભુએ તેને બોલાવી પૂછ્યું શા માટે રડે છે ? ત્યારે તેણે જણાવ્યું કે મારું તો કાંઈ મહત્વ જ નથી. ત્યારે ભગવાને તેને આશીર્વાદ આપતાં જણાવ્યું કે રડીશ નહી વૈશાખ સુદ ત્રીજ તુ અક્ષયત્રીજ તરીકે ઓળખાશે અને એ દિવસે લોકો જે કાંઈ કામ શરૂ કરશે કે શુભકાર્ય કરશે તે કોઈ દિવસ ખૂટશે નહીં કે ખરાબ નહીં થાય.

     આમ એ દિવસથી અક્ષયતૃતીયાનું મહત્વ વધી ગયું. તેમજ આ દિવસ શુભકાર્ય માટે ઉત્તમ ગણાય છે. આ દિવસે કોઈપણ કાર્ય માટે મુહુર્ત જોવું નથી પડતું. આ દિવસે સૌથી વધારે લગ્ન થતાં હોય છે. તેમજ સોનાની ખરીદી માટે ઉત્તમ દિવસ કહેવાય છે.

    આજે વિષ્ણુ ભગવાનનાં છઠ્ઠા અવતાર ગણાતા પરશુરામનો જન્મદિવસ ગણાય છે. એમનો જન્મ ત્રેતા યુગમાં જમદગ્નિ ઋષિ અને રેણુકાને ત્યાં થયો હતો.. તેઓ હંમેશા પોતાની પાસે ફરસી એટલે પરશુ રાખતા તેથી તેઓ પરશુરામ તરીકે ઓળખાતા. કહેવાય છે કે તેમણે કેરાલા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના કોંકણથી મલબાર વચ્ચેના ક્ષેત્રમાં સમુદ્રને આગળ અટકાવ્યો હતો. આથી આ વિસ્તારને પરશુરામક્ષેત્ર કહેવાય છે.

 

                               ૐ નમઃ શિવાય

3 comments May 7, 2008

કીચન ટીપ્સ

                           આજે વૈશાખ સુદ એકમ

 

આજનો સુવિચાર:- દિમાગના વિચાર કરતાં દિલનો વિચાર વધુ પવિત્ર અને શક્તિશાળી હોય છે.

 

હેલ્થ ટીપ્સ:- વરિયાળીના શરબતના સેવનથી પેશાબના અટકાવમાં રાહત રહેશે.

 

                                 કીચન ટીપ્સ

• રોટલીનો લોટ બાંધતી વખતે લોટમાં એક ચમચો મલાઈ ભેળવવાથી લોટ કુણો બંધાશે અને રોટલી પાતળી વણાશે તેમજ સુકાશે નહીં.

• ઈડલી ઢોસાનો ઘોળ પાતળો થઈ ગયો હોય તો તેમાં જોઈતા પ્રમાણમાં રવો ભેળવવાથી મિશ્રણ ઘટ્ટ થઈ જશે.

• મીઠાની બરણીમાં ભેજ લાગતો હોય તો તેમાં થોડાક ચોખા રાખી મૂકવાથી મીઠામાં ભેજ નહી લાગે.

• પાંદડાયુક્ત ભાજીમાં રાંધતી વખતે તેમાં ચપટી ખાવાના સોડા અને મીઠું નાખવાથી ભાજી જલ્દી ચઢી જશે અને ભાજી લીલીછમ રહેશે.

• આમલેટના મિશ્રણમાં બે ચમચા દૂધ ભેળવવાથી આમલેટ મુલાયમ અને સ્વાદિષ્ટ બનશે.

• કાબુલી ચણા બાફતી વખતે એક ચમચી સાકર ઉમેરવાથી ચણા જલ્દી બફાઈ જશે.

• અડદની દાળનાં દહીંવડા બનાવતી વખતે તેની પેસ્ટમાં થોડોક મેંદો ઉમેરવાથી દહીંવડા સફેદ અને મુલાયમ થશે.

• ગુવારના શાકમાં અજમાનો વઘાર કરવાથી પેટમાં ગેસ પણ નહી થાય અને શાક વધુ સ્વાદિષ્ટ લાગશે.

• ફરસી પૂરી બનાવતી વખતે મેંદાના લોટમાં મીઠા અને જીરા અને મરીનાં ભૂકાને ઉકાળેલા થોડાંક પાણીમાં ભેળવી તેજ પાણીથી લોટ બાંધવાથી મરી અને જીરૂ ચોંટેલા રહેશે.

• દાળ – ચોખા રાંધતી વખતે તેમાં ઉભરો આવે તો તેમાં થોડું ઘી અથવા તેલ નાખવાથી ઊભરો બેસી જશે.

• તાજા બ્રેડને ભીની છરીથી કાપવાથી બ્રેડ આસાનીથી કપાઈ જશે.

• રીંગણામાં ચાર કાપા કરી તેને તળવાથી રીંગણામાં મસાલો તરત ભરાશે અને ભરેલા રીંગણાનું શાક જલદી તૈયાર થઈ જશે.

• ભરેલા પરવળ બનાવવા પરવળમાં કાપા કરી તેને પાણીમાં કાચા પાકા બાફી તેમાં મસાલો જલ્દી ભરાશે અને પર્વળ તૂટશે નહીં.

• ઘી બળી જાય તો તેમાં કાચું બટાટું નાખી હલાવવાથી ઘી સાફ થશે.

• વાસી ભાતને તાજા બનાવવા વાસી ભાતને કેસરોલમાં પહેલા નીચે પાથરવા અને તેની ઉપર તાજા ભાત મૂકવાથી વાસી ભાત તાજા બની જશે.

• અથાણાંને કાચની બરણીમાં ભરવાથી બગડતાં નથી.

• સરગવાની શીંગને પ્લાસ્ટિક બેગમાં મૂકી ફ્રિજમાં મૂકવાથી લાંબા સમય સુધી તાજી રહે છે.

 

                                             ૐ નમઃ શિવાય

1 comment May 6, 2008

અખંડ ખાંસીનું ખંડ કાવ્ય

                         આજે ચૈત્ર વદ ચૌદસ

આજનો સુવિચાર:- જેનામાં નમ્રતા નથી આવતી તેઓ વિદ્યાનો સદુપયોગ નથી કરી શકતા, નમ્રતાનો અર્થ અહમભાવનો અત્યંત ક્ષય. – ગાંધીજી

હેલ્થ ટીપ્સ:- લાલ રંગ ભૂખ વધારનારો છે તો તેનો ઉપયોગ ડાઈનિંગ ટેબલ અને રસોડામાં વપરાય તો લાભદાયક છે.

 

    આજનાં એટલે તા. 4/5/2008 ના જન્મભૂમિ પ્રવાસીના તીરકીટધા વિભાગના લેખક શ્રી સ્નેહલ મઝુમદાર લીખિત એક અનોખુ હાસ્યકાવ્ય આવેલું છે. જેની રજુઆત અહીં કરું છું.

 

અખંડ ખાંસીનું ખંડકાવ્ય

શાર્દૂલવિક્રીડિત

ખાતો’તો કુલ્ફી અને શરબતી પીણાં અને ફાલુદા
માંહી નાખત ટુકડાં બરફના કૉફી તણાં ગ્લાસમાં
એસી ચાલત, કાળઝાળ ગરમી, પંખો ફરે જોરમાં
ઠંડુગાર ગમે મને, ન પરવા, ના છોડવી’તી મજા

 

વસંતતિલકા

આજે અચાનક મને શરદી થઈ છે
કંઠે ભર્યો કફ અને મુજ સાદ બેઠો
ખાધી નિમેષનયને ભરપૂર છીંકો
ખાંસી વધી ગઈ રહ્યો પટકી હું માથું

 

શિખરિણી

ભમે છે માથું ને સકળ તાવે ધગધગે
દુઃખે વાંસો આખો શિથિલ પગલાં શા ડગમગ
નથી સૂતો રાત્રે સજળ નયને નાક ગળતું
રહું બેચેનથી નહિ ગમતું કો કામ કરવું

 

શાર્દૂલવિક્રીડિત

ખોં ખોં ખોં કરતા નિશા ગુજરતી, ના કાંઈ સૂઝે મને
વીતી કેમ કરી ન જાણું રજની, ચાંદો ભલે ચોકમાં
ડાબેથી જમણે ફર્યાં મેં પડખાં, થાકી ગયો હાંફતા
થાઓ ના મુજ શત્રુને ય શરદી, ત્રાસી ગયો બલમા

 

મંદાક્રાંતા

સૂણો સૂણો ઉધરસ અને છીંકની શી દવાછે?
ઠંડા પીણાં બરફ કુલ્ફી માણવાની સજા છે
ધ્રૂજે આખુ6 તનબદન જે કંપતું થૈ બુખારી
લેવી ગોળી, કફસીરપ કે ઔષધો સોય ભોંકી ?

 

વસંતતિલકા

બેઠેલ કંઠે કરતો નવલાં લવારા
છીંકો અને ઉધરસો નિત સાથ વહાલાં
છોડે કદી ન મુજ સંગ બની પરાયા
જીયો ભયો તમ સખી, ધન ભાગ્યા મારાં

 

                                                 ૐ નમઃ શિવાય

10 comments May 4, 2008

શ્રી વલ્લભાચાર્ય

           આજે ચૈત્ર વદ બારસ [અગિયારસનો ક્ષય]

આજનો સુવિચાર:- સફળતા એવી સીડી છે જેના પર ખીસ્સામાં હાથ રાખીને ન ચઢી શકો.

 

હેલ્થ ટીપ્સ:- સંતરાનો જ્યુસ પીવાથી શરીરની પૉટાશની ખામી દૂર થશે અને ચહેરાની કરચલીઓ દૂર કરવામાં મદદ કરશે.

                        આજે વલ્લભાચાર્યનો 531મો પ્રાગટ્ય દિવસ છે.

 

       લક્ષમણ ભટ્ટજીની પત્ની ઈલ્લમાગારૂજીએ પોતાના અધૂરા માસે જ્ન્મેલાબાળકને મૃત સમજીને એ બાળકને વૃક્ષની બખોલમાં પોતાની  સાડીમાં વીંટાળીને મૂકી દીધુ અને ઉપર સૂકાપાંદડાં ઢાંકી દીધા.ચૌડા ગામમાં રાત્રીનાં મુકામ વખતે ઊંઘમાં પ્રભુની આજ્ઞાથી તેઓ જ્યાં બાળકને મૂક્યું હતું ત્યાં પાછા ફ્રર્યાં. પ્રભુનાં આ પ્રાગટ્ય દિવસ એટલે ચૈત્ર વદ એકાદશી.  સાલ 1535ની હતી. રવિવારના દિવસે મધ્યાંતરે થયું હતુ. આ બાળક એટલે પુષિમાર્ગના પ્રણેતા વલ્લભાચાર્ય અથવા શ્રી મહાપ્રભુજી. કાશીમાં’શુદ્ધાદ્વૈત’નો સિદ્ધાંત રજુ કરી તે સમયનાં શંકરાચાર્યને પરાજિત કર્યાં ત્યારથી તેમને ‘મહાપ્રભુજી’ની પદવી એનાયત થઈ.

   અગ્યાર વર્ષની વયે  આપશ્રીએ પ્રથમ પરિક્રમાની શરૂઆત કાશીથી કરી. આપશ્રીએ ત્રણ વખત ચાલીને દેશભરમાં ભ્રમણ કરીને પુષ્ટિમાર્ગીય ધર્મનો પ્રચાર કર્યો. યાત્રા દરમિયાન જ્યાં જ્યાં આપે ત્રણ દિવસથી વધારે દિવસનો મુકામ કરીને શ્રી ભાગવતનું પારાયણ કર્યું તેને શ્રી મહાપ્રભુજીની ‘બેઠકજી’ કહેવામાં આવે છે. આવી બેઠકો આપણા દેશમાં 84 છે. તેમાં ઘણી અપ્રગટ છે. એમાં મુખ્ય ચંપારણ્યની ગણાય છે.

 

આપે અષ્ટાક્ષરી મંત્ર એટલે કે શ્રી કૃષ્ણ શરણં મમ આપ્યો.

 

શ્રી…… ના ઉચ્ચારથી સૌભાગ્ય્ની પ્રાપ્તિ થાય છે.
કૃ……….ના ઉચ્ચારથી સર્વ અપરાધનો [પાપનો] નાશ થાય છે.
ષ્ણ……..ના ઉચ્ચારથી ત્રિવિધ તાપનો નાશ થાય છે.
શ………ના ઉચ્ચારથી જન્મનું દહન થાય છે- જન્મને બાળી નાખે છે.
ર……….ના ઉચ્ચારથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.
ણં………ના ઉચ્ચારથી પ્રભુમાં હંમેશા દૃઢ ભક્તિ થાય છે.
મ………ના ઉચ્ચારથી શ્રી કૃષ્ણ રત્નનો ઉપદેશ કરનાર ગુરૂદેવમાં પ્રેમ થાય છે.
મ……….ના ઉચ્ચારથી પ્રભુની સાથે મળી જવાથી અન્ય યોનિમાં જવાનું બંધ થાય છે. અર્થાત જન્મ-મરણ છૂટે છે.

 

વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા
દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા

 

                                       જૈ જૈ શ્રી ગોકુલેશ

5 comments May 1, 2008

ચૈતર વૈશાખના વાયરા

                   આજે ચૈત્ર વદ દસમ

આજનો સુવિચાર:- પરિશ્રમ એ મનુષ્યનું આભુષણ છે.

 

હેલ્થ ટીપ્સ:- સવારનાંસૂરજનો કૂમળો તડકો નિયમિત લેવાથી સફેદ કોઢનાં ડાઘ ઝાંખા પડી જશે.

 

આજે ગુજરાત રાજ્ય સ્થાપન દિન, મહારાષ્ટ્ર દિન અને મે દિન અથવા મજૂર દિન

     ઈ.સ. 19960માં “ મહાદ્વિભાષી રાજ્ય”-બૃહત મુંબઈ રાજ્યનું વિભાજન થયું. મહા ગુજરાત આંદોલન સફળ રહ્યું. ગુજરાત અને મહારાષ્ટ્ર નામના બે અલગ અને એકભાષી-ગુજરાતી અને મરાઠીભાષી રાજ્યની રચના થઈ. ગુજરાતના પ્રસિદ્ધ મૂકસેવક રવિશંકર મહારાજના આશીર્વાદ-હસ્તે રાજ્યનું આજે 1-5-1960ના દિવસે ઉદઘાટન થયું હતું. બે વર્ષ પછી એટલે કે ઈ.સ. 2010માં ગુજરાત રાજ્ય સ્થાપનના 50 વર્ષ પૂરા થશે. જય જય ગરવી ગુજરાત.

 

આજે મે ડે એટલે કે મજૂર દિન તરીકે પણ ઉજવાય છે.

     આજથી બસો વર્ષ પહેલાં યુરોપનાં દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી. માલિક અને મજૂર બે વર્ગ પડી ગયા. મજૂરોને યોગ્ય વળતર માટે શિકાગોમાં 1-5-1887ના દિવસે વિશાળ મજૂર આંદોલન થયું. સેંકડો મજૂરો શહિદ થયા. એમની યાદમાં આજે મજૂર દિન અથવા મે ડે મનાવવામાં આવે છે.

આજથી મે મહિનો ચાલુ થાય છે. આ મે મહિનો સમગ્ર ભારત માટે વરસાદી મોસમ લાવે છે.

 

આ ગરમીની લહેરીમાં ઠંડકનો અનુભવ કરાવતું કવિશ્રી વેણીભાઈ પુરોહિતનું આ કાવ્ય યાદ આવ્યા વગર ન રહે.

 

સાખી

ગરમ હવાની લહેરખીયે,નીજ કોમળ તન કરમાશે
અગન પીછોડી ઓઢી ધરતી, તુજ ચરણે ચંપાશે
સખી થંભી જા વાટે લગાર, સખીરી

તારો છેડલો તું માથે તું માથે રાખને જરા
આતો ચૈતર વૈશાખનાં વાયરા
તારી વેણીની મ્હેક જાશે ઉડી
આતો ચૈતર વૈશાખનાં વાયરા

અંગારા વેરતો તડકાનો તોર કાંઈ
અંગારા ઝીલતો આંખ્યુંનો તોર કાંઈ
તારી આંખ્યું અધોકડી તું રાખને જરા
આતો ચૈતર વૈશાખનાં વાયરા

ઊનાયે વાયરા ને પાલવડે
પુરનાં ઓછરતાં ઓરતા ઉના
તારા હૈયા પર હાથ તો રાખને જરા
આતો ચૈતર વૈશાખનાં વાયરા

ગાયક: શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય

 

                              ૐ નમઃ શિવાય

2 comments May 1, 2008

આપણે દીવો શા માટે પ્રગટાવીએ છીએ?

                    આજે ચૈત્ર વદ નોમ

આજનો સુવિચાર:- પ્રશંસાના ભૂખ્યા એ સાબિત કરી દે છે કે તેમનામાં લાયકાતનો અભાવ છે.

 

હેલ્થ ટીપ્સ:- અપૂરતી ઊંઘ ચીડિયા સ્વભાવનું એક કારણ છે.

 

                  આપણે દીવો શા માટે પ્રગટાવીએ છીએ?

   આપણા દેશભરમાં દરેક ઘરે ભગવાનની સમક્ષ દીવો કરવામાં આવે છે. કેટલાંક ઘરમાં સવારે દીવો પ્ર્ગટાવવામાં આવે છે જ્યારે કેટલાંક ઘરમાં સવાર અને સાંજ દીવો પ્રગટાવવામાં આવે છે. કોઈક ઘરમાં તો અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે. રોજિંદી પૂજા, ધાર્મિક પ્રસંગો, ઉત્સવો અને ઉદઘાટન જેવા અનેક સામાજિક પ્રસંગોના શુભારંભ દીપક પ્રાગટ્યથી કરવામાં આવે છે.

    પ્રકાશ જ્ઞાનનું પ્રતીક છે અને અંધકાર અજ્ઞાનનું. ઈશ્વર જ્ઞાનનાં પુંજ છે, તે ચૈતન્યસ્વરૂપ છે. તે જ સર્વ પ્રકારના જ્ઞાનનું ઉદભવસ્થાન, જ્ઞાનને પ્રગટ કરનાર અને જ્ઞાનનાં સાક્ષી છે. તેથી ઈશ્વર રૂપે પ્રકાશની-દીપકની આરાધના કરવામાં આવે છે.

    પ્રકાશ અંધકારનો નાશ કરે છે તેવી જ રીતે જ્ઞાન અજ્ઞાનનો નાશ કરે છે. વળી, જ્ઞાન એવી આંતરસંપત્તિ છે કે જેના થકી સર્વ પ્રકારની બાહ્ય સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. માટે, સર્વ સંપત્તિઓમાં મહાસંપત્તિરૂપે જ્ઞાનને આપણે વંદન કરીએ છીએ. તેથી જ શુભપ્રસંગોમાં આપણા સર્વ વિચાચારો અને કર્મોના સાક્ષીરૂપે દીપકને આપણે જલતો રાખીએ છીએ.

   આપણા દેશમાં ઘીના અથવા તેલના દીવાનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે. દીવામાંનું ઘી આપણી વાસનાઓનું નકારાત્મક વૃત્તિઓનું પ્રતીક છે અને વાટ અહંનું. આધ્યાત્મિક જ્ઞાન વડે વાસનાઓનો ધીમે ધીમે ક્ષય થાય છે અને અહં પણ એજ રીતે નાશ પામે છે. દીપકની જ્યોત સદાય ઊર્ધ્વગામી હોય છે. એ જ રીતે, આપણે પણ ઉચ્ચતર આદર્શો પ્રતિ ગતિ થાય એવું જ્ઞાન સંપાદન કરવું જોઈએ.

        જેમ એક વિદ્વાન માણસ પોતાનું જ્ઞાન અનેકને આપી શકે છે એ જ રીતે એક દીપક સેંકડો દીપક પ્રગટાવી શકાય છે. અનેક દીવા પ્રગટાવવાથી મૂળ દીવાનો પ્રકાશ કાંઈ ઝંખવાતો નથી. તેવી જ રીતે જ્ઞાનનું વિતરણ જ્ઞાનને વધુ તર્કશુદ્ધ બનાવે છે અને જ્ઞાનમાં આપણી નિષ્ઠા વધારે પાકી બને છે.

દીપજ્યોતિ: પરબ્રહ્મ દીપ: સર્વતમોપહ:
દીપેન સાધ્યતે સર્વ સંધ્યાદીપો નમોસ્તુતે

અર્થાત

   હું સંધ્યા કાળે દીપકને વંદન કરું છું. તેનો પ્રકાશ પરમ ચૈતન્યસ્વરૂપ પરમાત્મા છે. તેના થકી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે અને તેના થકી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે.

મનોહર દીપજ્યોતિ સિવાય અન્ય કઈ વસ્તુ ઘરને શોભાવશે?
ગહન જ્ઞાનપ્રકાશ સિવાય અન્ય કઈ વસ્તુ મનને આભૂષિત કરશે?
– સ્વામી ચિન્મયાનંદજી

આમ દીવો કરવાની પરંપરામાં બૌદ્ધિક અને આધ્યાત્મિક અર્થનો ભંડાર ભરેલો છે. ભારતીય સંસ્કૃતિખરખર ઉમદા પરંપરાઓથી સમૃદ્ધ છે.

 

                                             ૐ નમઃ શિવાય

2 comments April 29, 2008

શ્રી રાધાવતાર - એક પુસ્તક પરિચય

આજે ચૈત્ર વદ સાતમ [કાલાષ્ટમી]

 

આજનો સુવિચાર:- ભગવાન ભાર વિનાનો હોવો જોઈએ. — મોરારીબાપુ

હેલ્થ ટીપ્સ:- ચૈત્ર મહિનામાં લીમડાનું ખૂબ મહત્વ જણાવવામાં આવ્યું છે. ચામડીના રોગમાં લીમડો ઉત્તમ ગણાય છે.

શ્રી રાધાવતાર –એક પુસ્તક પરિચય

દ્વાપરમાં શ્રી કૃષ્ણનો એક નથી અવતાર,
શ્રીરાધાવતારનો સમકાલીન આધાર;
વ્યાસ પ્રણીત ભાગવતમહીં ‘રાધા’ સાક્ષાત્કાર,
શુકદેવનાં આરાધ્ય તો રાધાજી સરકાર !

 

શ્રી રાધા – રુકમણી મિલન

 

         આખરે ઉષાનો રક્તવર્ણી ઉજાશ ધીરે ધીરે પીતરંગી બનીને, શાંતિના શ્વેત વર્ણમાં પલટાઈ ગયો. ત્યારે ભગવાન સૂર્યનારાયણે દ્વારિકાના પૂર્વાકાશે ડોકિયું કર્યું. છેલ્લા નવદસ દિવસથી દ્વારિકામાં પધારેલાં સાધુસંતો અને વિદ્વજ્જનો હવે પોતપોતાના સ્થાને પરત જવા માટે ‘સંતશિબિરમાંથી વિદાય થઈ ગયા. આમંત્રિત ઋષિમુનિગણે વિચાર કર્યો કે આટલે સુધી આવ્યા છીએ તો ચાલો, દ્વારિકા પાસેના પુરાણપ્રસિદ્ધિ પિંડારક તીર્થક્ષેત્રની મુલાકાત લઈ, ત્યાનાં સમુદ્રમાં સમૂહમાં સમૂહસ્નાન કરીને પછી છૂટા પડીએ ! સૌએ પિંડારક તીર્થક્ષેત્ર ભણી પ્રયાણ કર્યું.

    બનવાકાળે એવું બન્યું કે, જેમના વર્તનથી શ્રીકૃષ્ણ સદૈવ ચિંતિત રહેતા હતા તેવા કેટલાક યાદવ નબીરાઓ આ વખતે એ બાજુ સહેલગાહે નીકળ્યા હતા અને મદિરા પીને મદોન્મત્ત બની સ્વછંદ વિહાર કરી રહ્યા હતા. એમની નજર આ ઋષિવૃંદ પર પડી અને તેમને એમની મશ્કરી કરવાની કુબુદ્ધિ સૂઝી. રાણી જાંબવતીના પુત્ર સાંબને સ્ત્રીનો વેશ પહેરાવી, એના પેટ પર છબડા ઘાટનું લોખંડનું તબાહરું બાંધી આ તોફાની યાદવો એને ઋષિગણ પાસે લઈ ગયા અને કૃત્રિમ નમ્રતા ધારણ કરીને પૂછ્યું :” મહારાજ! આ સ્ત્રી સગર્ભા છે. આપ તો ત્રિકાળજ્ઞાની છો, તો કૃપા કરીને એટલું કહો કે આ સ્ત્રીને પુત્ર પ્રસવશે કે પુત્રી ? એ પોતે આવું પુછતાં શરમાય છે તેથી એના વતી અમે આપને પૂછી રહ્યા છીએ….”

     આર્યાવર્તના શ્રેષ્ઠ ઋષિવૃંદની યાદવકુમારો દ્વારા આ રીતે થઈ રહેલી મશ્કરી એમાંના એક પ્રખર જ્ઞાની ઋષિથી સહન ન થઈ શકી અને કોપાયમાન થઈને તે ગર્જી ઊઠ્યા :” મૂર્ખના સરદારો ! બીજા કોઈની નહિ ને અમારી મશ્કરી ? ધિક્કાર છે તમને ! જાવ, આ સ્ત્રી તમારા આખા યાદવકુળનો નાશ કરનારા મૂશળને જન્મ આપશે………”

      મુનિનો શાપ સાંભળતાં પાંદડાની જેમ થરથર ધ્રુજતા યાદવકુમારો ત્યાંથી દોટ મૂકીને ભાગ્યા. થોડેક દૂર ગયા પછી તેમણે સાંબનો સ્ત્રીવેશ દૂર કર્યો અને પેલું તગારું છોડ્યું, તો અંદરથી સાચે જ એક મૂશળ નીકળ્યું ! ભય અને ચમત્કારથી હતપ્રભ થઈ ગયેલા તેઓ સૌ દોડતા રાજમહેલે આવ્યા અને સીધા ‘દેવકીભવન’ પર ગયા.

        હજી હમણાં જ સ્નાનપૂજાથી પરવારીને માતાપિતાને પ્રણામ કરવા દાઉ સાથે અત્રે આવીને બિરાજેલા વાસુદેવે પોતાના પુત્રો સહિત કેટલાક યાદવકુમારોને હાંફતા ને ધ્રૂજતા અંદર પ્રવેશતા જોઈ આંખો બંધ કરી દીધી. વસુદેવનું મોં પડી ગયું અને બલરામે એકદમ આગળ વધી સાંબનો હાથ પકડ્યો અને શું થયું પૂછવા માંડ્યું. સાંબે વીલે મોંએ જે બન્યું હતું તે બીતાંબીતાં કહી દીધું અને પેલું મૂશળ એમના ચરણમાં મૂકી દીધું. મૂશળ જોઈને એક વાસુદેવ સિવાય સૌ કોઈનાં મોં આશ્ચર્યથી પહોળાં થઈ ગયાં………

વધુ વાંચો ‘શ્રીરાધાવતાર’ ધાર્મિક-મૌલિક નવલકથામાં

 

:લેખક: પ્રિ. ભોગીભાઈ સી. શાહ:
એમ.એ.એમ.એડ. જ્ઞાનરત્ન.
નિવૃત આચાર્ય,
શેઠ ચી.ન.જી.ટી.સી.,
અમદાવાદ

                                                 ૐ નમઃ શિવાય

4 comments April 27, 2008

મસાલા તથા અનાજની સાચવણી

                                 આજે ચૈત્ર વદ ચતુર્થી

આજનો સુવિચાર:- જેવી રીતે ખેતરનું રક્ષણ કરવા માટે વાડ ઊભી કરવામાં આવે છે તે જ પ્રમાણે નિજભાવ માટે નિયમ રૂપી વાડ કરી લેવી જરૂરી છે. — પ્રણવાનંદજી

હેલ્થ ટીપ્સ:- વારંવાર જુલાબ લેવા કરતાએક ચમચી ઘીને એક ચમચી ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત દૂર થાય છે.

 

                         મસાલાની તેમ જ અનાજની સાચવણી

    કહેવાય છે કે જેને સુરતનું જમણ અને કાશીનું મરણ પ્રાપ્ત થાય તે નસીબદાર હોય છે. સુરતનાં જમણવારમાં તો એવું શું છે કે તે ખુબ વખણાય છે. એ છે એના મસાલા. ઉનાળાની ઋતુ આવે એટલે ગૃ હિણીઓ મસાલા, અનાજ વગેરે ભરવામાં ઓતપ્રોત થઈ જાય છે. એકબાજુ ઘઉં અને તુવેરદાળ ભરવાની ઋતુ આવી છે અને સાથે સાથે આખા વર્ષભરનાં મસાલા ભરવાની ઋતુ આવી છે. ઘણીવાર આ અનાજમાં અને મસાલામાં જીવડાં પડી જતાં હોવાથી ગૃહિણીઓની મુસીબત વધી જતી હોય છે.

                     તો આ મોંઘા મસાલાને બારેમાસ કેવી રીતે સાચવવા તે જોઈએ?

     મુંબઈ જેવું શહેર જે હંમેશા દોડતું જ હોય છે તેવા આ શહેરમાં સંયુક્ત કુટુંબની જગ્યાએ વિભક્ત કુટુંબ વધારે જોવા મળે છે એવા મુંબઈ શહેરમાં હાથનાં ખાંડેલા મસાલા જૂજ જોવા મળે છે. અહીં મશીનનાં દળેલાં અને પેક મસાલાનું ચલણ વધારે જોવા મળે છે. તો આ મસાલાને બાર મહિના કેવી રીતે સાચવવા તે જોઈએ.

     આ મસાલા પર સીધી ગરમી ન પડે તે ધ્યાન રાખવું. તેને ફ્રિજમાં રાખવા જરૂરી નથી કે કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની જરૂરી નથી. ફક્ત એટલું ધ્યાનમાં રહે કે મસાલાને હવા ન લાગે તેવી હવાચુસ્ત બરણીમાં ભરવા. કાચની બરણી હિતાવહ છે. કારણ પ્લાસ્ટિકની બરણીમાં તેની વાસ બેસી જવાનો ભય હોય છે.

     આપણે હળદરની વાત કરીએ તો હળદરને તાજી અને સૂકી રાખવા તેમાં હિંગનાં ગાંગડા મૂકી રાખવા.અને તેને બરણીમાં ભરતા એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે કોઈપણ મસાલા ભરતાં તેને ચમચાથી કે વાડકીથી દાબીને ભરવાં જેથી તેમાં હવા ન ભરાય કે જીવાત પડવાની શક્યતા ન રહે. આજ રીતે લાલ મરચામાં અને ધાણાજીરામાં હિંગનાં ગાંગડા મૂકી સાચવી શકાય છે. હિંગમાં મસાલા તાજા રાખવાનો તેમજ આ ઉપરાંત હિંગ પાચનક્રિયામાં મદદ કરે છે. ઘણી ગૃહિણીઓ આ હળદર, લાલ મરચા અને ધાણાજીરાને તેલમાં મોઈને સાચવે છે પણ આગળ જતાં તે કાળા પડી જાય છે જ્યારે હિંગનાં ગાંગડાથી મૂકવાથી આ મસાલાનો રંગ એવો તાજો જ રહે છે.

       જીરામાં જીવાત ન પડે તે માટે થોડું કે શેકી ઠંડુ પડે હવાચુસ્ત બરણીમાં પારાની ટિકડીઓ સાથે ભરો. મેથી, રાઈ અને અજમામાં પારાની ટિકડી મૂકો. આ પારાની ટિકડી બજારમાં ઝંડુ બ્રાંડની મળે છે. તેનો રંગ બદલાઈ જાય ત્યારે તે ટિકડીઓ બદલી નાખવી.

     આ ટિકડીઓ અનાજ અને કઠોળ સાચવવા માટે કામ લાગે છે. ઘઉં, ચોખા કઠોળ પણ હવાચુસ્ત ડબ્બામાં ભરો. ઘઉં અને ચોખા બને ત્યાં સુધી એરંડિયાથી [દિવેલથી] મોઈને ભરવાથી બગડતાં નથી. દિવેલ તો આમ પણ તબિયત માટે સારું છે. ચોખામાં દિવેલ ન નાખવું હોય તો મીઠું તેલ પણ ચાલે. દિવેલને ગરમ કરીને ઠંડુ પડે પછી જ તેને અનાજ મો’વા માટે ઉપયોગ કરવો. ઘણાને દિવેલનો સ્વાદ નથી અનુકૂળ નથી આવતો તો ઘઉંને સૂરજનાં તાપે સૂકવી ઠંડા પડે તેને ડબ્બામાં ભરો સાથે આ પારાની ટિકડીઓ નાખી રાખવાથી વર્ષભર બગડતાં નથી. ચોખા ભરવા તેના ડબ્બામાં નીચે સૂકા કડવા લીમડાનાં પાન ડાખળી સાથે મૂકવાથી બગડતાં નથી.

      કઠોળને સૂરજનાં તડકામાં કદીપણ ન સૂકવવા. મગને સાચવવા તેમાં છૂટ્ટો પારો નાખી કાચની બરણીમાં જ ભરવા અને વાપરતી વખતે ચાળીને વાપરવા જેથી પારો નીકળી જશે. પારો કદાપિ ઍલ્યુમિનિયનાં વાસણને કે સોના ચાંદીને અડકવું ન જોઈએ નહીં તો એનું ઍલોય થઈ જશે એટલે કે ટુકડા થઈ જશે. બીજા કઠોળમાં પારાની ટિકડીઓ મૂકી શકાય. આ કઠોળ કાચની બરણીમાં કે ટપરવેરનાં ડબ્બામાં ભરી શકાય. આખી તુવેરને મીઠા સાથે ભરવાથી તેમાં સડો થતો નથી.

 

                                                    ૐ નમઃ શિવાય

5 comments April 23, 2008

Previous Posts


વિભાગો

Recent Comments

manvantpatel on ફળોનો રાજા…
અનિમેષ … on રવીન્દ્રના…
કુણાલ on રવીન્દ્રના…
manvantpatel on રવીન્દ્રના…
pragnaju on રવીન્દ્રના…

Recent Posts

Archives

Calendar

May 2008
M T W T F S S
« Apr    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us