નૃસિંહ જયંતી

                    આજે વૈશાખ સુદ ચૌદસ [નૃસિંહ જયંતી]

આજનો સુવિચાર:-પરમેશ્વર પાસે જનારું કોઈ પણ ભલે તેટલું નાનું સ્વરૂપ ધરાવતું હોય છતાં તેને પાસે નહીં જનારાઓ કરતાં તે ઘણું મોટું બની જાય છે.

હેલ્થ ટીપ્સ:- મોંમા થોડો વખત મધ રાખી કોગળા કરવાથી મોંમા પડતા છાલા પર રાહત રહેશે.

    આજે 1લી મે એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર દિન. આજે આંતરરાષ્ટ્રીય મજુર દિન [લેબર ડે], આદ્ય શંકરાચાર્યની પુણ્યતિથિ, ભગવાન વિષ્ણુના ચોથા અવતારનો એટલે કે નૃસિંહ અવતારનો પ્રાગ્ટ્ય દિન

      ઈ.સ. 1960માં ‘મહાદ્વિભાષી રાજ્ય’ એટલે કે મુંબઈનું વિભાજન થયું. આ વિભાજન લોકનેતા ઈંદુલાલ યાજ્ઞિકની નેતાગીરી હેઠળ ‘મહાગુજરાત આંદોલન’ હેઠળ સફળ રહ્યું હતું. આમ 1/5/1960માં ‘ગુજરાત’ અને ‘મહારાષ્ટ્ર’ બે અલગ રાજ્યની સ્થાપના થઈ. બંન્ને રાજ્ય પોતપોતાની રીતે હવે સ્વતંત્ર અને આગવા છે.

       આજથી બસો વર્ષ પૂર્વે યુરોપના દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી. માલિક વર્ગ અને મજૂર વર્ગ એમ બે વર્ગો પડી ગયા. મજૂરોને યોગ્ય વળતર મળે તે માટે શિકાગોમાં 1/5/1887ના દિવસે વિશાળ મજૂર આંદોલન થયું. એમાં અનેક મજૂરો શહીદ થયાં. આજે તેમની યાદગીરી રૂપે મજૂર દિન મનાવવામાં આવે છે.

[rockyou id=66741664&w=324&h=243]

    જ્યારે જ્યારે ભક્તોને ભીડ પડી ત્યારે તેમની વહારે પ્રભુ દોડ્યા આવ્યા છે. નૃસિંહ અવતાર પણ એક એવો અવતાર છે જેમાં પ્રભુ બાળકને વહારે દોડી આવ્યા હતા.

             ત્રિલોક પર વિજય પ્રાપ્ત કરવાની પ્રબળ ઈચ્છાને કારણે દૈત્યરાજ હિરણ્યકશિપુએ બ્રહ્માજી પાસે એવુ વરદાન માંગ્યું કે તે માનવ, પશુ, દેવ, દાનવથી ન મરે, ન તો અસ્ત્ર કે શત્ર વડે મરે, ન તો દિવસે કે રાત્રે મરે ન તો પૃથ્વી પર કે ન તો આભમાં મરે. આમ ત્રિલોકમાં રાજ કરવાની ઘેલછાએ હિરણ્યકશિપુએ કાળોકેર વર્તાવાનો શરુ કર્યો.. ઈંદ્રને હિરણ્યકશિપુની ગર્ભવતી પત્ની કયાધુના બાળકનો ડર લાગ્યો કે એ પણ ક્યાંક તેના પિતા જેવો ના નીકળે. આવી આશંકા સાથે ઈંદ્રે તેનું અપહરણ કર્યું પરંતુ નારદજીની સમજાવટથી કયાધુને પોતાના આશ્રમમાં લઈ ગયા જ્યાં ભક્તિનાં વાતાવરણને કારણે આવનાર બાળકમાં ભક્તિનાં બીજ રોપાયા. આ બાળક તે પ્રહલાદ. માતાનાં ગર્ભમાંથી જ ભક્તિનાં બીજને કારણે પ્રભુ ભક્તિમાં રત પ્રહલાદ પર પણ જુલમ કરવો ચાલુ કર્યો હતો.. પ્રહલાદ રૂપી ભક્તિ તેની ચરમસીમાએ હતી અને હિરણ્યકશિપુ રૂપી અભક્તિ પણ એની ચરમસીમાએ પહોંચી હતી. આખરે ભક્તિનો વિજય થયો અને પ્રભુ નૃસિંહ રૂપે અર્ધમાનવ અને અર્ધપશુ રૂપે સમી સાંજે સ્તંભમાંથી પ્રગટ્યા. અને ઉમરા પર બેસી પોતાના ખોળામા હિરણ્યકશિપુને પોતાના નહોર વડે તેનો સંહાર કર્યો. આમ એક અસુરનો અંત થયો. આમ આજનો આ દિવસ નૃસિંહ જયંતી રૂપે ઉજવાય છે.

દક્ષિણ ભારતમાં નૃસિંહ જયંતી ખૂબ ધામધૂમથી ઉજવાય છે.

                                   

                                  ૐ નમઃ શિવાય